૧
ધૂંધળીનાથ અને સિદ્ધનાથ
"તે
દુ'ની વાતું હાલી આવે છે, ભાઈ ! અરધી સાચી ને અરધી ખોટી. હજાર વરસની જૂનિયું વાતું ! કોણ જાણે છે શી બાબત હશે !"
એટલું બોલીને એ બુઢ્ઢા માલધારીએ દિશાઓને છેડે મીટ
માંડી. એક હજાર વર્ષ પહેલાંના અક્ષરો વાંચ્યા. થોડુંક હસ્યો. ડાંગને ટેકે
ઊભાં ઊભાં એણે ચલમ સળગાવી. એની ધોળી દાઢીમાંથી ધુમાડા નીતરવા લાગ્યા.
ગોટેગોટા ઊંચે ચડવા લાગ્યા. મેાં મલકાવી એણે કહ્યું:
"ઈ બધું આવું, ભાઈ ! આ ધુમાડા જેવું અમારા સોરઠમાં
તો કૈંક ટાઢા પો'રના ગપાટા હાલે છે; પણ હું તો આ ઢાંકને ડુંગરે ડાંગને
ટેકે લઈને જયારે ચલમ ચેતવું છું, ત્યારે મને તો ધૂંધળીનાથ-સિદ્ધનાથની જોડી
જીવતીજાગતી લાગે છે. હજાર વરસ તે મારી અંખના પલકારા જેટલાં જ બની જાય છે. આ
ધૂંવાડાની ફૂંક જેવો ધૂંધળાવરણો ધૂંધળીનાથ અને આ આગની ઝાળ જેવો હેમવરણો
રૂડો સિદ્ધનાથ હાજરાહજૂર લાગે છે."
"વાત તો કહો !"
"અરે વાત કેવી ? ઈ તો ટાઢા પો'રના ! બે ઘડી ગપાટા
હાંકીને ડોબાં ચારીએ. થોડીક રાત ખૂટે ! આ તો વેલાંની વાતું, મોઢામોઢ હાલી
આવે, એના કોઈ આંકડા થોડા માંડેલ છે ?"
એટલું બોલતાં એની આંખમાં ચલમનો કેફ ચડતો ગયો. આંખના ખૂણા લાલચટક બન્યા, અને ડાંગને ટેકે એણે અજવાળી રાતે વાત માંડી...
૧
ધૂંધળીનાથનું અસલ નામ તો ધૂંધો; જાતને કોળી. આ
વાંસાવડ દીમનો રે'તો. હું પીઉં છું એવી બજરના વાડા વાવતો. જલમ કોળીને પેટ
પણ જીવ પરોવાણો દયાદાનમાં. હિંસા નામ ન કરે. વરસે વરસ બજરનાં પડતલાં વેચીને
જાય ગિરનારને મેળે. નાણું હોય એટલું ગરીબગરબાંને ખવરાવી દ્યે, પાછે આવીને
બજર વાવવા માંડે.
ધીરે ધીરે તે ધૂંધો ને ગિરનાર બેય એકાકાર થાવા
માંડયા. જેવું ધ્યાન તેવું દિલનું ગજું : જેવું અન્ન તેવો ઓડકાર: ધૂંધાને
તે ગિરનારનું જ ધ્યાન રાત ને દી લાગી ગયું. એનો આતમો વધવા માંડયો. સંસારની
ગાંઠ વછૂટી ગઈ. બજરના વાડા ગાયું પાસે ભેળાવીને એ તો ગિરનારમાં ચાલ્યો ગયો.
કોઈક ટૂંક ઉપર બેસીને ધૂણી ધખાવી તપસ્યા આદરી દીધી. એમ બાર વરસે ગિરનારની
ગુફાઓમાંથી ગેબના શબ્દ સંભળાણા કે : "ધૂંધળીનાથ ! ધૂંધળીનાથ! નવ નાથ ભેળો
દસમો નાથ તું ધૂંધો."
'અહાલેક ! ' શબ્દની સાથે ગુરુ દત્તે ધ્યાન ધર્યું
અને નવ નાથોનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાં તે જોગસિદ્ધ મછેન્દરનાથ,
જલંધરનાથ, શાંતિનાથ, અવા નવ નાથો ગુરુની સન્મુખ હાજર થઈ ગયા. ગુરુ બોલ્યા :
"જોગંદરો, અપણી જમાતમાં આજ નવો સિદ્ધ આવ્યો છે. તમે નવ નાથ ભેળા એ દસમો
ધૂંધળીનાથ તમારી પંગતમાં જગમાં પૂજાશે. મારો આશીર્વાદ છે. તમારી ચલમ,
સાફી એને આપો."
જોગંદરનાથ બધા ભેળા થાય ત્યારે એક સાફીએ ચલમ પીએ,
બીજાને ચલમ આપે.પણ સાફી ન આપે. ધૂંધળીનાથને ચલમ આપી. સાફી આપતાં નવે સિદ્ધો
કચવાણા. ગુરુદેવે કારણ પૂછયું. નવ નાથોએ ખુલાસે કર્યો " ગુરુદેવ, ધૂંધો
નાથ ખરો, પણ એનું દૂધ હલકું છે; એ દૂધ કોક દી એને હાથે કોક કાળો કામો
કરાવશે. એટલે ધૂંધળીનાથજી હજી વધારે તપ કરે, વધારે શુદ્ધિ કરે, પછી અમે
સાફી આપીએ."
અને ગુરુ દત્તનો બોલ પડ્યો કે "ધૂંધળીનાથ ! બાર
વરસ બીજા : આબુમાં જઈ ધૂણી પ્રગટો ! જાવ બાપ ! ચોરાસી સિદ્ધની પંગતમાં
તમારી વાટ જોવાશે."
આબુની અવધિ પણ પૂરી થઈ અને તપ કરી ધૂંધળીનાથ પાછા
ગુરુ પાસે આવ્યા. ફરી ગુરુએ નવ નાથને હાજર કર્યા. અને બધાએ સાથે મળી એક
સાફીએ ચલમ પીધી. પણ નવે નાથ અંદરોઅંદર કહેવા લાગ્યા કે : " આનાથી તપ
જીરવાશે નહિ એ હલકું દૂધ છે; કોક દી ને કોક દી એ ન કરવાનો કામો કરી બેસશે."
તેજની જીવતજ્યોત જેવા ધૂંધળીનાથ જગતમાં ઘૂમવા લાગ્યા. ઘૂમતાં ઘૂમતાં અરવલ્લીને ડુંગરે ચિતોડગઢમાં એનું આવવું થયું.
ચિતોડના રાણાએ ગુરુને ઝાઝાં માન દીધાં. ગુરુનાં
ચરણુંમાં પડીને રાણો રાતે પાણીએ રોયો. રાણાના અભરભર્યા રાજમાં સવાશેર
માટીની ખોટ હતી. મરણ ટાણે બાપની આગ લઈને મોઢા આગળ હાલનારો દીકરો નહોતો.
-
ગાંજો પીવા માટે ચલમની સાથે લૂગડાનો ટુકડો , રાખવામા આવે તેને ' સાફી ' કહે છે
ધૂંધળીનાથે ધ્યાન ધર્યું, રાણાના ભાગ્યમાં એણે બે
દીકરા લખેલા વાંચ્યા: પણ એક જોગી, ને એક સંસારી. એણે કહ્યું : "રાણાજી !
બાર વરસે પાછે આવું છું. બે કુંવર તારે ઘરે રમતા હશે. ગુરુની આજ્ઞા છે કે
આમાંથી એક તારો ને એક મારો. તૈયાર રાખજે. તે દી આંસુ પાડવા બેસીશ મા. બાર
વરસે પાછો આવું છું."
બાર વરસને જાતાં શી વાર ? જટાધારી જોગીએ ચિતોડને
પાદર અહાલેક જગાવ્યો. એટલે રાજારાણી બેય રાજકુંવરને આંગળીએ લઈ બહાર
નીકળ્યાં. બેમાંથી એક ઘરાણેલૂગડે ભાંગી પડતો, અને બીજો મેલેઘેલે પહેરવેશે.
રાજારાણી કૂડ કરીને તેજીલો દીકરો રાખવા માગતાં હતાં. પણ તેજની વિભૂતિ કાંઈ
મેલે લૂગડે ઢાંકી રહે ? ને એય ધૂંધળીનાથની નજર બહાર રહે ? મેલાઘેલાને જ
જોગીએ ઉપાડી લીધો. બાર વરસનો બાળકો દોટ દઈને ગુરુને કાંડે બાઝી પડ્યો.
માતાપિતા નજરે દેખે તેમ એ બાર વરસના બાળકને માથું મૂંડાવી ભગવાં
પહેરાવ્યાં. ભભૂત ધરી ચાલી નીકળ્યા. રાજારાણી ખોબે ખોબે આંસુ પાડતાં
ચિતોડગઢ પાછાં વળ્યાં.
૨
ધૂંધળીનાથે ચેલાને સિદ્ધનાથ કરી થાપ્યો. એના
કાનમાં ગુરુમંત્ર ફૂંકયો અને ભેખના પાઠ ભણાવતા ભણાવતા આ આપણે ઊભા છીએ,
ત્યાં આવી પહોંચ્યા. આ ઢાંક તે દી નહોતું. અંહી તો પ્રેહપાટણ નગરી હતી.
ચેલાઓને ગુરુએ કહ્યું : " બાપ, હું આ ડુંગરામાં બાર વરસની સમાધિ લગાવું
છું. તમે સૌ ઘરોઘર ઝોળી ફેરવીને અંહીં સદાવ્રત રાખજો, ભૂખ્યાંદુખ્યાં અને
અપંગોને પોતાનાં ગણી પાળજો. મારી તપસ્યામાં પુન્યાઈ પૂરજો.” એમ બોલીને
ધૂંધળીનાથે આસન વાળ્યું.
વાંસેથી ચેલાઓની કેવી ગતિ થઈ ગઈ? નગરીમાં ઝોળી
ફેરવે, પણ કોઈએ ચપટી લોટ ન દીધો. દયામાનનો છાંટોય ન મળે એવાં લોક
વસતાં'તાં. પણ સત્તર અઢાર વરસનો સિદ્ધનાથ તો રાજનું બીજ હતો: સમજુ હતો: એણે
અક્કેક ચેલાને અક્કેક કુહાડો પકડાવી કહ્યું કે પહાડમાં લાકડાં વાઢી નગરમાં
જઈ ભારીઓ વેચો અને આપમહેનતથી ઉદર ભરો ! જોગીનો ધરમ હરામનું ખાવાનો ન હોય.
કોઠામાં જરે નહિ. જાઓ જંગલમાં.
બીજે દી, ત્રીજે દી, અને ચોથો દી થતાં તો કુહાડા
મેલી-મેલીને બધા ચેલાએ મારગ માપ્યા. બાકી રહ્યો એક બાળો સિદ્ધનાથ.
રાણાકુળનું બીજ, એમાં ફેર ન પડે. પ્રભાતનો પહોર પ્રાગડના દોરા ફૂટ્યા
પહેલાં તે આશ્રમને વાળીચોળી, ઝાડવાંને પાણી પાઈ, સિદ્ધનાથ વનમાં ઊપડી જાય.
સાંજે બળતણની ભારી બાંધી શહેરમાં વેચી આવે. નાણું નહિ જેવું નીપજે. તેનો
લોટ લે. આખા ગામમાં એક જ ડેાશી એવી નીકળી કે જે એને રેાટલો ટીપી આપે. એ હતી
કુંભારની ડેાશી. અઢાર વરસના સુંવાળા રૂપાળા બાળા જોગીને જોઈ ડેાશી લળી લળી
હેત ઢોળે છે.
આમ બાર વરસ સુધી બાળ સિદ્ધનાથે ભારી ઉપાડી સદાવ્રત
ચલાવ્યાં. માથું છોલાઈને જીવાત પડી સુંવાળી કાયા ખરી ને ! કેટલુંક
સહેવાય ? દુઃખ તો ચિતોડની મોલાતમાં કોઈ દિવસ દીઠું નહોતું. અને આંહીં એના
એકલાના ઉપર જ ભાર આવી પડ્યો. સિદ્ધનાથ મૂંગો મૂંગો આ પીડા વેઠતો અનાથની
સેવા કર્યો ગયો. બાર વરસે ધૂંધળીનાથનું ધ્યાન પૂરું થયું. અંખે ઉઘાડીને
ગુરુએ આશ્રમ નીરખ્યો. આટલા બધા ચેલકામાંથી એક સિદ્ધનાથને જ હાજર દેખ્યો.
પૂછયું કે બીજા બધા કયાં છે? ચતુર સિદ્ધનાથે મોટું પેટ રાખીને ખેાટો જવાબ
વાળ્યો; ગુરુને પટાવી લીધા.
ઘણાં વરસનો થાકયો સિદ્ધનાથ તે દિવસે બપોરે ઝાડવાને
છાંયડે જંપી ગયો છે. શીળા વાયરાની લે'રેલે'રે એની ઉજાગરાભરી અંખો મળી ગઈ
છે. ગુરુજી ચેલાનાં અઢળક રૂપ નીરખી રહ્યા છે. શિષ્યના રૂડા ભેખ ઉપર અંતર
ઠલવાય છે. તે વખતે સિદ્ધનાથે પડખું ફેરવ્યું, માથા ઉપરનું ઓઢણુ સરી પડયું,
માથે એક માખી બેઠી. ગુરુને વહેમ આવ્યો. પાસે જઈને જોયું, માથામાં ખોબો
મીઠું સમાય એવડું ઘારું પડયું છે. ગંધ વછૂટે છે.
ગુરુએ ચેલાને જગાડયો. પૂછયું : "આ શું થયું, બચ્ચા ?"
"કાંઈ નહિ બાપુ ! ગૂમડું થયું છે." સમદરપેટા સિદ્ધનાથે સાચું ન કહ્યું.
"સિદ્ધનાથ !" ગુરુની ભ્રકુટિ ચડી: "જોગ પહેર્યો છે એ ભૂલીશ મા. અસતથી તારી જીભ તૂટી પડશે. બોલ સાચું, ગુરુદુહાઈ છે."
સિદ્ધનાથ ધીરે રહીને વાતો કહેતો ગયો, તેમ તેમ
ધૂંધળીનાથની આંખમાંથી ધુમાડા છૂટતા ગયા. તપસીનું અંતર ખદખદી ઊઠયું. અડતાલીસ
વરસની તપસ્યાનો ઢગલો સળગીને ભડકા નાખતા હોય તેવું રૂપ બંધાઈ ગયું.
હૈયામાંથી 'હાય! હાય! હાય !' એમ હાહાકાર નીકળી આભને અડવા માંડયા : "અરે હાય
હાય ! જગતનાં માનવી ! દયા પરવારી રહ્યાં ! મારા બાળ સિદ્ધનાથ માથાની
મૂંડમાં કીડા પડે ત્યાં સુધીયે ભારિયું ખેંચે ! અને મારી તપસ્યા ! ભડકે
ભડકે પ્રલેકાર મચાવી દઉં ! મારે તપસ્યાને શું કરવી છે ! સિદ્ધનાથ ! બચ્ચા !
દોડ, ઓલી કુંભારણને ચેતાવ, માંડે ભાગવા, પાછું વાળીને ન જોવે હો : આજ હું
પ્રેહપાટણને પલટાવું છું."
એટલું કહેતાં તો આશ્રમ કાંપ્યો. ઝાડવાં ધૂણ્યાં.
અને ત્રાહિ !ત્રાહિ ! પોકારતો સિદ્ધનાથ હાથ જોડીને કરગરે છે કે
"ગુરુદેવ !ગુરુદેવ ! તપસ્યાનાં પુણ્ય એમ નથી ખોંવાં. અરે બાપુ ! માનવીઓ તો
બધાંય માટીનાં એનાં પેટ છીછરાં જ હોય. એની સામું ન જોવાય. આપણા ભેખ સામે
જુઓ.ગજબ કરો મા ! લાખ્ખોની હ યા, નિસાસા, કલ્પાંત : કેમ જોયાં ને સાંભળ્યાં
જાશે, ગુરુદેવ ?"
પણ ગુરુ વાર્યા ન રહ્યા. તપસ્યાને મંડ્યા હોમવા.
હાથમાં ખપ્પર ઉપાડયું; ધરતી રોતી હોય એવું ધીરું ધણેણવા લાગી, ડુંગર
ડોલ્યા. દિશાના પડદા ફાડીને પવન વછૂટવા લાગ્યા. છેલ્લી વાર ગુરુએ કહ્યું :
"સિદ્ધનાથ ! હવે કમાનમાંથી તીર છૂટે છે, દોડ, દોડ, કુંભારણને ચેતાવ, માંડે
ભાગવા, પાછું ન જુએ, નહિ તો સૂકાં ભેળાં લીલાંય બળશે, બચ્ચા !"
સિદ્ધનાથે દોટ દીધી, પોતાને રોજ રોટલા ઘડી દેનારી
માડીને ચેતાવી, છોકરાને આંગળીએ લઈ ડેોસી ભાગે છે, અને આંહીં પાછળ
ધૂંધવાયેલો ધૂંધળીનાથ હાથમાં ખપ્પર ઉપાડી પોતાની તમામ તપસ્યાને પોકારે છે :
" ઓ ધરતી મૈયા !
પટ્ટણ સો દટ્ટણ ! અને માયા, સો મિટ્ટી !"
- એમ પોકારીને એણે ખપ્પર ઊંધુ વાળ્યું. વાળતાં જ
વાયરા વછૂટ્યા, આંધી ચડી, વાદળાં તૂટી પડ્યાં, મોટા પહાડ મૂળમાંથી
ઊપડી-ઊપડીને ઊંધા પટકાણા. પ્રેહપાટણ નગરી જીવતજાગત પૃથ્વીના પેટાળમાં દટાઈ
ગઈ. એક પ્રેહપાટણ નહિ, પણ એવાં ચોરાસી પાટણ તે દી ધૂંધળીનાથે પોતાના ખપ્પર
હેઠ ઢાંક્યાં અને એના મહાકંપમાં માયા તમામ મિટ્ટી બનીને ગારદ થઈ ગઈ.
ઓલી કુંભારણ જાતી હતી ભાગતી, પણ સીમાડે જાતાં એની
ધીરજ ખુટી. પ્રલયની ચીસો સાંભળીને એણે પાછળ જોયું. મા ને છોકરાં ત્યાં ને
ત્યાં પાણકા બની ગયાં. એ હજી ઊભાં, ઢાંકને સીમાડે !
આવું મહાપાપ કરનાર એ જોગીને માટે આબુ અને ગિરનાર
માથે પણ હાહાકાર બોલી ગયો. નવ નાથ અને ચારાસી સિદ્ધોએ અવાજ દીધો કે "આજથી
એની ચલમસાફી બંધ કરો ! બંધ કરો ! " કંઈક વર્ષોની કમાણી વેચીને ધૂંધળીનાથ
સમાધિમાં બેઠા. સિદ્ધિઓ વિના એનો એ રાંક ધૂંધો કોળી થઈ ગયા. " ભાઈ ! ગમે
તેવા તોય કેાળીનું દુધ ના !"
૩
અંહીં બાળા જોગી સિદ્ધનાથનું શું બન્યું ? ડુંગરે
ઉભીને એણે પ્રેહપાટણ દટાતું દીઠું. દટ્ટણ પૂરું થયા પછી એના જીવ જંપ્યો
નહિ. ગુરુએ કરેલા કાળા કામનું પ્રાછત શી રીતે થાય એ વિચારે એને ત્યાંથી
ખસવા દીધો નહિ. અરેરે ! ઘડી પહેલાં જ્યાં હજારો નરનારી ને નાનાં છોકરાં
કલ્લોલ કરતાં હતાં ત્યાં અત્યારે કોઈ હોંકારો દેવા પણ હાજર નહિ ? હું
સિદ્ધનાથ : ગુરુએ ઉથાપ્યું તે હું થાપું તો જ મારી સિદ્ધિ સાચી. કોઈક આ
નગરીનો અધિકારી આવશે. હું વાટ જોઈશ, મારાં તપ સંઘરીશ : એવું વિચારીને એ
કંકુવરણા બાળાજોગીએ આસન ભીડ્યું. નાશ પામેલા એ થાનક ઉપર એનાં નેત્રોની
અમૃતધારાઓ છંટાવા લાગી, બળેલું હતું તે બધું તેના પુણ્યને નીરે ઠરવા
લાગ્યું. એક દિવસ સાંજ નમતી હતી. એાછાયા લાંબા થયા હતા. પ્રેહપાટણનું ખંડેર
ખાવા ધાતું. એમાં બે જીવતાં માનવી ભટકે છે. ધૂળ ઉખેળી ઉખેળી ગોતે છે. અંદર
ઊંધા વળી ગયેલાં પાણિયારાં, ખારણિયા ને મિટ્ટી થઈ ગયેલ ધાતુનાં વાસણો
નીરખે છે. માને ધાવતાં બચ્ચાનાં મડદાં એમ ને એમ જામી ગયેલાં જુએ છે. જોઈ
જોઈ ને બેય માનવી રોવે છે. જેગી સિદ્ધનાથે બેયને જોયાં, બોલાવ્યાં,
પૂછયું : “ કોણ છો ?”
“આ અભાગી નગરીની હું રાજરાણી. આ મારા બેટો નાગાજણ જેઠવો.”
“કેમ કરીને બચી નીકળ્યાં ?”
“રાજાથી રિસામણે હું મારે પિયર તળાજે ગયેલી. કુંવર મારી ભેળો હતો.”
“બચ્ચા નાગાજણ ! હું તારી જ વાટ જોતો હતો. તું આવ્યો, બાપ ? મારી દુવા છે તને કે :
જેસો લંકેશ તેસો ઢંકેશ,
દુશ્મન માર વસાવ દેશ.
જેવો લંકાને સ્વામી રાવણ હતો તેવો જ તું આ ઢંક- આ
ઢંકાયેલી નગરી–નો સ્વામી બનીશ. તારી ઢક (ઢાંક)લંકા નગરીને તોલે આવશે. માટે
બેટા, ફરી વાર આંહી આપણે નગર વસાવીએ.
ઢંકાયેલા પ્રેહપાટણને ટીંબે નવું નગર બંધાવા
લાગ્યું. ઢાંકે તો બીજાં નગરોને પોતાની રિદ્ધિસિદ્ધિમાં ઢાંકી દીધાં.
સિદ્ધનાથે પોતાની કરણીના જોરે વસ્તીની વેલડી કોળાવી મુકી. નાગાજણ ચેલો અને
સિદ્ધનાથ ગુરુ: બે જણાની જોડલીએ બળેલી વાડીને સજીવન કરી. એાલ્યોય જોગી અને
આય જોગી, પણ બેમાં કેટલું અંતર! ગુરુના મહાદોહ્યલા દંડ ભરતો ભરતો જુવાન
જોગી રાજી થતો હતો. પોતાનું જીવ્યું એને લેખે લાગતું હતું. દુનિયામાં સંહાર
સહેલો છે, સરજવું દોહ્યલું છે, બાપ! સિદ્ધનાથે સરજી જાણ્યું.
પણ કાળનો આવવો છે ના ! એક દી નાગાજણ જેઠવે આવીને હાથ જોડયા.
“કેમ બચ્ચા ?” જોગીએ પૂછયું.
“ગુરુદેવ ! એક જ બાબત બાકી રહે છે.”
"શી ?"
“આપે કહેલું કે જેસો લંકેશ તેસો ઢંકેશ !”
"હા.”
“તો બસ મારી ઢાંક લંકા સરખી સોનાની બની જાય એટલું કરી આપો.”
“નાગાજણ !” ગુરુએ નિસાસો નાખયે : “એવો અરથ લીધો ? આ સમૃદ્ધિ ઓછી લાગી, તે સોને લોભાણા, રાજ ?”
“આપનું વેણ છે.”
“વેણેવેણ સાચું કરવું છે ?”
"હા.”
“ તે પછી ઢાંકની ગતિ પૂરેપૂરી લંકા સરખી સમજજે, રાજા! સોનાની લંકા રોળાણી હતી.”
"ફિકર નહિ.”
“તને ભાગ્ય ભુલાવે છે, રાજા ! પણ ખેર : હવે પૂરું
કરીશ. નાગાજણ ! ઉગમણું મુંગીપુર પાટણ છે. ત્યાંનો રાજા શારવાણ (શાલિવાહન)
ગોહિલ: એને ઘેર સોનદેવી રાણી : એ જોગમાયા આવીને જેટલી ગાર કરે, એટલું સોનું
થઈ જાય. બેાલાવું ?”
“બેાલાવો.” “અધર્મ નહિ કર્ય ને ?”
“મા-જણી બોન માનીશ?”
“શાલિવાહન સાથે વેર પાલવશે ?”
“રે ગુરુદેવ ! હું નાગાજણ : હું જેઠવો : ઝૂઝી જાણું છું.”
પછી તે સિદ્ધનાથે તપોબળ છોડયાં. મુંગીપુરને
મહેલેથી સતી સોનરાણીને પલંગ રાતમાં ઢાંકને ગઢે ઊતર્યો. સતી જાગી, જોગી
આઘેરો ઊભે રહ્યો. નાગાજણે હાથ જોડ્યા : “બેન, મને તારો મા-જણ્યો ભાઈ માનજે.
અધરમ કાજે નથી આણી તને. મારી ઢાંક સોનાની કરવી છે, તું જોગમાયાને હાથે જરા
પોતું ફેરવાવવું છે. મારે કોટકાંગરે તારા હાથ ફેરવ, બાપ !”
રોજ બેાલાવે. રોજ ઓળીપો કરાવે. પાછી પહોંચાડે.
છેલ્લે દિવસે નાગાજણ હાથ જોડીને ઊભો રહ્યો : “ બેન, કંઈક કાપડાની કેાર માગી લે.”
“ટાણે માગીશ, ભાઈ !”
કહીને રાણી ચાલી ગઈ આખી વાત રાજા શાલિવાહનને કહી.
રાજા રૂઠયો. રૂઠેલ રાજાએ સોરઠની ભોમ ઉપર સેન હાંકયાં. કેાઈ કહે કે એ તો
શાલિવાહન : એટલે કે શાળને દાણે દાણે એકેક ઘોડેસવાર ઊઠે એવો મંત્ર જાણનારો.
કોથળા ને કોથળા શાળ ભરીને રાજા નાગાજણને દંડવા હાલ્યા આવે છે.
આંહીં તો ઢાંક લંકા જેવા ઝગારા કરે છે. છત્રીસ
છત્રીસ તો એના કનકકોટ શોભે છે, ગુરુ સિદ્ધનાથ એ અક્કેક કોઠા ઉપર નાગાજણને
લઈને ચડતો ગયે. ચડીચડીને એણે આગમ ભાખ્યાં, જુગજુગની ભવિષ્યવાણી કાઢી.
ક્યારે શું શું બનશે, જેઠવા કુળની કેવી ચડતીપડતી થાશે એના કાળલેખ
ઉકેલી-ઉકેલીને સિદ્ધનાથે કહી સંભળાવ્યા. પછી રજા માગી.
"નાગાજણ ! હવે મને રજા દે, બચ્ચા ! ગુરુએ મારે
કારણે મહાપાપ આદર્યું. એણે તપ વેચીને હત્યા બોલાવી. એ બધા મેલ ધોઈને હું
હવે મારે માર્ગે જાઉ છું. અમારા પંથ અઘોર છે, બાપ !તારી સન્મતિ થાજો ! તારો
કાળ ચાલ્યો આવે છે. પણ તું સતનો પથ ચૂકીશ મા ! બાકી તો તેં જીવી જાણ્યું.
તને મોતનો ભો શો રહ્યો છે ?"
જુવાન સિદ્ધનાથ માર્ગે પડયા. એક તો ક્ષત્રી અને
વળી ચિતોડગઢનું કુળ; તેમાં ભળ્યાં જોગનાં તેજ : વીરભદ્ર જેવો એ મહાજતિ
મોકળી લટે અહાલેક ! અહાલેક ! બોલતો, દુનિયાને જગાડતો, કેાઈ અંધારી ગુફામાં
ચાલ્યો ગયો.
નાગાજણનો કાળ નજીક ને નજીક આવતો જાય છે. શાલિવાહનની સમશેરો ઝબકે છે. કનકકોટે ચડીને રાજા મરણિયો થઈને બેસી રહ્યો.
શાલિવાહનની ફોજે ઢાંક ફરતાં ડેરાતંબૂ તાણી લીધા. કોટ ઉપર મારો ચલાવવા માંડયો. પણ જોગીનો દીધેલ ગઢ તૂટતો નથી; એક શિલા પણ ચસ દેતી નથી.
"કોઈ જઈને નાગાજણનું મસ્તક લાવી આપે ? હું એ એક માથું લઈને પાછો જાઉં."શાલિવાહન રાજાએ સાદ પાડયો.
એક ચારણને કુમત્ય સૂઝી, એણે હોકારો દીધો, ચારણ
ઢાંક નગરમાં ચાલ્યો. આગલા સમયમાં તો ચાહે તેવી લડાઈએ ચાલતી હોય તોય ચારણ,
ફકીર કે સાધુને કોઈ અટકાવતું નહોતું. ચારણ શત્રુપક્ષનો, તોપણ એ તો
ચારણ : એનો એવો ભરોસો. ભરોસે ભૂલીને દરવાને નગરમાં આવવા દીધો.
અને કાળમુખા ચારણે જઈને નાગાજણના દસોંદીને જગાડયો. "આવી જા, સોગઠે રમીએ. હોડમાં પોતપોતાના રાજાનું માથું મેલીએ."
તે દિવસે તો, ભાઈ! રાજાનાં માથાં અને માન પણ
ચારણને જ હાથ સચવાતાં ખરાં ને! કમતિયા દસોંદીએ ચોપાટમાં નાગાજણનું શીશ
માંડયું. શાલિવાહનના કૂડિયા ચારણે કૂડના પાસા ઢાળ્યા, મનમાન્યા દાવ આણ્યા,
જીત્યો, માટી થયો. કહે કે "લાવ તારા રાજાનું માથું."
દસોંદી શું મેાં લઈને જાય ! પણ નાગાજણને કાને વાત
પહેાંચી અને લલકારી ઊઠયો : "અરે, મારો દસોંદી ! એનાં વેણ માથે તો મારી આંટ
ચાલે. હજારો લાલચો વચ્ચેય એનું પાણી ન મરે. એના ખોળામાં ક્ષત્રી માથું
મેલીને નિર્ભય બની સૂઈ જાય; બોલાવો એ ચારણને."
દસોંદી કાંપતે પગે નીચી મૂંડી ઘાલીને રાજાની પાસે
આવી ઊભો રહ્યો. પણ નાગાજણની આંખમાં એણે ન દેખ્યો ક્રોધ કે મોં ઉપર ન દીઠો
ઉદ્વેગ. એના હોઠ તો ચારણ સામું મરક મરક હસતા હતા. એની પછવાડે પછવાડે
શાલિવાહન રાજાનો ચારણ પણ આવી ઊભો. સોનાની થાળી મંગાવી રાજાએ ચારણને હાથમાં
દીધી. "આજ મને રૂડો કરી દેખાડ્યો, ચારણ! તું મારું માથું હોડમાં હાર્યો ન
હોત તો હું ગઢ બારો ન નીકળત અને જગત મારું જુદ્ધ જોવા ન પામત. અને હવે ?"
દુશ્મન રાજાના દસોંદી તરફ નજર કરી નાગાજણ બોલ્યો : "હવે તે આ માથા વગરનું
ધડ ઉલ્કાપાત માંડશે, ચારણ! આ માથું લઈ જઈને તારા રાજાને આપજે અને કહેજે
કે નાગાજણના ધડ સામે મરદ હો તો ઝૂઝજે અને તારી જેગમાયા રાણીમાને – મારી
બોનને – કહેજે કે ભાઈનું જુદ્ધ જોવા બહાર નીકળે."
એટલું બોલીને નાગાજણે તરવારનો ઘસરકો દીધો. માથું
જઈ પડયું થાળીમાં લઈને દસેાંદીએ દુશ્મનના ચારણને દીધું. ચારણે દોટ દીધી.
દરવાજા બહાર નીકળી ગયો.
અંહીં નાગાજણનું કબંધ (ધડ) ઊડયું. બે હાથમાં બે
સમશેરો લીધી, અને મસ્તક વિના માર્ગે ચાલ્યું. ઉપર રગતની શેડ્યો ફૂટતી આવે
છે: માથે જાણે રાતી કલગિયું રમે છે અને છાતીએ જાણે બે આંખો ફૂટી છે.
વીર ચાલ્યો, તરવારો વીંઝી, શાલિવાહનના સૈન્યમાં
ત્રાટકયો. ઘૂમવા લાગ્યો. શત્રુઓનાં માથાં છેદાવા લાગ્યાં, સૈન્ય ભાગ્યું.
રાજા ભાગ્યો, પાછળ કબંધે દોટ દીધી. શાલિવાહનનો કાળ આવી પહોંચ્યો, ઉગાર
નહોતો.
એવી અણીને સમયે સોન રાણી નીકળી. રસ્તો રૂંધીને આડી
ઊભી રહી, પાલવ પાથર્યો, તરવાર વીંઝતું કબંધ જાણે બહેનને દીઠી હોય તેમ થંભી
ગયું. તરવાર ઢાળી દીધી અને હાથ જાણે કંઈ આપવા જતો હોય તેમ ઊંચો ગયો. જાણે
કબંધ પૂછે છે કે : "બોન, માગી લે."
"વીરા મારા ! તે દી વેણ દીધું'તું કે કાપડાની કોર આપીશ. આજ માગું છું કે મારા ચૂડાને કારણે તારાં શૂરાતન શમાવી લે, ભાઈ !"
શબ્દ સાંભળીને ધડ ટાઢું પડયું. સમશેરો ભોંય પર મેલી ઢળી ગયું.
હજારો લાશો રગદોળાઈ રહી હતી એવા રણથળમાં સમી સાંજે
ગુરુ સિદ્ધનાથ દેખાણા, અને નાગાજણના શબ પાસે બેસીને જોંગદરે અંસુડાં
ટપકાવ્યાં. ત્યાં ને ત્યાં એણે સમાધિ લીધી.
*
"આવાં અમારાં માલધારિયુંનાં ગપ્પાં, ભાઈ! મોરુકી
વાતું હાલી આવે છે. અમે તે રાતને ટાઢે પો'રે ડોબાં ચારીએ, અને આવા ગપગોળા
હાંકીને રાત વિતાડીએ."
એટલું બોલીને એ બુઢ્ઢો માલધારી પાછી ચલમ પેટાવી
ધુમાડાના ગોટા કાઢવા લાગ્યો, અને લાલ લાલ આંખે મીટ માંડી રહ્યો. ધરતીના
સીમાડા ઉપર કોઈ જોગીના જટાજૂટની લટો જેવી વાદળીઓ ઝૂલતી હતી. ઊગતો સૂરજ,
કેાઈ અવધૂતની લાલઘૂમ આંખ રોતી રોતી બિડાતી હોય એવો, વાદળીએ વીંટાતો હતેા.
૨
રા' નવઘણ
"લે
આયરાણી, તારી છાતીને માથે બે ધાવે છે એમાં આ
ત્રીજાનો મારગ કર." એમ બોલતો આલિદર ગામનો આહીર દેવાયત બોદડ પોતાને ઓરડે
દાખલ થયેા અને અક્કેક થાનેલે અક્કેક બાળકને ધવરાવતી બોદડની ઘરવાળીએ પોતાની
છાતી ઉપર છેડો ઢાંકયો. ધણીના હાથમાં પાંભરીએ વીંટેલ નવા બાળકને એ નીરખી
રહી. પોતાના હૈયા ઉપર પારકાને ધવરાવવાનું કહેતાં સાંભળીને એને અચંબો થયો.
એણે પૂછયું : " કોણ આ ?"
આયર ઢૂંકડો આવ્યો. નાક ઉપર આંગળી મૂકીને કાનમાં કહ્યું : " મોદળનો રા' – જૂનાણાનો ધણી."
" આંહી કયાંથી ? "
" એ... જૂનાગઢનો રાજપલટો થયો. ગુજરાતમાંથી
સેાળંકીનાં કટક ઊતર્યાં, ને તે દી સેાળંકીની રાણિયું જાત્રાએ આવેલી, તેને
દાણ લીધા વિના રા' ડિયાસે દામેકંડ નાવા નો'તી દીધી ખરી ને, અપમાન કરીને
પાછી કાઢી'તી ને, તેનું વેર વાળ્યું આજ ગુજરાતના સોળંકીએાએ. રાજા
દુર્લભસેનનાં દળકટકે વાણિયાના વેશ કાઢીને જાત્રાળુના સંઘ તરીકે ઉપરકોટ હાથ
કરી લીધો. પછી રા'ને રસાલા સોતો જમવા નોતર્યો, હથિયાર પડિયાર ડેલીએ મેલાવી
દીધાં. પછે પંગતમાં જમવા બેસાડીને દગાથી કતલ કર્યો. વણથળી અને જૂનોગઢ બેય
જીતી લીધાં." "આ ફૂલ કયાંથી બચી નીકળ્યું ?" દીકરાદીકરીને ઘૂંટડેઘૂંટડા
ભરાવતી આહીરાણી માતા પોતાને ખોળે આવનાર એ રાજબાળ ઉપર માયાભરી મીટ માંડી
રહી.
" બીજી રાણિયું તો બળી મૂઈ, પણ આ સોમલદેને ખેાળે
રાજબાળ ધાવણો હતો ખરો ના, એટલે એને જીવતી બહાર સેરવી દીધી. મા તો
રખડીરવડીને મરી ગઈ, પણ આ બેટડાને એક વડારણે અંહી પહોંચતો કર્યો છે. આપણે
આશરે ફગાવ્યો છે."
" અહોહો ! ત્યારે તો મા વિનાનો બાળ ભૂખ્યો તરસ્યો
હશે. ઝટ લાવો એને, આયર !" એમ કહીને આહીરાણીએ પોતાના ડાબા થાનેલા ઉપરથી
દીકરીને વછોડી લીધી. બોલી : "બાપ જાહલ ! મારગ કર અ અપણા અશરા લેનાર સારુ.
તું હવે ઘણું ધાવી, ને તું તો દીકરીની જાત : પા'ણા ખાઈનેય મોટી થાઈશ; માટે
હવે આ નમાયાને પીવા દે તારો ભાગ."
એમ કહીને દેવાયતની ઘરવાળીએ જૂનાગઢના રાજફૂલના
મોંમાંથી અંગૂઠે મુકાવીને પોતાનું થાન દીધું. ભૂખ્યો રાજબાળ ઘટાક ઘટાક
ઘૂંટડા ઉતારવા મંડયો. અમીના કુંભ જેવા આહીરાણીના થાનમાંથી ધારાઓ ઢળવા લાગી.
અનાથને ઉછેરવાનો પોરસ એના દિલમાં જાગી ઊઠયો. પારકા પુત્રને દેખીને એને
પાનો ચડ્યો. ધાવતો ધાવતો રાજબાળ અકળાઈ જાય એટલું બધું ધાવણ ઊભરાયું.
દેવાયત નિહાળી રહ્યો. બાઈએ કહ્યું : "તમતમારે હવે
ઉચાટ કરશે મા. મારે તે એક થાનોલે આ વાહણ અને બીજે થાનોલે આ આશ્રિત બેયને
સગા દીકરાની જેમ સરખા ઉછેરીશ. જાહલ તો વાટ્યમાં પડીપડીય વધશે. એનો વાંધો
નહિ." " પણ તું હજી સમજતી નથી લાગતી."
" કાં ? "
"વાંસે દા બળે છે, ખબર છે ને? સોળંકીએાએ જૂનાને
માથે થાણું બેસાર્યું છે. એનો થાણદાર બાતમી મેળવી રહ્યો છે. ડિયાસનું વશબીજ
આપણા ઘરમાં છે, એવી જો જાણ થાશે તો આપણું જડામૂળ કાઢશે."
"ફકર નહિ, મોરલીધરનાં રખવાળાં. તમતમારે છાનામાના
કામે લાગી જાવ. આશરો આપ્યા પછી બીજા વિચાર જ ન હોય. તમારી સોડ્ય સેવનારીના
પેટનું પાણી નહિ મરે ભલે સોળકિંયુંને થાણદાર જીવતું ચામડું ઉતારતો."
દેવાયત ડેલીએ ચાલ્યો ગયો અને અંહીં આહીરાણી માતા એના નવા બાળને અંગેઅંગે હાથ ફેરવતી, મેલના ગેાળા ઉતારતી ને પંપાળતી વહાલ કરવા લાગી :
"બાપા ! તું તો આઈ ખોડિયારનો, ગળધરાવાળીનો દીધેલો.
તારી વાત મેં સાંભળી છે. તું તો રા' ડિયાસના ગઢનું રતન; તારાં વાંઝિયાં
માવતરને ઘરે નવ સરઠુંનાં રાજપાટ હતાં. છતાં ચકલાંયે એના ઘરની ચણ્ય નો'તાં
ચાખતાં. તારી માવડી અડવાણે પગે હાલીને અયાવેજ ગામે આઈખોડિયારને એારડે
પહેાંચી'તી. ત્યાં એને માતાએ તું ખોળાનો ખૂંદતલ દીધેલો. દેવીનાં વરદાનથી
તારાં ઓધાન રિયાં'તાં, અને મારા ફૂલ ! તારી માને તો તું જરાપણમાં જડેલો :
મા તારી માગતી'તી કે :
દેવી દેને દીકરો, ( હું ) ખાંતે ખેલાવું,
જોબન જાતે નો જડ્યો, ( હવે ) જરપણે ઝુલાવું.
જોબન જાતે નો જડ્યો, ( હવે ) જરપણે ઝુલાવું.
"ને તારાં તો એાધાન પણ કેવાં દોયલાં હતાં ! તું તો
માનો દુશ્મન હતો, ડાયલા !" એમ કહીને આહીરાણીએ લાડથી બાળકની દાઢી ખેંચી.
ધાવતો બાળક ત્રાંસી નજરે આ પડછંદ આહીરાણી માના મલકતા મોં સામે જોઈ રહ્યો.
"તું તો માના ઓદરમાંથી નીકળતો'તો જ કયાં ! તુંને ખબર છે ? તારી અપરમાયુંએ
કામણટૂમણ કરાવેલાં. જતિએ મંત્રી દીધેલ અડદના પૂતળાને બહારનો વા લાગે તો તું
બા'ર નીકળ ને ! પૂતળું ભેાંમાં ભંડારેલ, ત્યાં સુધી તું યે માના પેટમાં
પુરાયલ : પછી તો તારી જનેતાને આ કપટની જાણ થઈ. એણેય સામાં કપટ કર્યા.
ખોટેખેાટો પડો વજડાવ્યો કે રાજમાતાને તો છૂટકો થઈ ગયો. હૈયાફૂટી અપરમાયું
તો દોડી ગઈ પૂતળું તપાસવા. ભેામાં ભડારેલ માટલી ઉપાડીને જોયું, ત્યાં તો હે
દોંગા ! એના મંતરજંતર બધા ધૂળ મળી ગયા ને તું સાચેસાચ અવતરી ચૂકયો.
સાંભળ્યું મારા મેાભી ? "
કેાઈ ન સાંભળે તેવી રીતે ધીરી ધીરી વાત કહેતી ને
કાલીકાલી બનતી માતાએ બાળકના ગાલ આમળ્યા. બાળકના પેટમાં ઠારક વળી કે તરત એના
હાથપગ ઉછાળા મારવા લાગ્યા. એણે પોતાની સામેના થાન પર ધીંગા આહીરપુત્ર
વાહણને ધાવતા દીઠો. ઝોંટાઈને સામે પડેલી ધાવવા સારુ પાછી વલખાં મારતી
આહીરની દીકરીને દીઠી. ત્રણે છોકરાં એકબીજા સામે ટીકી રહ્યાં. ત્રણે જણાં
ઘુઘવાટા ક૨તાં લાગ્યાં.
૨
પાંચેક વરસની અવધ વટી ગઈ હતી. વાહણ, નવઘણ અને જાહલ
માને ખોળે મૂકીને ફળીમાં રમતાં થયાં છે. ત્રણે છોકરાં શેરીમાં અને
આંગણામાં ધમાચકડી મચાવે છે. નવઘણનાં નૂરતેજ અજવાળિયાના ચાંદા જેવાં ચડી
રહ્યાં છે. એમાં એક દિવસ સાંજે આલિદર ગામને સીમાડે ખેપટની ડમરી ચડી. દીવે
વાટ્યો ચડી ત્યાં તો જૂનાગઢ-વણથલીથી સોલંકીઓનું દળકટક આલિદરને ઝાંપે દાખલ
થયું. થાણદારે ગામફરતી એવી ચોકી બેસાડી દીધી કે અંદરથી બહાર કોઈ ચકલુંય
ફરકી ન શકે. ઉતારામાં એણે એક પછી એક આહીર કોમના પટેલિયાએાને તેડાવી ઝરડકી
દેવા માંડી : "બોલો, દેવાયત, બેાદડના ઘરમાં ડિયાસનો બાળ છે એ વાત સાચી ?"
તમામ આહીરેએ માથાં ધુણાવીને ના પાડી : "હોય, તો રામ જાણે; અમને ખબર નથી."
" બોલો, નીકર હું જીવતી ખેાળ ઉતરડી દઈશ. હાથેપગે નાગફણિયું જડીશ."
આહીરાણીનું ધાવણ ધાવેલા-એકવચની મુછાળાઓમાં આ દમદાટીથી ફરક ન પડયો.
પણ સોલંકીના થાણદારને કાને તો ઝેર ફૂકાઈ ગયું
હતું. લાલચના માર્યા, કે અદાવતની દાઝે એક પંચોળી આહીરે ખુટામણ કર્યું હતું.
થાણદારે દેવાયતને તેડાવ્યો. દેવાયતને ખબર પડી ગઈ હતી કે ઘર ફૂટી ગયું છે.
એને સોલંકીએ પૂછયું : "આપા દેવાયત, તમારા ઘરમાં ડિયાસનો દીકરો ઊઝરે છે એ
વાત સાચી ?"
રૂપેરી હોકાની ઘૂંટ લેતાં દોંગું મોઢું કરીને
દેવાયતે ઉત્તર દીધો : " સાચી વાત, બાપા ! સહુ જાણે છે. મલક છતરાયો જ નવઘણ
મારે ઘેર ઊઝરે છે."
આલિદર-બોડીદરના આહીર ડાયરાનાં મોઢાં ઉપર મશ ઢળી
ગઈ, સહુને લાગ્યું કે દેવાયતના પેટમાં પાપ જાગ્યું. દેવાયત હમણાં જ નવઘણને
દોરીને દઈ દેશે.
"આપા દેવાયત !" થાણદારે મે'ણું દીધું : " રાજાના
શત્રુને દુધ પાએ છો કે ? રાજનું વેર શીદ વહોર્યું ? સોંલકીની બાદશાહી
વિરુદ્ધ તમે પટેલે ઊઠીને કાવતરાં માંડયાં છે કે ? "
" કાવતરું હોત તો સાચું શા સારુ કહી દેત ?"
" ત્યારે ?"
" મારે તો રાજભક્તિ દેખાડવી હતી, ડિયાસનો દીકરો
મારે ઘરે ઊઝરતો નથી, પણ કેદમાં રાખેલ છે. એ મોટો થાત એટલે હું મારી જાણે જ
દોરીને એની ગરદન સોળંકિયુંને સોંપી દેત. હું સોળંકીઓનો લૂણહરામી નથી."
આહીર ડાયરાને મનથી આજ ઉલ્કાપાત થઈ ગયેા લાગ્યો.
કંઈકને દેવાયતના દેહના કટકેકટકા કરવાનું મન થયું. પણ ચોગરદમ સોલંકીએાની
સમશેરો વીંટાઈ વળી હતી. ત્યાંથી કેાઈ ચસ દઈ શકે તેમ નહોતું.
"ત્યારે તો ઝાઝા રંગ તમને, આપા દેવાયત ! રાજ તમારી ભક્તિને ભૂલશે નહિ. નવઘણને તેડાવીને અમારે હવાલે કરો."
" ભલે બાપ ! અબઘડી ! લાવો દોતકલમ ! ઘર ઉપર કાગળ લખી દઉં."
દેવાયતે અક્ષરે પાડયા કે, "આયરાણી, નવઘણને
બનાવીઠનાવી રાજની રીતે અહીં આ આવેલા આદમી હારે રવાના કરજે." વધુમાં
ઉમેર્યું કે "રા' રખતી વાત કરજે."
" રા' રખતી વાત કરજે !" એવી સોરઠી ભાષાની
સમસ્યામાં ગુજરાતના સોલંકીઓને ગમ પડી નહિ. સોલંકીના અસવારો હોંશે હોંશે
પોતાના ધણીના બાળશત્રુનો કબજો કરવા દોડયા. જઈને આહીરાણીને આહીરનો સંદેશો
દીધો. વાહણની મા બધું છલ વરતી ગઈ.
" હં-અ બાપુ ! અમે તો ઈ જ વાટ જોઈને બેઠાં'તાં; ઈ લાલચે તો છેકરાને ઉઝેર્યો છે. લ્યો, તૈયાર કરીને લાવું છું."
એમ ડેલીએ કહેવરાવીને આહીરાણીએ અંદરના ઊંંડા ઊંડા
ઓરડામાં રમત રમતા વાહણને, નવઘણને ને જાહલને ત્રણે બચ્ચાંને દીઠાં. " વાહણ !
દીકરા ! ઊઠ્ય, અંહી આવ ! તને તારો બાપ કચેરીમાં તેડાવે છે. લે, નવાં
લૂગડાંઘરેણાં પહેરાવું;" એમ કહી સાદ દબાવી, આંખો લૂછી, એણે પેટના પુત્રનું
શરીર શણગારવા માંડયું. ત્યાં બાકીનાં બન્ને છોકરાં દોડયાં આવ્યાં : " મા,
મને નહિ ? માડી, મને નહિ? મારેય જાવું છે ભાઈ ભેળું." એવું બોલતો નવઘણ
ઓશિયાળો બનીને ઊભો રહ્યો. આજ એને પહેલી જ વાર દુઃખ લાગ્યું, બાળહૈયાને ઓછું
આવ્યું. આજ સુધી તે મા ડાબી ને જમણી બેય આંખો સરખી રાખતી હતી, અને આજ મને
કાં તારવે છે? વાહણભાઈને હથિયાર પડિયાર સજાવી માએ એના ગાલે ચાર ચાર બચ્ચીઓ
લઈ, ચોખા ચોડેલા ચાંદલા સાતે જયારે વળાવ્યો, ત્યારે નવઘણ ઓશિયાળે મોંએ ઊભો.
"બેટા વાહણ ! વે'લો આવજે." એટલું બોલી મા એારડે થંભી રહી. એણે દીકરાને
જીવતોજાગતો હત્યારાના હાથમાં દીધો. એના હૈયામાં હજારો ધા સંભળાઈઃ "વાહણને
છેતરીને વળાવ્યો : આશરા-ધર્મના પાલન સાટુ.'
" લ્યો, બાપા ! આ ડિયાસ વંશના છેલ્લો દીવો સંભાળી
લ્યો !" એમ બોલીને દેવાયતે પોતાના ખોળામાં આળોટી પડનાર સગા પુત્રની ઓળખ
આપી. એને એક કેારે આહીરાણી સાંભરતી હતી, બીજી બાજુએ દૂધમલ બેટડો હૈયે બાઝતો
હતો. "આયરાણી! ઝાઝા રંગ છે તને, જનેતા ! તેં તો ખોળિયાનો પ્રાણ કાઢી
દીધો." આહીર ડાયરાએ છોકરાને એાળખ્યો. દેવાયતના મોઢાની એકેય રેખા બદલાતી
નથી, એ દેખીને આહીરોનાં હૈયાં ફાટુંફાટું થઈ રહ્યાં. સોલંકીના થાણદારે
છોકરાને ત્યાં ને ત્યાં વધેરી નાખ્યો. દેવાયતે સગી આંખો સામે દીકરાનો વધ
દીઠો; પણ એની મુખમુદ્રામાં કયાંયે ઝાંખપ ન દેખાઈ.
ત્યાં તો ખૂટલ આહીરોએ સોલંકી થાણદારના કાન ફૂંકયા કે : "તમે દેવાયતને હજુ ઓળખતા નથી. નક્કી એણે નવઘણને સંતાડયો છે."
"ત્યારે આ હત્યા કોની થઈ ?"
"એના પોતાના છોકરાની."
"જૂઠી વાત, દેવાયત તો હસતો ઊભો હતો."
"દેવાયતને એવા સાત દીકરા હોત તો એ સાતેયને પણ સગે હાથે એ રેંસી નાખે. પોતાના ધર્મને ખાતર દેવાયત લાગણી વિનાનો પથ્થર બની શકે."
"ત્યારે હવે શી રીતે ખાતરી કરીશું ?"
"બોલાવો દેવાયતની ધણિયાણીને, અને એના પગ નીચે આ
કપાયેલા માથાની આંખો ચંપાવો. જો ખરેખર આ એના પેટના જણ્યો મર્યો હશે, તે એ
માતાની અંખોમાં પાણી આવશે. પુત્રની અંખો ઉપર પગ મૂકતાં જનેતા ચીસ પાડશે."
આહીરાણીને બોલાવવામાં આવી. એને કહેવામાં આવ્યું : " જો આ તારો બાળક ન હોય તો એની અંખેા પર પગ મૂક."
દેવાયત જાણતો હતો કે આ કસોટી કેવી કહેવાય. એના માથા પર તો સાતે આકાશ જાણે તૂટી પડ્યા.
પણ આહીરાણીના ઊંડા બળની દેવાયતને આજ સુધી ખબર
નહોતી, એ ખબર આજે પડી; હસતે મોંએ આહીરાણીએ વાહણની અંખો ચગદી. સૂબેદારને
ખાતરી થઈ કે બસ. છેલ્લો દુશમન ગયો. દેવાયતની પ્રતિષ્ઠા નવા રાજના વફાદાર
પટેલ તરીકે સાતગણી ઊંચે ચડી.
૩
પાંચ વરસનો નવઘણ જેતજોતામાં તો પંદર વરસની. વયે
પહોંચ્યો. એ રાજબાળનું ફાટફાટ થતું બળ તો ભેાંયરામાંથી બહાર નીકળવા ચાહતું
હતું, પણ દેવાયત. એને નીકળવા કેમ દે !
એક વખત તો નવઘણ જબરદસ્તી કરીને ગાડા પર ચડી બેઠો.
ખેતરમાં ગયો. દેવાયત ઘેર નહોતો. ખેતરે હતો. નવઘણને જોઈને એને બહુ ફાળ પડી.
પણ પછી તો ઈલાજ ન રહ્યો.
સામે જ સાંતી ઊભું હતું; નવઘણ ત્યાં પહોંચ્યો.
સાંતી હાંકવા લાગ્યો. થોડે આઘે ચાલતાં જ સાંતીના દંતાળની અંદર જમીનમાં
કાંઈક ભરાયું. બળદ કેમેય કરતાં ચાલ્યા નહિ. નવઘણ માટી ઉખેળીને જુએ ત્યાં તે
દંતાળની અંદર એક પિત્તળનું કડું ભરાઈ ગયેલું, ઊંચકાતાં ઊંચકાતું નથી.
જમીનમાં બહુ ઊંડું એ કડું કોઈ ચીજની સાથે ચાંટયું હોય એમ લાગ્યું.
અબુધ બાળકે દેવાયતને બોલાવીને બતાવ્યું, દેવાયત
સમજી ગયા. તે વખતે તે સાંતી હાંકી બધાં ઘેર ગયાં, પણ રાતે ત્યાં આવીને
દેવાયતે ખોદાવ્યું. અંદરથી સોનામહોરભર્યા સાત ચરુ નીકળ્યા. દેવાયતે જાણ્યું
કે, 'બસ ! હવે આ બાળકનો સમો આવી પહોંરયો.'
દેવાયતે દીકરી જાહલના વિવાહ આદર્યા. ગામેગામના
આહીરોને કંકોતરી મોકલી કે, 'જેટલા મરદ હો તેટલા આવી પહોંચજો, સાથે અક્કેક
હથિયાર લેતા આવજો.'
પહાડ સમાં અડીખમ શરીરવાળા, ગીરના સિંહોની સાથે
જુદ્ધ ખેલનારા હજારો આહીરોની દેવાયતને અંગણે જમાવટ થઈ સહુની પાસે ચકચકતાં
ઢાલ, તલવાર, કટારી, ભાલાં એમ અક્કેક જોડ્ય હથિયાર રહી ગયાં છે. કાટેલી કે
બૂઠી તલવારને ઘાએ પણ સેંકડોને કાપી નાખે એવી એ લોઢાની ભેાગળ સમી ભુજાઓ હતી.
આખી નાત આલિદર-બોડીદરને પાદર ઠલવાઈ ગઈ. આપા દેવાયતની એકની એક દીકરીના
વિવાહ હતા, આજે એ નાતના પટેલને ઘર આંગણે પહેલો જ અવસર હતો, એમ સમજીને
મહેમાનોનાં જૂથ ઊતરી પડયાં. દેવાયતે તેડું મોકલેલું કે, 'પાઘડીને અંટો લઈ
જાણનાર એકેએક આયર આ સમો સાચવવા આવી પહોંચજો.' આહીરની આખી જાત હૂકળી.
દેવાયતે આખો ડાયરો ભરીને કહ્યું : "આ મારે
પહેલવહેલો સમો છે. વળી હું સોળંકીરાજનો સ્વામીભક્તિ છું. આજે મારે ઉંબરે
સોરઠના રાજાનાં પગલાં કરાવવાં છે, ભાઈઓ ! એટલે આપણે સહુએ મળીને જૂનેગઢ
તેડું કરવા જાવું છે."
ઘેાડે-સાંઢિયે રાંગ વાળીને હજારો આહીરો ગિરનારને
માથે ચાલી નીકળ્યા. આપા દેવાયતની ઘોડીને એક પડખે જુવાનજોધ નવઘણનો ઘોડલો પણ
ચાલ્યો આવે છે. રસ્તામાં ગામેગામથી નવા નવા જુવાનો જોડાય છે. ગઢ જૂના લગી
જાણ થઈ ગઈ કે દેવાયત એની દીકરીના વિવાહ ઉપર સોલંકીઓને તેડું કરવા આવે છે.
સોલંકીઓ પણ આ આહીર વર્ણનો વિવાહ માણવા તલપાપડ થઈ રહ્યા. સોલંકી ઓનાં ઠાણમાં
ઘેાડાંએ ખૂંદણ મચાવી. જૂનાગઢને સીમાડે જ્યારે અસવારો આવી પહોંચ્યા, ત્યારે
મહારાજ મેર બેસતા હતા. ગામેગામની ઝાલરો સંભળાતી હતી. ગરવા ગિરનારની
ટૂંકેટૂંકે દીવા તબકતા હતા.
દેવાયતનું વેણ ફરી વળ્યું : " ભાઈઓ, ઘેાડાં લાદ
કરી લ્યો એટલી વાર સહુ હેઠા ઊતરો. સહુ પોતપોતાનાં ઘેાડાં-સાંઢિયાના ઊગટા
બરાબર ખેંચી વાળો. અને હૈયાની એક વાત કહેવી છે તેને કાન દઈને સાંભળી લ્યો."
સોય પડે તોયે સંભળાય એવી મૂંગપ ધરીને આહીર ડાયરો
ઠાંસોઠાંસ બેસી ગયો. પછી દેવાયતે પોતાની પડખે બેઠેલ દીકરા નવઘણને માથે હાથ
મેલીને પૂછયું : "આને તમે એાળખો છો ?"
સહુ ચૂપ રહ્યા.
"આ પંડે જ ડિયાસને દીકરો નવઘણ, તે દી એને સાટે કપાયો, એ તો હતો નકલી નવઘણ. મારો વાહણ હતો એ. જોઈ લ્યો સહુ, આ જૂનાણાના ધણીને."
ડાયરો ગરવા ગિરનારના પાણકા જેવો જ થીજી ગયેા હતેા.
દેવાયતે કહ્યું : "આહીર ભાઈઓ ! આજ આપણે સેાળંકી
રાજને આવવાનું તેડું કરવા નથી જતા, પણ તેગની ધાર ઉપર કાળને નોતરું દેવા જઈએ
છીએ. પાછા આવશું કે નહિ તેની ખાતરી નથી. દીકરી જાહલનો વિવાહ કરવા હું આજ
બેઠો છું એ તો એક અવસર છે. જાહલને હું અટાણે કઈ ઠારકે પરણાવું ? આની મા --
મારી ધર્મની માનેલ બોન – મને રોજ સોણે આવીને પૂછે છે કે હવે કેટલી વાર
છે ?"
દેવાયત નવઘણની પીઠ ઉપર હાથ થાબડ્યો : "જુવાન ! તું
મોદળને ધણી છો. આજ તારે હાથે રાજપલટો કરાવવો છે. ઉપરકોટના દરબારમાં એક
કાળજૂનું નગારું પડયું છે. જ્યારે જ્યારે ગરવા ગિરનારની ગાદી પલટી છે
ત્યારે ત્યારે એ નગારાના નાદ થયા છે. કૈંક જુગનું એ પડયું છે. સોળ વરસથી એ
અબોલ બેઠું છે આજ તારી ભુજાએાથી એને દાંડીના ઘાવ દેજે, એકોએક આયર બચ્ચો
તારી ભેરે છે."
નવઘણનાં નેત્રો એ અંધારામાં ઝળેળી રહ્યાં. આજ એણે
પહેલી પ્રથમ પૂરી વાત જાણી. જુવાનના રોમેરોમમાંથી દૈવતની ધારાઓ ફૂટવા લાગી.
એણે પોતાની તેગ ઉપર હાથ મૂકયો. વહાલો ભાઈ વાહણ તે દિવસે પોતાને સાટે
કપાયેા હતો, તેનું વેર રાતનાં અંધારાંમાંથી જાણે પોકારી ઊઠયું.
"ત્યારે શું ? જે મોરલીધર !" દેવાયતે સવાલ પૂછયો.
" જે મોરલીધર !" ડાયરાએ બોલ ઝીલ્યો.
કટક ઊપડ્યું. દેવાયતે ઘોડી તારવીને નવઘણનો ઘેાડો આગળ કરાવ્યો. પોતે પછવાડે હાંકતો હાલ્યો.
ગીરકાંઠાણો આહીર ડાયરો આજે તેડે આવે છે : ઉપરકોટના
દરવાજા ઉઘાડા ફટાક મેલાયા. સાલંકીએાના મોવડીઓ ગીરના રાજભક્ત સાવજોને ઝાઝાં
આદરમાન દેવા સારૂ ખડા હતા. હજાર આહીરો ઉપરકોટમાં હૂકળી રહ્યા, અને મોટા
કોઈ અગ્નિકુંડ જેવડું નગારું સહુની નજર પડયું.
" આપા ! આવડું મોટું આ શું છે ? " નવઘણે શીખવ્યા મુજબ સવાલ કર્યો.
"બાપ ! ઈ રાજનગારું. ઈ વાગે ત્યારે રાજપલટો થાય.
" " એમ ? તઈં તો ઠીક !" કહી નવઘણ ઠેકી પડયો. દાંડી ઉપાડીને મંડ્યો ધડૂસવા :
રડીબામ ! રડીબામ ! રડીબામ! ઉપરકોટના ગુંબજો ગાજ્યા. ગરવો ધણધણી ઊઠયો,
અડીકડી વાવમાંથી સામો અવાજ ઊઠયા: દીવાલે-દીવાલ બોલી કે, ' આવ્યો ! આવ્યો !
કાળદૂત આવી પહેાંચ્યો !'
– અને પછી દેકારો બોલ્યો. હજાર આહીરોની દૂધમલ
ભુજાઓ તેગભાલે તૂટી પડી. અંધારી રાતે ઉપરકોટમાં સોલંકીએાના લેાહીની નદીમાં
પાશેર પાશેરનો પા'ણો તણાયો.
પ્રભાતને પહોર નવઘણને કપાળે રાજતિલક ચોડાયું. આહીરેાનાં થાણાં ઠેર ઠેર બેસી ગયાં.
"હાં ! હવે મારી જાહલ દીકરીનો વિવાહ રૂડો લાગશે.
મારી જાહલના કન્યાદાનમાં હવે મને સ્વાદ આવશે. દીકરીનો પસલિયાત વીર વઢાણો ને
એમાં દીકરી કયે સુખે સંસાર માંડત! બાપ, સોરઠના ધણી ! હવે તો બોનના હાથે
તિલક લેવા આલિદર પધારો."
જાહલબહેન સંસતિયા નામના જુવાન આહીરની સાથે ચાર
ફેરા ફરી. લીલુડે માંડવે સોરઠનો ધણી ઊઠીને લગન માણવા બેઠો. જાહલે ભાઈને
ટિલાવ્યો. ભાઈએ હાથ લાંબો કર્યો : " બે'ન ! કાપડાની કેાર આપવી છે."
જાહલ બોલી : " આજ નહિ, વીરા મારા ! ટાણું આવ્ય માગીશ. તારું કાપડું આજ કાંઈ હોય ! તારા કાપડાનું શું એવડું જ માત્યમ છે મારે ?"
નવઘણ સમજી ગયો, બહેનનાં વારણાં પામીને એ
જૂનાગઢ ગયો. જોતજોતામાં સોરઠ કડે કરી.
દસબાર વરસનો ગાળો નીકળી ગયો છે. દેવાયત બોદડ અને
આહીરાણીના દેહ પડી ગયા છે. દીકરી જાહલ અને જમાઈ સંસતિઓ પોતાનો માલ ઘોળીને
પરમુલકમાં ઊતરી ગયાં છે. સોરઠમાં એવો દુકાળ ફાટયો છે કે ગાયેા મકોડા ચરે
છે. ગામડાં ઉજજડ પડયાં છે. માલધારીએાનાં મવાડાં, કોઈ માળવે, કોઈ સિંધમાં ને
કોઈ ગુજરાતમાં નોખનોખાં વાંઢ્યો લઈ લઈ દુકાળ વરતવા નીકળી પડયાં છે.
નવઘણની તો હવે પચીસી બેઠી હતી. ભુજાઓ ફાટફાટ થતી
હતી. ધીંગાણાં વિના ધરાઈને ધાન ખાવું ભાવતું નહોતું. સોરઠની ભૂમિમાંથી
શત્રુઓને એણે વીણીવીણીને કાઢયા છે. ગરવાનો ધણી નવા નવા રણસંગ્રામ ગેાતે છે,
ભાલાં ભેડવવા આવનાર નવા શત્રુઓની વાટ જોવે છે. ગીરની ઘટાટોપ ઝાડીએામાં
ઘેાડલાં ઝીંકીઝીંકી સાવજના શિકાર ખેલે છે, કરાડો, પહાડો ને ભેખડોનું જીવતર
એના જીવને પ્યારું થઈ પડયું છે. હિરણ્ય અને રાવલ નદીના કાંઠા નવઘણના
ઘેાડાના ડાબલા હેઠળ ખૂંદાય છે. નાંદીવેલા અને વાંસાઢોળની ડુંગરમાળ નવઘણનાં
પગલાંને 'ખમા ! ખમા !' કરતી ધણેણી હાલે છે, સાવજદીપડાની ડણકો, ડુંગરાની
ટૂંકેટૂંક ઉપર ઠેકાઠેક, અને ઘુઘવાટા સંભળાવીને પોતાની ભેખડો ઉપર રા'ને
પોઢાડતી નદીઓનાં પથ્થર-એશીકાં : એ બધાં જુવાન નવઘણના જોબનને લાડ લડાવી રહેલ
છે.
એવા સમયમાં એક દિવસ એક ચીંથરેહાલ આદમી ઉપરકોટને
દરવાજે આંટા દેવા લાગ્યો. એને અંદર દાખલ થવું હતું. પહેરેગીરે તેને
અટકાવ્યો : " શું કામ છે ?"
" મારે રા'ને રૂબરૂ મળવું છે."
"રા'ને પંડ્યને? રૂબરૂ મળવું છે ? તારે
ભિખારડાને ?" સહુ ખિખિયાટા કરવા લાગ્યા. "મારે રા'ને સંદેશો દેવો છે. ઢીલ
કરવા જેવું નથી. રા'ને ઝટ ખબર આપો."
માણસેાએ એને કાલો ગણીને કાઢી મૂકયો. પણ એ આદમી
ખસ્યો નહિ; એને એક તરકીબ હાથ લાગી. દોડ્યો ગયો ગિરનારના શેષાવનમાં. બળબળતા
કાળની વચ્ચે પણ જે ઝરણાને કાંઠે થોડાં થોડાં લીલાં ખડ ઊગેલાં, ત્યાં જઈ
પહેાંચ્યો. ભારી બાંધીને ઉપરકોટને દરવાજે ઊભો રહ્યો.
નવઘણના ઘોડાના ઠાણિયાઓ દોડયા : "એલા, એ ભારી મને
વેચાતી દે ! મને દે ! મને દે ! એવા પોકાર પડ્યા. સહુને રા'ના નોખાનોખા
ધોડાની માવજત સારી કરી દેખાડવી હતી. એવા કાળમાં પોતપોતાના ઘેાડાને લીલવણી
ઘાસ નીરવાની હોંશ કોને ન હોય ?
પણ ભારી લાવનારને જાણ થઈ ચૂકી હતી કે સહુ
ઘેાડામાંથી ઝપડો ઘેાડો નવઘણણો માનીતો હતો. સાત સાત દિવસે રા' ઝપડાનું ઠાણ
તપાસવા આવતો. ત્યાં મારો ભેટો થશે એમ સમજીને એ ભિખારી ત્યાં જ ભારીઓ લાવતો
હતેા. ઝપડા ઘોડાને ખીલે એ સાતમા દિવસે સવારે વાટ જોતો ઊભો રહ્યો.
જુવાન નવઘણ જેવા ઝપડા ઘોડાની પાસે આવ્યો તેવો જ આ અજાણ્યો આદમી સામે જઈ ઊભો રહ્યો. 'રામરામ' કર્યા.
નવઘણે મીટ માંડી, અણસાર એવી લાગી કે જાણે આને ક્યાંક એક વાર દીઠેલ છે. "રામરામ, ભાઈ! કેાણ છો ? કયાંથી આવ્યા છો ?"
આદમીએ કાંઈ જ બોલ્યા વિના પોતાના માથાબંધણાના
લીરામાં અમેાલખ રતનની માફક જતનથી બાંધેલ એક કાગળનો કટકો કાઢી રા'ના હાથમાં
આપ્યો. મેલાઘેલા રેળાઈ ગયેલ અક્ષરોને રા' ઉકેલવા લાગ્યો. કાગળના લખાણ ઉપર
આંસુના છાંટા છંટવાઈ ગયા હતા. રા'ની અંખો ચમકી ઊઠી. એના હોઠ વાંચવા લાગ્યા.
પહેલો સોરઠો વાંચ્યો:
માંડવ અમારે માલતો, (તે દી ) બંધાવા, દીધેલ બેાલ,
( આજ ) કર કપડાની કોર, જાહલને જૂનાના ધણી !
હે બાંધવ, તે દિવસે મારા લગ્નમંડપ નીચે તું મહાલતો
હતો તે વેળા તેં મને કાપડું માગવા કહેલું. મેં કહેલું કે ટાણું આવ્યે
માગીશ. હે જૂનાગઢના ધણી, હવે આ બહેન જાહલને કાપડું કરવા આવી પહોંચજે.
"બોન જાહલનો કાગળ ?" નવઘણે જુવાનની સામે જોયું. "કેાણ, સંસતિયો તો નહિ !"
જુવાનની આંખોમાં ઝળઝળિયાં હતાં. એ અબોલ ઊભે રહ્યો.
"તારી આ દશા, ભાઈ!" કહીને નવઘણ સંસતિયાને ભેટી પડ્યો. " આ શું છે ? તું કેમ કાંઈ કહેતો નથી ?"
" કાગળ જ બધું કહેશે."
નવઘણે આગળ વાંચ્યું : સોરઠિયાણી બહેને સોરઠા લખીને મોકલ્યા હતા : એક પછી એક કેવા કારમા ઘા કર્યા છે બહેને :
નવધણ, તમણે નેહ, ( અમે ) થાનોરવ ઠરિયાં નહિ,
( કાંઉ ) બાળક બાળ્યપ લ્યે, અણધાવ્યાં ઊઝર્યાં અમ
( કાંઉ ) બાળક બાળ્યપ લ્યે, અણધાવ્યાં ઊઝર્યાં અમ
હે વીરા નવઘણ, તારા ઉપરના સ્નેહને લીધે તે હું
માતાના થાનેાલા (સ્તન) ઉપર ટકી નહોતી, તને ઉછેરવા સારૂ તો માએ મને ઝોંટીને
આઘી ફગાવેલી, એમ હું તો ધાવ્યા વિના ઊછરી. એમાં મારૂ બાળપણ શી રીતે બલવંત
બને ? હું આજ ઓશિયાળો બેઠી છું.
નવઘણને બાળપણ સાંભર્યું'. " અને, હે ભાઈ!
તું આડો મેં આપિયો, વાહણુમાયલો વીર,
સમજ્યે માંય શરીર, નવઘણ નવસોરઠધણી !
સમજ્યે માંય શરીર, નવઘણ નવસોરઠધણી !
તારી આડે – તારી રક્ષા ખાતર – તે મેં મારા
માડીજાયા ભાઈ વાહણની હત્યા કરાવી હતી. હે નવ સોરઠના ધણી નવઘણ, તારા અંગમાં આ
વાત તું બરાબર સમજજે !
પણ શું બન્યું છે? બે'નડી ઉપર શી વિપત પડી છે ? બહેન આજ આવાં આકરાં સંભારણા કાં આગળ ધરી રહી છે ? પછીનો સોરઠો વાંચ્યો :
તું નો'તે જે નુઈ, તે તું હુતે હુઈ!
વીર, વમાસી જોય, નવઘણ નવસોરઠધણી !
વીર, વમાસી જોય, નવઘણ નવસોરઠધણી !
હે વીરા ! તું વિચાર તો કર કે તારા જેવો ભડ ભાઈ
જીવતાં છતાં આ બધું આ જ મારી ઉપર વીતી રહ્યું છે કે જે તું નહોતો ત્યારે
કદી જ નહેાતું ભોગવવું પડયું. વિધાતાના કેવા વાંકા લેખ !
" હે ભાઈ !
કૂવે કાદવ અવિયા, નદીએ ખૂટ્યાં નીર,
સોરઠ સતાળો પડ્યો, વરતવા આવ્યા વીર !
સોરઠ સતાળો પડ્યો, વરતવા આવ્યા વીર !
સોરઠ દેશમાં સુડતાળો કાળ પડયો, નદીમાં ને કૂવામાં
નીર ખૂટી ગયાં, અમારાં ઢોરને કોઈ આધાર ન રહ્યો, એટલે અમારે ભેંસો હાંકીને
પેટગુજારા સારૂ છેક અંહી સિંધમાં આવવું પડયું.
" અંહીં અમારા શા હાલ થયા છે ?
કાબલિયા નજરું કરે, મુંગલ ને મિયાં,
અહરાણ ઉર પિયાં, નવઘણ નીકળાયે નહિ.
અહરાણ ઉર પિયાં, નવઘણ નીકળાયે નહિ.
મારા ઉપર આજે કાબુલી, મોગલો અને મુસલમાન મિયાંઓની
મેલી નજર પડી છે, એ લોકોની ચોકી મારા ઉપર મુકાઈ ગઈ છે. આજ આ અસુરો મારા ઉર (
છાતી ) ઉપર પડયા છે. મારાથી બહાર નીકળાય તેમ નથી રહ્યું. કારણ કે,
નહિ મોસાળે માવલો, નહિ માડીજાયો વીર,
સંધમાં રોકી સુમરે, હાલવા નો દે હમીર.
સંધમાં રોકી સુમરે, હાલવા નો દે હમીર.
મને સિંધના મુસલમાન રાજા હમીર સુમરાએ અંહીં રોકી
રાખી છે. હાલવા નથી દેતો. એની દાનત કૂડી છે, ને હું આજ અસહાય છું, કેમ કે
મારે નથી મોસાળમાં વહાલો ( મામો ) કે નથી મારે માનો જણ્યો ભાઈ, એટલે જ મારી
આ ગતિ ને !
નવઘણ વાંચી રહ્યો. ડળક ડળક એનાં નેત્રોમાંથી અંસુ
દડવા લાગ્યાં. બહેનને મારી પાંતીનું આટલું બધું એાછું આવ્યું ! કેમ ન આવે !
આજ બહેનના દેહની કેવી વલે થઈ હશે !
નવઘણે સંસતિયાને એકાંતમાં લઈ જઈને આખી વાત પૂછી.
સંસતિયાએ માંડીને અથ-ઈતિ કહી : " માલ લઈને અમે જંગલેામાં નદીકાંઠે નેસ
નાખીને પડયાં હતાં. અમે સહુ ચારવા નીકળેલા. વાંસેથી જાહલ તળાવકાંઠે નહાતી
હતી. શિકારે નીકળેલા હમીર સૂમરાએ જાહલનાં રૂપ નીરખ્યાં. હેમની પાટ્ય સરીખા
સોરઠિયાણીના વાંસા ઉપર વાસુકિ નાગ પડયો હોય તેવો સવા વાંભનો ચોટલો દીઠો.
આહીરાણીનાં ગોરાંગોરાં રૂપ દીઠાં; પહાડપુત્રીની ઘાટીલી કાયા દીઠી; સૂમરો
ગાંડોતૂર બની ગયો. જોરાવરીથી વિવાહ કરવા આવ્યો. એની પાસે અપરંપાર ફોજ હતી.
અમે બહુ સૂનમૂન થઈ ગયાં. પણ જાહલે જુક્તિ વાપરી: 'મારે છ મહિનાનું શિયળવ્રત
છે. માતાની માનતા છે. પછી ખુશીથી સૂમરા રાજાનું પટરાણીપદ સ્વીકારીશ.' એવું
કહી ફોસલાવી, છ માસની મહેતલ મેળવી, આ કાગળ લઈ અંહી મને મોકલ્યો છે. હું
છાનેમાને નીકળી આવ્યો છું. અવધ હવે ઓછી રહી છે. છ મહિના પૂરા થયે તો જાહલ
જીભ કરડીને મરશે, પાપીને હાથ નહિ પડે.
પ
વીરો નવઘણ બહેનની વારે ચડ્યો. મેાદળના ધણીએ નવ લાખની સેનાને સિંધ પર ચલાવી.
*
નવલાખ ધોડે ચડયો નવઘણ સુમરા-ધર સલ્લડે,
સર સાત ખળભળ, શેષ સળવળ, ચાર ચકધર ચળવળે,
અણરૂપ આયો શંધ ઉપર અળાં રજ અંબર અડી,
સર સાત ખળભળ, શેષ સળવળ, ચાર ચકધર ચળવળે,
અણરૂપ આયો શંધ ઉપર અળાં રજ અંબર અડી,
નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી!
સુમરાની ધરતીને રોળવા સારુ નવઘણ નવ લાખ ઘેાડે
ચડ્યો. ભાર થકી સાત સાગરો ખળભળ્યા, શેષનાગ સળવળ્યો અને ચાર ખંડો ડગમગ્યા.
આવે રૂપે જ્યારે નવઘણ સિંધ ઉપર આવતો હતો ત્યારે ધરતીની ધૂળ ગગન પર ચડી હતી.
હે વાળુ વિનાનાં (ભૂખ્યાં) મનુષ્યોને વાળુ (રાતનું ભોજન) પૂરનારી દેવી
વરૂવડી, હે નરા શાખના ચારણની દીકરી (નરહી), તારે પ્રતાપે આમ થયું.
ભેળા ભલભલા વીરભદ્રો છે. નવઘણનો સાળો અયપ પરમાર
છે : કાળઝાળ ફરશી ભાટ છે : ગીરના શાદૂળા આહીરો છે : ચૂડાસમા જદુવંશી રજપૂતો
છેઃ રા'ની ધર્મબહેનનાં શિયળ રક્ષવા સારુ આખી સેરઠ ઊમટી છે. નવજવાન નવઘણ
પોતાના ઝપડા ઘોડા ઉપર બેઠેલ છે. અને –
-
*
આ છંદ સારસી નામનો છે. વરુવડી નામની ચારણદેવી કે જેણે
નવઘણને સિંધ પર ચડાઈ લઈ જવામાં સહાય કરી હોવાનું કહેવાય છે
તેની સ્તુતિનું આ વીરકાવ્ય છે , અને એમાં નવઘણ વરૂવડીના મેળાપને
ઇતિહાસ સંકળાયો છે. આ કાવ્યની એક પછી એક કડી ટંકાતી આવશે.
'નવ લાખ ઘેાડા 'ના સૈન્યની વાત અત્યુક્તિભરી લાગે છે.
શિરામણ પૂરું થયું. નવઘણે હાથ જોડી વરૂવડીની રજા માગી. વરૂવડીએ પૂછયું : " બાપ, કયે કેડે સિંધ પોગવું છે ?"
"આઈ, સીધે રસ્તે તો આડો સમદર છે. ફેરમાં જવું પડશે."
" અવધે પોગાશે ?"
"એ જ વિમાસણ છે, આઈ!" નવઘણના મોં ઉપર ઉચાટના ઓછાયા
પડી ગયા. પલેપલ એની નજર સામે બહેન જાહલ તરવરે છે. સૂમરો જાણે કે જાહલના
નેસ ઉપર માર-માર કરતો ધસી રહ્યો છે. બહેનની ને એ દૈત્યની વચ્ચે જાણે કે
અંતર ભાંગતું જાય છે. સૂમરો જાહલના મડદાને ચૂંથશે ?
"વીર નવઘણ !" વરૂવડીએ વારણાં લઈને સિંદૂરનો ચાંદલો
કરતાં કહ્યું : "ફેરમાં ન જાશો, સીધે જ મારગે ઘેાડાં હાંકજો. સમદરને કાંઠે
પહોંચો ત્યારે એક એંધાણી તપાસી લેજે. તારા ભાલાની અણીને માથે જો કાળીદેવ્ય
( કાળી દેવચકલી ) આવીને બેસે તો તો બીક રાખ્યા વિના દરિયામાં ઘેાડો નાખજે.
થડકીશ મા, તારા ઝપડાને પગે છબછબિયાં, ને કટકના પગમાં ખેપટ ઊડતી આવશે.
કાળીદેવ્ય દરિયો શેાષી લેશે."
આશીર્વાદ લઈને કટક ઊપડયું. દરિયાકાંઠે જઈ ઊભા.
દૈત્યની સેના જેવાં મોજાં ત્રાડ પાડતાં છલાંગો મારે છે. દરિયાઈ પીરની ફોજના
કરોડો નીલવરણા ઘોડા જાણે હણહણાટ કરે છે ને દૂધલાં ફીણની કેશવાળીઓ ઝુલાવે
છે. એક એક મોજાના મરોડમાં કેાઈ જાતવંત અશ્વોની બંકી ગરદન રચાઈ છે. જળનો
દેવતા લાખ લાખ તુરંગોની સવારી કાઢીને જાણે ધરતીનાં રાજપાટ જીતવા તલપી રહ્યો
છે. પલકમાં તો ગગનથી ચીંકાર કરતી મેઘવરણી કાળીદેવ્ય, જાણે કે કોઈ વાદળમાં
બાંધેલ માળામાંથી આવીને નવઘણને ભાલે બેસી ગઈ.
"જે જગદંબા !" એવી હાકલ કરીને જુવાન નવઘણે ઝપડાને
જળમાં ઝીંકયો. પહાડનો તોખાર જાણે કે હણહણાટી મારતો જળઘોડલીએાની સાથે રમવા
ચાલ્યો. પાછળ આખી ફોજનાં ઘોડાં ખાબકયાં. મેાજા બેય બાજુ ખસીને ઊભાં. વચ્ચે
કેડી પડી ગઈ. પાણીનાં ઘોડલાં ડાબાં ને જમણાં ઘણે દૂર દૂર દોડયાં ગયાં. ( આજ
આ કોરી ખાડીને કચ્છનું રણ કહેવામાં આવે છે. )
કચ્છ વળેાટીને ગરવોરાજ સૂમરાની ધરા ઉપર ઊતર્યો :
"સંસતિયા ! હવે ઝટ મને લઈ જા, કયાં છે તમારા નેસ ? કયાં બેઠી છે દુખિયારી
બહેન ? તું આગળ થા ! બહેનનાં આંસુડે ખદબદી રહેલી એ ધરતી મને દેખાડ." એમ
તડપતો અધીર નવઘણ સિંધનો વેકરો ખૂંદતો ધસી રહ્યો છે.
– અને બહેન જાહલ પણ ફફડતી નેસમાં ઊભી છે. ઊંચે
ટીંબે ચડીને સોરઠની દિશા ઉપર આંખો તાણે છે : કયાંય ભાઈ આવે છે ? વીર મારાનો
કયાંય નેજો કળાય છે ? આજ સાંજ સુધીમાં નહિ આવે, તો પછી રાત તો સૂમરાની
થવાની છે. સૂમરો સોયરે અંખો અંજીને, લીલી અતલસનો કસકસતો કસબી કબજો અંગે
ધરીને, ડોલર-માગરાનો અર્ક ભભરાવતો આજે રાતે તો આવી પહોંચશે અને સૂમરાને
ઢોલિયે આજ અધરાતે તો મારું મડદું સૂતું હશે. ઓહોહો ! ભાઈ શું નહિ જ આવે ?
ભાઈ શું બોલકોલ ભૂલ્યો ? ભોજાઈના ફૂલહૈયા માથે શું એનું માથું મીઠી
નીંદરમાં પડી ગયું ? જીવવાની મમતા ન મુકાઈ? મરવું શું મારા વીરને વસમું
લાગ્યું ?
સાંજ પડી. તારોડિયા ઊગવા લાગ્યા. આખો નેસ નજીવા
નગર જેવો સૂનસાન બન્યો, આહીરોએ માન્યું કે આજ રાતે આપણો જણેજણ ખપી જશે. એ
ટાણે ઉત્તર ને દક્ષિણ બેય બાજુના સીમાડા ઉપર આભધરતી એકાકાર બની રહ્યાં
હતાં. ડમરીઓ ચડતી હતી. દિશાઓ ધૂંધળી બની હતી.
ડમરીઓ ઢૂંકડી આવી. ઘોડાના ડાબલા બો૯યા ધરતી થરથરી.
મશાલોની ભૂતાવળ મચી. એક દિશામાંથી સોરઠિ- યાણીનાં શિયળ લૂંટનારો આવે છે,
ને સામી દિશામાંથી બહેનને કાપડું કરવા ધર્મનો ભાઈ ચાલ્યો આવે છે. બેયના
નેજા ઝળેળ્યા. ભાઈ ને ભાલે બહેનને દેવાનું કાપડું ફરુકી ઊઠયું. સૂમરાને
નેજે શાદીના કિનખાબ લહેરાતા હતા.
આવી પહોંચ્યો ! આવી પહોંચ્યો ! ઝાડવે ચડીને જાહલે વીરને દીઠો.
નવધણ ઘોડાં ફેરવે, ( એને ) ભાલે વરૂવડ આઈ,
માર બાણું લખ સંધવો, ( મને ) વીસરે વાહણ ભાઈ.
માર બાણું લખ સંધવો, ( મને ) વીસરે વાહણ ભાઈ.
એને ભાલે વરૂવડી કાળીદેવ્ય બનીને બેઠી છે. એ જ
મારો ભાઈ ! શાબાશ વીરા ! આ બાણું લાખની વસ્તીવાળા સિંધને રોળી નાખ, એટલે
મને મારો સગો ભાઈ વાહણ વિસારે પડી જાય.
બહેન દેખે છે અને ભાઈ ઝૂઝે છે. સોરઠ અને સિંધની
સેનાએ આફળે છે. સવાર પડયું ત્યાં તો રંગીલા સૂમરાની અતલસે મઢેલી લાશ બહેનના
નેસને ઝાંપે રોળાતી પડી હતી. ઢળી પડેલા કાબુલિયા અને મુંગલાએાની હજારો
દાઢીએા પવનમાં ફરફરતી હતી.
*
દંતકથા આગળ ચાલે છે કે –
સિંધમાં સોનાની ઈંટો પડેલી હતી, નવઘણે હુકમ કર્યો
કે તમામ યોદ્ધાઓએ અક્કેક ઈટ ઉપાડી લેવી. ખોડ ગામમાં જઈને વરૂવડી માતાની
દેરી ચણાવશું. તમામે અક્કેક ઇંટ ઉપાડી લીધી, પણ રાજાના સાળા અયપ પરમારે
અહંકાર કરી ઉદ્દગાર કાઢયો : " હું રાજાનો સાળો, આ હાથ ઈંટો ઉપાડવા માટે
નથી, ખડ્ગ ચલાવવા માટે છે, હું નહિ ઉપાડું."
વરૂવડીના ધામે સેના આવી પહોંચી, પાદરમાં બધી ઈંટો
એકઠી કરીને દેરી બંધાવી. રા'એ આવીને જોયું તો આખી દેરીમાં એક ઈંટ જેટલી
જગ્યા ખાલી પડેલી. એણે પૂછયું : " આ એક ઈંટ કેમ ખૂટે છે ?"
માણસો મૂંઝાયા. ઉત્તર આપી ન શકાયો, છેવટે જવાબ
વાળ્યો : "માતાનો દીવો કરવા માટે એ ગોખલો રાખ્યો છે." આખરે માલૂમ પડયું કે
મિથ્યાભિમાની અયપ પરમારે પોતાના ભાગની ઇંટ ઉપાડવામાં હીણપદ માન્યું છે.
એ નવી ચણાવેલી દેરીના ઉંબરમાં જ નવઘણની તલવારના ઘાએ અયપનું મસ્તક કપાઇને નીચે પડ્યું. સેના જુનાગઢ તરફ ચાલી નીકળી.
વરૂવડી માતા એ દેરી પાસે આવ્યાં. જોયું તો અયપનું
માથું ને ધડ રઝળતાં પડેલાં. પોતાની દેરી પર ક્ષત્રિયનું લોહી છંટાયેલું એ
દેવીથી ન સહેવાયું. અયપે પોતાનું અપમાન કરેલું એ ઇતિહાસ માતાને કાને આવ્યો.
તોયે એ નિરભિમાની ચારણીનું મન ન દુભાયું. એણે ધડ પર મસ્તક મૂકી હાથ
ફેરવ્યો. અયપ સજીવન થયો.
હાથમાં ભાલો ઉઠાવી ઘોડા દોડાવતો લોહીનો તરસ્યો અયપ
નવઘણની પાછળ પડયો. બરાબર જૂનાગઢના ઝાંપામાં એણે નવઘણને પડખે ચડીને ભાલાનો
ઘા કર્યો.
પરંતુ નવઘણના એ મહાચતુર અશ્વ ઝપડાએ ભાલાનો પડછાયો જેયો કે તત્કાળ કૂદીને એ દૂર ખસ્યો. ભાલો પરબારો પૃથ્વીમાં ગયો. અયપને પકડી લીધો.
એ પ્રસંગે મીશણ કુંચાળા નામના ચારણે દુહો કહ્યો કે:
જડ ચૂક્યો ઝપડા જદી, ભાલા અયપકા,
માતા લીએ વારુણાં, નવઘણ ઘર આયા.
માતા લીએ વારુણાં, નવઘણ ઘર આયા.
વરૂવડીનો છંદ આગળ વધે છે :
કા૫ડી છો લખ જાત્ર કારણ એહ વહેતા અયિહા,
દોહણે હેંકણ તે જ દેવી પંથ વહેતા પાહિયા.
સત ધન્યો વરૂવડ, કિરણ સૂરજ પ્રસધ નવખંડ પરવડી,
નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી !
દોહણે હેંકણ તે જ દેવી પંથ વહેતા પાહિયા.
સત ધન્યો વરૂવડ, કિરણ સૂરજ પ્રસધ નવખંડ પરવડી,
નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી !
અણ ગરથઉણથે સગ્રેહ હેકણ, પોરસે દળ પોખીઆ,
કે વાર જીમણ ધ્રવે કટકહ, સમંદર પડ સોખીઅ.
અણરૂપ ઊંંડી નાખ્ય અખા, સજણ જળતણ શગ ચડી,
નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી !
કે વાર જીમણ ધ્રવે કટકહ, સમંદર પડ સોખીઅ.
અણરૂપ ઊંંડી નાખ્ય અખા, સજણ જળતણ શગ ચડી,
નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી !
એ રીતે બહુ હોંશ કરીને તેં મોટા સૈન્યને જમાડયું, અને સમુદ્રને શોષી લીધો.
કામઈ તુંહી કરનલ, આદ્ય દેવી આવડી,
શવદેવી તુંહી તુંહી એણલ, ખરી દેવલ ખૂબડી,
વડદેવ વડીઆ પાટ વરૂવડ, લિયા નવલખ લોબડી,
નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી !
શવદેવી તુંહી તુંહી એણલ, ખરી દેવલ ખૂબડી,
વડદેવ વડીઆ પાટ વરૂવડ, લિયા નવલખ લોબડી,
નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી !
કામઈ, કરનલ, શવદેવ્ય, એણલ અને ખોડિયાર એ તમામ
દેવીઓરૂપે તું લીલા કરે છે. 'નવલખ લેાબડિયાળી' નામથી વિખ્યાત એ તમામ ચારણી
દેવીઓ તારાં જ સ્વરૂપો છે. ]
- ૧. અયિહા – આયા , અવ્યા.
- ૨. દોહણે હેંકણ - એક જ દોણામાંથી
- ૩. પાહિયા - જમાડ્યા.
- ૪. અણ ગરથ = ધન વગર.
- પ. ઉણથે =સાધનહીન.
- ૬. સગ્રેહ = સારે ઘરે , વરૂડીને નિવાસસ્થાને.
- * ખોડિયાર એક પગે ખોડાં હોવાથી ' ખૂબડી ' કહેવાય છે.
૩
એક તેતરને કારણે
પ
રશુરામે આ પૃથ્વીને એકવીસ વાર નક્ષત્રી કરીને
બ્રાહ્મણોને વહેંચી દીધી હતી. પણ એ વિનામહેનતે મળી ગયેલી ધરતીનું રક્ષણ
બ્રાહ્મણો ન કરી શકયા. અસુરો ધરણીમાતાની કાયાને ખૂંદવા લાગ્યા. પછી
દેવતાએાએ ભેળા થઈને આબુ પર્વત ઉપર એક અગ્નિકુંડ પ્રગટાવ્યો. એ અગ્નિકુંડની
ઝાળમાં ચાર મોટા દેવતાઓએ જવના દાણા છાંટયા, તે જ ઘડીએ એક પછી એક ચાર વીરો
પ્રગટ થયા.
સોળે કળાએ શેભતો તેજસ્વી નર નીકળ્યો, તે સેાળંકી
કહેવાયો. ચારે ભુજામાં હથિયાર ધારણ કરીને હાજર થયો તે ચહુબાણ ( ચૌહાણ )
કહેવાયો. કુંડમાંથી નીકળતાં નીકળતાં પગમાં પોતાનું ચીર ભરાવાથી જે પડી ગયો
તેનું પઢિયાર નામ પડયું; એ ત્રણે તો હાથ જોડીને આજ્ઞા માગતા માગતા નીકળ્યા,
એટલે દેવતાઓ નિરાશ થયા.
આખરે અગ્નિના ભડકામાંથી 'માર ! માર !'ની ત્રાડ
દેતો જે બહાર આવ્યો, આવીને 'પર' કહેતાં રાક્ષસને જેણે સંહાર્યો, તે પરમાર
નામે ઓળખાયો. આબુ, ઉજેણી અને ચિતોડ ઉપર એના વંશની આણ વrતી ગઈ ચિતોડગઢનાં
તોરણ બાંધનાર આ પરમાર વંશનો જ એક પુરુષ હતો. એ વંશનો એક વેલો સિંધના
રણવગડામાં પણ ઊતરી આવ્યો. એ વેલો ચલાવનાર મૂળ પુરુષ સોઢાજી. સોઢા પરમારોના
હાથનો ઉમરકોટ તાલુકો એક વખત એની પડતી દશામાં છૂટી ગયો ને નગરપારકરને નાનો
તાલુકો રહ્યો. ત્યાંનું બેસણું પણ ગયું, ને થરપારકર રહ્યું. થરપારકરનું રાજ
એટલે તો રેતીના રણનું રાજ : રાજધણીને રિદ્ધિસિદ્ધિમાં ઢોર સિવાય બીજુ કાંઈ
ન હોય. માલધારી રાજા પોતાનો માલ ચારીને ગુજારો કરતા; નેસડામાં રહીને
રાજમહેલની મજા લેતા: રોટલો અને દૂધ આરોગીને અમૃતના ઓડકાર ખાતા; રૈયતની
સાથેસાથ રહીને તેની જીવ સાટે રક્ષા કરતા. તેથી જ –
અંગ પોરસ, રસણે અમૃત, ભુજ પરચો રજભાર,
સોઢા વણ સૂઝે નહિ, હોય નવડ દાતાર.
સોઢા વણ સૂઝે નહિ, હોય નવડ દાતાર.
સોઢાઓના અંગમાં દાન દેવાની જેવી હોંશ આવે, જીભમાં જેવું અમી વરસે અને ભુજામાં જેવું પાણી હોય તેવું બીજામાં નથી હોતું.
બાપુ રતનુજી તો કૈલાસમાં પધારી ગયેલ, પણ મા જોમબાઈ
હજુ બેઠાં હતાં. મા જોમબાઈને ચાર દીકરા હતા: આખેાજી, આસેાજી, લખધીરજી ને
મૂંજોજી મા અને દીકરા ગોડી પારસનાથજીનાં* મોટાં ભક્ત હતાં.
સંવત ૧૪૭૪ની અંદર પારકરમાં કાળો દુકાળ પડ્યો.
તાવડામાં જેમ ધાણી ફૂટે, તેમ માલધારીઓના ઢોર ટપોટપ મરવા માંડયાં. બે હજાર
સોઢાઓ પોતાનાં ઢોર લઈ ને દુકાળ વર્તવા સોરઠમાં ચાલી નીકળવા જ્યારે તૈયાર
થયા ત્યારે ચારે ભાઈઓને ચિંતા થઈ કે પારકા મુલકમાં આપણી વસ્તીની રક્ષા કોણ
કરશે ? માટે આખોજી બોલ્યા : “ભાઈ લખધીર! તું ને મૂંજોજી સાથે જાઓ, હું ને
આસો અંહી રહીશું.” લખધીરજી ને મૂંજોજી પોતપોતાની હાંસલી ઘોડી ઉપર પલાણી
તૈયાર ઊભા, ત્યારે મા જોમબાઈ બોલ્યાં : “બાપ, આપણી વસ્તીને પરદેશમાં મા
કયાંથી મળશે ? માટે હુંય સાથે ચાલીશ.”
માતાજી રથમાં બેઠાં, અને બે હજાર સોઢાઓ એના રથને
વીંટી લઈને પોતપોતાનાં ઢોર હાંકતા હાંકતા, રસ્તે ચારતા ચારતા દડમજલ મુકામ
કરતા ચાલી નીકળ્યા.
પણ લખધીરજીને તો નીમ હતું કે રોજ ઈષ્ટદેવ ગોડી
પારસનાથનાં દર્શન કર્યા પછી જ અન્નપાણી ખપે. આ દેવતાની પ્રતિમા પારકરના
પીલુ ગામમાં હતી. રોજ રોજ પ્રભાતે જ્યાં મેલણ પડયું હોય ત્યાંથી લખધીરજી
પોતાની હાંસલી ઘોડી પાછી ફેંટીને પીલું જઈ પહોંચે, દેવનાં દર્શન કરે, ત્યાર
પછી અનાજ આરોગે. એ રીતે તો જેમ જેમ પલ્લો લાંબો થતો ગયો, તેમ તેમ પીલુ
પહોંચવામાં મોડું થવા માંડયું. એક પહોર, બે પહોર, ચાર પહોર, ને પછી તે
બબ્બે દિવસના કડાકા થવા લાગ્યા. પછી એક રાતે લખધીરજીના સ્વપ્નમાં ઈષ્ટદેવ
આવ્યા ને બોલ્યા : ' બેટા, કાલ પ્રાગડના દોરા ફૂટતાં જ તને ગાયનું એક ઘણ
મળશે. એમાંથી એક કુંવારી કાળી ગાય મોખરે ચાલતી હશે. એ ગાય પોતાનો મોયલો પગ
ઊંંચો કરીને તારા સામે જોઈ જમીન ખોતરશે. ખોતરેલી જમીનમાં ખોદશે, તો તને
એક પ્રતિમા જડશે એ પ્રતિમાનાં દર્શન કરી રોજ જમજે, રથમાં પધરાવીને સાથે લઈ
જજે, ને જ્યાં રથ ઊભો રહી જાય, ચસકે નહિ, ત્યાં તારો મુકામ કરી રહેજે. તારી
ફતેહ થશે.'
બીજે દિવસે પ્રભાતે સ્વપ્નની વાત સાચી પડી. પાંચાળ
ભૂમિમાં માંડવ ડુંગરની ધાર ઉપર જ ગાય મળી, ને મૂર્તિ જડી. એ માંડવ-રાજની
પ્રતિમાને માતા જોમબાઈ ખેાળામાં લઈને બેઠાં અને સોનાના થાળ સરખી
પાંચાળ-ભૂમિમાં મોતીના દાણા જેવા ડુંગરા જોતા જોતા અગ્નિપુત્ર પરમારો આગળ
ચાલ્યા. હવે, કેવો છે એ પાંચાળ દેશ ?
કંકુવરણી ભોમકા, સરવો સાલેમાળ,
નર પટાધર નીપજે, ભેાય દેવકો પાંચાળ. (૧)
નર પટાધર નીપજે, ભેાય દેવકો પાંચાળ. (૧)
એ પાંચાળની જમીન રાતી છે, સુંદર સાલેમાર ડુંગર છે, અને એ દેવભૂમિમાં શૂરવીર પુરુષો નીપજે છે.
ગૂઢે વસ્તરે ગોરિયાં, પગની પિંડીનો તાલ,
પનઘટ ઉપર પરવરે, પડ જોવો પાંચાળ. (૨)
પનઘટ ઉપર પરવરે, પડ જોવો પાંચાળ. (૨)
પાંચાળની સ્ત્રીઓમાં વિશેષે કરીને કાઠિયાણીઓ અને
ચારણિયાણીઓ હોવાથી એનો પહેરવેશ કાળા રંગનો છે, અને દેહનો વર્ણ ગોરો છે. એ
રમણીઓ લચકાતે પગે નદીને તીરે પાણી ભરે છે.
એાદરથી ઉરે સરસ, નાક નેણનો તાલ,
ચાર હાથનો ચોટલો, પડ જોવો પાંચાળ. (૩)
ચાર હાથનો ચોટલો, પડ જોવો પાંચાળ. (૩)
જેવાં રૂપાળાં એ ગોરીઓનાં ઉદર, તેથી વધુ રૂપાળી એની છાતી છે તેથીયે વધુ રળિયામણાં એનાં નાક અને નેણ છે માથે લાંબા ચોટલા છે.
નરનારી બન્ને ભલાં, કદી ન અંગણ કાળ,
અવેલને અદર કરે, પડ જોવો પાંચાળ. (૪)
અવેલને અદર કરે, પડ જોવો પાંચાળ. (૪)
અછાં પાણી વીરડે, ધરતી લાંપડિયાળ,
સ૨ ભર્યા સારસ લવે, પડ જોવો પાંચાળ. (૫)
સ૨ ભર્યા સારસ લવે, પડ જોવો પાંચાળ. (૫)
જેની ધરતી લાંપડ (કાંટાવાળા) ઊંંચા ઘાસથી ઢંકાયેલી
છે, જેની નદીઓના પટમાં વીરડા ગાળીને લોકો તેલ જેવાં નિર્મળ પાણી પીએ છે,
જેનાં ભરપૂર સરોવરડાંમાં સારસ પક્ષીઓ કલ્લોલ કરતાં હોય છે, એવી એ દેવભૂમિ
પાંચાળ છે.
નદી ખળકે નિઝરણાં મલપતાં પીએ માલ,
ગાળે કસૂંબા ગોવાળિયા, પડ જોવો પાંચાળ. (૬)
ગાળે કસૂંબા ગોવાળિયા, પડ જોવો પાંચાળ. (૬)
જ્યાં નદીઓ અને ઝરણાંઓ ખળખળ વહી રહેલ છે, જ્યાં
માલધારીના માલ (ગાયભેંસો) ભરપૂર પાણીમાં મલપતાં મલપતાં નીર પીએ છે, જ્યાં
ગોવાળ લોકો અફીણના કસૂંબા ગાળીને ગટગટાવે છે, એવો એ પાંચાળ દેશ છે.
ઠાંગો માંડવ ઠીક છે, કદી ન અંગણ કાળ
ચારપગાં ચરતાં ફરે, પડ જોવો પાંચાળ. (૭)
ચારપગાં ચરતાં ફરે, પડ જોવો પાંચાળ. (૭)
જ્યાં ઠાંગો અને માંડવ જેવા વંકા ડુંગરા છે, દુષ્કાળ કદી પડતો નથી, ચોપગાં જાનવરો ફરે છે એવા એ પાંચાળ દેશ છે.
તાતા તોરિંગ મૃગકૂદણા, લીલા પીળા લાલ,
એવા વછેરા ઊછરે, પડ જોવો પાંચાળ. (૮)
એવા વછેરા ઊછરે, પડ જોવો પાંચાળ. (૮)
જ્યાં હરણ જેવી ફાળ ભરનારા પાણીદાર, રંગરંગના ઘોડા નીપજે છે.
કૂકડકંધા મૃગકૂદણા, શત્રુને હૈયે સાલ,
નવરંગ તોરિંગ નીપજે, પડ જોવો પાંચાળ. (૯)
નવરંગ તોરિંગ નીપજે, પડ જોવો પાંચાળ. (૯)
જયાં કૂકડાના જેવી ઊભી ગરદનવાળા, અને દુશ્મનેાના હૃદયમાં શલ્ય સમ ખટકનારા નવરંગી ઘોડા નીપજે છે, એવો એ પાંચાળ દેશ છે.
કળ ડોળી ફળ લીંબોળી, વનસ્પતિ હરમાળ,
(પણ) નર પટાધર નીપજે, બોંય દેવકો પાંચાળ.(૧૦)
(પણ) નર પટાધર નીપજે, બોંય દેવકો પાંચાળ.(૧૦)
કુળનાં જુએ તે ઘણું ખરું કેાળીના જ કુળ વસે
છે.(કોળીની સંખ્યા બહુ મોટી છે ), ફળમાં લીંબોળી બહુ થાય છે, અને
વનસ્પતિમાં હરમાળ વધુ નીપજે છે, એમ છતાં ત્યાં મનુષ્યોમાં તો વીર પુરુષે
પાકે છે, એ દેવભૂમિ પાંચાળ છે.
ચાલતાં ચાલતાં એક દિવસ એક રૂપાળા પ્રદેશની અંદર,
એક નાની નદીની બરાબર વચમાં દેવનો રથ ઊભો રહ્યો. ઘણા બળદ જોડીને ખેંચ્યો, પણ
પૈડાં ચસકયાં નહિ. નાડાં બાંધી-બાંધીને રથ તાણ્યો, પણ નાડાં તૂટી ગયાં.
લખધીરજીએ પોતાની પાઘડીને છેડે ગળે વીટી, પ્રતિમાની સામે હાથ જોડી કહ્યું :
“હે ઠાકર ! તે દિવસ સ્વપ્નામાં તમે મને કહેલું યાદ છે કે જ્યાં રથ થોભે
ત્યાં મારે ગામ બાંધીને રહેવું. પણ આ નદીને અધગાળે કાંઈ ગામ બંધાશે ? સામે
કાંઠે પધારો તો ત્યાં જ આપની સ્થાપના કરું.”
એટલું બોલીને પોતે જરા પૈડાને હાથ દીધો, ત્યાં તે
આરસપા'ણની ભેાં હોય તેમ રથ દડવા લાગ્યો. સામે કાંઠે જઈ ઉચાળા છોડયા, નાનાં
ઝૂંપડાં ઊભાં કરી દીધાં, અને ચોપાસના નિર્જન મુલક ઉપર પરમારોની સિંધી ગાયો,
ભેંસો, બકરાં, ઘેટાં ને ઊંટ, બધાં પોતાને ગળે બાંધેલી ટોકરીનો રણકાર
ગજવતાં ગજવતાં લહેરથી ચરવા લાગ્યાં. જે નેરામાં રથ થંભી ગયેા હતો તે
અત્યારે પણ 'નાડાતેાડિયું' નામથી એાળખાય છે.
પારકી ભૂમિમાં ધણીની રજા વિના કેમ રહેવાય ?
પરમારનો દીકરો – અને વળી પ્રભુનો સેવક – લખધીરજી તપાસ કરવા માંડયા. ખબર પડી
કે વઢવાણના રાજા વીસળદેવ વાઘેલાનો મુલક છે. નાના ભાઈ મૂંજાજીના હાથમાં આખી
વસ્તીને ભળાવી લખધીરજી વઢવાણ આવ્યા. દરબારગઢની ડેલીએ બેઠા બેઠા વીસળદેવ
ચોપાટ રમે છે, ત્યાં જઈને પરમારે ઘેાડીએથી ઊતરી, ઘેાડીના પગમાં લોઢાની
તાળાબંધી નેવળ નાખી, બગલમાં લગામ પરોવીને વાઘેલા રાજાને રામરામ કર્યા.
કદાવર શરીર, પાણીદાર છતાં ભક્તિભાવભીની બે મોટી આંખો, અને હજુ તે ગઈ કાલે જ
આબુના અગ્નિકુંડમાંથી “માર ! માર!” કરતો પ્રગટ થયો હોય એવો દેવતાઈ તેજસ્વી
ચહેરો : જોતાં તે એક જુગની જૂની ઓળખાણ હોય તેમ તે પરમારપુત્ર વીસળદેવજીના
હૈયામાં વસી ગયેા. મહેમાન કયાં રહે છે, કેમ આવેલ છે, નામ શું છે, એવું
પૂછયા વિના પાધરે રાજાએ સવાલ કર્યો :
“ ચેાપાટે રમશો ?”
“ જેવી મરજી.”
“ ઘેાડી બાંધી દ્યો.”
“ ના, રાજ ! ઘેાડી મારી હેવાઈ છે. બીજે નહિ બંધાય. એક તરણુંયે મોંમાં નહિ લ્યે. હું બેસીશ ત્યાં સુધી ઊભી જ રહેશે.”
હાંસલી પણ જાણે વાતચીત સમજી હોય તેમ તેણે એક
કાનસૂરી માંડીને હણહણાટી દીધી. વીસળદેવજીના હૈયામાં વધુ પ્રેમ પુરાયો; અને
ચોપાટ ખેલવામાં લખધીરજીનો સાધેલ હાથ જોઈને તો વીસળદેવ મોહ પામી ગયા.
સાંજ પડી એટલે વીસળદેવે એળખાણ પૂછી. લખધીરજીએ બધી
વાત કહી સંભળાવી : “દુકાળ વર્તવા વસ્તીને લઈને પારકરથી આવ્યો છું રજા આપો
તો માલ ચારીએ.”
વીસળદેવ બોલ્યા : “ એ ભેાં તો ઉજજડ પડી છે : તમે
પચાવી પડયા હોત તોપણ બની શકત, પણ તમે નીતિ ન તજી તેથી હું એ આખી ધરતી તમને
સોપું છું. સુખેથી ગામ બાંધો. પણ ઊભા રહો, એક શરત છે. રોજરોજ આંહી ચોપાટ
રમવા આવવું પડશે.” લખધીરજીએ શરત કબૂલ કરી. હાંસલીના મોયલા પગમાંથી નેવળ
છોડી, રાંગ વાળી, પોતાના પડાવ તરફ ચડી ગયા. ડાયરો જોઈ રહ્યો : “વાહ રજપૂત !
કાંઈ વંકો રજપૂત છે ! રાજપૂતી આંટો લઈ ગઈ છે !”
ડાયરાની આંખમાં એ વેણ બોલતી વખતે લાલ લેાહી ભર્યું હતું.. પેટમાં પાપ ઊગ્યું હતું.
એક દિવસ સાંજે લખધીરજી વઢવાણથી ચોપાટ રમીને પડાવ
ઉપર પાછા ફર્યા ત્યારે મૂંજાજીએ એને વાત કહી : “ભાઈ, આજ તો હું પૂજા કરતો
હતો ત્યારે માંડવરાજ બે વાર મારી સામે જોઈ ને હસ્યા !”
ચતુર લખધીરજીએ વાત રોળીટોળી નાખી, પણ અંતરમાં એને ફાળ પડી કે નક્કી મૂંજાજીને માથે ભાર છે : તે વગર પ્રતિમા હસે નહિ.
“ માડી ! સાંભળ્યું કે ?”
“શું છે, છોડી ?”
“ આ એાલ્યા રજપૂત રોજ રોજ મારા બાપુ પાસે ચેાપાટે રમવા આવે છે, એની ખબર છે ને ?”
“હા, એ રેાયો આવે છે ત્યારથી દરબારે એારડે આવવાનુંય એાછું કરી નાખ્યું છે. કોણ જાણે શું કામણ મેલ્યું છે એ બોથડ સોઢાએ. ”
“મા, તમે તે બહુ ભોળાં છો. સાચી વાત કહું ? એ
રજપૂત આવ્યા છે સિંધમાંથી. એને એક જુવાન બે'ન છે. મારા બાપુને વિવા કરવા છે
એટલે આ રજપૂતને જમીન કાઢી આપી છે, ને રોજ આંહી ચોપાટ રમવા બોલાવે છે. પોતે
પણ ત્યાં જાય-આવે છે.”
ઠાકાર વીસળદેવનાં ઠકરાણી અને એની વડારણ વચ્ચે એક
દિવસ આવી વાત થઈ. લખધીરજીની લાગવગ વીસળ દેવજી ઉપર એટલી બધી જામી ગયેલી કે
એના વિના ખાવું ન ભાવે. આ રાજપ્રીતિ વઢવાણના દરબારી નોકરોથી નહોતી ખમાતી.
લખધીરજીના પગ કાઢવા માટે વાઘેલાએાએ રાણીવાસમાં આવી ખટપટ ઊભી કરી હતી.
રાણીને હાડોહાડ વ્યાપી ગઈ કે નક્કી રાંડ શોક્ય
આવશે. એનાં રૂંવાડાં સડસડ બળવા લાગ્યાં. એનું પિયર સાયલે હતું. પિયરિયાં
ચભાડ જાતનાં રજપૂત હતાં. પોતાના ભાઈભત્રીજાને બોલાવી કાળી નાગણ જેવી રાણી
ફૂફાડી ઊઠી : “મારું ચલણ છે ત્યાં લગી તમે ઊભે ગળે વઢવાણમાંથી ખાવા પામો
છે. રાજા નવી લાવશે એટલે તમારો પગદંડો પણ આંહીંથી નીકળી જશે. માટે મારા
ભાઈએા હો તો જાઓ, એ કાળમુખા રજપૂતોના લબાચા વીંખી નાખે, અને મારી-મારીને
પાછા પારકરને રસ્તેા પકડાવો.”
૩
જંગલ તેતર ઊડિયો, આવ્યો રાજદુવાર,
ચભાડ સહુ ઘોડે ચડયા, બાંધી ઊભા બાર.
“તેતર ઘવાણો, બરાબર ઘવાણો !” તીરંદાજોએ ચાસકા
કર્યા. 'કિયો ! કિયો ! કિયો !' એવી કિકિયારી કરતું એક નાનું તેતર પક્ષી
પાંખો ફફડાવી રહ્યું. પાંખ તૂટી પડવાથી ઊડી શકતું નથી. પગ સાબૂત છે તેથી
દોટાદોટ કરવા લાગ્યું. વનનાં બીજા પક્ષીએાએ કળેળાટ મચાવી મૂકયો.
“હા, હવે ધ્યાન રાખજો, ભાઈઓ ! જોજો. તેતર બીજે જાય નહિ. હાંકો આ પરમારેાના ઉચાળામાં, કજિયો જગાવવાનું બરાબર બહાનું જડશે.”
એમ બોલતાં એ સાયલા ગામના ચભાડ તીરંદાજોએ ઘાયલ થયેલા તેતરને ઘેરી લઈ સોઢા પરમારોના પડાવ તરફ હાંકયો.
ચીસો પાડતો તેતર પાદરમાં દોડ્યો ગયો, અને બરાબર
માતા જોમબાઈ પોતાના ઈષ્ટદેવ માંડવરાજની પ્રભાતપૂજા કરે છે ત્યાં જ પહોંચી
દેવમૂર્તિના બાજઠની નીચે લપાઈ ગયો. મા જોમબાઈએ કિકિયાટા સાંભળ્યા ને આંહીં
શરણાગત તેતરના શરીરમાંથી રુધિર ટપકતું દીઠું. પ્રભુજાપની માળા પડતી મૂકીને
એમણે બાજઠ હેઠળથી હળવે હાથે તેતરને ઝાલી લીધો. એ લોહીતરબોળ પંખીને.
હૈયાસરસું ચાંપીને પંપાળવા માંડયું. માની ગોદમાં છોકરું લપાય તેમ તેતર એ
શરણ દેનારીના હૈયામાં લપાઈ ગયો. મા તેતરને પંપાળતાં પંપાળતાં કહેવા લાગ્યાં
કે : “બી મા, મારા બાપ ! હવે આંહીં મારે હૈયે ચડયા પછી તને બીક કોની છે ?
થરથર મા હવે, આ તો રજપૂતાણીને ખોળો છે, મારા બચ્ચા !”
ત્યાં તો બહાર ઝાંપે ધકબક બોલી રહી. ચભાડોનાં
ઘેાડાં હમચી ખૂંદતાં હતાં અને ચભાડો ચાસકેચાસકા કરતા હતા : “આંહીં ગયો.
એલા, અમારો ચોર કાઢી આપો. કોના છે આ ઉચાળા ?”
સોઢાઓ બધા પોતપોતાના ડેરામાંથી બહાર નીકળ્યા.
પૂછવા લાગ્યા : “ કોણ છો તમે સહુ, માડુ ? આટલા બધા રીડિયા શીદ કરો છો ?
આંહીં બચરવાળેાના ઉચાળા છે. એટલું તો ધ્યાન રાખો, ભાઈઓ !”
“અમારો ચોર કાઢી આપો જલદી. ચેારી ઉપર શિરજોરી કરો મા.” ચભાડોએ તોછડાઈ માંડી.
“કોણ તમારો ચેાર ?”
“અમારો શિકાર : જખમી તેતર.”
સોઢાએામાં હસાહસ ચાલી : “વાહ ! રંગ તમને ! એક તેતર સારુ આટલી બહાદુરી ?”
ત્યાં તો ઝાંપે જોમબાઈ દેખાણાં, ગોદમાં તેતર છે. પડછંદ રજપૂતાણીએ પ્રતાપભેર પૂછયું : “શું છે, બાપ?”
“ઈ જ ! ઈ જ અમારો ચોર ! ઈ જ તેતર ! લાવો પાછો.”
“તેતર પાછો અપાય કાંઈ? એ તો મારો શરણાગત ઠર્યો,
ભાઈ ! વળી એ તો મારા ઠાકરના બાજઠ હેઠળ બેઠેલ હતો. એ ભગવાનનો શરણાગત મારાથી
પાછો કેમ અપાય ?"
શરણ ગયો સોંપે નહિ, રજપૂતાંરી રીત,
મરે તેાય મેલે નહિ, ખત્રી હોય ખચીત,
“ અને પાછા તમે તો બધા રજપૂત લાગો છો, બચ્ચાઓ ! ”
“ હા, અમે ચભાડો છીએ.”
“ત્યારે હું તમને શું શીખવું ? શરણે આવેલાને રજપૂત ન સોંપી દે, એટલુંય શું તમારી જનેતાએ તમને ધાવણમાં નથી પાયું, બાપ ?”
ચભાડો કોપ્યા : “હવે એ બધી વાત મૂકીને ઝટ અમારો ચોર સોંપી દ્યો.”
“ભાઈ! તમે ઘર ભૂલ્યા.” કહીને મા જોમબાઈએ તેતરને છાતીએ દાબ્યો, તેતરના માથા પર હાથ પંપાળ્યો.
“તો અમે તમારા લબાચા ફેંદી નાખશું. આંહીં પરદેશની માટી ઉપર તમે ભૂંડાં લાગશો.”
જોમબાઈએ કહ્યું : “શીદ ઠાલા ઝેર વાવો છો ? અમને
પરદેશીઓને શા સારુ સંતાપો છો ? કહો તો મારાં ઘેટાં આપું, ગાય-ભેંસ દઉં, પણ
શરણાગત કેમ સોંપ્યો જાય મારાથી ?” ચભાડોને તે કજિયો જોઈતો હતો. બહાનું જડી
ગયું. સમશેરે ખેંચાઈ. એ મામલો દેખીને માતાએ જુવાન બેટા મૂંજાજીને પડકાર્યો.
મૂંજાને માતા કહે, સુણ સોઢાના શામ,
દળમાં બળ દાખો હવે, કરે ભલેરાં કામ.
મુંજા તેતર માહરો, માગે દૂજણ સાર,'
દળમાં બળ દાખો હવે, કરે ભલેરાં કામ.
મુંજા તેતર માહરો, માગે દૂજણ સાર,'
ગર્વ ભર્યા ગુર્જરધણી, આપે નહિ અણવાર
બેટા, એક ચકલ્યું છે, તોપણ એ આપણું શરણાગત ઠર્યું. આજ આપણે મર્યામાર્યા વગર છૂટકો નથી. ભલે આજ ચભાડો પારકરા પરમારની રજપૂતી જેતા જાય.
“વાહ મારી જનની !” કહી મૂંજોજી તેગ લઈને ઊઠયો : “ હું તો પરમારને પેટ ધાવ્યો છું ના !”
ધ્રુવ ચળે મેરુ ડગે, ગમ મરડે ગિરનાર,
મરડે ક્યમ મૂળીધણી, પગ પાછા પરમાર ?
ધ્રુવને તારો ચળે, મેરુ પહાડ ડગમગે, ગિરનાર પોતાનું પડખું ફેરવે, તો પણ પરમાર પાછો પગ કેમ માંડે ?
પછી તો તે દિવસે –
સંવત ચૌદ ચુમોતરે, સોઢાનો સંગ્રામ,
રણઘેલે રતનાવતો, નવખંડ રાખ્યું નામ.
સંવત ૧૪૭૪માં સોઢાએ સંગ્રામ જમાવ્યો. રણઘેલા રતનજીના પુત્ર નવે ખંડમાં નામ રાખ્યું.
વાર શનિચર શુદ પખે, ટાઢા પૂરજ ત્રીજ,
રણ બાંધે રતનાવતો, ધારણ મૂંજો ધીજ.
ફાગણ મહિનાના શુકલ પક્ષની ત્રીજ ને શનિવારના રોજ રનજીના પુત્રે રણતોરણ બાંધ્યું.
- * 'રાસમાળા ' ( પાનું ૩૯૮) માં જણાવેલ છે કે ' માર્તંડરાય અથવા માંડવરાય , જે સૂર્ય દેવની મૂર્તિ કહેવાય છે ( કેમ કે મૃતંડનો વંશજ સૂર્ય છે તેથી તેનું નામ માર્તંડ કહેવાય છે.) તેના ઉપાસક બન્ને નાયક હતા. ' પણ માંડવરાય નામ તો સોરઠમાં પરમારોના આગમન પછી 'માંડવ ડુંગર ' પરથી પડ્યું લાગે છે , મતલબ કે ' માંડવરાય ' શબ્દ 'માર્તંડરાય ' નો અપભ્રંશહોવા સંભવતો નથી. પરિણામે , સોઢા પરમારોની ઉપાસના સૂર્યની હતી કે ગોડી પાર્શ્વનાથની , તે નિર્ણયને અન્ય કશાક આધારની જરૂર છે.
- “રાસમાળા
'નો પાઠ
: 'સંવત સાત પનોતરે.
” પણ સાતસો પંદર
અતિ વહેલું છે.
મા જુએ છે ને બેટે ઝૂઝે છે : એવું કારમું ધીંગાણું
મંડાઈ ગયું. ચભાડેાનાં તીરભાલાં વરસ્યાં, પરમારોની ખાંગેાએ ખપ્પર ભર્યા,
અને દિવસ આથમતે તો –
પડ્યા, ચભાડહ પાંચસેં, સોઢા વીસું સાત,
એક તેતરને કારણે અળ રાખી અખિયાત.
પાંચસે ચભાડો કપાઈ ગયા, સાત વીસું (૧૪૦) સોઢા કામ આવ્યા, એમ એક તેતરને કારણે સોઢા પરમારોએ પૃથ્વી પર પોતાની ઈજ્જત આબાદ રાખી.
લખધીરજી તો તે વખતે વીસળદેવની ડેલીમાં ચોપાટ
રમવામાં તલ્લીન હતા. એમને આ દગાની ખબર નહોતી. રાણીએ લખધીરજીને પણ તે જ
દિવસે ત્યાં ટૂંકા કરવાનું કાવતરું રચેલું. સાંજ પડી એટલે વીસળદેવને રાણીએ
બેાલાવી લીધા; કહ્યું : “હવે આંહીં બેસો.”
“ પણ મહેમાન એકલા બેઠા છે.”
“મહેમાનને એકલા નહિ રાખું, હમણાં એના ભાઈયુંની હારે જ સરગાપુરીની સાથ પકડાવી દઈશ.”
“ રાણી, શું આ બેાલો છો ?”
“ ઠીક બેાલું છું. એ વાઘરીની દીકરી હારે તમારે પરણવું છે, કાં ?”
“ તમે આ શી વાત કરો છો ?”
“હું બધુંય જાણું છું, પણ આજ તો મારા ભાઈએ એ તમામને જમપુરીમાં પહોંચતા કર્યા હશે !”
વીસળદેવ બધો ભેદ સમજ્યો. દોડતો દોડતો ડેલીએ આવ્યો. લખધીરજીને કહે : “ ભાઈ, જલદી ભાગ, તારે માથે આફત છે, ફરી આંહીં આવીશ મા !”
છબ દઈને લખધીરજી ઘોડી ઉપર પલાણ્યો, પણુ ગઢ વળોટવા જાય ત્યાં તો રાણીના કાવતરાબાજો આડા ફર્યા. “ મને કોઈ રીતે જાવા દ્યો ?”
“હા, તારી હાંસલી દેતો જા.”
“ ખુશીથી, પણ દરવાજે. આંહી બજારમાં હું ગરાસિયો ઊઠીને ભેાંય ચાલીશ તે મારી આબરૂ જાશે.”
દરવાજે પહોંચીને હાંસલીના ડેબામાં પગની એડી મારી
ત્યાં હાંસલી ઊડીને એક નાડાવા જઈ ઊભી. લખધીરજી બોલ્યો કે : “ લ્યો બા,
રામરામ ! રજપૂતનાં ઘેાડાં ને ડોકાં, બેય એકસાથે જ લેવાય એટલી વાત હવેથી
ભૂલશો નહિ."
હાંસલીને જાણે પાંખો આવી; ઘણુંય દોડવા જાય, પણ શું
કરે ? પગમાંથી લોઢાની નેવળ કાઢતાં લખધીરજી ભૂલી ગયેલો હતો, પાછળ વઢવાણની
વાર હતી એટલે ઊતરીને નેવળ છોડાય તેમ નહોતું. પછી તો હાંસલીને છલંગો
મારવાનું જ રહ્યું. હાંસલી ધરતી ઉપર ચાલે તે કરતાં ત્રણગણું તે હવામાં ઊડવા
લાગી. એમ કરતાં રસ્તામાં એક ૧૮-૨૦ હાથનો વોંકળો આવ્યો. પાણી ભરપૂર હતું.
જે ઘડીએ હાંસલી ટપીને બીજે કાંઠે પહોંચી તે ઘડી નેવળ તૂટી ગઈ.
રસ્તામાં લખધીરજીને ફાળ પડી ગઈ હતી. મુકામ ઉપર
આવીને જુએ, તો મા મૂંજાજીના શબનું માથું ખોળામાં લઈને બેઠાં હતાં. એક
તેતરને કારણે મૂંજો મરે, એ વાત સાંભળીને લખધીરજીની છાતી સવા વેંત ઊંચી ચડી.
માને કહે કે “ મા, આજ રોવાનું ન હોય, આજ તો ધેાળમંગળ ગાવાનો દિવસ છે, આજ
તમારી કૂખ દીપાવીને મૂંજો સ્વર્ગે ગયો. જુઓ મા, જોયું મૂંજારા મોં ? હમણાં
ઉઠીને તમને ઠપકો દેશે ! આવું મોત તો તમારા ચારે દીકરાને માટે માગજો,
માડી !”
- ત્યારથી એ વોંકળાનું નામ આજ પણ 'ઘેાડાપટ ' કહેવાય છે.
“બાપ લખધીર, તારો બાપ સ્વર્ગે સિધાવ્યા તે દી આ
મૂંજો પેટમાં હતો, એટલે મારાથી એની સંગાથે જવાણું નહિ. આજ તારા બાપની ને
મારી વચ્ચે વીસ વીસ વરસનું છેટું પડી ગયું. હવે તો મૂંજાને સથવારે જ મને
રાજી થઈને જાવા દે.”
ચેહ ખડકાવીને માતાજી દીકરાનું શબ લઈને સતી થયાં.
આજ પણ એ જગ્યાએ જોમબાઈ માતાનો પાળિયો છે. આજ પણ જે બાઈને છાતીએ ધાવણ ન
આવતું હોય તે આ પાળિયાને પોતાનું કાપડું અડાડી આવે તો ધાવણની શેડો છૂટે છે
એવી લોકવાયકા છે.
મા અને ભાઈને સ્વર્ગે વળાવીને લખધીરજી શેાકમાં
નહોતો પડી ગયો. એણે એ ઠેકાણે ગામ બાંધ્યું. એક રબારણ રોજ દૂધ આપી જતી તેને
લખધીરજીએ બહેન કહેલી. એનું નામ મૂળી હતું, મૂળીની મમતાથી પરમારે ગામનું નામ
મૂળી રાખ્યું. એ રીતે આજનું મૂળી સોઢા પરમારોની રાજધાની બન્યું.
- કોઈ કહે છે કે એ મૂળી ઢેઢ હતી.
૪
એક અબળાને કારણે
સિં
ધમાં તે સમયે એક સૂમરો રાજા રાજ કરતો હતો. સૂમરાના
દરબારમાં હેબતખાન નામના એક જતની નોકરી હતી. સૂમરાના કાનમાં કોઈએ મોહિની
રેડી કે હેબતખાનના ઘરમાં સૂમરી નામની પદ્મણી જેવી કન્યા છે. કામદેવના ભૂવા
સરખા સૂમરાએ હેબતખાનની કન્યાનું માગું મોકલાવ્યું.
હેબતખાને ના પાડી; જવાબ વાળ્યો : “ રાજાના
હીરામોતીના હારની બેડીઓ કરતાં તો મારી સૂમરીને હું કોઈ મારા જેવા ગરીબના
ઘરની ઘરવાળી બનાવીશ.”
સૂમરાએ નકાર સાંભળીને હુકમ કર્યો : “નાસવા માંડ, છ મહિને જબરજસ્તીથી તારી છોકરી ઝૂંટવી લઈશ."
હેબતખાન પોતાના કબીલાને લઈ પોતાના રસાલા સાથે
ભાગવા માંડયો. ભૂજમાં આવીને એણે રાવનું શરણું માગ્યું. રાવે તો પોરસમાં આવી
જઈ આશરો દીધો, પણ રાવના અમીર-ઉમરાવેાએ ને કામદારે સિંધ તરફ આંગળી ચીંધીને
બતાવ્યું : “સૂમરાનાં ભાલાં આવીને હમણાં ભૂજને રોળી નાખશે.” કામદારે
હેબતખાનને કહ્યું : “ચાલ્યો જા.” ભરકચેરીમાં હેબતખાને રાવને પૂછયું : “ આ
હુકમ આપનો છે ?"
રાવની આંખો ભોંયમાં ખૂંતી ગઈ. એણે માથું ઊંચું
કર્યું નહિ. 'યા અલ્લાહ !' કહીને હેબતખાન પોતાના બાળબચ્ચાં લઈ ચાલતો
થયો. બધા જતો જામનગરમાં રોકાઈને આશરો માગવા ગયા. જામનગરે સંભળાવ્યું :
“ભૂજે ન સંઘર્યો, તો મારું શું ગજું?” નગરનાં બારણાં બંધ જોઈને જતો ધ્રોળ
રાજમાં ગયા. ધ્રોળથી જાકારો સાંભળીને આખો કબીલો મોતની તૈયારી કરી ચાલી
નીકળ્યો.
માર્ગે મૂળી ગામનો ટીંબો આવ્યો પાદરમાં જ જુવાન
સોઢાઓ રમતા-ખેલતા હતા. જુવાનેાએ આ જતેાનાં બાળકોને રોતાં સાંભળ્યાં,
લીંબુની ફાડ જેવી આખેાંમાંથી બોર બોર જેવડાં પાણી પાડતી જતાણીઓને જોઈ.
મૂળીને પાદરથી એક વટેમાર્ગુ પણ પોરો ખાધા વગર જાય નહિ, અને આ રોતાંકકળતાં
દોઢ હજાર મુસાફરો કાં સીધાં ચાલ્યાં જાય ? સોઢાએાએ જતને પૂછયું : “ ભાઈ
કયાં જાવું ?”
“જાવું તો દરિયામાં.”
“ કેમ, એમ ?”
“ ધરતી અમને બધેયથી જાકારો દે છે, એને અમારે ભાર આકરો થઈ પડયો છે.”
“ આમ આડું કેમ બેાલો છો, ભા ?”
“ આડું નથી બોલતા, ભાઈ ! સાચું જ કહીએ છીએ. પરશુરામે એકેય રજપૂત કયાં રહેવા દીધો ?”
“પણ, ભાઈ, બોલો તો ખરા, શી આફત છે ?”
હેબતખાને બધી વાત કહી સંભળાવી. પરમારોમાં વાત
પ્રસરી ગઈ. મૂળીને ટીંબે મોટા લખધીરજીથી ચોથી પેઢીએ લખધીર બીજાનું પાટ
તપતું હતું. એણે જઈને પોતાની વૃદ્ધ માતાને પૂછયું : “માડી, જતોને આશરો
આપું ?"
પરમાર માતા બેાલ્યાં : “ દીકરા, આજ એક વાત મને
સાંભરી આવે છે : તું નાનેા હતેા. એક વખત હું નાહવા બેઠી હતી, ત્યારે તું
રોતો હતો. હું આવીને જોઉં, ત્યાં તો તને વડારણ ધવરાવતી હતી. મેં તને ઊંધે
માથે લટકાવીને વડારણનું ધાવણ ઓકાવી નાખેલું. પણ આજ લાગે છે કે એકાદ ટીપુ
તારા પેટમાં રહી ગયું હશે, નહિ તો પરમારનો દીકરો નિરાધારને આશરો દેવાને
ટાણે રજા લેવા આવે નહિ.” એટલું બોલતાં તો માની મોટી મોટી અંખેામાંથી
અંસુડાં ચાલ્યાં ગયાં.
“માડી ! તમારે અક્કેક આંસુએ મારે અક્કેક અવતાર
એળઘોળ કરું.” એટલું કહી માને પાયે માથું અડાડી જુવાન લખધીરજી ઊપડતે પગે
ચા૯યે ગયો. આખો ડાયરો લઈને જતોની આડે ફર્યો : “જવાય નહિ, મૂળીના કુબામાં
જેટલી જગ્યા હશે તેટલી તમને કાઢી દેશું; અને રક્ષણ નહિ કરી શકાય, તોય મરશું
તો ખરા !”
હેબતખાન બોલ્યો : “ હું પારકાને રક્ષણે જીવવાના
લોભે નથી આવ્યો, પરમારો ! હું તો ફક્ત આટલી જ શાંતિથી મરવા માગું છું કે
આખરે અમને સંઘરનાર રજપૂત મળ્યા ખરા. ”
પરમારોએ જતોને ઓરડા કાઢી આપ્યા. જતના ઉચાળાને વીંટીને રાતદિવસ પરમારોનો પહેરો બેસી ગયો. ત્યાં તો સૂમરાની ફોજના પડઘા બેાલ્યા.
મૂળીની ભેાં થાળી જેવી સપાટ છે. થોડે માણસે એ
ભોંમાં બચાવ થઈ શકે નહિ. તેથી જત અને પરમારોએ માંડવના વંકા ડુંગર ઉપર આશરો
લીધો. સૂમરાની ફોજ ડુંગરાની તળેટીમાં ઓડા લગાવી બેઠી. પણ ઉપર જવાનો લાગ
આવતો નથી, ઉપર ચડવાની એ વિકટ કેડીએ જનાર શત્રુ કાં તો પલભરમાં ઉપરની ગોળી
ખાઈને મરે છે, કાં તો તે નીચેનાં ઊંડાં કોતરામાં ઊડી પડે છે. એમ છ મહિના
વીત્યા. એક દિવસ પરમારોના મુકામમાં કુંવર હાલાજીએ વેલા નામના હજામને કાંઈક
આકરાં વેણ કહ્યાં હશે, તે ન સંખાવાથી વેલો ભાગીને સૂમરા બાદશાહની છાવણીમાં
આવ્યો. આવીને કહ્યું : “શું કામ મરો છો ? તમને એક દિવસમાં જિતાડું.”
બાદશાહ કહે : “ શાબાશ ! હું તને ગામગરાસ અપીશ ”
વેલાએ ઈલાજ બતાવ્યો. ડુંગરની પાછળના ભાગમાં એક બહુ
જ વંકી છૂપી જગ્યાએ પરમારોને પાણી પીવાને એક કૂવો હતો. એ એકના એક જળાશયમાં
વેલા હજામે સૂમરાએાને હાથે બે ગાયો કપાવી નખાવી.
સાંજે આવીને પરમારોના પખાલીએાએ કુવાને ભ્રષ્ટ
થયેલો જોયો. પરમારોએ પોતાનું મોત સામે ઊભેલું દીઠું અને જતોને જણાવી
દીધું : “ ભાઈ એા, સવારે ઊઠીને અમે તો ઝાડીમાંથી નીકળીને કેસરિયાં કરશું,
પણ તમે મુસલમાન કોમ છો, તમને એ પાણી પીવામાં વાંધો નથી, તમે સુખેથી જિવાય
ત્યાં લગી જીવજો. અમારા છેલ્લા રામરામ છે !”
હેબતખાને જવાબ વાળ્યો : “ શું એકલા પરમારો જ મરી
જાણે છે ? આજે જુઓ તો ખરા, જતના લોહીમાં પરમારના લોહી જેટલી જ ક્ષાત્રવટ
ભરી છે કે નહિ ?”
રાત પડી ત્યાં તો જતાણીએામાં કાળો કકળાટ થઈ
રહ્યો : “ અરેરે ! દૂધિયા દાંતવાળા પરમારોને આવતી કાલે તો જારનાં ડૂંડાંની
જેમ વાઢી નાખશે, અને હજી તો માની ગોદમાંથી ચાલી આવતી રંભા જેવી રજપૂતાણીએ
કાલે પ્રભાતે ચિતા ઉપર ચડશે. હાય રે પાપણ દીકરી, સૂમરી ! હાય ડાકણી ! તું
કેટલાને ભરખી લઈશ !”
સૂમરીએ એક ખૂણામાં બેઠાં બેઠાં આ મે'ણાં
સાંભળ્યાં. અધરાત ભાંગી અને સહુ જતાણીએાની આંખ મીચાઈ તે વખતે સૂમરી
કિલ્લાના ચોગાનમાં આવીને ઊભી રહી. આકાશમાં ટમટમ ઝબૂકતાં ચાંદરડાં સામે જોઈ
રહી. એના હૈયામાંથી નિસાસો નીકળી ગયો : “રે ખુદા ! મારો શેા ગુનો ? મને
આવડું બધું રૂપ કાં દીધું ?”
સવારને પહોરે સૂર્ય મહારાજે જ્યાં ઉદયાચળને માથે
કેાર કાઢી, ત્યાં તો કેસરિયા વાઘા સજીને પરમારો નીકળ્યા. જતો પણ સાથે જ
નીકળ્યા. સૂમરા સાથેના એ સંગ્રામમાં હેબતખાનનો એકનો એક જુવાન દીકરો કામ આવી
ગયો. રાંડેલ ભાભીએ સૂમરીને સંભળાવ્યું : “ ચુડેલ ! તારા સગા ભાઈનેય તેં આજ
ભરખ્યો ?”
સૂમરીને કાળજે જાણે છેલ્લું તીર ભેાંકવાનું હતું
તે ભેંકાઈ ગયું. રાતે સોપો પડી ગયો તે વખતે છાનીમાની બહાર નીકળી, એક
ગોવાળિયાના છોકરાને સાથે લઈ સૂમરી સાંઢય ઉપર ચડી, અને ખુદા બતાવે તે માર્ગે
પંથ કાપવા માંડ્યો. એ વાતની ખબર પડતાં જ એની પાછળ સૂમરાઓ ચડયા. બરાબર
બગબગું થયું તે ટાણે સૂમરી વણોદ ગામને પાદર પહોંચી પાછું વાળીને જુએ ત્યાં
તે સૂમરાના ઘેાડા આડા ફરી વળેલ જોયા !
“ હે અમ્મા, મારગ દેજે !” એટલું કહીને સૂમરીએ.
સાંઢય ઉપરથી પડતું મેલ્યું. ધરતી ફાટી, અને મા જેમ રાતા બાળકને પોતાને
થાનેલે વળગાડીને ઉપર પાલવ ઢાંકે, તેમ ધરતીએ પણ સૂમરીને અંદર લઈ પોતાનું પડ
ઢાંકી દીધું. સૂમરી જે ઠેકાણે સમાઈ ગઈ ત્યાં એની ચૂંદડીનો એક છેડો બહાર રહી
ગયો હતો. અત્યારે ત્યાં “ સૂમરી બીબીનું તળાવ” છે, ને કબર છે, એ કબરની
માનતા ચાલે છે.
અહીં માંડવના ડુંગર ઉપર તો જુવાનડાઓ હોળી ખેલતા
હોય તેમ લાહીની શેડો છૂટતી હતી. ઈસાજી નામનો એક જત દુશ્મનની કારમી ગોળી
ખાઈને કંડોળાની ટેકરી ઉપર પડયો હતો, અને એનાથી થોડે આઘે લખધીરનો કાકો
આસેાજી પણ ઘાયલ થઈને સૂતો હતો. બેયનાં અંગમાંથી ખળળ ખળળ લેાહીની રેલ ચાલતી
હતી. ઈસોજી પડ્યો પડ્યો પોતાના લેાહીના રેલા આડે માટીની પાળ બાંધતો હતો.
મોતની પીડામાં કષ્ટાતો આસોજી પૂછવા મંડ્યો : “ભાઈ ઈસા ! મરતી વખતે શું તને
ચાળો ઊપડ્યો ? માટી શીદ ફેંકી રહ્યો છે ?”
ઈસો જવાબ આપે છે : “ હે ભાઈ, આ ચાળેા નથી. આ મારું
– મુસલમાનનું – લેાહી છેલ્લી ઘડીએ તારા લોહીમાં ભેળાઈ ને તને ભ્રષ્ટ ન
કરે, ને તારું મોત ન બગાડે, માટે હું આડી પાળ બાંધું છું !”
“એ ઈસા ! મ બોલ, મ બોલ ! મેાત બગડતું નથી, સુધરે
છે. આજ છેલ્લી પથારીએ સૂતાં સૂતાં આભડછેટ ન હેાય. ન અટકાવ, ન અટકાવ. આપણાં
લેાહીને ભેળાવા દે.”
ઇસા સુણ, અસો કહે, મરતો પાળ મ બાંધ,
જત પરમારાં એક જો, રાંધ્યો ફરી મ રાંધ.
જત પરમારાં એક જો, રાંધ્યો ફરી મ રાંધ.
એ સાંભળીને ઈસાજીએ પોતાના લોહીને વહેવા દીધું.
બેયનાં લેાહી ભેળાં રેલ્યાં. ત્યારથી જત અને પરમાર પરસ્પર પરણે છે. એ
લોહીનાં આલિંગન અમર રહી ગયાં છે.
ત્યાં તો વણેાદથી વળી આવેલા સવારો એ ખબર આપ્યા કે
જેને માટે વેર મડાયું હતું તે તો ધરતીમાં સમાઈ ગઈ. પોતાની દીકરી જીવતી
દુશ્મનેાના હાથમાં ન ગઈ, અને મોત વહાલું ગણ્યું, તે જોઈને જતો પ્રસન્ન થયા.
પણ પરમારો ને તો એ સ્ત્રીની આત્મહત્યા સ્ત્રીહત્યા જેટલી જ વસમી લાગી.
પરમારો હતાશ થઈ ગયા. સૂમરાએ તો પરમારોની કતલ કરી નાખી હતી. તે ઉપરાંત એણે
હાલાજીને કેદ કરીને લખધીરજીને કહ્યું : “મારા લશ્કરને સિંધમાંથી આવવાનું
ખર્ચ નહિ આ૫ તો હાલાજીને ઉપાડી જઈ મુસલમાન કરીશ.”
લખધીરજીએ અમદાવાદના બાદશાહ મહમદ બેગડાની સહાય
માગી. બેગડાએ વચ્ચે પડી લશ્કરનું ખર્ચ લખધીરજી ચૂકવશે એવી બાંયધરી દીધી,
અને ખર્ચા પરમારે ન ભરે ત્યાં સુધી હાલાજીને પોતાના કબજામાં રાખવાનું
ઠરાવ્યું.
૨
હાલોજી પરમાર મહમદશાહની સાથે અમદાવાદ જઈ રહ્યો.
બાદશાહની ઉમેદ હતી કે હાલાજીને મુસલમાન બનાવવો; પણ જોરજુલમથી નહિ – એને
ઈસ્લામનું સાચું નૂર બતાવીને. તેથી બાદશાહે ચાર મરજાદી બ્રાહ્મણોને
બોલાવીને હાલાજીના રસોડા ઉપર મૂક્યા. હાલાજી જરાય ન દુભાય તેવી રીતે
બાદશાહે બંદોબસ્ત કરાવ્યો. બીજી તરફ એને ઈસ્લામ ધર્મનાં રહસ્યો સમજાવવા
મૌલવીઓ રાખ્યા. પણ હાલાજીનું મન પલળ્યું નહિ. સૂમરાની ખંડણી પૂરી થયે
હાલાજી પોતાના ભાઈની પાસે મૂળી ચાલ્યો ગયો.
પાંચમે જ દિવસે મારતે ઘોડે હાલેાજી પાછો અમદાવાદ
આવ્યો. ભરકચેરીમાં હાંફતી છાતીએ હાલેાજી આવીને બોલી ઉઠ્યો : “બાદશાહ
સલામત ! મને મુસલમાન બનાવો, જલદી મને મુસલમાન બનાવો.”
બાદશાહ તાજુબ બની ગયા. એમણે બધી હકીકત પૃછી. હાલાજીએ હકીકત કહી.
“હું મારે ઘેર ગયો, આપે અંહી મને કેવી રીતે પવિત્ર
રાખ્યા તેની વાત મેં મારાં ભાઈ-ભાભીને કહી સંભળાવી. ત્યાર પછી મને તરસ
લાગવાથી હું પાણિયારે જવા ઊઠ્યો, ત્યાં તો મારી ભાભી આડી ફરીને ઊભી રહી.
ભાભીએ કહ્યું : “તમે પાણીને ગોળે અડશો મા.”
“મેં કહ્યું : 'ભાભી, હાંસી કરો છો કે શું ?'
ભાભી બોલ્યાં : 'ના, હાંસી નથી, ખરું છે.' તેાય હું હાંસી સમજ્યો, ચૂલા
પાસે જવા ચાલ્યો, પણ ભાભીએ ક્રોધ કરીને કહ્યું : 'તમે તો મુસલમાનની ભેળા
રહી આવ્યા છે. હવે તમે ચોખા ન ગણાઓ.” જહાંપનાહ, જો હિન્દુ ધર્મ આવો સાંકડો
હોય તો મુસલમાન જ કાં ન થઈ જવું ? મને મુસલમાન જ બનાવો.”
હાલોજી મુસલમાન બન્યો; બાદશાહે લખધીરજીને મૂળીથી
અમદાવાદ બોલાવ્યા, અને હુકમ દીધો કે રાણપુરની ચોવીસી હાલાને આપો. બાદશાહે
પોતે બીજા ચાર ગામ પણ હાલાજીને મસાલમાં આપ્યાં; એ રીતે હાલાજીને રાણપુરની
ગાદી પર મોકલ્યા. સાથે મેાગલ, શેખ, સિપાઈ, લેાદી અને બલમલા રાઠોડ એમ ચાર
અમીરો આપ્યા; એક મસાલ આપી.
૩
એક દિવસ હાલોજી પરમાર રાણપુરથી જમાબંધી ભરવા માટે
ધંધુકા ગયા છે. તે જ દિવસે કાઠીઓએ ધંધુકાની ગાયો વાળી. ગામમાં વસ્તીનાં
કલ્પાંત સાંભળીને હાલાજીનું હૃદય હલમલી ઊઠયું. મનમાંથી અંતર્યામી દેવ
બેાલ્યા : “હાલાજી, તારી કાયા ભલે વટલી, પણ રુદિયે। તો
ગૌબ્રાહ્મણપ્રતિપાળનો રહ્યો છે ને ! આજ તું બેઠાં કાઠી ગાયે વાળી જશે? હે
અગ્નિપુત્ર ! બાપદાદાના બિરદસંભાર !”
એકલ પંડ હાલોજી ગાયોની વહારે ચડયા. ધંધુકાની
દક્ષિણે એક ગાઉ ઉપર કાઠીઓની સાથે ભેટો થયો. અને ધીંગાણામાં હાલોજી કામ
આવ્યા. આજ સરવરશા પીરની જગ્યામાં એમની પાંચેક હાથ લાંબી કબર મોજૂદ છે.
હાલાજીનાં રાણી પોતાના દીકરા હાંસુજીને તેડી
બાદશાહની પાસે ગયાં. રાણીની અરજથી, જે જગ્યાએ ગાયેાને કારણે હાલોજી કામ
આવ્યા તે આખી જગ્યા બાદશાહે ગૌચરમાં આપી દીધી.*
હાલાજીના માથામાં બાદશાહે હાંસુજીને ભૂતિયા,
ભહરિયા, દાંતિયા ને જાંબુડિયા નામનાં ચાર ગામડાં પણ આપેલાં. તે ગામ આજે
ઉજજડ થઈ ધંધુકાની સીમમાં ભળી ગયાં છે. હજુયે એના ઢોરા એંધાણીઓ તરીકે મોજૂદ
છે, અને એ ગામો ઉપરથી મારગેાનાં નામ પણ પડેલાં છે.
- * અજે અંગ્રેજ સરકારે એ જગ્યાની સરકારી વીડી બનાવી નાખી છે.
૫
સિંહનું દાન
મૂ
ળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી થઈ ગયા. એક વખત
હળવદના રાજરાણા કેસરજી, ધ્રોળના રાજા અને ચાંચોજી એકસાથે ગોમતીજીમાં નાહવા
ગયા હતા. ગેામતીજીમાં સ્નાન કરતી વખતે ધ્રાંગધ્રાના તથા ધ્રોળના દરબારે
કાંઈક વ્રતો લીધાં, પણ ચાંચેાજીએ તો એવું વ્રત લીધું કે 'મારી પાસે જે કાંઈ
હશે તે હું મારા જાચનારને આપીશ.'
ત્રણે જાત્રાળુઓ ઘરે આવ્યા. બે મોટા દરબારોનાં વ્રત થોડે વખતે છૂટી ગયાં, પણ ચાંચોજીની પ્રતિજ્ઞા તો જીવસટોસટની હતી.
હળવદ દરબારે પોતાના દસોંદી ચારણને ઉશ્કેર્યા. વચન આપ્યું કે પરમારનું નીમ છોડાવ તો તું જે માગે તે તને આપું.
ચારણ કહે: “પરમારનો પુત્ર હું માથું માગીશ તો માથુંયે વધેરી દેશે.”
દરબાર કહે : “એવું કંઈક માગ કે પરમારને ના પાડવી પડે.”
ચારણ મૂળી આવ્યો. ભરકચેરીમાં દેવીપુત્ર અને અગ્નિપુત્ર ભેટીને મળ્યા. ચાંચોજી કહે: “કવિરાજ, આશા કરેા."
“બાપ ! તમથી નહિ બને.”
“શા માટે નહિ ? માંડવરાજ જેવા મારે માથે ધણી છે. આ
રાજપાટ ઉપર તો એની ધજા ફરકે છે, મારી નહિ. કોઈ દિવસ આ રાજપાટના ગુમાન
કર્યા નથી; માંડવરો ધણી એની લાજ રાખવા જરૂર આવશે.”
“અન્નદાતા, મારે તારી રિદ્ધિસિદ્ધિની એક પાઈયે નથી જોતી. તારા લાખપશાવ પણ ન ખપે. તારા માથાનો પણ હું ભૂખ્યો નથી.”
“જે માગવું હોય તે માગો.”
ચારણે ગોઠણભર થઈને દુહો કહ્યો કે :
અશ આપે કે અધપતિ, દે ગજ કે દાતાર,
સાવઝ દે મું સાવભલ, રે પારકરા પરમાર !
કોઈ રાજા ઘોડાનાં દાન કરે, તો કોઈ હાથી આપે, પણ હે સહુથી ભલા રાજા, તું મને જીવતો સાવજ આપ.
“સાવજ!” સભાનો અવાજ ફાટી ગયો.
“હા, હા, જીવતો સાવજ !” ચારણે લલકાર કર્યો :
જમીં દાન કે દે જબર, લીલવળું લીલાર,
સાવઝ દે મુ સાવભલ, પારકરા પરમાર !
કોઈ જબરા રાજાએ જમીનનાં દાન આપે, કેાઈ પોતાનાં લાલાં માથાં ઉતારી આપે, પણ હે પરમાર, તારી પાસે તો હું સાવજ માગું છું.
હાહાકાર કરીને આખી કચેરી તાડૂકી ઊઠી : “ગઢવા, આવું માગીને પરમારની આબરૂ પાડવામાં વડાઈ માને છે કે ?”
ચારણે તો બિરદાવળ ચાલુ જ રાખી :
ક્રોડપસાં દે કવ્યંદને, લાખપસાં લખવાર,
સાવઝ દે મું સાવભલ, પારકરા પરમાર !
- કોઈ
- સહુથી ભલો
તું બીજા કવિઓને ભલે ક્રોડપસાવ અને લખપસાવનાં દાન દેજે, પણ મને તે, હે પારકર પરમાર, સાવજ જ ખપે.
“ગોઝારો ગઢવો !” સભામાં સ્વર ઊઠયો. ગઢવીએ ચેાથો દુહો ગાયો:
દોઢા રંગ તુંને દઉં, સોઢા, બુદ્ધિ સાર,
મેાઢે ઊજળે દે મને, પારકરા પરમાર !
હે સારી બુદ્ધિવાળા સોઢા પરમાર, હસતું મોં રાખીને
મને સાવજ દેજે, એટલે હું રાજાઓની કચેરીમાં તારાં દોઢાં વખાણ કરતો કરતો જ
કસુંબો લઈશ.
ચાંચોજીના મુખની એકેય રેખા બદલી નહિ. મોં મલકાવીને એણે કહ્યું : “ કવિરાજ, આવતી કાલે પ્રભાતે તમને સાવજનાં દાન દેશું.”
*
મધરાતે માંડવરાજના થાનકમાં જઈને ચાંચોજીએ અરજ ગુજારી : “એ સૂરજદેવ ! જીવતો સાવજ શી રીતે દઉં ? તારી ધજા લાજે નહિ એવું કરજે, દેવ !”
દેવળના ઘુમ્મટમાંથી ધણધણાટી દેતો અવાજ આવ્યો : “હે
ક્ષત્રી ! એમાં મારી પાસે શું આવ્યો ? મારા ડુંગરમાં આટલા આટલા સાવજ ડણક
દઈ રહ્યા છે; તું ક્ષત્રી છે. તે એમાંથી એકાદને ઝાલી લે !”
બીજો દિવસ થયો. પ્રભાતે આખી કચેરીને લઈને ચાંચોજી ચોટીલાના ડુંગરમાં ગયા. ચારણને કહ્યું : “ ચાલો, કવિરાજ, સાવજ આપું.”
પરમારના ચારણોએ બિરદાવળ ઉપાડી :
પાંચાળી ચીર પૂરિયાં, વીઠલ, તેં વણપાર,
શરમ રાખ્યા ચાંચાતણી, જગદીશણ ગજતાર !
ત્યાં તો ત્રાડ દેતો એક સિંહ નીકળ્યો, દોટ
કાઢીને ચાંચોજીએ એના કાન ઝાલ્યા. બકરી જેવો બનીને સિંહ ઊભો રહ્યો. પરમારે
બૂમ પાડી : “લ્યો કવિરાજ, આ સાવજનાં દાન.”
ચારણ પાછે પગે ભાગવા લાગ્યો ત્યારે ચાંચોજીએ સાદ
કર્યો : “ગઢવા ! નવ લાખ લોબડિયાળીઓ લાજે છે. અરે ! તું કેાઈકનો શીખવ્યો
મારી લાજ લેવા આવ્યો, ને હવે ભાગ્યો ?”
સાવઝ ભાળી સામહો, ભડક્યા, કેમહી ભાગ,
પાંથું, પાછા પાગ, ભરવા ન ઘટે ભડ જને !
સિંહને સામો ઊભેલો જોઈને ભડકીને કેમ ભાગો છો ? એા ચારણ ! મર્દને પાછાં પગલાં માંડવાં ન શોભે.
દાન માગતી વખતે ગઢવી એ વાત ભૂલી ગયેલો કે દેવા
કરતાં લેવું ભારે પડશે. અને એક વાર માગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો
ઉપાય નહોતો, ચારણનો વંશ લાજે. શું કરવું ? ચારણે ચતુરાઈ કરીને આઘે ઊભાં
ઊભાં કહ્યું કે :
ચાંચે સિંહ સમપ્પિયો કેસર ઝાલિયો કાન,
(હવે) રમતો મેલ્યે રાણા, પોત્યો પરમાર ધણી !
ઓ બાપ ચાંચા, તેં કેસરી સિંહનો કાન ઝાલીને મને
સમર્પણ કર્યો, એ હું કબૂલી લઉં છું. મને દાન પહોંચી ગયું. હવે તું તારે એને
રમતો મૂકી દે, હે રાણા !
સાવજને માથે હાથ ફેરવીને રાજા બોલ્યો : “ જાઓ,
વનરાજ ! મારી લાજ આજે તમે રાખી છે.” સાવજ ચાલ્યો ગયો. લેાકેા કહે છે કે એ
માંડવરાજ પોતે જ હતા.
- સાચો ચારણ
- સાચો ચારણ
૬
વર્ણવો પરમાર
સૌ
રાષ્ટ્રને ઓતરાદે કિનારે ટીકર નામનું, છસો વરસનું
જૂનું ગામ છે. એ ગામનીયે ઉત્તરે મરડક નામની એક ધાર, બરાબર બેઠેલા ઊંટનો
આકાર ધરીને પડેલી છે. એ ધારથી ત્રણ ગાઉ આઘે, ઉત્તરમાં, ઝાળ નામનાં પાંચ
ઝાડનાં ઝુંડની વચ્ચે એક મીઠા પાણીને વીરડો છે, એક પુરુષનો પાળિયો છે, ને એક
સતીના પંજાની ખાંભી છે. આસપાસ ધગધગતી રેતીનું રણ પડયું છે.'ચૌદ ચૌદ ગાઉ
સુધી મીઠા પાણીનું એકેય ટીપું નથી મળતું કે નથી કોઈ વિસામો લેવાની છાંયડી,
દિવસને વખતે કોઈ મુસાફર એ રણમાં ચાલતો નથી. ચાલે, તો ચોકીવાળાઓ એની પાસે
પૂરું પાણી છે કે નહિ તેની ખાતરી કર્યા પછી જ જવા આપે છે, રાતે ચાલેલા
વટેમાર્ગુ સવારને પહોરે રણને સામે કાંઠે એક ધર્મશાળાએ પહોંચીને વિસામો લે
છે. એને 'વર્ણવા પીરની જગ્યા' કહે છે.
આ વર્ણવો પરમાર કોણ હતો ? પચીસ વર્ષનો એક ક્ષત્રી
જુવાન : હજુ તો દસૈયા નહાતે હતેા. અંગ ઉપરથી અતલસના પોશાક હજુ ઊતર્યા
નહોતા. હાથમાં હજુ મીંઢળ હીંચકતું હતું. પ્રેમીની આંખના પાંચ પલકારા જેવી
પાંચ જ રાત હજુ તો માણી હતી. આખો દિવસ એને ઘેરીને ક્ષત્રી-ડાયરો એના સંયમની
ચોકી કરતા, અને ત્યાર પછી તો એ કંકુની ટશર જેવા રાતા ઢોલિયામાં, સવા મણ
રૂની એ તળાઈમાં, સમુદ્રફીણ સરખા એ ધોળા એાછાડમાં ગોરી રજપૂતાણીની છાતી ઉપર
પડયાં પડયાં રાત્રિના ત્રણ પહોર તો કોણ જાણે કેટલા વેગથી વીતી જતા;
રાત્રિથી જાણે એ ક્ષત્રીબેલડીનાં સુખ નહોતાં સહેવાતાં, નહોતાં જોવાતાં.
આજ છઠ્ઠા દિવસનું સવાર હતું. રાત અડા કેટલા પળ
રહ્યા છે તે ગણ્યા કરતી રજપૂતાણી એની મેડી ઉપરથી કમાડની તરડ સાંસરવી, ડેલીએ
બેઠેલા બંદીવાન સ્વામીને જોયા કરતી, પણ વર્ણવાનું માથું તેા એ બીડેલી બારી
સામે શી રીતે ઊંચુ થઈ શકે ? ઉઘાડી સમશેરો સરખી કેટલીયે અંખો એના ઉપર પહેરો
ભરતી હતી. એ તે હતાં ક્ષત્રીનાં પરણેતર!
ત્યાં તો ગામમાં ચીસ પડી. ઘરેઘર વાછરુ રોવા લાગ્યાં. બૂંગિયો ઢોલ ગાજ્યો; અને ચારણે ચોરે આવીને હાકલ મારી કે :
ક્ષત્રી લાગે ખોટ, ગઢથી જાતાં ગાવડી,
દેખી વર્ણવા દોડ, મત લજાવ્યે માવડી !
દેખી વર્ણવા દોડ, મત લજાવ્યે માવડી !
ગામનું ધણ ભેળીને મિયાણા ભાગતા હતા. ભાલો લઈને
વર્ણવો ચોરેથી જ ઘોડે પલાણ્યો, મિયાણાની ગોળીએાનો મે'વરસતો હતો. તેમાં થઈને
વર્ણવો પહોંચ્યો. બીજા રજપૂતોને પાછળ મેલીને દોડ્યા આવતા આ મીંઢળબંધા
વરરાજાને જોતાં તો મિયાણાને પણ થયું કે 'વાહ રજપૂત !' એ અસુરોને પણ પોતાની
સ્ત્રીઓની મીઠી સોડ સાંભરી આવી. જુદ્ધ કર્યા વિના જ આખું ધણ વર્ણવાને પાછું
સોંપ્યું ન કહ્યું : “જા બાપ, તારી પરણેતર વાટ જોતી હશે.”
સહુને પોતપોતાનાં પશુ પહોંચી ગયાં. પણ સુતારની
બાયડી પોતાના રાતાં છોકરાંને કેડે વળગાડીને કકળતી અવી : “એ બાપુ વર્ણવા !
બધાંયનાં ઢોર લાવ્યો, ને એક મારી બોડી ગા જ રહી ગઈ? મીરાં ગભરુડી જ શું
છાશું વિના ટળવળશે ?”
વર્ણવો ફરી વાર ચડ્યો. “બહેન, તારી બોડી વિના પાછો
નહિ આવું.” કહેતો ઊપડ્યો. પણ બેાડી ક્યાંથી મળે ? મિયાણાએાએ ખાવાને માટે
કાપી નાખી હતી. ગૌમાતાનું રુધિર ભાળીને વર્ણવો મરણિયો બન્યો. આખા રણમાં
રમખાણ જાગ્યું. કંઠ સામા કાંઠા સુધી શત્રુઓને તગડ્યા પછી ત્યાં વર્ણવાનું
મસ્તક પડયું; ત્યાર પછી ધડ લડ્યું. મિયાણા નાસી છૂટયા. ધડ પાછું વળ્યું.
હાથમાં તલવાર ને માથે ઊછળતી રુધિરની ધાર; મરડકની ધારથી ત્રણ ગાઉ ઉપર ધડ
પડયું.
રણમાં ગયેલો પતિ જો જીવતો હોય તો એની તરસ ટાળવા ને
મર્યો હોય તે મોંમાં જળ મેલવા, પેલી મેડીએ બેસીને વાટ જોતી રજપૂતાણી પણ
મંગળ ચૂંદડીએ, માથે ગંગાજળને ઘડે મૂકીને રણમાં આવી. સ્વામીનું શબ જોયું, પણ
માથું ન મળે.
એણે ત્યાં ને ત્યાં ઘડો પછાડયો. ધડની સાથે જ બળી મરી.
]
હાંકી ધેન હજાર, સુણી આજુદ્ધ સજાયો,
કર ગ્રહિપો કબ્બાન, અહુચળ ખાગ ઉઠાયો.
વરણવ સરવર ઝાળ, રણ મહીં જુદ્ધ રચાયો.
પણ પડતે પરમાર, પાટ ઇંદ્રાપર પાયે.
જળપાત્ર લે જમના તણું, મૂકી પાણ હંદા મથે.
કર ગ્રહિપો કબ્બાન, અહુચળ ખાગ ઉઠાયો.
વરણવ સરવર ઝાળ, રણ મહીં જુદ્ધ રચાયો.
પણ પડતે પરમાર, પાટ ઇંદ્રાપર પાયે.
જળપાત્ર લે જમના તણું, મૂકી પાણ હંદા મથે.
એ દિન નીર અમૃત ભર્યું, હિંદવાણી નાર પોતે હથે.
જે ઠેકાણે સતીએ ઘડો પછાડ્યો તે ઠેકાણે શિલાની અંદર
આજે અખૂટ મીઠા જળનો વીરડો બની ગયો છે. લાખેા તરસ્યા જીવો એ એનાં જળ
પીધેલાં હશે, અને કરોડો હજુ પીશે. આસપાસ ત્રણ દિશે ચૌદ ગાઉમાં બીજે ક્યાંય
પાણી નથી, ગામ પણ નથી.
૨
વસિયો, વણમાં વર્ણવો, દીનો મરતાં દેન,
પાણ થઈ પરમારનું , ધાવે મસ્તક ધેન.
વર્ણવો તો રણમાં મર્યો, એના શરીરને બાળી નાખવામાં આવ્યું, પણ એનું માથું તો પથ્થરનું બનીને ગાયનું દૂધ ધાવતું હતું.
રણને સામે કાંઠે, આડેસર ગામની અને ધ્રાંગધ્રાની
વચ્ચે વર્ણવાનું માથું પડયું હતું, પણ એ કયાં પડયું તે કોણ જાણે ? આડેસરની
એક ગાય રોજ સાંજે જ્યારે ઘેર જાય ત્યારે એના આંચળમાં દૂધ ન મળે ! ગાયનો ધણી
ગોવાળને રાજ ઠપકો આપે કે : “ કોઈક મારી ગાયને દોહી લે છે.”
એક દિવસ સાંજ પડી. આખું ધણ ગામ ભણી ચાલવા માંડયું.
રસ્તામાં એક ઠેકાણે આખા ધણમાંથી એ જ ગાય નોખી તરી ગઈ ને બીજી દિશામાં
ચાલતી થઈ. ભરવાડને કૌતુક થયું. ધણને રેઢું મૂકીને એ ગાયની પાછળ ચા૯યો. આઘે
એક ઝાડની નીચે ગાય થંભી ગઈ, ચારે પગ પટાળા કરીને ઊભી રહી. એનાં ચારે
અંચળમાંથી ખળળ ખળળ દૂધની ધાર ચાલી, અને જમીનમાં પાંદડાંના ગંજ નીચેથી
ઘટાક ! ઘટાક ! ઘટાક કરતું કોઈ એ દૂધ પીતું હોય એવો અવાજ આવ્યો. આખું આઉ
ખાલી કરીને ગાય ગામ તરફ ચાલી ગઈ. ભરવાડ પાંદડાં ઉખેળીને જુએ
ત્યાં તો પથ્થરનું એક રૂપાળું મસ્તક દીઠું. એ મસ્તકનું
દૂધેભર્યું મોં દીઠું !
તે દિવસથી એ મસ્તકને ઠેકાણે વર્ણવાપીરની જગ્યા બંધાયેલી છે.
આજ કોઈ વાર કોઈ ગાફિલ પ્રવાસી એ રણમાં ભૂલા પડે
છે. પાણી વિના એને ગળે શોષ પડે છે, જીવવાની આશા છોડીને વર્ણવાનું નામ સ્મરે
છે, ત્યારે કોણ જાણે ક્યાંથી કોઈ તેજસ્વી ઘોડેસવાર, એક હાથમાં ભાલું ને
બીજા હાથમાં મીઠા પાણીની મશક લઈને મારતે ઘોડે હાજર થાય છે, અને બેશુદ્ધ બની
ગયેલા મુસાફરને મોંએ પાણી સીંચે છે, એવી વાતો ઘણાને મોઢેથી સંભળાય છે.
- * ક્ષત્રિયોમાં એવી રીત છે કે પરણ્યા પછી દસ દિવસ સુધી રોજ સવારે નહાય , ને પાછો એ-નો એ પોશાક પહેરી લે.
- *આ છપય એક ઢાઢીનો રચેલા છે , કારણ કે ચારણો સ્ત્રીનું કાવ્ય કરતા નથી .
- ૧. શસ્ત્રો
- ૨. ખડગ.
- ૩. પાણીમાં બળતી જ્વાળા: વડવાન ; સમુદ્રમાં જે વડવાનલ બળે છે તેની આગ અત્યંત આકરી હોય છે. વર્ણવાની ક્ષત્રીવટાને અહીં એ ઉપમા અપી છે.
- ૪. પથ્થર.
- *દહન
૭
આલમભાઈ પરમાર
રા
ણપુરને ટીંબે આશરે બસો વરસ પૂર્વે સાહેબજી નામે
હાલાજીનાં વંશજ હતા. સાહેબજી ખુદાના બંદા હતા. આ દુનિયાની મારામારીને એમને
મોહ નહોતો. તેથી જ એમના પિતરાઈ રહીમજી, સાહેબજીના ઊભા મોલમાં પોતાના ઘેાડા
ચરાવી દેવા લાગ્યા અને ધીરે ધીરે તે એમણે સાહેબજીન ગામડાં પણ દબાવવાનું શરૂ
કર્યું. સાહેબજી પરમાર કંટાળીને પાંચાળમાં દતા ભગતની મેલડી નામે ગામમાં
પોતાના દોસ્તો કાઠી દરબારોને ઘેર જઈ રહ્યા.
એક દિવસ એ ભલા સાહેબજીને વાવડ મળ્યા કે દરબાર
રહીમજી ગામને પાદર થઈને નીકળવાના છે. એમના દિલમાં થયું કે 'મારો ભાઈ નીકળે
છે !' દૂધના કેસરિયા કઢા લઈને, સાકર અને બદામ લઈને, રહીમજીની બરદાસ્ત કરવા
પાદર જઈ ઊભા.
રાતી આંખવાળા રહીમજી ઘેાડા ઉપર બેસી પોતાના
ઘોડેસવારોની સાથે નીકળ્યા. સાહેબજી અને આખો કાઠી ડાયરો આડો ફર્યો, ને ભાઈના
ઘોડાની લગામ ઝાલી સાહબજી વીનવવા લાગ્યા : "ભાઈ ! ઊતરો, સાથે બેસીને રોટલા
ખાઈએ."
“એલા, તું હજી મરી નથી ગયો ?” એમ બોલીને રહીમજીએ
પાતાના હાથમાં ભરેલી બંદૂક હતી તે સાહેબજીની છાતીમાં ચાંપી દીધી. વીંધાઈને
સાહેબજી ભોંય પર પડ્યા. એ પળ પહેલાંની પ્રીતિભરી આજીજી એમના ભક્તિમય,
ભોળા મેાં ઉપર એમ ને એમ છવાયેલી રહી ગઈ. લાગણી બદલવાનો વખત જ ક્યાં હતો ?
“દગો ! દગો ! દગો ” કરતા કાઠીઓ એ ખૂની ઉપર હાથ
ઉગામવા તૈયાર થયા, ત્યાં તે હસતે મુખે મરતા સાહેબજીએ તરફડતી જીભે
સમજાવ્યું : “ના, મારી છેલ્લી ઘડી બગાડશો મા.”
મારતે ઘોડે રહીમજી રાણપુર પહોંચી ગયા.
સાહેબજીના મુડદાને દફનાવવા માટે એનાં ઠકરાણી ગાડાં
જોડાવીને રાતોરાત રાણપુર આવ્યાં. પણ રહીમજી કહે કે એની કબર અમારા રાજવંશી
કબ્રસ્તાનમાં ન હોય. આખરે એમને નેાખી જગાએ દફનાવવામાં આવ્યા. રહીમજીના
ઝેરની સાક્ષી પૂરતી એ આરામગાહ હજુ પણ જુદી પડેલી મોજૂદ છે.
સાહેબજીના કુલ ગરાસ પર રહીમજીની આણ વર્તી ગઈ.
સાહેબજીના એકના એક બેટા આલમભાઈ નો જીવ જેખમમાં છે એવો વહેમ એની નિરાધાર
વિધવા માતાને પડ્યો. આલમભાઈને કયાંય બહાર કાઢવામાં આવતો નથી.
મએ પુત્રને પૂછ્યું : "બેટા, આપણી બહેન માણેકબાઈ ને ઘેર વીરમગામ જઈશ ?”
બહેનને ઘેર જવાની હોંશમાં ને હોંશમાં આલમભાઈ ભૂલી
ગયા કે પોતાની ઉમ્મર હજુ અગિયાર જ વરસની છે. એ બોલ્યો : “માડી, ખુશીથી.
ઘોડો આપો, હું જઈશ.”
અગિયાર વરસના એકના એક દીકરાને અંધારી રાતે માએ
મીઠડાં લઈને પરગામ વળાવ્યા. સાથે માણસ મોકલે તો શત્રુ એાળખી જાય, એટલે
આલમભાઈ રાતદિવસ એકલો જ પંથ કાપવા લાગ્યો. અને બહેનને ગામ પહોંચે, ત્યાં તો
રાજબાળની એકેય એંધાણી એના દીદાર ઉપર ન રહી.
બનેવી સાલેભાઈ વીરમગામના અમીર હતા. ડેલીએ આરબોની
એવી ચેાકી હતી કે અંદર પંખી પણ પેસી ન શકે. ચીંથરેહાલ આલમભાઈ ડેલીના ઓટા
ઉપર બેઠા. જે અંદર જાય તેની સાથે કહેવરાવે : “બહેનને મળવા હું એનો ભાઈ
રાણપુરથી આવ્યો છું.” સાંભળીને લેાંડાં હસતાં જાય.
પણ બહેનની સાથે રાણપુરથી બે વડારણ ગઈ હતી. એણે
આલમભાઈને એાળખ્યો. સોનાની હીંડોળાખાટે હીંચકતી બહેનોએ ખબર આપ્યા : "બા, ભાઈ
આવ્યા છે. પણ બહુ બૂરે હાલે બેથા છે."
બીજા ગેલાં હસીને બોલી ઊઠયાં : “ઓલ્યો રાંકો ડેલીએ બેઠો છે એ બેગમસાહેબનો ભાઈ?”
બહેનને લાગ્યું કે મારા ભાઈ એ મારી હાંસી કરાવી.
ભાઈને મળવાની એણે ના કહી. ખાવા માટે શકેારામાં કઢી અને જુવારને રેાટલો
મોકલ્યાં. આલમભાઈએ અંખનાં પાણી લુછીને રોટલાને પગે લાગી કહ્યું : “
અન્નદેવ ! બાપુએ મને શીખવ્યું હતું કે તમને ન તરછોડાય.” બટકું રોટલે ખાધો,
બાકીનો ત્યાં જ દાટયો, અને ઘેાડે ચડી પાછો ચાલી નીકળ્યો.
પાછળથી બનેવી ગામતરેથી આવ્યા. એણે પોતાના સાળાને
જાકારો મળ્યાની વાત સાંભળી. રાણીને ધિક્કાર દીધો. આલમભાઈની પાછળ સવારો
દોડાવ્યા, પણ આલમભાઈ પાછો ફર્યો નહિ.
રાણપુર પહોંચીને માના હૈયા ઉપર માથું રાખીને દીકરો ખૂબ રોયો
૨
“અમ્મા, આમ બીતાં બીતાં ઘરને ખૂણે કયાં સુધી સંતાઈ રહું? આજે તો ચારે જવા દે, ખુદા જે કરે તે ખરું , મારી નાખશે તો છુટકારો થશે.”
એ રીતે પોતાની માને મનાવીને આલમભાઈ અંબલિયાળ ચોરે
ડાયરામાં આવ્યા. એ ચેારાને બે પરસાળ છે. એક પરસાળમાં રહીમભાઈનો ડાયરો બસતો,
અને બીજામાં અભુભાઈ કુરેશીનો. બુઢ્ઢા અભુભાઈનું કુટુંબ પેઢી-દર-પેઢીથી
આલમભાઈના કુળમાં દોઢ સો દોઢ સો ઘોડેસવાર રાખીને ચાકરી કરતું. આજ રાણપુર
તાલુકા રહીમભાઈના હાથમાં ગયા છે, પણ અમુભાઈ એ રહીમ ભાઈની તાબેદારી સ્વીકારી
નથી. પાણીડાં પાડે છે : “ શું કરું ? મારી પાસે માણસો નથી. બુઢાપાએ મારું
બધું કૌવત હરી લીધું છે, નહિ તો મારા બાળ ધણી કાંઈ આમ રઝળે ?”
“ આવ બાપ આલાભાઈ ! આવ, મારા ધણી !” એમ કહીને
બુઢ્ઢા અભુભાઈએ આલમભાઈને ખોળામાં બેસાડી લીધો; અને માથે ને મોઢે પોતાને
ધૂજતે હાથ ફેરવ્યો.
સામી પરસાળેથી રહીમભાઈ બેાલ્યા : “ત્યારે તેા તમારા ધણીને રાણપુરની ગાદીએ જ બેસાડો ને, મિયાં !”
“તમારા મોંમાં સાકર, રહીમભાઈ ! એલા કેાઈ છે ? જાઓ, એારડેથી એક ચાકળો લઈ આવો.”
ચાકળો આવ્યો. આલમનું કાંડું ઝાલીને અભુભાઈએ એને ચાકળે બેસાડ્યા, પોતાની તલવાર એના સામે ધરીને તાજમ કરી : “ બાપુ, સલામ.”
રહીમભાઈએ પણ સામી પરસાળે મશ્કરીમાં ઉઠીને કહ્યું : “ બાપુ ! સ... ૯લા ... મ !”
અભુભાઈ બોલ્યા : “બાપુ, રહીમભાઈની સલામ લ્યો.”
આલમભાઈએ સલામ લીધી. તે દિવસે અભુભાઈને ઘેર લાપસીના રંગાડા ચડયા. આખા ગામને
અભુભાઈએ જમાડયું. આલમભાઈ અભુભાઈના રમકડા જેવા રાજા થયા !
તે વખતે સૌરાષ્ટ્ર ઉપર દામાજીરાવ ગાયકવાડની આણ
ફરતી. દર વરસે દામાજીરાવ જમાબંધી ઉઘરાવવા આંહીં આવતા. તેમને ધોળકાથી લઈ
હરીણા નીનામા ગામ સુધી પહોંચાડવાની ફરજ રાણપુર દરબાર ઉપર હતી.
અભુભાઈ કુરેશી પોતાના બાળારાજાને સાથે લઈને ધોળકે ગયા. જઈને દામાજીના
ખોળામાં આલમભાઈને બેસાડીને બધી કથની કહી દામાજી રાણપુર આવ્યા. એમની આજ્ઞાથી
મરાઠાએ રહીમભાઈને પગે રસ્સી બાંધી ગામમાંથી ઢસડી કિલ્લામાં લાવ્યા.
દામાજીએ પીઠ ફેરવી હુકમ દીધો : “ મારે એનું મોં નથી જોવું. એને કાંધ મારો.”
“ન બને, એ ન બને.” કરતો જુવાન આલમભાઈ આડો પડયો.
દામાજીએ કહ્યું : “બચ્ચા, એણે તો તારા બાપને કાપી નાખ્યો છે. એના ઉપર દયા હોય ?”
“મહારાજ, મરેલો બાપ હવે જીવતો નહીં થાય, પણ મારા કાકાના મોતથી તે અમારી સો પેઢી લગી વેર જીવતું થશે. ગમે તેવો તોયે એ મારો કાકો છે.”
રહીમભાઈને કેદી બનાવી લઈ જવામાં આવ્યા. આલમમાઈની
ચોવીસી પાછી આલમભાઈને ઘેર આવી. મહારાજે આલમભાઈના રક્ષણ બદલ રાણપુર થાણું
મૂકયું. એના ખર્ચા બઢલ આલમભાઈએ ગાયકવાડ સરકારને રાણપુર અપ્યું.
અંહીં આલમભાઈને દિવસ ચડયો, ને વીરમગામમાં બહેનનો
દિવસ આથમ્યો. સોનાની હીંડોળાખાટના મીઠા મીઠા કિચૂડાટ બંધ પડયા. લાજીને
બહેનબનેવીએ રાણપુર આશરો લીધો. પોતાને મળેલા જાકારાનું એક પણ વેણ સંભાર્યા
વિના આલમમાઈ એ બહેનને ગઢિયું નામનું ગામ આપ્યું, જે હજુ એના વંશજે ખાય છે.
૩
છૂટા થયેલ રહીમભાઈ કિલ્લો લેવાની તજવીજ કરતો હતો.
એના હાથમાં વઢવાણના ઝાલા રાજા સબળસિંહ આવી પડ્યો. સબળસિંહને અણે સમજાવ્યું
કે તને હું એક પહોરમાં રાણપુર જિતાડું. સબળસિંહની સવારી ચડી. સીમાડે બુંબાડ
પડયા.
આલમભાઈ કિલ્લો છેડી ગામમાં આવ્યા. વસ્તીને
કહ્યું : “પોતપોતાની પ્યારી વસ્તુ હોય તે લઈને કિલ્લામાં પેસી જાએા.” વસ્તી
કિલ્લામાં પેસવા લાગી. આલમભાઈ ગામના ચોકમાં અભય બનીને ઊભા રહ્યા.
સબળસિંહની સેનાનો ડમ્મર ચડયો તેય આલમભાઈ ન ખસ્યા, ઘોડાના ડાબલા ગાજ્યા તેાય
આલમભાઈ કોઈ એાલિયા જેવી શાંતિથી ઊભા જ રહ્યા. એ કોની વાટ જોતા હતા ? એક
ડેાશીની ! ડેાશી પોતાના ઘરમાં કોઈ કુલડીમાં પૈસા મૂકેલા તે ગોતતી હતી, ને
કહેતી હતી : “ એ બાપુ, જરા ઊભા રહેજો ! જરા ખમજો !” આખરે સેના ગામમાં આવી
પહોંચી ત્યારે જ ડેાશી ગામમાંથી ખસી.
આલમભાઈને અને સેનાને ભેટંભેટા થઈ. સૈન્યને મોખરે
અગરસિંગ નામને સરદાર ચાલતો હતો, તેને જોઈને આલમભાઈ એ પોતાના મછા નામના
યોદ્ધાને કહ્યું : “ હે મછા ! તારી બરછી ફરી કયારે કામ આવશે ? માર
અમરસિંગને.” પોતાના ધણીની છેલ્લી આજ્ઞા પાળીને મછે રાણપુરની બજારમાં જ
મોતની રાતીચોળ પથારીમાં સૂતો. આલમભાઈ અને એના સાથીએાએ કિલ્લાનું શરણુ
લીધું. ધબોધબ દરવાજા બંધ થયા.
સબળસિંહે રાણપુર ગામમાં જ માટીને કિલ્લેા કરી
મોરચા બાંધ્યાં. આલમનાઈના કિલ્લાને તેડવાનું એનું ગજું નહોતું. એક દિવસ
આલમભાઈ નાઠાબારીએ થઈને ધોળકા પહોંચ્યા. દામાજી ગાયકવાડને વાત સંભળાવી.
દામાજીનું સૈન્ય ચડયું એ સાંભળીને સબળસિંહ રાણપુરથી બે ગાઉ દૂર પોતાના
નાગનેશ ગામના કિલ્લામાં જઈને ભરાયો. દામાજીરાવે નાગનેશને ઘેરો ઘાલ્યો અને
ગઢ તોડવા માટે અમદાવાદથી મહાકાળી ને મહાલક્ષમી નામની બે તોપો મંગાવી.
બળદનાં સો સો તરેલાં જોડાય ત્યારે જ તાણી શકાય એવી એ બે તાપે નાગનેશની
નદીમાં આવીને અટકી ગઈ. પછી દામાજીરાવે બન્નેની પૂજા કરી. સિંદૂર અને ફૂલ
ચડાવ્યાં. તેાપો સડેડાટ સામે કાંઠે ચડી.
તોપો વછોડવાનું મુરત જોવરાવ્યું. બરાબર પો ફાટવાનો
સમય મુરતમાં નક્કી થયેા. દામાજીરાવે હુકમ કર્યો : “ધોળી ધજા લઈને ગામના ગઢ
ઉપર ચડી ખબર આપો કે સવારે તોપ ચાલશે. ખબર આપો કે ગર્ભવતી સ્ત્રીઓના ગર્ભ ન
વછૂટી જાય માટે કાનમાં સૂંઠનાં પૂમડાં કરીને ઘાલે. ખબર આપો બાળકોને,
બુઢ્ઢાંઓને કે થડકે નહિ.”
બીજી બાજુ સબળસિંહને એક વધુ ખબર પડી. ગઢના ચારે
કેાઠાની અંદર, થાળીએામાં મગ મુકાવ્યા હતા તે મગના દાણા, એક દિવસ થરથરવા
માંડયા. સબળસિંહ સમજયો કે દરબારગઢની નીચે સુરંગ ખોદાય છે. ઉપરથી બાકોરુ
પાડી, પાણી રેડી, સુરંગને નકામી કરી નાખવા તૈયારી થઈ; પણ ગામની વસ્તીએ ખાણો
કરી કરી જાર ભરી હતી તે ટળી જાય, માટે લેાકેાએ ના પાડી.
ભળકડું થયું. બધા કહે : “ મહારાજ, હવે તેાપો વછોડો. ”
મહારાજ કહે : “ના, હજુ ઝાડ ઉપર પંખી નીંદર કરે છે. એને ફડકેા નહિ પડાવું, સૂરજને ઊગવા દ્યો.”
સૂરજ ઊગ્યો ને તેાપો ગડેડી : ધુબ્બાંગ !
ધુબ્બાંગ ! ધુબ્બાંગ ! અને નાગનેશનો ગઢ ભાંગીને ભૂકો થઈ ગયો. સબળસિંહ
પકડાયો. એ ટાણે બે રજપૂતાએ એને પડખે ચડીને કહી દીધું : “તમે તમારે કેદમાં
જાઓ. અમે હમણાં વાણિયાને વરે આવીને દામાજીને અને આલમભાઈને રેંસી નાખશું.”
સ્નાન કરતાં કરતાં દામાજીએ હુકમ દીધો : “સબળસિંહને ઝાડ નીચે લઈ જાઓ ને ઝાટકે મારો.” આલમભાઈ એ ચીસ નાખી : “ મહારાજ, ન બને, એમ ન બને.”
"કેમ ?"
“શેતરંજની રમતમાં જે લાકડાને રાજા હોય છે એને પણ
મારવાની મના છે, તો પછી આ જીવતાજાગતા મનુષ્યાવતારને, આ લાખોના પાળનારને કેમ
મરાય, મહારાજ ?”
બંદીવાન સબળસિંહ જાણે પ્રભુની દયાનું અમૃત પીતો હોય તેમ આલમભાઈના મોંની સામે જેઈરહ્યો. દામાજીરાવનું દિલ પણ નરમ થયું.
ત્યાં તો બે વાણિયા એકબીજાને ગાળો દેતા, મારપીટ
કરતા, બૂમબરાડા પાડતા ચાલ્યા આવે છે. મહારાજે જાણ્યું કે શેઠિયા ફરિયાદે
આવે છે. લગોલગ આવી પહોંચ્યા ત્યારે કૃતજ્ઞી સબળસિંહે રાડ પાડી : “મહારાજ ! આ
દગો છે, મારા રજપૂતો વાણિયાને વેશે તમને મારવા આવે છે.”
દામાજીરાવ નહાતા હતા. શરીરે પૂરા પોશાક પણ નહોતો.
આલમભાઈ પાસે પણ એક છરીયે નહોતી. રજપૂતો પોતાની જાંઘમાં છુપાવેલી કટારે કાઢી
મહારાજની સામે દોડયા. ત્યાં તે આલમભાઈએ દોટ કાઢી બેયની ગરદન અક્કેક હાથમાં
ઝાલી, બેયનાં માથાં સામસામાં પટકીને ચૂરેચૂરા કરી નાખ્યાં.
મહારાજ બોલ્યા : “ રંગ છે, આલમભાઈ! અત્યાર સુધી હું માનતો હતો કે તમે ફક્ત ઓલિયા છો, પણ ના, તમે શરીર પણ સાધી જાણ્યું છે.”
આલમભાઈએ આસમાનની સામે જોઈ ને માથું નમાવ્યું.
“આલમભાઈ, મારા જીવ બચાવ્યો તેની જુગો જુગ યાદગીરી રહે એ માટે તમારા ગામ આલમપુરની જમાબંધી માફ કરું છું.”
“મહારાજ, એમ થાશે તે ભવિષ્યમાં કોઈક દિવસ આપના
વારસદારો મારા વારસદારોને કહેશે કે એ તે ધર્માદાનું ગામ ખાય છે. માટે
જમાબંધી કાઢી નાખવા તો નહિ દઉં.”
આખરે આલમપુરની જમાબંધી એક આંકડે રૂપિયા ચારસો બાંધી આપ્યા. તે જ જમા હજુ સુધી આબાદ છે.
આલમપુરનાં તોરણ બાંધીને આલમભાઈ ત્યાં રહેવા
લાગ્યા. પણ રોજ રોજ એની મીટ એક આદમી ઉપર મંડાઈ રહે છે. અ અદમી હતો ખોજો
નામે એક હજામ. અબોલ ખેાજો મૂંગે મોઢે પોતાના માલિકની ચાકરી કર્યા જ કરતો.
પથારી પાથરતા, હોકો ભરી આપતો, મશાલ પેટાવતો, વાળુ કરાવતો.
દાયરામાં આલમભાઈ કહેતા : “ આ દુનિયા ફાની છે. મારી
ગરૂરીને ખાતર મેં મારા નામનું ગામડું વાસ્યું છે, પણ મારાં સુખદુ:ખોનો
સાચો દોસ્ત આ હજામ શું જિંદગી ખતમ થયા બાદ ભુલાઈ જાશે? મારા ભેળો ને ભેળો
મૂંગો મૂંગો તડકાછાંય વેઠનાર એ હજામ ભુલાઈ જાય તો પછી હું શા સબબથી યાદગાર
રહું ? ખોજા ! તારા નામનું પણ એક ગામ વાસવું છે. આલમપર ને ખેાજાપર ભેળાં જ
બોલાશે; એક જ દમમાં તારું ને મારું નામ લેવાશે, તને હું નહિ તજું.”
ડાયરાએ હાંસી કરી, “ બાપુ હજામના નામનું ગામ ! રાજરીત શું ઊંધી વળી ગઈ?”
“ખુદાની રીત જ ખરી છે, ભાઈ! ખાવંદની નજરમાં કોણ છે આલમભાઈ, કોણ છે ખોજો હજામ?”
આલમભાઈએ આલમપુરની સામે જ ખેાજાપરનાં તોરણ બાંધ્યાં.
૪
“ બાપુ ! કિલ્લાની અંદર આજ ત્રણ દિવસથી કઈંક ભેદ
કળાય છે. દીવાલને કાન દઈને ઊભા રહીએ તે માલીપા રોવાના અવાજ આવે છે.”
સૂકભાદર અને ગોમા, એ બે નદીએાની વચ્ચેના ટેકરા ઉપર ઊભેલા, સામા કાંઠાના
કિલ્લા વિશે આવી વાત થઈ.
આલમભાઈના હાથમાં તસબી ફરતી હતી. એમનો બીજો હાથ
તુરત જ સમશેરની મૂઠ ઉપર ગયો. બાતમી મળી કે કોઈક આખા કુટુંબ ઉપર – મરદ, એારત
અને બાળ- બચ્ચાં ઉપર – મરાઠો સૂબો સિતમ ગુજારી રહ્યો છે. સૂબાની બદલી થઈ
છે. ગામના વાણિયાનું મોટું દેણું ચડેલું છે. વાણિયો ઉઘરાણીએ ગયો તો સૂબાએ
ખાલી ખિસ્સાં દેખાડયાં, એટલે વાણિયા એ એક બાજુથી ડારો દીધો કે : “ હું ઠેઠ
વડેાદરા જઈને દાદ માગીશ.” ને બીજી બાજુ તરકીબ બતાવી કે 'અ જાય બોટાદનો
લખપતિ વાણિયો : પકડ ને રસ્તામાંથી. માગીશ તેટલું મળશે !' આ પરથી મરાઠા
સૂબાએ બેાટાદના એક વેપારીને હાથ કર્યો છે. કિલ્લામાં પૂરીને મારપીટ શરૂ કરી
છે, પણ વાણિયો માનતો નથી, પછી બોલાવ્યાં છે એનાં બાયડીછોકરાંને. બાયડી અને
બચ્ચાં ચેાધાર પાણીડાં પાડતાં ઊભાં છે. સૂબાએ તો ધમકી બતાવી છે કે :
“તારાં છોકરાંને કિલ્લા ઉપરથી નદીમાં ફગાવી દઈશ.”
આલમભાઈ ઊભા થયા. પાછળ ચારે દીકરા પણ ચાલ્યા. નદીને
કાંઠે આવીને આલમભાઈએ પાછા વળી કહ્યું : “ દીકરાઓ, મારો આખો વંશ ચાલ્યો જવા
નહિ દઉં. માટે બે જણા પાછા વળો.”
લાખોજી અને ડોસુજી કચવાતા પાછા ગયા. તોગાજી અને
બાપુજી સાથે ગયા. સૂબાને કાનજી વાણિયાએ વાત પહોંચાડી દીધી કે આલમભાઈ આવે
છે. સૂબાએ ગઢ બંધ કરાવ્યો, અને આલમભાઈ પોતાના પુત્ર સાથે દોઢીમાં દાખલ થયા
કે તુરત જ દોઢીના દરવાજાને બંધ કરી, આ સ્થી ખંભાતી તાળું મારી, ગઢની
હૈયારખી ઉપર થઈને દરવાન અંદર ચાલ્યો ગયો. દોઢીમાં કેદ થયેલા ત્રણે પરમારો
ઉપર કિલ્લાના મોરચામાંથી બંદૂકોનો મારો ચાલ્યો. ત્રણે જણા ઘાવા
ખાનામાં પેસી ગયા.
બંદૂકોના ધુબાકા સાંભળતાં તે ગામમાં એક સ્વામી
આવેલા તે પોતાના સાઠ ચેલા એને લઈ આલમભાઈની વહાર કરવા બહાર નીકળ્યા. એ ભગવા
વસ્ત્રની પાછળ આખી વસ્તી નીકળી. કિલ્લાની બહારથી હાકલા પડકારા થવા માંડયા :
“ બાપુ ! મૂંઝાશો મા. હમણાં બારણાં તોડીએ છીએ.”
પણ એ તોતિંગ બારણાં કેમ કરી તૂટે!
અંદરથી ગાળીએાને વરસાદ ઝીંકે છે તેમાં થઈને
દરવાજામાં જવું શી રીતે ? આલમભાઈ મૂંઝાયા છે. તે વખતે દીકરો તોગાજી
બોલ્યો : “બાપુ, હું નાનપણમાં મસ્તી કરતો ત્યારે તમે કહેતા કે બેટા, વખત
આવે ત્યારે જોર બતાવજે. આજ એ વખત આવી પહોંચ્યો છે. આપને મોંએથી 'ફતેહ'
ઉચ્ચારો. ને પછી જુઓ, હું તાળું તોડું છું કે નહિ !”
“ જા બેટા, ફતેહ કર.”
માથા ઉપર ગેંડાના ચામડાની ઢાલ ઢાંકી, હાથમાં તરવાર
લઈ તેાગોજી દરવાજામાં આવ્યો. અંદરથી ભડભડ ગેાળીએ ઢાલમાં લાગી, પણ
તેાગાજીને ઈજા ન થઈ પોતાના બે પગ ભરાવીને એણે દરવાજાના ખંભાતી તાળાને બે
ભુજાથી એવું મરડ્યું કે આંકડિયો નીકળી પડયો. ધબ દઈને તાળું નીચે પડયું.
સાંકળ ખોલી નાખી ને આખી મેદની “મારો ! મારો !” એવા દેકારા કરતી અંદર દોડી
આવી.
'રંગ તોગુભા ! રંગ તોગુભા !' કરતા જ્યાં બધા
તોગાજી સામે જુએ ત્યાં તેા તોગાજીની અંખાનાં બેય રતન નશ્વર લબડતાં હતાં, ને
એને રૂંવાડે રૂંવાડે લોહી ટપકતું હતું.
“ભાઈને ઘેર લઈ જાઓ.” એવા પોકારો સાંભળીને તેગાજી
બોલ્યા : “અંદર જે નિર્દોષ પુરાણાં છે એમને છોડાવ્યા વિના હું અહીંથી નહિ
ખસું. હું આલમભાઈ પરમારનો દીકરો છું, આંહીં જ મરીશ.”
અંદર શું થઈ રહ્યું છે? એક આરબ સરદાર પોતાના સો
સવારે સાથે કિલ્લામાં મહેમાન આવેલો. એની એ સો સાંઢયો બહાર દોઢીમાં બાંધી
રહી છે. આરબોને બીક લાગી કે ગામલોકો સાંઢ્યોને હાંકી જશે. સૂબાને એણે
કહ્યું : “મારી સાંઢ્યોને અંદર લેવા દે, નહિ તો બંદૂકે હાજર છે, હું
ધીંગાણું કરીશ. મારી જીવ સાટેની મોંઘી સાંઢ્યોને હું નહિ ગુમાવું.”
સૂબો ડર્યો. દરવાજા આડાં તલવારો, બંદૂકો ને ભાલાં
ગેાઠવ્યાં. પછી અધું કમાડ ઉઘાડયું. જ્યાં પહેલી સાંઢયને અંદર દાખલ કરી,
ત્યાં આલમભાઈ એ સાંઢયને એાથે રહીને પોતાના માણસો સાથે ધસારો કર્યો. સાંઢય
ભાલામાં વીંધાઈ ગઈ, માણસે બચ્યાં. સૂબો ભાગ્યો. આલમભાઈએ સૂબાને પકડી,
પછાડી, છાતી ઉપર ચડી, તલવાર કાઢી કહ્યું : “જો. આટલી વાર લાગે. પણ જા,
કમજાત ! તારે ખભે જનોઈ ભાળીને હું ભેાંઠો પડું છું !”
નિર્દોષ વાણિયાનાં બાળબચ્ચાંને છોડાવી પરમારો ઘેર ગયા. દીકરો તોગોજી જિંદગીભર અંધ રહ્યો.
- * દાઢીના ચોકીદાર આરબોને કાવો કાઢવાની એારડીઓ
૮
દીકરો !
"આપા દેવાત ! આ તમ સારુ થઈને હોકાની બજરનું પડતલું
આણ્યું છે. ભારી મીઠી બજર હાથ પડી, તે મનમાં થયું કે આ બજરનો ધુંવાડો તો
આપા દેવાતની ઘૂંટમાં જ શેાભે.”
એમ કહીને ભરદાયરામાં એક કાઠી આવી, વચ્ચોવચ બેઠેલ
એક પડછંદ પુરુષની સામે તમાકુનું પડતલું ધરે છે અને જાણે કોઈ ખંડિયાની પાસે
નજરાણું લેતા હોય તેવો એ પુરુષ જરાક ડોકી હલાવે છે. એની સોનાના વેઢવાળી
આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે.
ત્યાં તો બીજો કાઠી ઊભો થાય છે : “આપા દેવાત ! આ
નવોનકોર હોકોય હું ગંગા-જમની તાર મઢાવીને ખાસ તમ સાટુ જ લાવેલ છું. સારું
રાચ તો ઠેકાણે જ શોભે ને, બા !"
થોડુંક મોં મલકાવીને આપો દેવાત હોકાની ભેટ સ્વીકારે છે.
“– ને આ ઊનની દળી.” એમ કહેતા ત્રીજા ભાઈ આાગળ આવે
છે. “આપા દેવાત, તમારી ઘોડીને માથે આ મશરૂ જેવી થઈ પડશે. ઘોડીનું ડિલ નહિ
છેલાય. ખાસ બનાવીને આણી છે હો !”
ચલાળા ગામના ચોરા ઉપર દરબાર એાઘડ વાળાનાં આઈને
કારજે કાઠી ડાયરો એકઠો મળેલ છે ત્યાં તમામ કાઠીઓની મીટ ફક્ત ગુંદાળાના
ગલઢેરા દેવાત વાંકને માથે જ ઠરી ગઈ છે. દેવાતને જ રીઝવવા સારુ સહુ મથે છે.
દેવાયતની આંખ કરડી થાય એ વાતનો તમામને ફફડાટ છે. દેવાત વાંક જેનો દુશ્મન
બને તેનું ગામડું ત્રણ દિવસમાં ટીંબો બને.
આઘેની એક થાંભલીને થડ ડિલ ટેકવીને એક આધેડ
અવસ્થાનો મર્દ બેઠેલો છે. પછેડીની પલાંઠ ભીડી છે. એની મૂછો ફરકી રહી છે.
એના હોઠ મરક મરક થાય છે. પડખે બેઠેલા કાઠીને એ હળવે સાદે પૂછે છે :
“કાઠીએામાં આ કઢીચટ્ટાપણું કયારથી પેઠું, ભાઈ? જેની આટલી બધી ભાટાઈ કરવી
પડે છે એવો માંધાતા કોણ છે આ દેવાત વાંક ?”
“ ચૂપ, ભાઈ ચૂપ ! આપા લાખા ! તું હજી છોકરું છો.
તારું લાખાપાદર હજી દેવાતના ઘોડાના ડાબલા હેઠ પડયું નથી લાગતું. નીકર તુંય
આપા દેવાતને તારી તળીની કેરિયું દેવા દોડ્યો જાત.”
“ હું ? મારા આંબાની કેરિયું હું દેવાતને ડરથી
દેવા જાઉં ? ના, ના એથી તો ભલું કે સૂડા, પોપટ ને કાગડા મારાં ફળને ઠોલે.
કાઠીના દીકરા તો સહુ સરખા : કોણ રાંક, ને કોણ રાણા ! આવી રજવાડી ભાટાઈ
મારાથી તો ખમાતી નથી.”
બોલનાર પુરુષોનો અવાજ ઊંચો થયેા. એના બોલ ડાયરાને
કાને પડયા, અને વચ્ચોવચ બેઠેલ વિકરાળ કાઠી દેવાત વાંકનું કાંધ એ વાતો કરનાર
તરફ કરડું થયું. ધગેલ ત્રાંબા જેવી રાતી આંખ ઠેરવીને એણે પૂછ્યું : “ ઈ
કોણ મુછાળો ચાંદા કરે છે ત્યાં બેઠો બેઠો ? ઉઘાડું બોલો ને,
બાપા ! ”
“આપા દેવાત વાંક !” આદમીએ થડક્યા વિના જવાબ દીધો :
“ઈતો હું લાખો વાળો છું ને ભણું છું કે કાઠીના દીકરા તો સહુ સરખા; છતાં
કાઠી ઊઠીને રજવાડી ભાટાઈ કરવા બેસી જાય, ઈથી તો આપા દેવાતને પણ દુ:ખ થાવું
જોવે, હરખાવું નો જોવે.” “ આપા લાખા વાળા ! તયેં તો હવે લાખાપાદર ફરતા ગઢ
બંધાવજે, બા !”
તું તારે ચડી આવજે, આપા દેવાત ! હું નાની ગામડીનો
ધણી ગઢ તો શું ચણાવું, પણ પાણીને કળશિયો ભરીને ઊભો રહીશ; આપા દેવાતને શોભતી
મહેમાનગતિ કરીશ.”
“લે ત્યારે, લાખા વાળા !” એમ બોલીને દેવાત વાંકે
પોતાની અંજળિમાં કસૂબો લીધો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો, ને કહ્યું :
“લાખાપાદરને માથે જો હું મીઠાનાં હળ હાંકું, તો તો ગુંદાળાનો દેવાત વાંક
જાણજે, નીકર...”
“હાં-હાં-હાં–ગજબ કરો મા, બા !” એમ કરતો આખો ડાયરો
આડો પડયો. ઘરડિયા કાઠીઓએ દેવાતના પગ ઝાલીને કહ્યું : “આપા, લાખા વાળો તો
બાળક છે, એને બેાલ્યાનું ભાન નથી. તમારે સમદરપેટ રાખવું જોવે.”
“ના ના, આપા દેવાત ! મારું નોતરું અફર જાણજે હો
કે ! ” એમ કહીને લાખોવાળે તલવાર-ભાલો લઈને ઊઠી ગયો. ઘોડીએ પલાણીને નીકળ્યો.
કહેતો ગયો : “કાઠી તો સંધાય સમવડિયા. કાઠીમાં ઊંચનીચ ન હોય, પણ તમે સહુએ
બી-બીને દેવાત જેવા એક મોટા લૂંટારાની ખુશામત માંડી છે. મારે તો દેવાતને કે
દલ્લીના ધણીને નજરાણાં દેવાનો મોખ નથી, બાંધે એની તરવાર, અને ગા વાળે ઈ
અરજણ; એમાં ભેદભાવ ન હોય.”
એટલાં વેણ સંભળાવીને લાખાપાદરનો ધણી રોઝડી ઘોડી હાંકી ગયો.
'''*'''
ચલાળા ગામથી ચાર ગાઉ ઉપર, બરાબર ગીરને કાંઠે શેલ
નામની એક નદી ચાલી જાય છે કાળા પથ્થરોની એની ભેંકાર ઉચી ભેખડો વચ્ચે ધીરાં
ધીરાં ગર્જતાં એનાં પાણી વહ્યાં જાય છે : જાણે કોઈ ભૂતાવળનાં છોકરાં માને
ધાવતાં ધાવતાં હોંકારા કરી રહ્યાં છે.
એ વિકરાળ નદીને કાંઠે પંખીના માળા જેવડું નાનું,
લાખાપાદર ગામડું છે. લાખાપાદરની ચોપાસ નદીઓ જ ચાલી જાય છે. ચોમાસામાં તો
જાણે પાતાળલોકની નાગકન્યાએા પૃથ્વી ઉપર નાચ કરવા નીકળી પડી હોય તેમ અનેક
ઝરણાં ફૂટી નીકળે છે. સતજુગના ઋષિ જેવા એક જૂના વડલાની છાંયડી નીચે પથ્થરની
ભેખડમાંથી પાણીનો મોટો ધોધ પડે છે. એ ધોધની આસપાસ લોકોએ ગૌમુખી બાંધીને
ગૌમુખી ગંગા સ્થાપ્યાં છે. પડખે જ શંકર બેઠા છે. ત્યાં કુદરતે એકસામટી
ગુલાબી કરેણ ઉગાડી છે. આંબાની ઘટા જામી છે. નીચે એ ગૌમુખને ઝીલનારે કુદરત
માતાએ જાણે માપી કંડારેલો નિર્મળ કુંડ આવેલો છે. નીચાણમાં ઊંડો ધરો છે.
વડલા ઉપર મોરલા ટહુકે છે. ગૌમુખીનાં નીર ખળખળે છે. કુંડમાં નાની માછલીઓ
તગતગે છે, ને ધૂનામાં મગરે શેલે છે. કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ, બેય
રેખા કેવી જુક્તિથી આંકેલી છે ! એવે સ્થળે જન્મનારાં માનવી પણ એક વખત એવાં જ
કોમળ અને વિકરાળ હતાં : શૂરવીર ને પ્રેમી હતાં. એ ગામનાં તોરણ બાંધનારો જ આ
લાખોવાળો. ધાનાણી શાખનો એ કાઠી હતો.
લાખાપાદર આવીને એણે ભાઈઓને ખબર દીધા કે પોતે દેવાત વાંકનું ભયંકર વેર વહોરેલ છે. સાંભળીને ભાઈઓ પણ થથર્યા.
તે દિવસથી લાખો વાળો પરગામ જઈને રાત નથી રોકાતો. જ્યાં જાય ત્યાંથી ઝાલરટાણે તો ઝાંપામાં આવી જ પહેાંચે.
એ વાતને તો છ-આઠ મહિના થઈ ગયા. લાખા વાળાને
લાગ્યું કે દેવાત કાં તો ભૂલી ગયો, ને કાં તો થડકી ગયો. એ રીતે મનમાંથી
ફડકો ઓછો થયો. એક દિવસ લાખો વાળો ચલાળે ગયેલ છે. ઓઘડ વાળાની ને એના
ભત્રીજાની વચ્ચે તકરાર પતાવવાની હતી. સાંજ પડ્યે એણે રજા માગી, પણ ઓઘડ વાળો
કહે : “આપા, આજની રાત તે નહિ જાવા દઈએ, અને હવે ક્યાં દેવાત તમારી વાંસે
ભમતો ફરે છે?” લાખા વાળો કચવાતે મને રોકાયો.
આંહીં લાખાપાદરમાં શું થયું ? સાંજ પડી અને વાવડ
મળ્યા કે : “દેવાત કટક લઈને આવે છે.” ગામનો ઝાંપો બંધ કરી, આડાં ગાડાં
ગોઠવી, લોકો હથિયાર લઈ ઊભા રહ્યા. પણ પોતાના મોવડી વિના લોકોની છાતી ભાંગી
ગઈ. ઊલટાના લોકો તો આવું વેર હાથે કરીને વહોરી આવનાર લાખા વાળા ઉપર દાઝે
બળી ગયા.
દેવાતનું કટક પડયું. ઝાંપા ઉપર લાખાપાદરના કંઈક
જુવાન કામ આવ્યા, ઝાંપો તૂટ્યો, કટક ગામમાં પેસીને વસ્તીને ધમરોળવા
માંડયું. નક્કી કર્યું હતું કે લૂંટ કરીને સહુએ પરબારા ગામને સીમાડે કોઈ
ઝાડ નીચે મળવું. તે પ્રમાણે સહુ ચાલવા માંડયા.
ગામમાં મસાણ જેવી શાંતિ છવાઈ ગઈ. દેવાત સમજતો હતો
કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે. એ લાખા વાળાની ફળીમાં જઈને હાકલા કરવા
માંડયો : “કાઠી ! બા'રો નીકળ, બા'રો નીકળ. તે દી તું કયે મોઢે બકી
ગયો'તો !”
એારડામાં ઊભી ઊભી લાખા વાળાની સ્ત્રી થરથરતી હતી.
એણે જવાબ દીધો : “આપા દેવાત ! કાઠી ઘરે હોત તો શેલને સામે કાંઠે તને લેવા
આવત, સંતાત નહિ.”
ઉંચી ઊંચી ઓસરીની એક થાંભલીને ટેકો દઈને લાખા
વાળાની દીકરી હીરબાઈ ઊભી હતી. પંદર વરસની ઉંમર થઈ હશે. દેવાતના પડકારા,
લોહીતરબોળ ભાલો કે લાલધૂમ આંખો એ છોકરીને મન જાણે કાંઈક જોવા જેવું લાગતું
હતું, બીવા જેવું નહિ, એ શાંત ઊભી હતી. અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી
હતી. મોતની લીલા તો જાણે ખૂબ નીરખી હોય તેવી ઠરેલી એની મુખમુદ્રા હતી. પેલા
વડલાની છાંયડીએ રમેલી; કછોટા ભીડીને ઝાડવે ચડેલી; ધરામાં ઢબીઢબીને વજ્ર
જેવી એની કાયા બનેલી; શેલ નદીના ઘૂનામાં એણે મગરમચ્છના મોંમાંથી બકરું પણ
છોડાવેલું : ને હીરબાઈએ તો લાખાપાદરના ચોકમાં, શેલ નદીના કાંઠા ગુંજી ઊઠે
એવો 'તેજમલ ઠાકાર'નો રાસડોયે કંઈ કંઈ વાર ગાયો હતો. ગાયું હતું કે:
ઉગમણી ધરતીના દાદા, કોરા કાગળ અવ્યા રે
એ રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે.
કાકો વાંચે ને દાદો રહ રહ રોવે રે
ઉપરવાડેથી તેજમલ ડોકાણાં રે
શીદને રોવો છો દાદા; શું છે અમને કે'જો રે
દળકટક આવ્યું દીકરી, વારે કોણ ચડશે રે !
સાત સાત દીકરીએ દાદો વાંઝિયો કે'વાણા રે !
હૈયે હિંમત રાખો દાદા, અમે વારે ચડશું રે.
એ રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે.
કાકો વાંચે ને દાદો રહ રહ રોવે રે
ઉપરવાડેથી તેજમલ ડોકાણાં રે
શીદને રોવો છો દાદા; શું છે અમને કે'જો રે
દળકટક આવ્યું દીકરી, વારે કોણ ચડશે રે !
સાત સાત દીકરીએ દાદો વાંઝિયો કે'વાણા રે !
હૈયે હિંમત રાખો દાદા, અમે વારે ચડશું રે.
દેવાતે જોયું તો ફળીમાં એ કન્યા ઊભી હતી તે થાંભલી
પાસે જ એક વછેરો બાંધેલો. બાપ સગા દીકરાને ચડવા ન આપે એવો એ વછેરો હતો.
લાખા વાળાનો આત્મારામ એ વછેરો! દેવાતે વિચાર્યું કે 'આ વછેરો લઈ જઈને જગતને
બતાવીશ; લાખો વાળો જીવશે ત્યાં લગી નીચું જોઈ ને હાલશે !'
પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરીની કોરે ટેકવીને
વછેરાના પગની પછાડી છોડવા દેવાત નીચે બેઠો, માથું નીચું રાખીને પછાડી
છેાડવા મંડયો. બરડો બરાબર દીકરી હીરબાઈના સામો રહ્યો.
એારડામાંથી મા કહે , " બેટા હીરબાઈ, આંહીં આવતી
૨હે." પણ હીરાબાઈ શું જોઈ રહી છે ? તૈયાર ભાલો, તૈયાર બરડો અને નિર્જન
ફળિયું ! વિચાર કરવાનો એને વખત નહોતો, એણે ભાલો ઉપાડ્યો; ત્યાં ઊભાં ઊભાં જ
બે હાથે ઝાલીને એ જોગમાયાએ દેવાતના પહોળા બરડામાં ભાલાનો ઘા મૂકયો. ભચ
દેતો ભાલો શરીર સોંસરવો ગયો. દેવાતને ધરતી સાથે જડી દીધો.
નીચે ઊતરી દેવાતની જ તલવાર કાઢી હીરબાઈએ એને ઝાટકા
મૂકયા. શત્રુના શરીરના કટકા કર્યા. પછી માને બેાલાવી : “માડી, પછેડી
લાવ્ય, ગાંસડી બાંધીએ.”
દાણાની ગાંસડી બાંધે તેમ ગાંસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી, કોઈને ખબર ન પડવા દીધી.
ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ હતી. સહુને મન એમ હતું કે દેવાત તો મોઢા આગળ નીકળી ગયો હશે.
દીકરીએ તે જ ટાણે ગઢવીને બોલાવ્યા. કહે : “ગઢવા,
ચલાળે જાઓ; ને બાપુને કહો કે પરબારા કયાંય ન જાય. અંહીં આવીને એક વાર મોઢે
થઈને પછી ભલે દેવાતની સામે જાય, પણ પરબારા જાય તો મને મરતી દેખે.”
ગઢવી ચલાળે પહોંચ્યા. દરબારે વાત સાંભળી કે દેવાતે
ગામ ભાંગ્યું. લાખા વાળાને માથે જાણે સાતે આકાશ તૂટી પડયાં ! ' હવે હું
શું મોઢું લઈ લાખાપાદર આવું ? પરબારો શત્રુઓને હાથે જ મરીશ... પણ એકની એક
દીકરીના સમ ! ડાહી દીકરી શા સારુ બોલાવતી હશે ? મારાં સંતાનને મારું મોઢું
કાળું કરવાની કુમતિ સૂઝે શું ? કાંઈક કારણ હશે ! જાઉં તો ખરો.'
દરબાર ઘેર પહોંચ્યા ત્યાં ધીરેક રહીને દીકરીએ
કહ્યું: “બાપુ, તમારે જાવું હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું, એક જણને તો
મેં આંહીં રાખ્યો છે.” એમ કહીને ઓરડામાં લઈ જઈને ગાંસડી છોડી બતાવી. લાખા
વાળાએ મોઢું ઓળખ્યું. એ તો દેવાત વાંક પોતે જ.
દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું.
એણે દીકરીને માથે હાથ મૂકયો : “ બેટા ! દુનિયા કહેતી'તી કે લાખા વાળાને
દીકરી છે; પણ ના, ના, મારે તો દીકરો છે!!
“અને મૂરખા દેવાત ! વછેરાની પછાડી કાઢવા તું શીદ
નીચે બેઠો ! ઊભાં ઊભાં તરવારથી કાપતાં ન આવડયું ? પણ તારાં અભેમાન ક્યાં
એાછાં હતાં ! ”
૯
ઢેઢ કન્યાની દુવા
શિહોર ગામના દરબારગઢની ડેલીએ તે દિવસે બાપદીકરા
વચ્ચે રકઝક થઈ રહી છે. સોળ વરસનો રાજબાળ આતોભાઈ ભાલે ને તલવારે તૈયાર થઈ
ઘોડીના પાગડામાં પગ નાખી ચડવા જાય છે, અને બુઢ્ઢા બાપુ અખેરાજજી એનું
બાવડું ઝાલી મનાવી રહ્યા છે : “ભાઈ, એમ ન ચડાય, તારાથી ન ચડાય. તું મારે
એકનો એક છે. તું ગોહિલ ગાદીનો રખેવાળ છો.”
“બાપુ, બાવડું મેલી દ્યો. હું પગે પડું છું, મેલી
દ્યો.” સોળ વરસની એની અવસ્થા હતી. પરણ્યા પછી પહેલી રાતે જેમ કન્યા શરમાતી
શરમાતી કંથના એારડામાં આવતી હોય તેમ જુવાની પણ આતાભાઈના અંગમાં ધીરે ધીરે
પ્રવેશ કરી રહી હતી. હજુ ઘૂંઘટ નહોતો ઉઘાડયો.
તે દિવસે બપારે દરબારગઢની ડેલી ઉપરની મેડીમાં
આતાભાઈની અંખ મળી ગઈ હતી. અચાનક ઊંંઘમાંથી ઝબકી ઉઠયો, અને કઠોડામાં આવીને
જોયું તો ડેલીએ એક બુઢ્ઢો અને એનાં બાળબચ્ચાં ધ્રુસકે ધ્રુસકે રોતાં હતાં.
કુંવરે પૂછયું : “ એલા કોણ છે ?”
“ અન્નદાતા, ઢેઢ છીએ.”
“ કેમ રુવો છે ?”
“ બાપુ, અમે આ નેસડા ગામમાં રહીએ છીએ. મારી
દીકરીને ઘેલાશાના બરવાળે પરણાવી છે. બાઈ નાની છે, ને જમાઈ બહુ કપાતર મળ્યો
છે. બાઈને મારી મારીને અધમૂઈ કરે છે. દુઃખની મારી દીકરી અંહીં ભાગી આવેલી.
વાંસેથી એને તેડવા આવ્યાં તે અમે ન મોકલી, એટલે ઘેલાશાના કાઠી ઘોડે ચડીને
આવ્યા, તે હમણાં જ દીકરીને ઘોડે નાખીને બરવાળે ઉપાડી ગયા બાપુ ! મારી
પારેવડી જેવી દીકરીનું શું થાશે ? અમારા ઢેઢુંના કોઈ ધણી ન મળે ?”
'અમારા ઢેઢુંનો કેાઈ ધણી ન મળે !' એ વેણ જુવાન આતાભાઈના કલેજા સોંસરું પેસી ગયું.
“તારા ધણી બાપુ છે, રો મા.” એમ કહીને એણે નેાકરોને હુકમ કર્યો : “મારી ઘોડી હાજર કરો.”
પોતે હથિયાર ધરીને નીચે ઊતર્યો. ઘેાડીને પલાણ નાખવાની વાટ ન જોઈ.
ઉપર ચડે, ત્યાં ગઢમાંથી બાપુ અખેરાજજીએ સાદ કર્યો:
“ભાઈ, ઊભો રહે.” આવીને બાપુએ ઘોડીની લગામ ઝાલી લીધી. દીકરાનું બાવડું
ઝાલ્યું. અખેરાજજીને એ એકનો એક દીકરો હતો. દરબારનો બુઢાપો હતેા.
કુંવર બોલ્યા : “ બાપુ, અત્યારે મને રોકો મા, આ ઢેઢની છોકરીને અને મારે છેટું પડે છે. એ કહે છે કે અમારે કોઈ ધણી નથી.”
“ બાપ, તુંથી જવાય નહિ, ફોજ મોકલું.”
“ ના, બાપુ, મારે એકલાને જ જાવું છે.”
“ બેટા, એકલા ન જવાય, દુશ્મનો કયાંક મારી પાડે.”
“ બાપુ, છોડી દ્યો. આપણે રાજા : વસ્તીનું રક્ષણ કરવા આપણે જાતે જ ચડવું પડે.”
“ના, મારા બાપ! આખું કટક જાય, પણ તું નહિ. તું હજી
બાળકો છો.” આતાભાઈને બાપની મરજાદની હદ આવતી હોય એમ થયું. એના હોઠ ફફડવા
લાગ્યા, એના મોઢા ઉપર લાલ લાલ લોહી ધસી આવ્યું, તોય બાપુ સમજ્યા નહિ;
ત્યારે એણે બાપનો હાથ ઝોંટી, ઘોડીને એડી મારી કહ્યું : “ખસી જા ભગતડા ! એમ
રાજ ન થાય !”
બાપ જોતા રહ્યા, ડાયરો “ હાં હાં ” કરતો રહ્યો. આતાભાઈની ઘોડીને જાણે પાંખે આવી.
જોતજોતામાં તે પંથ કાપી નાખ્યો. દૂર દુશ્મનોને
દીઠા. બે અસવારો છે, એકની બેલાડ્યે બાઈ માણસ બેઠેલું છે. બાઈની ચૂંદડી
પવનમાં ઊડતી જાય છે. વગડામાં અબળા ધા ઉપર ધા નાખી રહી છે, બીજો અસવાર એની
પાછળ ઘોડી દોડાવતા પોતાની ઝગમગતી બરછી બતાવીને બાઈને ડરાવતો જાય છે.
'ઢેઢનું કોઈ ધણી નહિ' એવી ધા સંભળાય છે. વગડામાં કામ કરતાં લોકો ઊભાં થઈ
રહે છે અને વીલે મોંએ વાતો કરે છે : “બાઈ ભાગેડુ લાગે છે.”
સોળ વરસનો એકલવાયો આતાભાઈ આ ત્રાસ જોતો, ઘોડીને
દબાવતો, વંટોળિયા જેવો વેગ કરતો, લાલચટક મોઢે લગોલગ આવી પહોંચ્યો. ખળખળિયા
વોંકળાને વળોટી બરાબર સામા કાંઠા ઉપર ચડ્યો. હાક પાડી : “ હાં કાઠીડાઓ !
હવે માટી થાજો : અબળાને ઉપાડી જનાર શૂરવીરો ! સૂરજના પોતરાઓ ! હવે માટી
થાજો, હું આતોભાઈ !”
ત્યાં તો ઘોડાંનાં ભેટંભેટાં થઈ ગયાં. કાઠીડાઓ
બરછીનો ઘા કરે તે પહેલાં તો આતાભાઈ નો ભાલો એકની ઘોડીનાં તોરિંગનાં પાટિયાં
વીંધીને પાર થઈ ગયો, અને બીજાનું બાવડું તલવારને એક ઝાટકે ઉડાવી નાખ્યું.
કાઠીએાને જીવ બચાવવાની બીજી બારી નહોતી રહી.
પોતાની છાતી સાથે બાંધેલા બંધ છોડી નાખીને અસવારે ઢેઢ કન્યાને પડતી મૂકી
દીધી. બેય જણા 'ભાગો ! ભાગો !' બોલતાં નીકળી ગયા.
કન્યા થરથર ધ્રૂજે છે.
“બીશ મા હવે. હું આતોભાઈ, તારી ભેરે ઊભો છું. આવી
જા મારી બેલાડ્યે !” એમ બોલીને આતાભાઈ એ બાઈનું કાંડું ઝાલ્યું. પોતાના
પગનો પોં'ચો ટટાર કરીને કહ્યું: “ આના ઉપર પગ માંડીને આવી જા મારી વાંસે.”
કન્યા ઊભી થઈ રહી : “બાપા, હું ઢેઢ છું. તમને આભડછેટ...”
“આભડછેટ કેવાની વળી ? તું તો અમારી બોન-દીકરી છે.
આવી જા ઝટ ઘેાડી માથે, નીકર આપણે બેય અંહી ઠામ રહેશું. હમણાં કાઠીડાનું કટક
અંબી લેશે.”
આતાભાઈએ કન્યાને બેલાડ્યે લીધી. “ હા, હવે મારા
ડિલને બરાબર ઝાલી રાખજે, નીકર પડીશ નીચે ને મનેય પાડીશ. ઝાલ્ય, બરાબર
ઝાલ્ય !” એવી બથ્થડ વાણી બોલતે। આતોભાઈ ઉઘાડી સમશેરે વગડો ગજવતો પાછો
વળ્યો. ઘોડાના સફેદ દૂધિયા પૂછનો ઝંડો, કન્યાની ઓઢણી અને જુવાન આતાભાઈની
પાઘડીનું છોગું હવામાં ફરકતાં ગયાં.
માર્ગે એને પોતાના પિતાનું મોકલેલ કટક મળ્યું.
કટકને મોખરે ઢેઢકન્યાને બેલાડ્ય લઈને ઉઘાડી સમશેરે જ્યારે આતોભાઈ શિહોરની
બજારે નીકળ્યો, ત્યારે હજારોની અંખાનાં તોરણ થઈ રહ્યાં હતાં. આતાભાઈના આ
પહેલા પરાકમ ઉપર એ હજારો નેત્રોની અંજળિઓ છંટાતી હતી. બાઈઓ આ વીરનાં વારણાં
લેતી હતી. ઢેઢકન્યા તો એ નાટારંભ કરતી ઘેાડી ઉપર બાપુને જોરથી ઝાલીને જ
બેઠી રહી. ડેલીએ ઊતરીને એણે કન્યાનાં રોતાં માવતરને દીકરી સુપરત કરી. બાપુ
અખેરાજજીને બાળોરાજા પગે લાગ્યો. ગદગદ કંઠે ઢેઢકન્યાએ કહ્યું : “બાપુ ! હું
નીચ વરણની નાર ઠરી. હું તુંને તો શું આપું ? અંતરડીની આશિષ આપું છું કે
તું જ્યાં ચઢીશ ત્યાં તારી આવી જ ફતેહ થાશે.”
૧૦
આઈ જાસલ
"આ
તેજણ તરસે તરસે તલવલાંસ, થાળામાં બે કળહા પાણી નાખાંસ બીન ?” (આ તેજણ ઘોડી તરસે ટળવળે છે થાળામાં બે કળશિયા પાણી નાખીશ, બહેન?)
“ભલેં, નાખાંસ, ભાઈ !”
તેજણની તરસ છીપી ત્યાં લગી પનિયારીએ સીંચી સીંચી
થાળામાં પાણી ઠલવ્યું, તરસ છીપતાં ઘોડીએ મેાં ઊંચું કરી જોરથી હણહણાટી
નાખી, કેમ જાણે એના ધણીને સાન કરતી હોય કે “હવે હું તૈયાર છું !”
તેજણનો અસવાર તે કૂછડીનો મેર લાધવેા હતેા. લાધવો બારાડીમાં
*
પોતાના સગાને મળવા ગયેલો તે આજે કૂછડી ભણી પાછો
વળ્યો હતો, રસ્તો કાટવાણા પાસ થઈને પસાર થતો હતો તેથી અત્યારે તે કાટવાણાના
પાદર સુધી આવ્યો હતો, અને તરસી થયેલી ઘોડીએ જોર કરી અસવારને ડેરવાવ તરફ
લાવતાં તે વાવની નજીક આવ્યો હતો. તે સમયે પાણી ભરવા આવેલી પનિયારી તે
ચારણિયાણી જાસલ હતી, અને તેને અસવાર સાથે ઉપર પ્રમાણે વાતચીત થઈ હતી.
પાણી પાનારનું કરજ ફિટાડવા સારુ લાધવો પાંચ કોરીઓ
પનિયારીના પગ તરફ થોડે દૂર ફેંકી અને બોલ્યો : “લે બીન, તારા વીર લાધવાનો આ
કમખો. જો ના પાડ, તો તુંને આ ભાઈના સ્હમ છે.”
-
* જામનગરની હદમાં આવેલો બારડા પ્રાંતનો વિભાગ 'બરાડી ' નામથી ઓળખાય છે.
પનિહારી બોલી : “ લાધાભાઈ, એની કાંઈ જરૂર નથી.
મારે ઘરે પ્રભુનો પરતાપ છે, તમે સ્હમ દીધા એટલે લાચાર; હું કમખો લાંસ, પણ
એક વાતે. ખરા બપોર થ્યાસ એટલે શિરામણ કીધા વિના બીનને ઘરેથી ભૂછ્યા ના
જવાય.”
લાધવે ઘણી આનાકાની કરી, પણ ખરા ભાવના આગ્રહ પાસે
છટકનાર કોણ છે ? ધીમે ધીમે તેણે પોતાની ઘોડી જાસલની પાછળ હાંકી અને બહેનને
ખોરડે આવ્યો. એની એાસરીની થાંભલીએ ઘોડીને બાંધી અને જાસલે ઓસરીમાં નાખી
આપેલા ચાકળા ઉપર તે બેઠો.
જાસલની ઉમર આશરે વીસ વરસની હતી; એના અંગેઅંગમાંથી રૂપ નીતરતું હતું.
જાસલના પતિનું નામ ચારણ ધાનો ભેડો હતું. જાસલ એ
ધાના ભેડાની નવી પરણેલી પત્ની હતી. પોતાની જૂની સ્ત્રી પુનસરીને પિસ્તાળીસ
વર્ષ લગી કાંઈ છેારુ ન થયું ત્યારે ધાના ભેડાએ પુત્રની લાલસાએ બે વર્ષથી આ
નવું લગ્ન કર્યું હતું અને બંને શોક્યો વચ્ચે સારો બનાવ ન રહેવાથી તેમને
થોડે થોડે દૂર નેાખાં નોખાં ઘરોમાં રાખી હતી. ધાના મોટા ભાગે નવા ઘરનો
અતિથિ હતો. પુનસરીને વિશેષ ઈર્ષ્યાનું કારણ આ પણ હતું. નસીબજોગે આજે ધાનો
ઘેર નહોતો, કાંઈ કામે બહારગામ ગયો હતો.
જાસલે લીલાછમ રંગના, જાડા, બાજરાના બે રોટલા,
તાંસળી ભરી દુધ, આગળ ગોળનું એક મોટું દડબું, અને ડુંગળીનું શાક, જે પહેલેથી
તૈયાર હતાં તે પૂરે ભાવે પરોણાને પીરસ્યાં. લાધવો પણ પોતાનું પાગડું
સાંગામાંચી ઉપર મૂકી, કોગળા કરી તથા પગ ધોઈ ઓરડામાં જમવા બેઠો.
બસ પુનસરીને જોઈતું હતું તેવું નિંદાનું કારણ મળી
આવ્યું, “અલી એઈ, જો જો, એ લોંઠોં કુંણ સે ? એ કૂંણને તાણ કરી કરીને પીરહે
સે ?” એવી એવી ચર્ચા તેણે પાડોશમાં ચાલુ કરી. ચેપકાં જેવામાં ચતુર
ચારણિયાણીઓનાં ટોળાં એકઠાં થઈ બિચારી નિર્દોષ જાસલની મનભાવતી નિંદા કરવા
લાગ્યાં.
જમી રહ્યા પછી લાધવે ઘેર બે ઘડી તડકો ગાળ્યો.
બહેનનું મફત ન ખવાય, એવી માન્યતાથી વિદાય થતી વખતે
લાધવે જાસલના હાથમાં પચીસ કેારી મૂકી. પણ તે પાછી આપતાં જાસલ બોલી : “
ભાઈ, જગતમાં મહિયરમાં મારે કોઈ નથી. આજથી તું મારો ધરમનો ભાઈ! જો સાચો ભાવ
હોય તો કોઈ વસમી વેળાએ આવી ઊભો રહેજે. પરભુ તને ખેમ રાખે.” એટલું બોલી સજળ
નયને તેણે લાધવાનાં દુખણાં લીધાં. દુખણાં લેતાં ચોળાફળી જેવી તેની કોમળ
આંગળીએામાંથી ફૂટેલા અનેક ટચાકા વિદાય લેતા લાધવાએ સાંભળ્યા.બહેનને પગે
લાગી લાધવા સવાર થયેા. રવાના થતાં થતાં તેણે ટપકતે નેત્રે બહેન જાસલને હાથ
જોડ્યા.
એ વખતે આઘે ઊભેલા સ્ત્રીઓના એક ટોળામાંથી ખડખડાટ હસવાનો અવાજ થયો.
પરનિંદા જેવું મીઠું જગતમાં બીજુ શું છે ? પુનસરીએ પ્રસરાવેલી જાસલની નિંદા આખા ગામમાં ફેલાઈ ગઈ.
બે દહાડે ધાનો ઘેર પાછો આવ્યો. તેને જોઈને એક
સ્ત્રીએ હાસ્ય કર્યું. નાગણી જેવી વેરણ શેાક્ય પુનસરીએ તે બધી વાત
ચોખ્ખેચોખ્ખી ધાના ભેડાને કહી. ચારણનો મિજાજ હાથથી ગયો. તેના બળતા
અંતઃકરણમાં ઘીના ઘડા ઠલવાયા.
ધાનો ભેડો એક તો બહારગામથી થાકયો પાકયો આવેલો.
વગડાનો વા તો તેના માથામાં ભરાયેલો હતો જ. તેમાં અધૂરામાં પૂરું આ દારુણ
વાત સાંભળી. એટલે બાકી શું રહે ? ધૂવાંપૂવાં થયેલો ચારણ હાથમાં ચાબખો લઈ
ફાટી આંખે જાસલના મકાન તરફ ચાલ્યો. બે દહાડાથી ન જોયેલા, જીવ જેવા વહાલા
પોતાના ઘરવાળાને સાકાર કરવા જાસલ સામી ચાલી, અને હસતે મુખે એાસરીની ધાર
પાસે આવી ઊભી રહી, પણ ત્યાં તો કાંઈ જ પૂછયાગાછયા વિના વિકરાળ
મુખમુદ્રાવાળા ભેડાએ તેના અંગ ઉપર ચાબખાને પ્રહાર કર્યો. શરીરે સાપ
વીંટાતે। હોય તેમ “ફડાક” અવાજ કરતો ચાબખો બે-ત્રણ આંટા જાસલના કુમળા શરીર
ઉપર વીંટળાયો, અને તે જ પ્રમાણે બીજા અને ત્રીજા ફટકાનું પણ થયું. જાસલની
કનકવરણી કાયામાંથી લોહીની શેડો વછૂટી.
આ દૃશ્ય જોવા ચોગમ મેદની માતી નહોતી; અને તેમાં પણ
આજે પુનસરીના હરખનો પાર નહોતો. એના મુખમાંથી “રાંડ વાલામૂઈ, મેરને ઘરમાં
ઘાલીને અમારું નાક વઢાવ્યું !” એવાં મે'ણાંને વરસાદ વરસી રહ્યો હતો.
પહેલાં તો પવિત્ર જાસલ, પતિના અચાનક કોપનું કારણ
સમજી શકી નહિ, પણ શેાક્યનાં વચનોએ તેને બધી વાત દીવા જેવી સમજાવી. એ
આવેગમાં તે બોલી : “હે જગદંબા, હે માવડી, જો હું પવિતર હોઉં તે તારા સાચના
બે છાંટા મારા પર નાખીને મારું સતીપણું સાચવજે. આઈ, વધારે કાંઉ કહું ?”
આવા ઉચ્ચાર કરી તેણે લોચનો બંધ કર્યાં. થોડી વાર
લગી તેનું અંગ સ્થિર જણાયું પણ ધીમે ધીમે તેની મુખકાંતિમાં તથા સમગ્ર
અંગમાં કંપનો તથા દિવ્ય કાંતિનો સંચાર થયો. રૂપેરી ટોટીએાથી શોભતા બન્ને
કાનમાંથી કંકુનો વરસાદ વરસવા લાગ્યો.
આ અદ્ભુત પ્રભાવ જોતાં જ તમાશો જોવા ઊભેલી
માનવમેદની ઝંખવાણી પડી ગઈ અને “આઈ, ખમૈયા કરો, અમે તમારાં છોરું છીએ, અમારી
ભૂલ થઈ, છેારુ કછેરુ થાય પણ માવતર કમાવતર ન થાય. વડાંને વકાર ન શોભે.
માવડી, તારે જે જોઈએ તે માગી લે, જગદંબા : પણ અમારી ઉપર અમીનો છાંટો
નાખજે.” ઈત્યાદિ વચનો બોલી પગે પડી જાસલને વીનવવા લાગી.
જાસલ બોલી : “તમારામાંથી કોઈ અસવાર ઝટ કૂછડીએ જાઓ, ને મારા ભાઈ લાધવાને કહો કે :
સત ચડિયું શરીર, અધઘડી ઉભાયે નહિ,
માડી માયલા વીર, ( તું )વહેલો આવે લાધવા !
હે લાધવા, મારા શરીરમાં સત ચડ્યું છે, એટલે હવે
સંસારમાં અધઘડી પણ ઊભાય એમ નથી, આ જાસલ તારી વાટ જુએ છે, તે હે માના જણ્યા
વીરા, તું વહેલો આવ.
સળગી સમંદર માંહ્ય, એકલ ઓલાણી નહિ,
કૂછડિયા કુળ ભાણ, વે'લો વળજે લાધવા !
ભાઈ ! આ તો સમુદ્રનાં જળમાંથી જ્વાળા સળગી છે,
એટલે કે મારા સગા ધણીના અંતરમાં જ શંકા ઊગી છે. મુજ એકલીથી એ લાય ઓલવાતી
નથી, હે કુળભાણ કૂછડિયા, તું વહેલો આવજે.
અગર ને અબીલ, જાત્યું બે જૂજવિયું,
કૂછડિયા, કુળવીર, લેતો આવે લાવા !
સસ્વાદીલું સગા, ભેાજનમાં લઈ ભેળવીએ,
કૂછડિયા, કુળવીર, લેતો આવે લાવા !
સસ્વાદીલું સગા, ભેાજનમાં લઈ ભેળવીએ,
( તે ) સોરંભી સગા, લેતા આવે લાધવા !
તું આવ ત્યારે ખાલી ન આવતો. હું સતી થાઉ છું તો
તેને લાયકનો સામાન પણ જોઈશે. જુદી જુદી જાતનાં હોવા છતાં પણ સાથે જ વપરાતાં
અગર અને અબીલ જોઈશે. ભોજનમાં ભેળવાતું સ્વાદ અને સોડમવાળું ઘી પણ જોઈશે.
તે તમામ લેતો આવજે.
આજ્ઞા સાંભળતાં જ ગામેાટ ઘોડીએ ચડીને કૂછડી તરફ
ધાયો, લાધા મેરને મળ્યો, અને તેને બહેનનો સંદેશો કહ્યો. પોતાને માટે બહેનને
માથે આવી પડેલી આફતથી લાધવાના કોમળ કાળજામાં ભારે,આઘાત થયો, પણ શું કરે?
બહેને મગાવેલી સામગ્રી – મળી આવ્યાં તેટલાં અગરચંદનનાં કાષ્ઠો, અબીલગુલાલના
પડા, કંકુ, નાડાછડી, ચૂંદડી, મોડિયો, શ્રીફળો અને ઘીના ભરેલા બે ડબ્બા –
નાખીને તેણે બે સાંઢણીઓ કાટવાણા ભણી વિદાય કરી, અને પોતે પણ સાચો કમખો લઈ
પોતાની ઘરવાળી રૂપી સાથે ચડીને બહેનનાં છેલ્લાં દર્શન માટે ચાલ્યો.
લાધવો કોટવણે પહેાંચ્યો. પણ આજે તો ગામને રંગ
બદલાઈ ગયેા હતેા. બે દહાડા પહેલાં જોયેલું નીરવ કાટવાણું આજે નહોતું, આજે
તેમાં અનેક શરણાઈએાનો ચહચહાટ થતો હતો. અને ત્રંબાળુ ઢોલ ધ્રબૂકી ધ્રબૂકી
દિગંતોને ડોલાવી રહ્યા હતા. મધઝરતે મીઠે ગળે સ્ત્રીઓ મંગળ ગીતો ગાતી હતી.
સૌને મોખરે લાંબા અને છૂટા કેશવાળી વિશાળ લલાટમાં કેસરની પિયળવાળી અને ભવ્ય
મુખમુદ્રાવાળી જાસલ હાથમાં શ્રીફળ લઈ મંદ પગલે ચાલતી હતી. આજે એની ઠેકડી
કરવાની તો શું, પણ તેની તેજભરી કાંતિ સામે જોવાની પણ માનવીએાની તાકાત નથી.
જાણે આરાસુરી જગદંબા સાક્ષાત્ પ્રગટ થઈ હોય તેવી મુખમુદ્રા ઝળહળી રહી હતી.
ગામને પાદર સતી માટે ચેહ ખડકાણી છે. ત્યાં જવા તે
નીકળી છે. આગળ તંબૂરાના ઝણહણાટ ને મંજીરાના ઠણઠણાટ ને સાથે ભક્તમંડળનાં
ભજનની ધૂન મચી રહી છે. આંધળાં-પાંગળાં, વાંઝિયાં અને એવાં અનેક દુખિયાં
સતીને રસ્તામાં આવી પગે લાગે છે, આશીર્વાદ મેળવી શાંતિ પ્રાપ્ત કરે છે, અને
સતી પોતાને માટે ગામ બહાર ખડકાવેલી ચિતાએ પહોંચવા આગળ ચાલે છે.
જાસલ ચિતા પાસે પહોંચી નહોતી ત્યાં તો લાધવો પોતાની પત્ની સાથે ત્યાં આવી પહોંચ્યો. એની આંખમાં આજે શ્રાવણ-ભાદરવો રેલી રહ્યા હતા.
સતીને પગે લાગતાં તે બોલ્યો : “આઈ, માફ કરજે ! મારાં ગોઝારાં પગલાંએ તારી આ દશા કરી છે.”
એને આશીર્વાદ અને સાંત્વન આપતી જાસલ બોલી : “ભાઈ,
એવું એાછું ના બોલ. તારાં પાવન પગલાંએ તેા જગતમાં હું પાવન થઈને – અરે ! આઈ
થઈને પૂજાણી. વળી મારા બંને લોક સુધર્યા. હવે હું માગું ત્યારે છેલ્લો
કરિયાવર કરજે.”
એક ચારણ બેાલ્યા : “આઈ જાસલ, શેર માટીની ખોટે મારા ભાઈ ભેડાએ તમને આણેલાં પણ તમે તો સિધાવો છો. હવે ભાઈની શી ગતિ ?”
આ વાણી સાંભળી જાસલ થંભી અને બોલી : “પુનસરી ક્યાં ? એને મારી પાસે લાવો.”
શરમની મારી પુનસરી તો અત્યારે બાયડીઓનાં ટોળાં
પાછળ ક્યાંય સંતાઈ ગઈ હતી. પોતાનું કાળું મેાં એ સતીને શી રીતે બતાવી શકે ?
છતાં વકરાયેલી વાઘની પેઠે છલાંગ મારડો ભેડો સ્ત્રીઓના ટોળામાં ગયો ને લાતો
મારતો, તથા ચોટલો ઝાલી ખેંચતો પુનસરીને તે જાસલ પાસે લઈ આવ્યો. વળી પોતાની
ભૂલની પણ ક્ષમા માગતા હોય તેમ તે પાઘડીનો અંતરવાસ કરી સતી પાસે નીચે મુખે
ઊભો.
ગંભીર સ્વરે જાસલ બોલી : “ચારણ, પુનસરીને પૂણશો
મા. એ બિચારીનો વાંક શો ? વાંક મારા નસીબનો. બેન પુનસરી, મારું વરદાન છે કે
આજથી નવમે મહિને તારે ઘેર પારણું બંધાશે, ને ધણીનો વંશ રહેશે. પણ ભોળા
ભરથાર ભેડા, ખબરદાર, જે વંશ હલાવવો હોય તે હવેથી ડેરવાવનું પાણી અગરાજ
(અગ્રાહ્ય) કરજો. એ મારું વચન છે.”
વળી ઢાલ જોસથી ધડૂસવા લાગ્યા. કાયરને પણ શૂરવીર
કરે એવા શરણાઈના સિંધુડા સ્વરે ચાલવા લાગ્યા, ને 'જે અંબે'ના આકાશભેદી
સ્વરો નીકળતાં ચારણપુત્રી જાસલ ચિતા પર ચડી. તેના ચરણોની દશે આંગળીઓમાંથી
એકસાથે અગ્નિની જ્વાળાઓ નીકળી ને તેણે ચિતાને ભડભડાટ પ્રજવલિત કરી. થોડી
વારમાં સર્વભક્ષી અગ્નિદેવની રંગબેરંગી જ્વાળાઓ ભડક ભડક અવાજ કરી ચિતા પર
ખેલવા લાગી. એવામાં ચિતા ઉપરની ઝુંપીમાંથી સ્વર આવ્યો : “વીરા લાધવા! તું
મારો સાત જન્મારાનો ભાઈ છે. બીના વિના તું ચિતા પર આવ. ને બેનને છેલ્લી
વારનો કમખો આપી પાછો સિધાવ.”
ખરો મર્દ, પવિત્ર મેર લાધવો છલાંગ મારી ચિતા પર
ચડ્યો, પણ અગ્નિની જવાળા તેને ટાઢીબોળ લાગી. બહેનના પવિત્ર શરીર ઉપર ઘીનો
હોમ કર્યો ને આંસુભર્યે નયને હાથ જોડી તે ઊભો રહ્યો.
સતી જાસલ બોલી : “ભાઈ, તને શું આપવું ? તારે
માયા-મિલકત છે, છૈયાંછોકરાં છે, ને લાજઆબરૂ પણ છે. પણ મારું વચન છે કે જે
તારા કુળનો હશે તે કદી સત નહિ ચૂકે.”
“તથાસ્તુ, આઈ!” એટલો ઉચ્ચાર કરી, રોતો રોતો લાધવો વગર અંચે ઉપરથી નીચે ઊતર્યો.
૧૧
કામળીનો કોલ
" આ
ગામનું નામ શું ભાઈ?”
“નાગડચાળું. કયાં રે'વાં ?”
“રે'વું તો મારવાડમાં. હિંગળાજની જાત્રાએ નીકળેલ છું, બાપા ! ”
“ચારણ છો ?”
“ હાં, અંહીં રાતવાસો રેવું છે. કોઈ રજપૂતનું ખોરડું છે અંહી ?”
“હા, હા. દરબાર સાંગાજી ગેાડની ધીંગી ડેલી છે ને,
ગઢવા ! પાધરા હાંકી જાઓ. કવિઓની સરભરા કરવામાં અમારા સાંગાજી ઠાકોરનો
કચ્છમાં જોટો નથી, ગઢવા ! હાંકો પાધરા. ”
એટલું કહીને રાતના અંધારામાં એ ગામનો આદમી સરી
ગયો. ખૂણે ઊભો રહીને તાલ જોવા લાગ્યો. 'આજ બેટાને બરાબર ભેખડાવી મારું.
બેટો સાંગડો, ગામ આખાનાં વાછડાં ચારે, ને હું કોટવાળ તોયે મારાં ત્રણ
વાછડાંની ચરાઈની કોરી માગી હતી દીકરે! આજ આ ગઢવો જો એને ભેટી જાય. તો એની
ખરેખરી ફજેતી થવાની. ગઢવી મારવાડનો છે એટલે મોઢું પણ જબ્બર ફાડશે ને
સાંગોજી દરબાર શું ચૂલા માયલી ચપટી ધૂળ આપશે? ગઢવો નખ્ખેદપાનિયાનો લાગે છે.
એટલે સાંગડાની ફજેતી આખા કચ્છમાં ફેલાવશે. આજ મારું વેર વળશે. હું
નાગડચાળાનો કોટવાળ!” એમ બબડતો મૂછો આમળતો એ આદમી અંધારેથી નજર કરતો ઊભો
રહ્યો. અંધારામાં ગાડું ઊભું રાખીને બારોટજી બૂમો પાડવા લાગ્યા : “ અરે
ભાઈ ! અંહી દરબાર સાંગાજીની ડેલી ક્યાં છે ? કોઈ દરબાર સાંગાજીનું ખોરડું
દેખાડશો ? અમે પરદેશી છીએ."
એક નાનકડા ઝુંપડાનું બારણું ઊઘડયું. અંદરથી ભરવાડ
જેવો મેલોઘેલો ગંધાતો જુવાન બહાર આવ્યો. હાથનાં ધીંગાં કાંડાંમાં ફક્ત
રૂપાનાં બે કડલાં પહેરેલાં. ગજ ગજ પહોળી છાતી હતી. મૂછો હજી ફૂટતી આવતી
હતી.
“ કોનું ઘર પૂછો છો ?”
“બાપ ! દરબાર સાંગાજી ગેાડની ડેલી કયાં આવી?”
અંહીં કેાઈ સાંગાજી દરબારની ડેલી તો નથી, પણ, હું
સાંગડો ગોડ નામનો રજપૂત છું, આ મારો કૂબો છે, મારી બુઢ્ઢી મા છે. તમારે શું
કામ છે?”
“ભાઈ! મારે દરબાર હોય તોયે શું, ને તું કૂબાવાળો
રજપૂત હોય તોયે શું ?મારે તો રજપૂતને ખેારડે એક રાતનો ઉતારો કરવો છે. હું
ચારણ છું; હિંગળાજ જાઉં છું."
“આવો ત્યારે.” કહીને સાંગડે ગઢવીને ઝુંપડામાં
લીધા. એની બુઢ્ઢી મા પાડોશીએાને ઘેર દોડી ગઈ. તેલ, ઘી, લોટ, ચોખા ઉછીના
આણીને વાળુ રાંધવા મંડી દરમ્યાન સાંગાને એાળખાણ પડી કે એ તો ભાદ્રેસ ગામના
કવિ ઈસરદાનજી પાતે જ છે.
“ આપ પંડ્યે જ ઈસરદાનજી, જેને કચ્છ, કાઠિયાવાડ ન મરુધરદેશનાં માનવી 'ઈસરા પરમેસરા”નામે એાળખે છે?”
હસીને ઈસરદાનજી બોલ્યા : “હું તો હરિના ચરણની રજ છું, ભાઈ ! જગત ચાહે તેમ ભાખે.”
"કવિરાજ! તમારી તો કંઈ કંઈ દૈવી વાતું થઈ રહી છે. એ બધી વાત સાચી છે?”
“ કઈ વાતું, બાપ ?” “લોકો ભાખે છે કે તમે તો જુવાનીમાં જોગમાયા જેવાં કવિપત્નીને ઠાકરિયો વીંછી કરડાવ્યો ને મોત કરાવ્યું !”
“જુવાનીના તોર હતા, બાપ સાંગા ! હસવામાંથી હાણ્ય
થઈ ગઈ. ચારણ્યે મને વીંછી કરડ્યાની બળતરા થાતી દેખી મે'ણું દીધું. મેં એને
પારકાની વેદનાનો આત્મ-અનુભવ કરાવવા સારુ વનનો વીંછી લાવી કરડાવ્યો. ચારણીનો
જીવ નીકળી ગયો.”
“ હેં દેવ ! આઈ પાછાં નગરમાં અવતરીને આપને મળી ગયાં એ વાત સાચી ?”
“ભાઈ ! ઈશ્વર જાણે, ચારણી એની એ જ હશે કે નહિ. મને તો એ જ મોઢું દેખાણું. મને સોણલે આવતી'તી ચારણી.”
“ દેવ ! પીતામ્બર ગુરુની તમે ખડગ લઈ ને હત્યા કરવા દોડેલા ને પછી પગમાં પડી ગયા, એ શી વાત હતી ?”
“બાપ ! હું પ્રથમ પહેલો નગરમાં રાવળ જામની
કચેરીમાં આવ્યો. રાજસ્તુતિના છંદ ઉપર છંદ ગાવા લાગ્યો. રાજભક્તિના એ
કાવ્યમાં મારી બધી વિદ્યા ઠાલવી દીધી હતી. કચેરીમાં રાવળ જામની છાતી ફાટતી
હતી. પણ હર વખત દરબાર પોતાના કાવ્યગુણી પીતામ્બર ગુરુની સામે જુએ, અને
ગુરુજી દરેક વખતે મારા કાવ્યને અવગણતાં માથું હલાવે. એ દેખી દરબારની મોજ
પાછી વળી જાય, મારા લાખોનાં દાનના કોડ ભાંગી પડે. મને કાળ ચડ્યો. હું એક દી
રાતે મારા આ વેરીને ઠાર કરવા તરવાર લઈ એને ઘરે ગયો.
“આંગણામાં તુળશીનું વન : મંજરીઓ મહેક મહેક થાય :
લીલુંછમ શીતળ ફળિયું : ચંદ્રના તેજમાં આભકપાળા ગુરુ, ઉઘાડે અંગે જનેાઈથી
શેાભતા, ચેાટલો છોડીને બેઠેલા: ખંભા ઉપર લટો ઢળી રહી છે. ગોરાણી પડખે બેઠાં
છે. ગુરુના ઉઘાડા અંગ ઉપર સમશેર ઝીંકવા મારો હાથ તલપી રહેલ. પણ આ બેલડી
દેખીને મારું અરધું હૈયું ભાંગી ગયું.
“પછી ગુરુએ ગોરાણીને વાત કહી. કહ્યું' કે :
“ગેારાણી! દરબારમાં એક મરુધરનો ચારણ આવેલ છે. શું એની વિદ્યાનાં વખાણ
કરું ? એનાં કવિત-છન્દો સાંભળી મારા ઉરનાં કપાટ તૂટી પડે છે. પણ હાય રે
હાય ! ગોરાણી ! એવો રિદ્ધિવંત જુવાન કવિતાને મૃત્યુ-લોકના માનવી ઉપર ઢોળે
છે, લક્ષ્મીની લાલચે રાજાનાં ગુણગાનમાં વાપરે છે, એ દેખીને મારો આત્મા ઘવાય
છે. અહોહો ! એ વાણી જે જગત્પતિનાં ગુણગાનમાં વળે તો ! તો એ કવિતાથી
ચોરાશીના ફેરા તો પતી જાય, ને જગતમાંયે પ્રભુભક્તિની પરમ કવિતા રચાઈ જાય.
ગોરાણી ! એના હરેક કાવ્યથી સભા થંભે છે. રાજા રાવળ જામની છાતી ફાટે છે,
રાજા મારી સામે જોવે છે, હું અસંતોષથી ડોકું ધુણાવું છું, મારા મોળા મતને
લીધે રાજાની મોજ મારી જાય છે. ને જુવાન ચારણ મારા ઉપર બળીજળી જાય છે. હું
એને દુશ્મન દેખાતો હોઈશ; પણ ગોરાણી ! મારા મનની કોણ જાણે ? હું તો આવી
રસનાને અધમ રાજસ્તુતિમાંથી કાઢીને ઈશ્વરભક્તિમાં વાળવા મથું છું.'
"બાપ સાંગા ! પીતામ્બર ગુરુનું આવું કથન સાંભળતાં જ
મારાં ગાત્રો ગળી ગયાં. હું ન રહી શકયો. તુલસીની મંજરિયાળી ઘટામાંથી બહાર
નીકળીને મેં દોટ દઈ તલવાર પીતામ્બર ગુરુને ચરણે ધરી. એમના ખોળામાં માથું
ઢાળ્યું, અને તે દિવસથી રાજસ્તુતિને મેલીને હરિભક્તિ આદરી. મારા 'હરિરસ'
ગ્રંથના પ્રથમ દોહામાં જ મેં ગાયું કે,
લાગાં હું પહેલેા લળે, પીતાંબર ગુરુ પાય,
ભેદ મહારસ ભાગવત, પાયો, જેણ પસાય.
સાંગો ગોડ આ બધી બીના સ્તબ્ધ બનીને સાંભળી રહ્યો,
ત્યાં તો માએ વાળું પીરસ્યું. સાંગાએ પોતાને ખભે નાખવાની એક મેલી ઉનની
કામળી પાથરીને ઈસરદાનજીને તેની ઉપર બેસાડયા. કવિએ એ ગરીબની આછીપાતળી રાબછાશ
કોઈ રાજથાળી કરતાંયે વધુ મીઠાશથી આરોગી.
જમીને ઈસરદાનજીએ કહ્યું : “ભાઈ, મારે એક નીમ છે કે એક વરસમાં એક જ વાર દાન લેવું. આજ તારી પાસે હાથ લાંબો કરું છું.”
“માગો, દેવ ! મારી પાસે હશે તે બધું આપીશ.”
“ફક્ત આ તારી ઉનની કામળી દે. એ પવિત્ર કામળી ઉપર બેસીને હું ઈશ્વરની પૂજા કરીશ.”
“ભલે, બાપુ ! પણ મને એક વચન આપો.”
"વચન છે "
“હું વીનવું છું કે હિંગળાજથી પાછા વળો ત્યારે અંહીં થઈને પધારો. હું આપને માટે એક કામળી કરી રાખીશ. આ તો જૂની થઈ ગઈ છે.”
ઈસર બારોટ વચન આપીને હિંગળાજ ચાલી નીકળ્યા. અંહીં
સાંગાએ કામળીની ઊન કાંતવા માડી. વગડામાં કેાઈ નદીને કાંઠે વાછડાં ચરતાં
ફરે, વાછડાને ગળે બાંધેલી ટોકરી રણક્યા કરે અને હરિનાં ભજનો ગાતો ગાતો
સાંગો એની તકલી ફેરવીફેરવીને ઊનનો ઝીણો તાંતણો કાંત્યા કરે છે. આઠે પહેાર
એના ઘટમાં એકનું એક જ રટણ છે કે 'મારી આ કામળી ઉપર બેસીને બારોટજી પ્રભુની
પૂજા કરશે, ભેળો હુંયે તરી જઈશ.'
ચાર મહિને કામળી તૈયાર કરીને સાંગો બારોટજીની વાટ જોવા લાગ્યો. અને વાછડાં ચોમાસાની વાટ જોવા લાગ્યાં.
વાછડાંને ચોમાસું તો આવી મળ્યું, પણ સાંગાને હજુ
બારોટજી ન મળ્યા. એક દિવસ આકાશમાં મેઘાડંબર મંડાયેા. વાવાઝોડું મચ્યું.
મુશળધાર મે વરસવા લાગ્યો અને ગામની નદી બેય કાંઠે પ્રયલકારી પાણીના કોગળા
કાઢવા લાગી. સાંગો વાછડાં લઈને સાંજ સુધી સામે કાંઠે થંભી રહ્યો. પછી એને
લાગ્યું કે મારી મા ઝૂરશે. આ વાછડાં આંહીં ને આંહીં થીજી જશે. ને હવે બહુ
તાણ નથી રહ્યું, એમ વિચારી સાંગો વાંછડાંને હાંકી પાણીમાં ઊતર્યો. બીજા
બધાં વાછડાં તો ઊતરી ગયાં. પણ સાંગાએ જેનું પૂછડું ઝાલ્યું હતું તે વાછડો
મધવહેણમાં લથડયો. સાંગો તણાયો કાંઠે ઊભેલા લોક પોકાર કરી ઊઠયાં : 'એ ગયો, એ
તણાયો.' પણ એને બચાવવા કોઈ ન પડયું. પાણીમાં ડુબકાં ખાતો ખાતો સાંગો પૂરની
વચ્ચેથી શું બેાલે છે ? એને બીજુ કાંઈ ન સાંભર્યું :
જળ ડૂબંતે જાય, સાદ જ સાંગરીએ દિયા,
કહેજે મારી માય, કવિને દીજો, કામળી.
કહેજે મારી માય, કવિને દીજો, કામળી.
પાણીમાં ડૂબતો ડૂબતો સાંગો સાદ કરે છે કે ' ઓ ભાઈઓ , મારી માને કહેજો કે કવિરાજ આવે ત્યારે પેલી કામળી દેવાનું ન ભૂલે.
નદીઅં, વેળુ, નાગ, સાદ જ સાંગરીએ દિયા,
તોશો કાંઈ ત્યાગ, મન જોજો માઢવ તણું.
તોશો કાંઈ ત્યાગ, મન જોજો માઢવ તણું.
નદીમાં કારમી વેળ આવી છે, ચારે તરફ સર્પો ફેણ
માંડી રહ્યા છે, છતાં તેમની વચ્ચેથી સાંગો સાદ કરે છે કે 'કવિને કામળી
દેવાનું ન ભૂલજો.' એને બીજુ કાંઈ નથી સાંભરતું. હે સાંગા, કેવો તારો
ત્યાગ ! માઢવ રાજા રોજ ચારણેાને લાખપસાવ દેતો, છતાં તારા દાનની તોલે એ ન
અવે.
સાંગરીએ દીધા શબદ, વહેતે નદપાણી,
દેજો ઈસરદાસને, કામળ સહેલાણી.
દેજો ઈસરદાસને, કામળ સહેલાણી.
વહેતાં પૂરમાં તણાતાં તણાતાં સાંગે શબ્દ કહ્યા કે કવિ ઈસરદાનજીને મારી યાદરૂપે એ કામળી દેજો.
માને એટલો સંદેશો મોકલાવીને સાંગો અલેાપ થઈ ગયો.
નદીનાં મોજા એને દરિયામાં ઉપાડી ગયાં. થોડે દિવસે ઈસરદાનજી આવી પહોંચ્યા.
દીકરા વિના ઝરતી ડોસીએ પોતાની પાંપણેાનાં પાણી લૂછીને કવિને રોટલો જમાડવાની
તૈયારી કરી. જમવા બોલાવ્યા. ઈસરદાને પૂછયું: "સાંગો કયાં ?”
ડોસી કહે: “સાંગો તો ગામતરે ગયો છે. તમે જમી ૯યેા, બારોટજી !”
ચતુર ચારણ ડોસીનાં આંસુ દેખી ગયો. એણે સાંગા વિના ખાવું-પીવું હરામ કર્યું . ડોસીએ છેવટે કહ્યું: “સાંગાને તો નદી-માતા તાણી ગઈ. ”
ચારણ કહે : “એમ બને જ નહિ. રજપૂતનો દીકરો દીધે વચને જાય કે ?”
“અરે દેવ ! સાંગો તો ગયો. આખું ગામ સાક્ષી છે. પણ
જાતાં જાતા તમને કામળી દેવાનું સંભારતો ગયો છે, હો ! પાણીમાં ગળકાં ખાતાં
ખાતાં પણ એણે તો તમને કામળ્ય દેવાની જ ઝંખના કરી'તી. ”
“સાંગાના હાથથી જ કામળી ન લઉં, તો હું ચારણ નહિ. ચાલો, બતાવો, ક્યાં ડૂબ્યો સાંગો ?”
ડોસી કવિને નદીને કાંઠે તેડી ગઈ, અને કહ્યું: “સાંગો અંહી તણાયો.”
“ સાંગા ! બાપ સાંગા l કામળી દેવા હાલ્ય !” એવા
સાદ કરી-કરીને કવિ બેાલાવવા લાગ્યા. દંતકથા કહે છે કે નદીનાં નીરમાંથી જાણે
કોઈ પડઘા દેતું હતું. કવિને ગાંડો માનીને ડોસી હસતી જાય છે, વળી પાછી રોઈ
પડે છે; ત્યાં તો નદીમાં પૂર ચડ્યું, પાણીના લેાઢ પછાડા ખાઈ ખાઈ કોઈ
રાક્ષસોની જેમ ગર્જના કરવા લાગ્યા. ફરી કવિએ સાદ દીધો : “સાંગા ! કામળી
દેવા હાલજે, મારી કામળી ! હરિની પૂજાને મોડું થાય છે !”
“આવું છું, દેવ, આવું છું !” આઘેથી એવો
અવાજ આવ્યો. જુએ ત્યાં એ જ વાછરડાનું પૂછડું ઝાલીને સાંગો. તરતો આવે છે.
બહાર નીકળીને જાણે સાંગો ચારણને બાઝી પડયો. એના હાથમાં નવી કરેલી કામળી
હતી. કામળી સમર્પીને સાંગો ફરી વાર મોજાંમાં સમાયો; ઈસરદાને છેલ્લો દોહો
કહ્યો :
દીધાંરી દેવળ ચડે, મત કોઈ રીસ કરે,
નાગડચાળાં ઠાકરાં, સાંગો ગોડ સરે.
નાગડચાળાં ઠાકરાં, સાંગો ગોડ સરે.
નાગડચાળાના હે ઠાકોર ! તમે કોઈ રીસ કરશો મા કે હું
સાંગાને એક કામળીને ખાતર એટલો બધો વખાણીને તમારો પણ શિરોમણિ શા માટે
બનાવું છું; કારણ કે એ તો ખરેખરો દિલદાતાર ઠર્યો, દિલનો દાતાર હોય તેનું જ
ઈંડું કીર્તિના દેવળ ઉપર ચડી શકે છે. આમાં દાનની વસ્તુની કિંમત નથી, પણ એક
વાર મુખથી કહેલું દાન મરતાં મરતાં પણ દેવા માટે તરફડવું એની બલિહારી છે.
૧૨
અંચળ તાણનારા !
"હાં
કો, હાંકો માલને. ચોંપ રાખેા જુવાનો ! વાંસે. વાર વહી આવે છે."
એવા રીડિયા કરતા એકસો બોકાનીદાર જાડેજા જુવાનો
ભેંસોનાં ખાડાં ઉપર લાકડીએાની ફડાફડી બોલાવતા ચારે બાજુથી તગડી રહેલ છે.
ધ્રાંગધ્રા તાબાના ગામ નગરાથી ટીકર ગામને કેડે માલ ઘેાળી જાય છે. રણની સપાટ
ધરતી ઉપર ભેંસોના પડછાયા છવાઈ ગયા છે. ઝાંઝવાંનાં જળ જામતાં આવે છે. ભેંસો
સીધે માર્ગે ચાલતી નથી. પાછી વળવા મથે છે. ઘેરથી પાડરુના સાદ પડતો હોય એવી
જાણે બૂમો આવે છે. મા બાળકને બોલાવતી હોય એવી વાંભ સંભળાય છે :
“ બાપ ભગર ! મોળી જીવ સાટાની, ભગર !”
એ સાંભળીને આખા ખાડામાંથી ચાર ભેંસાના કાન મંડાય
છે, ચારેનાં પૂછ ઊંચાં થાય છે, ચારેના કંઠમાંથી કરુણાભર્યો રણકાર નીકળે છે,
ને ચારે ભેંસો પોતાના ઉપર વરસતી પરોણાની પ્રાછટમાંથી પણ મેાં ઊંચાં કરીને
નગરા ગામને માર્ગે મીટ માંડે છે.
“આ વાંસે ચસકા કોના પડે છે ?” જાડેજાએ કાન માંડીને સાંભળી રહ્યા.
“અ વાર નથી, સીમાડે કોઈક બાઈ માણસ ધા દેતું દોડ્યું આવે છે. એકલવાયું લાગે છે.”
લૂંટારાએ તળાવડીની પાળ વળોટે તે પહેલાં તો “ ઊભા
રો' બાપ ! મારા વીરાઓ, જરીક ઊભા રો !” એવો અવાજ દેતી ઓરત અંબી ગઈ, એના
હૈયામાં શ્વાસ સમાતો નથી. રાતુચોળ લોહી એના માં ઉપર છેાળો મારી રહ્યું છે.
વાળ વીખરાઈ ગયા છે. માથે ઓઢેલ ઊનનો ભેળિયો ખભે ઊતરી ગયેા છે. આખો દેહ
પરસેવે નાહી રહેલ છે.
ચાર ભેંસો એને દેખીને આકુળવ્યાકુળ થઈ ગઈ. જાડેજાઓની ડાંગો ખાતી પણ એ ચારે આ બાઈની સામે દોડવા લાગી.
“બાપ! મારા પિયર ! તમારું તો જાદવ કુળ : તમે
જાડેજા માયલા પણ સાહેબ સાખના બેટડાએ : તમારે ને ધ્રાંગધ્રાને વેર, એમાં
મારી ગરીબ ચારણ્યની ભીંસું કાં હાંકી જાવ ? હું તો તમારી બીન વદું. અને
મારો ચારણ પરદેશ વર્તવા ગયેા છે. એ પાછો વળશે ત્યારે છાંટો છાશ વન્યા વાળું
શેણે કરશે ? આ ભીંસુનાં દૂધ તમે સાહેબ રજપૂતોનાં ગળાં હેઠે શે ઊતરશે ?”
પરદેશ ગયેલો પોતાનો ચારણ સાંભરતાં ચારણીના ભરજુવાન
દેહ ઉપર લાલપ છલકી. ગાલ ઉપર આઠ આઠ ચૂમકીઓ ઊપડી. રૂપનો સાગર જાણે પૂનમની
સાંજરે હેલે ચડ્યો. બોકાનીએાને મોઢા ઉપરથી જરીક ખેસવીને સાહેબ જાડેજાઓ
બેાલ્યા : “આઈ ! ટીકર આવજો. તમારી ભેંસુ હશે તે કાઢી દેશું : અટાણે આખા
ખાડામાંથી ક્યાં તારવવા બેસીએ ! અમારી વાંસે વાર વહી આવે છે.”
“ તમને ખમ્મા, મારા વીર! પણ, મારા બાપ ! મારી ચારે
ભગર કાંઈ ગોતવી પડે? જો આ ઊભી મારી હાથણિયું. એક હજાર ભેંસુંમાંય નોખી તરી
નીકળે ! મેં ચારેની બહુ ચાકરી કરી છે, મારા બાપ !”
“ ઠીક આઈ, તારવી લ્યો તમારી ચાર ભેંસુ.”
ચારણીએ એની ચારે ભગરીને નામ દઈને બેલાવી. કાન
ફફડાવતી ને પૂછડાં ઉલાળતી ચારે ભેસો નેાખી તરી ગઈ. પણ ત્યાં તે રજપૂતોની
આંખ ફાટી ગઈ. એ કાળીભમ્મર કાયા, ગળામાં હાંસડી આવી જાય એવી સાંકળ, કપાળમાં
ધેાળી ટીલડી, અધમણ દૂધ ભરેલાં આઉ, એવી ભેંસ કેાને ગળેથી છૂટે ?
જાડેજાએાએ એકબીજાની સામે મિચકારા માર્યા. ફાટેલ
જુવાનડા હતા તે બોલી ઊઠયા : “એ બાઈ, ઈ ચાર ભેંસુંના આંચળ કેાણ તાણશે, ખબર
છે ? જે અમારી પાસે પોતાના આંચળ તણાવતી હશે ઈ; બીજીના હાથ ભોંઠા પડશે,
ભેાંઠા.” બોલનારાઓની મેલી નજરો બાઈની છાતી ઉપર રમવા લાગી.
ચારણી થંભી ગઈ એની જબરદસ્ત છાતીમાં જાણે ધમણ ધમવા
લાધી. કાળી વાદળીમાંથી વીજળી ઝબૂકે તેમ કાળી કાળી બે આંખેામાંથી ઝાળ ઊઠી.
સુકોમળ હાથે કમરમાંથી છરો કાઢીને એણે પોતાના બેય થાનેલા કાપી નાખ્યા. જુવાન
રજપૂતોની સામે ફેંકીને કહ્યું : “લ્યો બાપ, તાણ્યા કરજો અને ધરાઈ ને દૂધ
પીધા કરજો !”
છાતીએથી ધખ ધખ લોહીની બે ગૌમુખી વછૂટી. રજપૂતો
કાંપતાં કાંપતા જોઈ રહ્યા. ચારણી ત્યાંથી ઘેર ભાગી. ઘેર આવી ગાડું જોડાવી
એના ભાઈ કેશવદાસ રતનાની પાસે પહેાંચી જઈને કહ્યું : "ભાઈ ! મારાં આંછળ્
તાણવા આજ ટીકરના રજપૂતો આવ્યા'તા, તું ચોટીલે જાજે ને આપા મૂળુ ખાચરને
બોનનો ઝાઝા જુવાર કે'જે.”
એટલું કહીને એણે થાનેલા ઉપર બાંધેલું લૂગડું છોડી નાખ્યું. એના પ્રાણ ત્યાં ને ત્યાં નીકળી ગયા.
બહેનના દેહને દેન દઈને કેશવદાસ ચારણ ચોટીલે ચાલ્યો. ચોટીલાના મૂળુ ખાચરને તો આખી પાંચાળ અત્યારે
-
સાંકળ - ગરદન , જે ભેસની ગરદન બહુ ઝીણી હોય તેના શરીર ઉપર લોહી ખૂબ હોય.
પૂજી રહી છે.લૂંટફાટ અને અત્યાચારના એ જુગમાં મૂળુ
ખાચરની તો નાડી ધોઈને પેટપીડવાળી બાઈઓને પવાતી હતી. મૂળુ ખાચર ઘોડે બેસીને
માર્ગે ચાલ્યા જતા હોય, ખરો ઉનાળો ખેરના અંગારા વરસાવતો હોય અને એમાં જો
કોઈ આવીને કહે કે “બાપુ, મારી ઘરવાળીને આડું આવ્યું છે,” તો એ કાઠી ત્યાં
ને ત્યાં થંભી જતો, તે જ જગ્યાચે ઘાસિયા નાખીને હાથમાં સૂરજની માળા લઈ બેસી
જતો; અને હોકાની ચલમમાંથી ચપટી રાખ નાખીને એ પાણી આપતો. આવનાર ધણી પોતાને
ગામ જઈને એ પાણી પોતાની બાયડીને પિવડાવે, અને પાછા જઈને દરબારને કહે કે
“બાપુ, આડું ભાંગી ગયું, ત્યારે મૂળુ ખાચર એ તડકેથી માળા ફેરવવાનું બંધ
કરીને પાછા ઘેાડે ચડે, ત્રણ કલાકમાં જે આડું ભાંગ્યાના ખબર ન આવે તે પ્રાણ
કાઢી નાખવા માટે તરવાર પણ તૈયાર રાખીને જ બેસતા.
એક વખત ઉદેપુરના રાણાને કોઢ નીકળ્યો. એણે મેવાડમાં
વાત સાંભળી કે કાઠિયાવાડના દરબાર મૂળુ ખાચર પરનારીસિદ્ધ પુરુષ છે. એનું
નાહેલું પાણી લાવીને રાણાજી નહાય તો કોઢ ટળે. રાણાના માણસો ચોટીલે
પહોંચ્યા. દરબારના માણસો સાથે મતલબ કરી, દરબારનું નાહેલું પાણી એક દિવસ
તાવડામાં ઝિલાઈને મેવાડને રસ્તે પડયું. પાછળથી મૂળુ ખાચરને એની ખબર પડી.
એના પરિતાપને પાર ન રહ્યો. એણે વિચાર્યું : “ હાય ! હાય ! રાણાનો કોઢ નહિ
મટે તો જગતમાં મારે માટે શું કહેવાશે ? એ કરતાં તો મરવું શું ભૂંડું ?” એ
ઉદેપુર પહોંચ્યા. છાનામાના જઈને રહ્યા. લેાકેાને મોઢેથી જ્યારે એણે એ પાણી
વડે રાણાને કોઢ મટ્યાની વાત જાણી, ત્યારે એને નવો અવતાર આવ્યો. ચોટીલે પાછા
વળ્યા.
એવા દેવતાઈ પુરુષને કવિ માનવીની સાથે કેમ કરીને સરખાવે ?
મૂળુ માનવીએ, માણો કીં મીંઢાવીએ,
અરસ ઇંદ્ર તણે, તું નરખેવો નાગાઉત !
નાગ ખાચરના પુત્ર, મૂળુ ખાચર, આરસની દેવમૂર્તિ હોય તેને
જેમ દેવ સાથે નથી સરખાવાતી, તેમ માનવીને તારી સાથે ન સરખાવાય. અર્થાત્, તારો દેહ માનવીનો છે, પણ તું પોતે તો દેવ છો.
સિત્તેર વરસના, શ્વેત રૂપેરી દાઢીમૂછે શોભતા મૂળુ
ખાચર ગામતરે જતા હતા. ભેળા પંદર-વીસ અસવારો હતા. એમાં સામે રસ્તે આવતા
ક્યાડી ઘોડીના અસવાર ઉપર એની નજર પડી. પૂછયું : “ભાઈ, પાંચાળમાં ઉઘાડે માથે
ભમનારો આ કોણ આવે છે ? પાઘડી કે પનિયું કાંઈ કાં નથી બાંધેલ ?”
અસવાર નજીક આવ્યો. એાળખાયેા : “આપા, આ તો કેશવદાસ ગઢવી.”
“ગઢવી, રામ, રામ ! આમ ઉઘાડે માથે કાં ?”
કેશવદાસે રામરામ ન કર્યા. એની આંખોમાં આંસુડાં હતાં. એણે દુહો ગાયો :
જોગાહર, જાચણ તણી, ધાયું કાન ધર્યે,
કાઠી, કટક કર્યે, મૂળવા, ટીકર મારવે.
હે જોગા ખાચરના પૌત્ર, મૂળુ ખાચર, યાચકની –ચારણની–
ચીસને કાને ધરજે. હે કાઠી, દળકટક લઈને ટીકર ગામને રોળી નાખજે ! પછી જ રામ
રામ કરશું. પછી જ હું માથું ઢાંકીશ. આજ હું ક્યા શૂરવીરની લાજે માથું
ઢાંકું ! હાય હાય, મૂળુ ખાચર ! પાંચાળમાં કોઈ સૂરજ-પૂતર નથી રહ્યો ત્યારે જ
સાહેબ રજપૂતો વગડામાં અંતરિયાળ આપણી બેનદીકરિયુંનાં થાન ઉપર નજર નાખે ને !
“કેશવદાસ, તમે આ શું બોલો છો ?”
- નાગ ખાચરના પુત્ર , મુળુ ખાચર , તને અન્ય માનવીઓ સાથે શું સરખાવવો ? અમે તો તને સ્વર્ગપતિ ઈન્દ્ર બરાબરીનો – અર્થાત દેવરાજા રૂપ જ જોયો છે.
"આપા મૂળુ ખાચર ! ઝાઝી વાર નથી થઈ. હજી કાલે સવારે જ મારી બોનના થાનેલા કપાણા. મરતી મરતી એ તારું નામ લેતી ગઈ છે.”
કેશવદાસે આખી વાત વર્ણવી. મૂળુ ખાચરની આંખેામાંથી
ઊનાં ઊનાં આંસુ દડી પડયાં. એનું કલેજું સડસડ્યું. “અરે હાય હાય હાય ! કાઠી
લૂંટઝૂંટ કરે; કાઠી મારપીટમાં પાછું વળીને ન જુએ, કાઠીનાં પાપ તો પાર
વગરનાં; પણ કાઠીએ સ્ત્રીની જાતને જોગમાયા કરી સદા પૂજી છે. આજ પાંચાળને
પાદર કચ્છી રજપૂતોએ કાળો કામો કર્યો, અમારી દેવભોમ લાજી. સતી પાંચાળીનું આ
પિયરિયું શરમાણું. પણ કેશવદાસ ગઢવી ! આ લ્યો, આ કોલ. ત્રણ દીમાં જો હું
ટીકરને તાવડીમાંથી રોટલો ઉથલાવે તેમ ન ઉથલાવું તો જાણવું કે મૂળુ ખાચર
સૂરજપૂતર નહોતો, - તો એના માવતરમાં ફેર જાણજો !"
“બસ, આપા ! તો હવે કસૂંબા પીએં !”
કસૂંબા લઈને મૂળુ ખાચર ગામતરે ન જતાં પાછા વળ્યા.
પણ દેવને કરવું છે તે એ જ રાતથી આપાને માથાનો દુ:ખાવો ઊપડ્યો. તાવ ચડયો.
ટીકર તો આઘેરું રહી ગયું. સ્વર્ગાપરના દરવાજા દેખાયા. પણ જીવ કેમેય કરીને
જાતો નથી.
દીકરાએ પિતાની પથારી ઉપર બેસીને પૂછયું : “બાપુ !
જીવ કેમ જતો નથી ? પાંચાળમાં સહુ ટોળો કરે છે કે મૂળુ ખાચર સતવાદી મોતથી
ડરી ગયો. બાપુ, જીવતરમાં એવડી બધી શી મમતા રહી ગઈ?”
“બેટા !” મરતાં મરતાં બાપે દીકરાને હાથ દાબીને
કહ્યું” : “તારો બાપ મોતથી ન ડરે; પણ મારા જીવતરનું એક કામ રહી ગયું, ટીકર
મારવી હતી, પાંચાળીનાં થાન તાણવા આવનાર સાહેબ રજપૂતોના પ્રાણ તાણવા હતા.
પાંચાળની દીકરિયુંનાં રૂપ એ રજપૂતોથી ન દેખી શકાયા. હવે પાંચાળીએા પોતાની
દૂધભરી ભાગીરથી જેવી છાતિયું ક્યાં સંતાડશે ?”
દીકરાએ આખી કથા જાણી લીધી. કહ્યું : “બાપુ ! એમાં
શી મોટી વાત છે? બાપનાં કરજ તો બેટાઓ ફેડતા જ આવેલ છે. લ્યો, આ પાણી મૂકું
છું કે તમારું તેરમું કરીને ચૌદમે જ દા'ડે ટીકર માથે મીઠાનાં હળ જોડાવું.”
“ બસ, બાપ !”
“ ત્યારે કરો સદ્ગતિ.”
મૂળુ ખાચરને જીવ ચાલ્યો ગયો. એના કારજ ઉપર સોરઠની
ત્રણે પરજોના કાઠીએ ભેળા થયા. ડાયરાને જમાડીજુટાડી તેરમાની સાંજે આપા
મૂળુના પુત્ર સહુને ટીકરના રજપૂતોનું પાપ જાહેર કર્યું તમામ કાઠીઓએ ત્યાંથી
પરબારા જ ટીકર ઉપર ચડવાને ઠરાવ કર્યો.
મોડી રાતે સહુ સૂતા તે વખતે મૂળુ ખાચરના બુઢ્ઢા ચારણે છાનામાના ગઢમાં જઈને જુવાનને કહ્યું :
“બાપ, વાંસેથી જગત વાતું કરશે.”
“શી વાતું, દેવ ?”
“ કે બાપને વચન આપતી વખતે તો એકલો જશ ખાટી ગયો, અને અંતે બાયલો ત્રણ પરજુંની મદદ લઈને ગયો !”
“દેવ, તમારાં વેણ એક લાખ રૂપિયાનાં.” પ્રભાતે ઊઠીને એણે મહેમાનોને કહ્યું : “હમણાં તો સહુ પધારો, પછી ટીકર ભાંગવાનો દિવસ ઠરાવશું.”
ત્રણે પરજ વીંખાઈ ગઈ, દીકરો એકલો પોતાનાં જ ઘેાડાં લઈને ચડ્યો. ટીકર ભાંગ્યું, અને કેશવદાસને ઢાંકણિયું ગામ દીધું.
૧૩
મોત સાથે પ્રીતડી
અ
શરે ત્રણસો વરસ પહેલાં, પાલિતાણાની ગારિયાધારવાળી
ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા. અઢારેક વરસની અવસ્થા
હતી. લોહીના ટીપેટીપામાંથી જુવાની પોકાર કરતી હતી, 'મને મરવા દે; મોતની
સાથે રમવા દે.' જુવાનીમાં જ મોતની સાથે પ્રીતડી બાંધવાનો એ શૌર્ય-જુગ ચાલતો
હતો.
એક દિવસ કચેરીમાં દરબારના વૃદ્ધ મામાને દમ ચડ્યો.
ઉધરસ ખાતાં ખાતાં એના મોંમાંથી લાળ પડી ગઈ. સવાજીએ મોં મલકાવી કહ્યું :
"અરે મામા, ગધપણમાંય માનસને જીવવું શે ગમતું હશે ? આ દમ ચડે, નાકે લીટું
વહી જાય, મોઢે લાળું વરસે એમાં શી મઝા પડે છે ?”
મામા બોલ્યા : “ભાઈ, શું કરવું ? માત આવે ત્યારે જ છુટકારો થાય ને ?”
“મોત તેા આપણે બોલાવીએ ત્યારે હાજર જ છે ને, મામા ! ઈશ્વર ક્યાં આડે હાથ દેવા આવે છે ?”
“એ તો વાતો થાય, બાપ ! પ્રાણ કાઢી નાખવા એ કાંઈ રમત વાત છે ?”
“ના, મામા ! વાત નહિ, સાચું કરી બતાવું. લ્યો, આ પ્રતિજ્ઞા છે કે ત્રીસ વરસે મારે દેહ પાડી નાખવો.”
આખી કચેરીનાં મોં કાળાં પડી ગયાં, સહુ સમજતા હત્યા
કે સવાજીની પ્રતિજ્ઞા એટલે લોઢે લીટી. મામીને મરવા જેવું થઈ
પડયું સવાજીનાં બહેન સાસરે હતાં. ત્યાં એમને ખબર પડી. બહેન ગારિયાધાર
આવ્યાં. ભાઈની પાસે કાપડાની માગણી કરી. ભાઈ કહે : “બેલે બહેન, જે માગે તે
આપું.”
“ભાઈ, હું માગું છું કે તું પાંચ વરસ વધુ દેહ રાખ્ય.”
હસીને સવાજી બોલ્યા : “અરે બહેન! મૂરખી ! પાંચ વરસ
વધારે જીવું તે તારી પાસેથી ઊલટું કાપડું લીધું કહેવાય. માટે જ, મારા
ત્રીસ વરસમાંથી પાંચ વરસ તને કાપડાનાં કરું છું. એટલે હવે હું ત્રીસને બદલે
પચીસ વરસ દેહ પાડીશ.”
ધ્રુસકે ને ધ્રુસકે રોતી રોતી બહેન ચાલી ગઈ.
ભાઈનું બેાલ્યું કોઈથી ફરે તેમ નહોતું, બહેન, ભાઈને બરાબર એાળખતી હતી.
મોતની વાટ જોતાં જેતાં સવાજીનાં વરસ વીતવા લાગ્યાં, પણ ધીંગાણાનું ટાણું જ ન
આવે. ઘણે ઘણે ઠેકાણે જઈને મસ્તી કરી આવે, પણ કોઈ એની સાથે લડવા જાય નહિ.
પછી પોતાના વાવણી ગામને પાદર ડૂબાણિયા નામે એક માટે ભયંકર કૂવો છે. તેના
ઉપર એક વેંત પહોળું પાટિયું મુકાવીને પોતે પાટિયા ઉપર ઘોડો હાંકયો, એમ
સમજીને કે પાટિયા ઉપરથી ઘેાડે લથડે એટલે કૂવામાં ડૂબીને જીવ કાઢી શકાય,
કારણ કે જુદ્ધ મળતું નથી, અને આપઘાત કરવા કરતાં આવી રમત રમવામાં જ ઊકલી
જવું વધુ સારું. પણ તેમાંય ઘોડે ન લથડ્યો.
પછી સવાજીએ એક દિવસ ભાદરને કાંઠેથી જેતપુરના કાઠીએાની કાઠિયાણીએાનું હરણ કર્યું . બાઈઓને ગારિયાધાર લાવીને સગી બહેનોની રીતે રાખી.
ગારિયાધારને પાદર એક દિવસ કાઠીઓની જંગી ફોજ આવીને
ઊભી રહી. સવાજી રણસાજ સજીને હાજર થયા. સામસામી બે હાર કરીને કાઠીએાની ફેાજ
ખુલ્લે શસ્ત્ર ઊભી હતી. સામે ઊભા રહીને સવાજીએ કહ્યું : “ શુરવીરો,
સાંભળો ! તમે બરાબર તલવાર વાપરજો, તમારી ફોજ સોંસરવો હું મારો ઘોડો
દોડાવવાનો છું. તમારી બાઈએાને મેં મન, વચન, કાયાથી મા-બહેનો ગણી છે કે નહિ
તેની સાબિતી બતાવું છું.”
એવું કહીને એણે કાઠીઓની ફોજ વચ્ચે પૂરપાટીએ ઘોડો
નાખ્યો. સામે તલવારોની ઝીંક બોલી, પણ સત્યવાદી ધાડેસવાર સાવ કોરેકોરો સામે
કાંઠે નીકળી ગયો, કાઠીએાની તલવારે સામસામી જ અથડાઈ.
સામે પડખેથી ફરી વાર સવાજી બેાલ્યે : “શૂરવીરો !
આખા જગતની બાઈઓને મેં મન, વચન, કાયાથી મા-બહેનો ગણી છે કે નહિ તેની સાક્ષી
હવે જોજો.” એમ કહીને પાછો ફેાજ વચ્ચે ઘુસ્યો. ખડિંગ ! ખડિંગ કાઠીએની તલવારો
સામસામી અફળાઈ સવાજી સહીસલામત પાર નીકળી આવ્યો.
પછી એ બોલ્યો : “ હવે તો આવો શૂરવીરો ! સ્વર્ગને માગે મને વળાવવા આવો.”
એકલો સવાજી આખી ફોજ સાથે લડીને મરાયો. આજ એનાં બિરદ ગાય છે કે,
કાંધાઉત સવે અખીયાત કીધી,
જુગે જુગ વંચાણી ખ્યાત જાકી.
કૂવા પર હાંકિયો અસવ જીવ તરણું કરી
કૂવા પર હાંકિયો અસવ જીવ તરણું કરી
ભૂવો વરસ પચીસે ગોહિલ માંકી.
કાંધાજીના પુત્ર સવાજીએ એવું કામ કર્યું કે એની
કીર્તિ જુગે જુગ વંચાય છે, જીવતરને તરણા જેવું ગણીને એણે કૂવા ઉપર અશ્વ
હાંક્યો, અને આખરે પચીસ વરસે એ મર્યો.
૧૪
કરપડાની શૌર્યકથાઓ
૧. 'સમે માથે સુદામડા ?'
પહેલો પોરોપેરે રેનરો, દીવડા ઝાકમઝાળ,
પિયુ કંટાળે કેવડે, ધણ કંકુની લેળ.
જુ
વાન કાઠી જુગલની મિલન-રાતને એવો પહેલો પહોર હતો.
દીવડો ઝાકમઝોળ બળે છે. બાવીસ વરસનો મામૈયો ખાચર, પાંચાળના ડુંગરમાં રમી રમી
રાતેાચોળ બનેલે કાઠી જુવાન એ રાતે કોઈ સુગંધી કેવડા સમો ફરે છે, એને
રોમેરેામથી પહાડની જુવાની મહેકે છે, અને હજી પરણીને તાજી ચાલી આવતી
કાઠિયાણી પિયુ ભેળી હિંગળોકિયે ઢોલિયે બેઠી બેઠી કંકુની પૂતળી જેવી દીસે
છે.
વાતો કરતાં કરતાં ઓચિંતાની કાઠિયાણી ઓઝપાઈ ગઈ. એનું મોં કાળું પડી ગયું. મામૈયા ખાચરે પૂછયું : “શું છે, કેમ ચકળવકળ જુએ છે ?”
“ કાઠી ! મને આ ઓરડામાં કોઈક ત્રીજા જણનો ઓછાયો પડ્યો લાગ્યો. ”
“લે ગાંડી થા મા, ગાંડી ! કોક સાંભળશે તો તને બીકણ
કહેશે. આંહી કોની મગદૂર છે કે પગ દઈ શકે ? ડેલીએ મારો સાવજ લાખો કરપડો
ચોકી દઈ રહ્યો છે.”
કાઠિયાણી નવી પરણીને ચાલી આવતી હતી. બહાદુરની
દીકરી હતી. બીકણ ગણાઈ જવાના ડરથી એ ચૂપ રહીને પતિની સેાડમાં સૂઈ ગઈ, પણ એની
આંખો ઘણી લાંબી વાર સુધી ઓરડાની દીવાલો ઉપર ફરતી રહી. એારડો જાણે હસતો
હતો. અસલમાં કાઠીએાના ઓરડાની અંદર એક પછીતની પડખોપડખ બીજી પછીત ચણાતી.
વચ્ચે રહેલા પોલાણને પછીતિયું કહેવાતું. મોયલી પછીતમાં નાનું એક બારણું
રાખતા અને એ બધું ગુપ્ત રહે એટલા માટે આખી પછીતે ચાકળા, ચંદરવા, તોરણ અને
વાસણની રૂપાળી માંડ માંડી દેતા. કાઠિયાણીને જેવું ઘર શણગારતા આવડ્યું છે
એવું બીજું કોણે શણગારી જાણ્યું છે? એ ગાર કરે છે ત્યારે કોણ જાણે એના
હાથમાંથી કેવા કેવા રંગ નીતરે છે ! એના ઓળીપામાં જે સુંવાળપ ઝળકી ઊઠે છે તે
એની હથેળીએાની હશે કે એના હૈયાની ? ચાકળા-ચંદરવાનું ઓઢણું એાઢીને જાણે
ચારે ભીંતો હસતી લાગે છે, પણ એ ભીંતોના અંતરમાં શું છે ? કાળું ઘોર
પછીતિયું !
જોઈ-જોઈને થાકેલી એની આંખો મળી ગઈ. મામૈયો ખાચર તો
ક્યારનોય ઘોરતો હતો. બેલડી ભરનીંદરમાં પડી એ વખતે એ હસી રહેલા ઓરડાના
ચંદરવા ખસેડીને પછીતિયામાંથી ત્રણ જણ નીકળ્યા. ઊંઘતા મામૈયાનું ગળું વાઢીને
ચૂપચાપ નીકળી ગયા. થોડી વારે ભીનું ભીનું લાગતાં કાઠિયાણી જાગી ગઈ. કારમો
બનાવ દેખીને એણે ચીસ પાડી.
સુદામડા ગામની આખી વસ્તી નીંભણી નદીને કાંઠે દરબાર
મામૈયા ખાચરને દેન દેવા ભેગી થઈ અને પછી ચર્ચા ચાલી. સુદામડાના ઘાટીદાર
લાખા કરપડાએ વસ્તીને હાકલી: “દરબારનો મારનાર બીજો કોઈ જ નથી, એનો સગો ભાઈ
શાપરવાળો લાખો ખાચર જ છે. લાખાને ગરાસને લોભ લાગ્યો છે; ભાઈને મારીમારીને
એને ભોં ભેળી કરવી છે; ને આજ એ આંહી કબજો લેવા આવશે.”
વસ્તી ચૂપ રહી. માંહોમાંહે સહુ ગુપપુસ કરવા માંડયા : “ભાઈએ ભાઈઓ વાઢે એમાં આપણે શું ? કયે સવાદે આપણે માથાં કપાવીએ ?”
ડાહ્યો કાઠી લાખો કરપડો બેલ્યો : “ભાઈઓ, આવો, આપણે
ઠરાવ કરીએ કે આજથી સુદામડાને ધણી કેાઈ એક જણ નહિ; એક ગરાસ ખાય અને બીજા
સહુ એની મજૂરી કરે એમ નહિ; આજથી 'સમે માથે સુદામડા ? : એટલે જેને ઘેર જે જે
કંઈ ગરાસ-ચાસ હોય તે આજથી એની અઘાટ માલિકીનો : સુદામડાની વસ્તી જ
સુદામડાનો રાજા. ખબરદાર ! આપો લાખો ખાચર આવે કે માટો ચક્રવર્તી આવે, આપણે
એકએક સમશેર લઈને સુદામડાનો બચાવ કરવાના છે. છે કબૂલ ?'
વસ્તી એ કબૂલ કર્યું : તે દિવસથી – સંવત ૧૦૦૬ની
આસપાસથી –'સમે માથે સુદામડા' બન્યું. સહુને પોતપોતાની જમીનના અઘાટ હક મળી
ગયા... * સહુને 'મારું સુદામડા', 'મારું સુદામડા' થઈ પડયું. પોતાપણાને
કોંટો ફૂટયો.
૨
“ધિરજાંગ ! ધિરજાંગ ! ધિરજાંગ !” કાનના પડદા તોડી
નાખે તેવા ઘોર નાદ કરતોબૂંગિયો ઢોલ બજવા લાગ્યો, અને સુદામડામાં રાજગઢના
કોઠામાં ચારણની વાર્તા થંભી ગઈ. જુવાન કાઠીડાઓનો ડાયરો ગુલતાન કરવા બેઠો
હતો તેના હોશકોશ ઊડી ગયા.
માણસોએ દોડતા આવીને કહ્યું : “પીંઢારાનું પાળ આવ્યું. આથમણો ઝાંપો ઘેરી લીધો.”
જુવાનો સામસામા જોવા લાગ્યાઃ ગામમાં કોઈ મોટેરો હાજર ન હોતો. લાખો કરપડો તમામ મોટેરાઓને પાળમાં
લઈને નળકાંઠા તરફ ગયો છે. સોળ-સોળ અને અઢાર-
અઢાર વરસના ઊગતા જુવાને દિડ્મૂઢ બનીને બેઠા રહ્યા. હાય હાય. કાળઝાળ પીંઢારાઓનું કટક આવ્યું. કાચા મૂળાની જેમ સહુને કરડી ખાશે !
કોથાની પછવાડેની બારીએથી એક ધીરો અવાજ આવ્યો : "જેઠસૂર ! ભોજ ! નીકળી જાવ ! ઝટ નીકળી જાવ !”
બે જુવાનોએ પાછલી બારીએ નજર કરી. નીચે બે ઘેાડાં
સાબદાં કરીને એક આધેડ આદમી ઉભેલ છે. ઈશારો કરે છે : “બેય જણા ઝટ ઊતરી જાવ;
ચડીને ભાગવા માંડો.”
બે જુવાનો જીવને વહાલો કરીને કોઠેથી ઠેકવાની
તૈયારી કરે છે, ત્યાં તો જેણે વાર્તા માંડી હતી તે ચારણે બેયની વચ્ચેથી
બારીની બહાર ડોકું કાઢ્યું : “કેાણ, માણસૂર ખવડ? આપો માણસૂર ખવડ ઊઠીને –
કરપડાએાને ભાણેજ ઊઠીને – અટાણે ગામના જુવાનેાને ભગાડે છે ? અરે ! પેટના
દીકરા ભેાજને તો ઠીક, પણ સુદામડાના શિરોમણિ લાખા કરપડાના દીકરા જેઠસૂરનેય
ભગાડે છે ? હાય રે હાય, આપા માણસૂર ખવડ ! કાઠીએાનું આથમી ગયું કે ?”
“લે બસ કર, કાળમુખા !” એમ બોલીને એ ઘોડાવાળો
માણસુર ખવડ જુવાનોને લલચાવવા માંડયો : “ બેટા ભેાજ ! ભાણેજ જેઠસૂર ! જીવતા
હશું તો સાતવાર સુદામડું ઘેર કરશું. ભીંત હેઠ ભીંસાઈ નથી મરવું ભાગો, ઝટ
ભાગો !”
માણસુર ખવડના દીકરો ભેાજ તે ખાબકી પડ્યો. ઘોડીએ
ચડી ગયો, પણ જેઠસૂર ચારણની સામે જોઈ રહ્યો. ચારણે કહ્યું : “બાપ ઘેરે નથી
ને તું સુદામડું છોડીશ ? અને 'સમે માથે સુદામડું' શું ભૂલી ગયો ? આજ લગી
ગરાસ ખાવો ગળ્યો લાગ્યો, ને રક્ષા કરવા ટાણે તું તારા મામા માણસૂરની ઘોડીએ
ચઢી જીવ બચાવીશ, જેઠસૂર !”
સૂદલગઢ સૂનો કરે, (જો) જેઠો ભાગ્યો જાય,
(તો) એભલ ચાંપો અજ, લાજે લાખણશિયાઉત !
(તો) એભલ ચાંપો અજ, લાજે લાખણશિયાઉત !
હે લાખા કરપડાના દીકરા જેઠા, જે સુદામડું મૂકીને
તું આજ તારા બાપની ગેરહાજરીમાં નાસી જા, તે કાઠી કોમના વીર ચાંપરાજ વાળા
અને એભલ વાળા * ના નામને કલંક ચડે.
ચારણની અંખો લાલચટક બની ગઈ. કોઠો હલમલી ઊઠ્યો.
દેવીપુત્રનું મુખ દીપી રહ્યું, એ દેખીને જેઠસૂરે કહ્યું : “મામા, બસ, થઈ
રહ્યું. હવે મારે પગે તેની બેડી પડી ગઈ. તમને જીવ વહાલો છે, તો ભેાજાને
લઈને ભાગવા માંડો.”
માણસૂર ખવડ ચારણને ગાળો દઈને ભોજાની સાથે ભાગી
નીકળ્યો. ચારણ કોઠા ઉપર ઊભો થઈને બુલંદ નાદે ગામને બિરદાવવા લાગ્યો. એનાં
ગીતો-છંદોએ ગામ આખાને પાનો ચડાવ્યો. પણ તોય હજુ જેઠસૂર કોઠેથી નીચે ઊતરતો
નથી.
સેજકપુરના ભાગદાર વોળદાન ખવડે વાડીએ કોસ હાંકતાં
હાંકતાં સુદામડાને તરઘાયો ઢોલ સાંભળ્યો; બળદની રાશ હેઠી મૂકીને પરબારી એણે
ઢાલ તલવાર ઉપાડી કોઠાની બારીએ સાદ કર્યો : “જેઠા, સેાનબાઈ માતાની કૂખની
કીર્તિ કરતાંય આજ જીવતર વહાલું થઈ પડયું કે? આમ તો જો, આ તલવાર લઈને કોણ
નીકળ્યું છે ?”
જ્યાં જેઠસૂર નીચે બજારમાં નજર કરે ત્યાં તો એની માતા સોનબાઈ! જગદમ્બા ઉઘાડે માથે ખડગ લઈ ને બજારમાં આવી ઊભી છે.
“માડી ! એ માડી ! મોડો મોડો તોય આવું છું હો !” એવી હાક દેતો જેઠસૂર ઊતર્યો. બીજા પંદર-વીસ કાઠીઓ
-
આજ સુધી પણ એમ જ છે. વસ્તીના અઘાટ હકને પાછો ઝૂંટવી લેવા સારુ સુદામડાના દરબારો પણ ઘણી ઘણી વાર અદાલતોમાં લડ્યા છે , પણ વસ્તીના હકકો કાયમ રહ્યા છે.
-
* આ બે પુરુષોની કથાઓ માટે જુઓ ' રસધાર ' ( ભાગ ૧)ની વાર્તાઓ ' વાળાની હરણપૂજા ' અને ' ચાંપરાજ વાળો. '
ઊતર્યા. મોખરે ચાલી ભવાની કાઠિયાણી મા આઈ સોનબાઈ.
મધચોકમાં મુકાબલો થયો. એક બાજુ પંદર-વીસ કાઠી ને
બીજી બાજુ બસો પીંઢારા. પણ એક બાજુ વીર જનેતા હતી ને બીજે પક્ષે પાપ હતું.
પીંઢારાના સાઠ માણસો કાઠીના ઝાટકા ખાઈને પડયા. ઠેઠ આથમણે ઝાંપે પીંઢારાને
તગડી ગયા. પણ ત્યાં તો જેઠસૂર અને વોળદાન, બેય જણા ઘામાં વેતરાઈ ગયા. જાણે
મોતને પડકારો કર્યો હોય કે 'જરાક ઊભું રહે, ઝાંપે વળોટવા દે !” એવી રીતે એ
બેય જણા પાળને ઝાંપા બહાર કાઢયા પછી જ પડ્યા.
પીંઢારા ચાલ્યા ગયા; ગામ લૂંટાયું નહિ, પણ
સોનબાઈની કાયા ઉપર પાંચ ઘા પડી ચૂકયા હતા. જેઠો અને વોળદાન આઘે પડ્યા પડ્યા
ડંકતા હતા, તે બેયનાં માથાં પોતાના ઢીંચણ ઉપર રાખીને એક છાપરીની નીચે
માતાજી પવન નાખવા માડયાં.
રાત હતી. શત્રુઓ ક્યાં સંતાઈ રહ્યા છે તેની કેાઈને
જાણ નહોતી. એાળામાં બે જુવાનોનાં માથાં ટેકવીને આઈ સમાધિમાં બેઠાં હતાં.
એમાં ઓચિંતાના એ ઝૂંપડીને ચોયદિશ આગના ભડકા વીંટળાઈ વળ્યા. કાંટાના ગળિયા
ખડકીને આગ ચેતાવનાર પીંઢારા હતા.
પોતાના પ્રાણ છૂટ્યા ત્યાં સુધી આઈ સોનબાઈ એ
દીકરાના અને ભાણેજના દેહ ઉપરથી અંગારા ખેર્યા હતા. ત્રણે જીવતા જીવ
સુદામડાને પાદર 'સમે માથે સુદામડા'ને ખાતર સળગી ભડથું થઈ ગયા.
એ ત્રણેની ખાંભીઓ આજે આથમણે ઝાંપે ઊભેલી છે.
ર. ફકીરો કરપડો
સુ
દામડાવાળા કનૈયા કુંવર જેવા મામૈયા ભાઈનું ખૂન
થયું. તેવી જ રીતે ઉબરડાવાળા ભાઈ કલા ખાચરને પણ દારૂમાં કોઈએ ઝેર દીધું એને
વંશ ગયો. આ બીજા ભાઈને મારનાર પણ લાખા ખાચર હતેા એમ બેાલાય છે.
ઉબરડાની ચોકીદારી પણ કરપડા જ કરતા હતા. ફકીરા
કરપડાની અવસ્થા પાકી હતી. એના હાથમાં હવે તો તરવાર ધ્રૂજતી હતી. પણ લાખા
ખાચર કે મૂળુ ખાચર ઉબરડાના ગરાસ ભોગવે, તે પહેલાં તો મારે મરી ખૂટવું, એવી
એની પ્રતિજ્ઞા હતી. બગડ ગામમાંથી ખાચરોનો એક દીકરો લાવીને એણે ઉબરડાની ગાદી
પર બેસાડ્યો. એનું નામ વેળો ખાચર.
એક દિવસ ફકીરો કરપડો ઘેર નથી. મૂળુ ખાચર અને લાખા
ખાચર ઉબરડે ચડી આવ્યા. કરપડાની બાઈએાને હરણ કરી છોબારી ગામે ઉપાડી ગયા. પણ
મૂળુ ખાચર પવિત્ર હતા. બાઈઓને એમણે બહેનો કરીને રાખી.
મૂળુ ખાચર નહોતા ત્યારે કરપડાએા પણ ધ્રાંગધ્રા
રાજની મદદ લઈને છોબારી આવ્યો. આવીને પોતાની બાઈએાને હાથ કરી. માણસો ફકીરોને
કહેઃ “મૂળુ ખાચરનાં ઘરનાંને લઈ ને આપણે આપણું વેર વાળીએ.”
ફકીરાએ જવાબ દીધો : “બાપ ! વહુનાં આણાં હોય પણ કાંઈ માનાં આણાં હોય ? મૂળુ ખાચરના ઘરમાં આઈ છે. તે આપણી મા કહેવાય.”
ભાઈઓને ઘેર પહોંચાડયા પછી ફકીરે કરપડો રાજસાહેબનાં
માણસો સાથે ભટકતો હતો. મચ્છુ નદીને કિનારે એ બધા ચાલતા હતા. ત્યાં તો સામે
કાંઠે ખાચર ભાઈએાનું કટક ઊભેલું દેખ્યું. દેખીને ફકીરાએ પોતાનાં અને
રાજસાહેબનાં તમામ માણસોને પાછાં વાળી દીધાં, “બીજા સહુ બચે એટલા માટે હું
એકલો આખા કટકને રોકીશ. મને મારવામાં બધા રોકાઈ જશે. હું હવે જિંદગી જીવી
ચૂકયો છું; મને મરવા દ્યો. તમે આપણા ધણીને સંભાળો.” એમ કહીને એણે પોતાના
વંશના જુવાનને ને ઉબરડાનો માર્ગ પકડાવ્યો અને પછી નદીને કાંઠે કાંઠે એણે
ઘેાડી દોડાવી. વચ્ચે ઓરિયાનો બાંધેલ ઊંચો ધોરિયે આવ્યોયા, તે વટાવ્યો. પણ
બીજે જ ડગલે એક ભગદાળું આવ્યું, તેમાં પડતાં ઘોડીને પગ ભાંગ્યો. બચવાની
બારી રહી નહિ, કેમ કે સામે કાંઠે પણ શત્રુઓનું કટક દોડતું આવે છે.
તરવાર કાઢીને ફકીરો એકલો ઊભો રહ્યો. સામે કાંઠેથી એ
એકલવાયા સ્વામીભકત વીરને મૂળુ ખાચર ધારી-ધારીને નિહાળી રહ્યા. ફકીરાની
ધોળી ધોળી દાઢી મૂછ પવનના ઝપાટામાં ફરકતી હતી; આથમતા સૂરજનાં કિરણ એની
તરવાર ઉપર રાસ રમતાં હતાં; નદીનાં પાણી એ બુઢ્ઢા મેઢા ઉપર ઝળાંઝળાં થતાં
હતાં; અને ફકીરો પડકારતો હતો : “હાલ્યા આવો, મૂળુ ખાચર, હાલ્યા આવો.”
મૂળુ ખાચરે પોતાની ફેાજને કહ્યું : “ખબરદાર, એની
ઉપર બંદૂક છોડશો મા, ઊભા ઊભા એનાં દર્શન કરો. આવું રૂપ ફરી કે દી દેખવાના
હતા ! વાહ વીર વાહ ! રંગ છે તારી જનેતાને. ”
પણ એવું દર્શન કરવા માટે લાખા ખાચરની પાસે અંખેા
નહોતી. એની નજરમાં તે ઉબરડાની કાળી કાળી રસાળી; જમીન રમતી હતી. એણે પોતાના
માણસને ઇશારો કર્યો, ગોળી છૂટી : હ મ મ મ : ફકીરો ઢળી પડયો.
જખમમાંથી ખળળળ ખળળળ લેાહીનો ધોરિયો છૂટયો છે, ફકીરાના શ્વાસ તૂટવા મંડયા છે, પણ છેલ્લી ઘડીએ એ
શું કરતો હતો ? પોતાની પછેડીની ફાટમાં ધરતીની ધૂળ ભેગી કરતો હતેા.
સામે કાંઠેથી સ્વર આવ્યો : “ ફકીરા કરપડા ! મરતી વખતે ચાળો ઉપડ્યો કે શું ? ”
આ કાંઠેથી જવાબ ઊઠયો : “ ના, બાપ ! આ તો મારા
ધણીની ધરતીને મરતે મરતેય બાંધી જાઉ છું. ત્યાં જઈને કહીશ કે મારા ધણી !
મરતાં મરતાંયે તારી જમીન લીધી છે, દીધી નથી.”
લીધી પણ દીધી નહિ, ધણિયુંવાળી ધરા,
કીધી કરપડા, ફતેહ અંગત ફકીરિયા !
ફકીરાના રામ ઊડી ગયા. મૂળુ ખાચરે એના પગ પાસે બેસીને આંસુ પાડ્યાં. એણે પ્રતિજ્ઞા લીધી કે ઉબરડાની ચપટી માટી પણ મારે હવે ન ખપે.
ફકીરા કરપડાની ખાંભી અત્યારે મચ્છુને કાંઠે મોજુદ છે.
૩. વિસામણ કરપડો
ધ
ણીની ધરતી સાચવતો ફકીરો કરપડો મચ્છુને કાંઠે
મર્યો, પણ પોતાની ખાનદાનીનું લોહી પોતાના વંશને વારસામાં દેતો ગયો. ફકીરાની
ત્રીજી પેઢીએ ઉબરડામાં વિસામણ કરપડો થયો, અને વેળા ખાચરની ત્રીજી પેઢીએ
ભેાજ ખાચર થયા, છ વરસના અને એકના એક વહાલા દીકરા ભોજનું કાંડું વૃદ્ધ
વિસામણાને ભળાવીને ભેાજના બાપ દેવ થઈ ગયા. ભેાજની મા તો વહેલાં ગુજરી
ગયેલાં. ભેાજને સાંભરતુંયે નહિ હોય કે માનું માં કેવું હશે.
ભેાજને એક કમરીબાઈ નામે બહેન હતાં. તે જામનગર તાબે
દહીરા ગામમાં દરબાર શાદૂલ ધાધલના ઘરમાં હતાં. લેાકેા કહેતા હતા કે કમરીબાઈ
તે આઈ વરૂવડીનો અવતાર છે.
બાપુ ગુજર્યાના ખબર પડતાં કમરીબાઈ એ શાદૂલ ધાધલને
કહ્યું, “કાઠી, મારા બાપનું ગામતરું છે અને ભાઈ ભેાજના મોઢામાં હજી દૂધિયા
દાંત છે ! એને મારા પિતરાઈઓ જીવતે નહિ રહેવા આપે, માટે હાલે, આપણે ઉબરડે
જઈને રહીએ.”
ત્યાં તો બહેનને પણ સ્વર્ગોપરનું તેડું આવ્યું;
બહેન મરવા સૂતાં પણ જીવ કેમેય જતો નથી. આપા વિસામણે ઢોલિયા પાસે બેસીને
પૂછયું : “બહેન, તું તો વરૂવડીને અવતાર : અને જીવ કેમ જાતો નથી ?”
બહેને જવાબ દીધો : “ કાકા, મારા ભેાજનું શું થાશે?”
“કાં માડી ! ભેાજની ફિકર શેની ! એની રખેવાળી કરનારા એના બે કાકા બેઠા છે ને !”
વિસામણ કાકા, ભેાજ મરે તેનો ગરાસ કોને જાય ?”
“એના કાકાને.”
“બસ ! સમજ્યા, બાપ ?”
“સમજ્યો, બેટા ! લે ત્યારે સાંભળ. ભેાજ જે દી મરશે
તે દી સ્વર્ગાપરને મારગે ઉબરડાનો એકેએક કરપડો બે ડગલાં ભેાજની મોઢા આગળ
માંડશે. માટે, મારા બાપ ! તારા જીવને સદ્ગતિ કર.”
કમરીબાઈના પ્રાણ એટલું સાંભળીને છૂટી ગયા. પણ આ
બધી વાતો ભેાજ ખાચરના પિતરાઈઓના કાને ગઈ. એ બધાને પગથી માથા સુધી ઝાળ થઈ
ભેાજને ટૂંકો જ કરવા એવો મનસૂબો ઘડાયો.
બહેન ગઈ એટલે તે દરબારગઢ ઝાંખો પડી ગયો. વિમાસણ
ડોસાએ એારડામાં આવીને જોયું તેા એાળીપો બગડી ગયેલો, ચાકળા-ચંદરવા વીંખાઈ
ગયેલા અને માંડયનાં વાસણ કાળાં પડેલાં.
“મારા બાળારાજાના એારડા આમ રઝળતા કેમ રખાય ! ગઢની
આબરૂના કાંકરા થઈ જાય ને!” એમ વિચાર કરીને એણે આઠ વર્ષના ભેાજનો વિવાહ
કર્યો. ગોસળ ગામની ચૌદ વરસની રંભા જેવી કાઠિયાણી આણી. જુવાન કાઠિયાણી
પાતાના ઘરમાં માંડછાંડ કરવામાં તલ્લીન બની ગઈ. ધણી કેવડો છે એ ધ્યાન
કરવાનું ભાન એને રહ્યું નહિ.
એંશી એંશી વરસના બે કરપડાને આપા વિસામણે ડેલીએ
ચોકી કરવા બેસાડ્યા. રોજ સવારે ગઢમાંથી વડારણ આવીને લોટના બે શગભર્યા સૂંડા
ડેલીએ મૂકી જાય, ને બેય કરપડા આખો દિવસ સાધુ-બ્રાહ્મણને છાલિયું લોટ આપે.
ગઢમાં એક કૂતરું પણ બે બુઢ્ઢા કરપડાની રજા વગર પેસી ન શકે.
વિસામણ કરપડાને જીવો નામે એક દીકરો હતો. એ જીવો
અને કરપડાના બીજા સત્તર તેવતેવડા જુવાને સવાર પડે ત્યારથી ભોજભાઈને વીંટી
૯યે. તે રાતે સૂવાટાણે નેાખા પડે.
પિતરાઈએાને તો હજાર વાતે પણ વેર કરવું હતું.
પોતાનાં ઘેાડાં લઈને ભેાજની સીમ એ ભેળવવા માંડયા, એટલે એક દિવસ વિસામણ
કરપડાએ એ બધાં ઘોડાં બાંધી દીધાં.
પિતરાઈએાએ ધ્રાંગધ્રાના રાજસાહેબ પાસે જઈને લાલચ દીધી કે 'જો ભેાજને ઠેકાણે કરે, તે અમારો અરધો ગરાસ તમને આપીએ.”
રાજ મનુભા વિસામણ કરપડાને “ વિસામણ કાકા” કહી
બેાલવતા. મોરબી અને ધ્રાંગધ્રા વચ્ચે મીઠાના અગર માટે જ્યારે તકરાર પડી હતી
ત્યારે રાજસાહેબને જો કેાઈ એ જિતાવ્યા હોય તો તે વિસામણ કાકાએ વિસામણ કાકા
કરપડાએાનાં માથાં લઈને રાજસાહેબની વહારે ગયેલા. પણ
ગરાસની લાલચે બધા ગુણ ભુલાવી દીધા.
રાજસાહેબે વિસામણ કાકાને ધ્રાંગધ્રે તેડાવી લીધા.
કાકાની ઘેાડીને ગઢની માંહ્યલી ઘોડારમાં બંધાવી દીધી. ડેલીની મેડી ઉપર જ
કાકાને સીસમનો ઢોલિયો ઢળાવી દીધો. પોતાની થાળીમાં જ કાકાને જમાડવા મંડ્યા.
કોઈ રાજાના જેવી કાકાની ચાકરી થવા લાગી. પણ કાકાને ક્યાંય રેઢા ન મૂકે.
કાકા કેદી બન્યા.
બીજી તરફથી રાજસાહેબે ત્રણસો બંદૂકદારોને તૈયાર
કરી, એક દિવસ સેાપો પડ્યે ઉબરડામાં પેસાડી દીધા. બંદૂકદારો ભેાજના પિતરાઈની
ડેલીમાં સંતાઈ ગયા.
સવાર પડયું. ખળાવાડમાં તલનાં એાથડાં ખંખેરવાનાં
હતાં તેથી ભોજભાઈને પટેલ ખળાવાડે પધારવાનું કહી ગયો. અઢાર જુવાનજોધ કરપડાની
વચ્ચે વીંટાઈને ભેાજ ખળાવાડે ગયો. ગામ ખાલી થયું. દૈવને કરવું હશે તે
સવારે વહેલો એક બાવો ભોજના પિતરાઈઓની ડેલીએ લોટ માગવા ગયો. ત્યાં એણે
દાઢીવાળા ત્રણસો બંદૂકદાર દેખ્યા. ખળાવાડે જઈને એણે બાતમી દીધી.
વિસામણ કાકાનો સપૂત જીવો કરપડો આખી રમત કળી ગયો.
ભેાજ ખાચરના માગણિયાત ખેાડા રાસળિયાને બોલાવ્યો. બે ઘોડાં મગાવ્યાં.
રાસળિયાને કહ્યું : “ભેાજભાઈને તાબડતોબ ગોસળ પહોંચાડી એના સસરાને સોંપી આવ.
જોજે હો, તારો ધણી છે.”
ખોડો ભેાજ બાપુને લઈ ગેાસળ ચાલ્યો. ગોસળ સાયલાનું ગામ હતું.
પોતાના સત્તરે ભેરુબંધોને ખબરદાર કરીને જીવો પાછલી
બારીએથી પોતાના ફળિયે આવ્યો. પોતાની ફળી અને ભોજ ખાચરની ફળી વચ્ચે એક બારી
હતી, તેમાં થઈને ભેાજભાઈની ડેલીએ આવ્યો. આવીને એંસી વરસના બેય કરપડાના
કાનમાં વાત કહી : “ત્રણસો બરકંદાજ આવી પહાંચ્યા છે. ભોજભાઈને તો ગેાસળ ભેગા
કર્યા, પણ આઈનું શું થશે ? આઈ ને મારે એારડે લઈ જઈને ગેાસળ મોકલાવી દઉં ?
ભલે પછી એ કમજાતો આવીને ગઢના ગાભા વીંખવા હોય તો વીંખી જાય.”
બેય બુઠ્ઠાએાએ ધોળાં ધોળાં માથાં ધુણાવ્યાં. બેય
જણા બેલ્યા : “ના રે, બાપ ! બાપડી આઈ એ આટઆટલી મહેનતે એારડા શણગાર્યા એ
કાંઈ રેઢા મેલાય ? આઈ બાપડી અંસુડાં પાડી-પાડીને અરધી થઈ જાય ને !”
“પણ હું છું ને ! આઈને હું લઈ જાઉં છું.”
તરવાર ખેંચી લાલચાળ અંખ કરી એંશી વરસના બે ડેાસા
બેાલ્યા : “જીવા, અમને અંહી તેં નથી બેસાડ્યા; તારે બાપે બેસાડ્યા છે. એ
આવશે ને કહેશે તો ઊઠશું. બાકી તો અંહી જ મરશું. ગઢમાંથી એક માટલું પણ બીજે
કયાંય નહિ ફેરવવા દઈએ. એંશી વરસે શું અમે દાઢીમાં ધૂળ ઘાલશું ?”
જીવો ચાલ્યા ગયો. હવે ધીંગાણા વિના બીજો ઉપાય ન
રહ્યો. અઢારે જણા વરરાજા બનીને ઉઘાડી તરવારે ગામમાં ચાલ્યા. મોખરે જીવો
ચાલતો હતો ત્યાં તો સત્તર જણામાંથી એક સાવજ જેવો જુવાન દોડીને મોઢા આગળ
થયો. જીવો કહે : “કેમ, ભાઈ ? ”
“કેમ શું વળી ? તું મોટો ને હું શું નાનો છું ? પહેલી ગેાળી તો હું જ ઝીલીશ.”
ત્યાં તો ધડિંગ ધડિંગ કરતી ત્રણસો ગાળીઓ. સામેથી
વછૂટી. પણ રામ રાખે એને કેાણ ચાખે ? અઢાર જણામાંથી એક લાખાને પગે જ જખમ
થયો. એક ગાય અને એક પનિહારી ઘવાયાં, બાકીના સત્તરે મરદોએ એ
ધુમાડાના ગોટેગોટની અંદર ઉઘાડી તરવારે દોટ મૂકી. ત્રણસો બરકંદાજોને ડેલીએ
દાબી દીધા. ફરી વાર બંદૂકો ભરાય ત્યાં તો અઢારે તરવારો પાકલ શેરડી જેવા
વેરીએાને વાઢવા માંડી. ડેલીમાં એક સીદી ને જીવો કરપડો મંડાણા ને ડેલી બહાર
લાખો એક સિપાઈને પછાડી માથે ચડી બેઠો. દુશ્મનોનો સોથ વળી ગયો. બચ્યા તે
ભાગી છૂટયા.
ઘવાયેલા વાઘ જેમ વકરી જાય, તેમ લાખો પણ ઝનૂને
ચડ્યો. એ દોડયો દુશ્મનેાના એારડા ઉપર. એારડાની ઓસરીમાં દુશ્મનોનાં બે છોકરા
કિનખાબનાં ઘોડિયાંમાં સૂતાં હતાં. બીજા સાદાં. મેલાં ઘોડિયાંમાં વડારણોનાં
બે છોકરાં સૂતેલાં લાખાની ત્રાડ સાંભળીને કાઠિયાણીઓ તો એારડામાં ભરાઈ ગઈ,
પણ રંગ છે દાસીઓને ! એમણે તરત જ પોતાના છોકરાએાને કિનખાબનાં ઘોડિયામાં
સુવાડી દીધા, અને દરબારના કુંવરોને પોતાના છોકરાની જગ્યા એ સુવાડયા.
કાળભૈરવ જેવો લાખો ત્યાં પહોંચ્યો, જઈને કિનખાબનાં
ઘોડિયાંમાં પોઢેલા બાળકોને છેદી નાખ્યા. કાઠિયાણીઓ અને દાસીએાની રડારોળ થઈ
રહી. એ કાળી કિકિયારી સાંભળીને જીવો કરપડો દોડતો આવ્યો. છોકરાને હણાયેલ
જોઈને જીવાએ કહ્યું : “ ધિક, લાખા ! લોહીનો આટલો બધો તરસ્યો? આ આપણી માયું
નથી? એનાં છોકરાં આપણાં ભાંડું નહિ? આ તેં કોને મારી નાખ્યા? ભાગી જા,
પાપિયા !”
લાખાને બહાર કાઢયો ત્યાં સુધી દાસીએાએ આંસુ રોકી
રાખ્યા હતાં, પણ પછી ન રહેવાયું. પોતાનાં બે ગભુડાંને મરેલાં ભાળીને એમણે
છાનું રોઈ લીધું.
જીવો કહે : “રંગ છે તમને! તમે જ સાચી ક્ષત્રીજનેતા. બહેનો, હવે ફડકો રાખશો મા હું ઊભો છું.”
એ જ વખત વેલડાં જોડાવીને જીવાએ એ બધી બાઈ ઓને બગડ મોકલી દીધી. ત્યાર પછી આ વંશ બગડમાં જ ચાલ્યો છે, પાછા ઉબરડે આવ્યા જ નથી.
ધ્રાંગધ્રાના બરકંદાજો ભાગી નીકળ્યા, પછી
કરપડાએાને બીક લાગી કે હમણાં ધ્રાંગધ્રાની તોપો આવી પહોંચશે; તેથી ઉબરડું
છોડી અઢારે જણા ગોસળ ચાલ્યા ગયા.
૨
હવે જે રાત્રે ધ્રાંગધ્રાના બરકંદાજો ઉબરડામાં
દાખલ થયા તે રાત્રે ધ્રાંગધ્રામાં શું બન્યું ? ડેલીને માથે મેડી ઉપર
મખમલના ગાદલામાં વિસામણ કરપડો સૂતેલ છે; પણ એને ઊંંઘ આવતી નથી. એના મનમાં
આફરડા આફરડા થડકારા થવા લાગ્યા. મનમાં થયું કે અત્યારે ને અત્યારે ચડી
નીકળું.
પણ એની ઘેાડી કયાં ? દરવાજે દરબારના જીવા જમાદારની ચોકી હતી. જીવાને એણે કહ્યું : “મારી ઘોડી લાવો.”
“વિસામણ કાકા, હવે રામરામ કરો.”
“કાં, બાપ?”
“ઘેાડીયે મળે નહિ, ને તમારાથીયે નીકળાય નહિ. મારો રોટલો તૂટે, મારા હાથમાં બેડી પડે.”
વિસામણ કરપડાએ જીવાને મોંએથી બધી વાત જાણી. અત્યાર
લગીમાં તો ઉબરડાનો બાળધણી જમદ્વારે પહોંચ્યો હશે, એવી ગણતરી એણે કરી લીધી.
બુઢ્ઢાની અંખમાં ઝળઝળિયાં આવ્યાં. કપાળમાં મોતની કરચલીઓ પડી ગઈ.
“એ જીવા! એ બાપ ! કેમેય કરીને મને જાવા દે. મારું જીવ્યું ધૂળ થઈ જાય છે !”
“ બને જ નહિ.”
ડેાસો કરગરવા લાગ્યો. એના હૈયામાં નિમકહલાલી રોતી
હતી. જીવાએ નિમકહલાલી અનુભવી હતી. ડોસાના કાલાવાલા એ એની છાતી પણ પિગળાવી.
પોતાના ભાણેજને બોલાવીને એણે પોતાનો ઘેાડો મંગાવ્યો. વિસામણ કરપડાને ઘોડે
બેસાડી લગામ ભાણેજના હાથમાં સોંપી. જ્યાં સવાર પડે ત્યાં કરપડાને નીચે
ઉતારી તાબડતોબ પાછા આવવાની ભાણેજને ભલામણ કરી.
"કાકા, જોજો હો, મારાં છોકરાં ન રઝળાવતા.”
"હો બાપ !”
વિસામણ કરપડો ચાલ્યો. સવાર પડયું એટલે ડોસાને નીચે
ઉતારીને ઘોડો પાછો વળી નીકળ્યો. પણ હજી તો ઉબરડું ક્યાંય આઘું રહ્યું.
એંશી વરસનો ડોસો આજ આફતના ખબર સાંભળીને જ અરધો તો મરી ગયો છે, ફડકો પડવાથી
એની કેડ ભાંગી ગઈ છે. વળી ઉપર ભાલું, તરવાર અને અફીણના ખડિયાનો ભાર છે.
હાલતો જાય છે, નિસાસો નાખતો જાય છે, ને ઘડી ઘડી પોરો ખાતો જાય છે.
વચમાં સુંદરી ગામ આવ્યું. સુંદરીમાં પોતાનો
એાળખીતો એક ચારણ રહેતો હતો. ચારણને એણે ખૂબ ખવરાવેલું. ત્યાં એ ઘેાડું
માગવા ગયો. ચારણે ઘોડું તો ન દીધું, પણ ઉલટે જાકારો દીધો. દુ:ખી કાઠી ચાલી
નીકળ્યો.
રસ્તામાં એક વાણિયો ને એક ગરાસિયો મળ્યા. વાણિયાની રાંગમાં ગરાસિયાની ઘોડી રમતી આવતી હતી. ગરાસિયે કહ્યું :
“ અરે વિસામણ કાકા ! આમ પગપાળા કાં ?”
“ બાપ, ઘેાડી મને પાડીને ભાગી ગઈ મને વાગ્યું છે. ચલાતું નથી. સામે ગામ પહોંચાય તો ઘેાડું લઈ લઉં.”
ઘોડી ગરાસિયાની હતી. ગરાસિયો કહે : “શેઠ, ઊતરો; કાકાને સામે ગામ પહોંચાડવા પડશે.”
ઘોડી ઉપર રાંગ વાળીને વિસામણે ઘોડીના ડેબામાં એડી મારી ઘોડી ચાલી નીકળી. રજપૂતનું મેાં ફાટયું રહ્યું; એ બેાલ્યો : “કાકા, દગો ?”
ચાલતી ઘોડીએ ડોસો કહેતો ગયો: “બા, ફિકર કરશો મા. કાલ સવારે તમારી ઘોડી પાછી પહોંચાડીશ. આ તો દગો કહો, તો દગો !”
એમ કહીને વિસામણ કરપડે ઘેાડી વહેતી મૂકી. બપોરે
ઉબરડે આવ્યો. બધા સમાચાર લઈને ગેાસળ ગયો. ત્યાંથી અઢારે જુવાનોને લઈ ગીરમાં
ગયો. ત્યાંથી જેતપુર દરબાર મૂળુ વાળાની મદદથી ધ્રાંગધ્રા સામે બહારવટું
માંડયું.
કરપડાના બહારવટાએ ધ્રાંગધ્રાને ડોલાવી નાખ્યું.
આખરે જીવા જમાદારે વિચાર કર્યો : “આ પાપ મારે માથે છે. મેં એને જીવતો જાવા
દીધો ત્યારે આમ બન્યું ને ! એની વાંસે મારે જ મરવું જેઈએ.”
જીવો જમાદાર ઘોડે ચડ્યો. રાજસાહેબે ઘણો સમજાવ્યો,
પણ જીવો માન્યો નહિ. પોતાની ફોજ સાથે એ ઉબરડે જઈ રાત રહ્યો. સવારમાં પડાવ
ઊપડયો ત્યારે ગાયોનું ધણ પહર ચરીને ઝાંપામાં દાખલ થતું હતું. ગાયોની ધકબકને
લીધે ઘેાડેસવારેના ઘેાડા થંભી રહ્યા. ગાયો ઘેાડાંને શિંગડે મારવા લાગી
એટલે સવારો ભાલાં લઈને ગાયોને મારવા લાગ્યા. આ નિર્દયતા જોઈ ગોવાળની અંખમાં
લોહી વરસ્યું. એ બોલ્યો :
“ ગાયનાં શીંગ નથી ખમાતાં, તો કરપડાનાં ભાલાં શેં ખમાશે? આ પડ્યા તમારા કાકા આ – આ સીમાડાની તળાવડીએ. જાઓ ને મરદ હો તો !”
ગોવાળને ખૂબ માર મારીને ફોજ તલાવડી તરફ ચાલી
નીકળી, રાતે માવઠું થયેલું, એટલે બહારવટિયાના સગડ તેા ચેાખ્ખા હતા.
તલાવડીએથી એ ટુકડી નીકળીને ગઈ હતી. નીકળીને સુદામડાને પડખે ભમરાના
ડુંગરામાં આશરો લઈ લીધેા હતેા. એ ડુંગરમાં એક ઊંંડું નેરું છે. ઉપરવાસ થઈને
એ નેરામાં દાખલ થવાય છે. બીજો રસ્તો નથી. બેય કાંઠે ભયંકર ઊંંચી ભેખડો ઊભી
છે. નિરાધાર બહારવટિયાઓને આશરોલેવા માટે જ જાણે કુદરત માતાએ આ જગ્યા બનાવી
હશે.
સત્તર જણા એ નેરામાં બેસી ગયા. અઢારમો લાખેા કરપડો
નેરાને કાંઠે એક ધાર ઉપર ચાડીકો બનીને બેઠો. ત્યાં તો આઘેથી ધ્રાંગધ્રાની
ગિસ્તની ખેપટ ઊડતી દેખાણી. લાખાને એકલા લડીને જશ લેવો હતો તેથી એણે પોતાના
સાથીને કહ્યું : “જા, નેરામાં જઈને હેાકેા ભરી આવ.”
ગિસ્ત આવી તેને લાખાએ કાંઠે જ થંભાવી દીધી. જીવો
જમાદાર એકલો અંદર ઊતર્યો. હાથમાં ભરેલી બંદૂક હતી. જીવો કરપડો ઘોડી પર
ચડીને હેઠવાશ ભાગવા મંડ્યો અને કહેવા લાગ્યો : “જીવા જમાદાર, તે મારા બાપને
તે દી બચાવ્યો છે. આજ શીદ એ ગણ ભૂલવછ? શું મોઢું લઈને હું તારા ઉપર ઘા
કરું ?”
જીવા જમાદારે પડકારા કર્યા : “જીવા, જે કાળે જે ધરમ ! હવે ભાગ મા; હમણાં તારી ઘેાડીનો ગાભ નીકળી પડશે. ”
“તારી પાસે ભરી બંદૂક છે એટલે ડરાવતો હોઈશ, કાં ?”
“આ લે, બંદુક !” કહીને જીવા જમાદારે બંદૂક ફેંકી
દીધી. બેય જીવા બરછીએ આવ્યા. કરપડાનો ઘા બરાબર જીવા જમાદારના પેટમાં
વાગ્યો. ઘોડી ઉપરથી એ લથડ્યો, પણ એક પગ પેંગડામાં ભરાઈ રહ્યો; ઘેાડી અંટા
ફરવા મંડી. જમાદાર ઢસડાણો. કરપડે નીચે ઊતરીને જમાદારને છૂટો કર્યો ત્યારે
જમાદાર બોલ્યો : “જીવા, હું સૈયદ છું. મારી કાયા ઢસડાણી તેમ તારું
બહારવટુંયે ઢસરડાશે. હું તો મરું છું પણ ભાઈ, મારો છોકરો હાલ્યો આવે છે,
એને બચાવજે તારા બાપને બદલે મારો દીકરો દેજે.”
જીવો જમાદાર મરી ગયો : એના દીકરાને કરપડા અડકયા નહિ. જીવાની દફનક્રિયા કરીને કરપડા ગીરમાં ઊતરી ગયા.
આખરે જેતપુરના મૂળુ વાળાએ રાજસાહેબ સાથે વિષ્ટિ
કરીને કરપડાએાનું બહારવટું પાર પડાવ્યું. કરપડાને એક સો સાંતીની જમીન મળી
અને ભેાજ ખાચરને પણ એનો ગરાસ પાછો સોંપાયો. અત્યારે કરપડા પોતાની જમીન ખાય
છે. પણ ભેાજ ખાચર બીજી પેઢીએ નિર્વંશ ગયા, એટલે ધ્રાંગધ્રાએ ઉબરડાનો ગરાસ
ઊંચકાવી લીધો છે.
૧૫
કાળો મરમલ
"હ
મીરજીએ સોમનાથ સાટું શીશ કપાવ્યું, ચાંપરાજે
પોતાના ગામ જેતપુર સાટુ મોત મીઠું કર્યું ; એભલના દીકરા અણાએ સતીને કાજે
લોહી દીધાં; એમ કોઈ ધરમ સારુ, કોઈ ધેન સારુ, તો કોઈ સતી બહેન સારુ
પોતપોતાના પ્રાણ દેતા આવ્યા છે, દેનારની બલિહારી છે, બાપ કાળા! પોતાના
નાનકડા ગામટીંબાની લાજ કારણ પણ જે દેહ ખપાવે, એણેય જીવી જાણ્યું, નાનાં કે
મોટાં – પરાક્રમ તો જેટલાં પરમાર્થે, એટલાં સહુ સરખાં જ વદે.”
અવી અવી કંઈકંઈ શૂરકથાઓ રામ ગઢવી સંભળાવતા અને
જુવાન કાળો મરમલ ભાંગતી રાતના એ કવિમુખના પડતા બોલ ઝીલ્યા કરતો.
ગીરકાંઠાનું પીપરિયું ગામ જ્યારે ભરનિદ્રામાં જંપી જતું, ત્યારે આ ચારણને
અને કાઠીને જાણે કે દિવસ ઊગતો. કસૂંબાની કટોરી ભરીને પાતાની તથા કાળા
મરમલની વચ્ચે મૂકી, ગઢવી ઉપર રંગ દેતા કે :
રંગ રંગીલા ઠાકરા, કુંવર દશરથરા,
ભુજ રાવણરા ભંજિયા, આલી જા ભમરા !
ભુજ રાવણરા ભંજિયા, આલી જા ભમરા !
હે રંગીલા ઠાકર, હે દશરથના કુંવર રામચંદ્રજી, પહેલા રંગ છે તમને કે તમે રાવણની ભુજાઓ ભાંગી.
વળી ઝાઝા રંગ તો તમને એટલા માટે છે, હે નાથ! કે તમે તો –
રામા, રજપૂતી તણો, આડો વાળ્યો આંક,
લીધા પે'લી લાંક, ( તમે ) દીધી દશરથરાઉત !
લીધા પે'લી લાંક, ( તમે ) દીધી દશરથરાઉત !
તમે તો રજપૂતાઈનો આડો અંક વાળ્યો, કેમ કે હજુ તો લંકા તમે હાથ કરી નહોતી, તે પૂર્વેથી જ વિભીષણને તમે એનું દાન પણ કરી નાખેલું,
વળી, હે રઘુવીર !
અનેક ભગત ઓધારિયા, નકળંક લેતાં નામ,
તું તારે દશરથ તણા, (તું ને) રંગ હો સીતારામ !
તું તારે દશરથ તણા, (તું ને) રંગ હો સીતારામ !
હે નિષ્કલંક નરોત્તમ, તારાં તો નામ લેતાં તેં અનેક ભક્તોનો ઉદ્ધાર કર્યો. હે સીતારામ, રંગ હો બાપ ! રંગ હો તમને ! રંગ હો, ઝાઝા !
એમ કહીને પછી ગઢવી કટોરી હોઠે માંડતા. કટોરી લીધા
પછી ધીરે ધીરે ચડતા કેફમાં ગઢવીની અંખો લાલચટક બનતી, હોકાની ઘૂંટો ટૌકા
કરતી, ચલમના અંગારાયે જાણે કે જામીને વાતો સાંભળતા વાતોની વચ્ચે વચ્ચે ગઢવી
ખાનદાનીના બોધ દેતા – મા છોકરાને મીઠપથી પંપાળીને દવા પાય તે રીતે જ્ઞાન
પાતા : શૂરવીરતાના મર્મો સમજાવતા કે:
ધનકું ઊંડા નહિ ધરે, રણમેં ખેલે દાવ,
ભાગી ફેાજાં ભેડવે, તાકું રંગ ચડાવ !
ભાગી ફેાજાં ભેડવે, તાકું રંગ ચડાવ !
હે બાપ કાળા, ઝાઝા રંગ દઈએ એવા વીરને કે જે સૂમની
માફક ધનને ઊંડાં ન સંઘરી રાખે, પણ છૂટે હાથે વાપરે; રણમાં દાવ ખેલે, ને જે
ભાગતાં દળકટકને પણ પડકારી, પાણી ચડાવી ધીંગાણામાં એારે, વળી ભાઈ !
તન ચોખાં મન ઊજળાં, ભીતર રખ્ખે ભાવ,
કિનકા બૂરા નહ કહે, તાકું રંગ ચડાવ !
કિનકા બૂરા નહ કહે, તાકું રંગ ચડાવ !
ઝાઝા રંગ હોજો એવા શૂરવીરોને કે જેના દેહ પવિત્ર
છે, દિલ ઉજ્જ્વળ છે, ને જે કોઈનું બૂરું બોલે નહિ, કે ચિંતવે નહિ. એય છે,
બાપ કાળા, એકલું ભુજબળ તો પલીતનેયે હોય. પણ વીરતા કેાનું નામ !
કાળો મરમલ કવિના મુખ સામે તાકી રહેતો, એના મનમાં
સરસિયાના કાઠી ગાંગાવાળા ઉપર વેર ખદબદતુ હતું. તેની સમસ્યા શમતી નહોતી. એના
દિલમાં ઉધામા ઊઠે છે :
“મારો ગરીબ બાપ મને નાનો મૂકીને એક દિવસ મરી ગયો.
મરતાં મરતાં કહેતો ગયો કે 'મારો કાળિયો આપા ગાંગાને ભળે છે !' ત્યારે પછી
પડખે સરસિયા ગામના ગલઢેરા ગાંગા વાળાને આશરે હું ઊછર્યો, પણ એક દિવસ ગાંગા
વાળાએ મને ભૂંડે હાલે જાકારો દીધો. એના વેરનું શું ? ગઢવી તે મને ગોટાળે
ચડાવે છે !”
એમ કરતાં કાળો જુવાન થયો. રામ ગઢવીને મુખેથી એણે
શૂરવીરનાં ધીંગાણાની ઘણી ઘણી વાતો સાંભળી. ગામને પાદર એણે કેટલાય પાળિયા
જોયા. પછી રાતે રાતે ઊંઘમાં એને યુદ્ધનાં સ્વપ્નાં આવતાં : “મારી તલવાર!
મારે મલિયો !”એવા એવા હાકલા કરીને એ ભરનીંદરમાંથી ઝબકી ઊઠતો.
રામ ગઢવી ઉઠીને એને ટાઢો પાડતા ને એને શરીરે હાથ
ફેરવતા. સાંજે કાળાને આવતાં અસૂર થઈ જાય તો બુઢ્ઢા રામ ગઢવી એને ગોતવા
નીકળતા. એને મન તો કાળિયો મરમલ એના અંધાપાની લાકડી જેવો હતો.
એક દિવસ રામ ગઢવી પાસેથી અફીણ ખૂટી ગયું. બરાબર
ઉતાર આવ્યો એ ટાણે જ ડાબલી ખાલી નીકળી. “બાપ કાળા ! દોડ્ય દોડ્ય સરસિયે.
મારું મોત આવ્યું. ઝટ અફીણ લઈને પાછો આવજે.”
પોતાના મલિયા વછેરા ઉપર ચડીને કાળો અફીણ લેવા સરસિયે ગયો.
વેપારીની દુકાને ઊભો ઊભો કાળો અફીણ જોખાવે છે. તે ટાણે એાચિંતા ગામમાં હોંકારાપડકારા સંભળાયા. કાળો પૂછે છે : “શેઠ, આ શું છે ?”
વાણિયો કહે : “ભાઈ, આપણે એની શી પંચાત ! દરબાર
ગાંગા વાળાના બે ભત્રીજા એને મારી ગરાસ લેવા આવ્યા છે તે વઢે છે. એમાં આપણે
શું ? ડાહ્યા થઈને દુકાન વાસી દઈએ, ને માલીપા બેઠા બેઠા સાંભળીએ; તરડમાંથી
તાલ જેઈએ ! ”
ત્યાં તરવારોના ખણખણાટ અને બંદૂકેાના ધડાકા
સંભળાવા માંડ્યા. કાળાનું શરીર કાંપવા લાગ્યું. એનો હાથ તરવારની મૂઠ ઉપર
ગયો. વાણિયો કહે : “એલા, તને એમાં શેનું શૂરાતન ચડે છે ? તને તો ઊલટો ગાંગા
વાળાએ જાકારો દીધેા હતેા ! ”
“વાણિયા ! તું શું સમજ ? મારા દાંતમાં હજી આપા ગાંગા વાળાનું અન્ન ચોંટયું છે. હું અહીં જ મરીશ.”
“મર ત્યારે મૂરખા !”
ત્યાં તો ધીંગાણું બજારમાં આવી પહોંચ્યું. વાણિયાએ
દુકાનનાં કમાડ અંદરથી વાસી દીધાં. કાળાએ જોયું કે ગાંગો વાળો મરાયો. એટલે
તલવાર કાઢીને એણે દોટ દીધી. બેમાંથી એક ભત્રીજાને માર્યો, ત્યાં તે એનું
માથું પણ પડયું. ગામના ઝાંપા બહાર જે રાવણાનું ઝાડ છે, ત્યાં સુધી લડીને
એનું ધડ પડયું. અત્યારે ત્યાં એની ખાંભી છે.
અફીણની વાટ જોઈને બેહોશ બની બેઠેલા રામ ગઢવીએ
સાંજે જયારે ખબર સાંભળ્યા કે કાળો તો કામ આવ્યો, ત્યારે અફીણ લીધા વિના જ
ગઢવીએ મોં ઢાંકીને મરશિયા ઉપાડયા :
વ૨સ દસ વીસે, મરમલ વાંછીતો મરણ,
પૂગ્યો પચવીસે, કયાંથી આવે કાળિયો ?
- 'વીસ વરસનો વદાડ '– એ પાઠ પણ છે.
કાળો મરમલ તો દસ-વીસ વરસની ઉંમરે જ મરણ માગતો હતો.
આ તો પચીસ વરસે મરણનો મિલાપ થયો. પાંચ વરસનું મોડું થઈ ગયું. હવે એ પાછો
કયાંથી આવે ?
પછેડા પાંખે, મરમલ વાંછીતો મરણ,
જોવણ અંગ જડતે, કી' કરી આવે કાળિયો ?
અરે ભાઈ ! દસ-વીસ વરસે નહિ, એને તે એના જન્મ પછી
તત્ક્ષણ કુંવરપછેડા ઓઢયા પહેલાં જ મરવું હતું. પણ એ ઝંખનામાં એને જુવાની
આવી ગઈ. મોત સમા મિત્રનો આટલો મોડો મેળાપ થાય પછી કાંઈ એ પાછો આવે ?
ભૂખાળુ ભાલા તણો, કળકળતો કટકે,
(હવે) ભેાજન ખગ ભેટ્યે, ક્યાંથી આવે કાળિયો ?
ભાલાંની એને એવી ભૂખ લાગી કે ધીંગાણાને માટે એ
કળકળી રહ્યો હતો. એવો ભૂખ્યો માણસ તરવારરૂપી ભોજન તૈયાર દેખ્યા પછી જમ્યા
વિના શી રીતે પાછો આવે ?
કુંતારી હોળી કરી, (ઉપર) ઘરહર રંભા ઘેર,
(એમાં) નાખ્યાં વણ નાળિયેર, કયાંથી આવે કાળિયો ?
ધરતી ઉપર ભાલાંરૂપી ભડકાની હોળી પ્રગટી હતી. અને એ
હોળીની ઉપર ઘેરો વળીને રંભાઓ ઊભી હતી. ધીંગાણારૂપી એવી સુંદર હોળીમાં
પોતાના મસ્તકરૂપી નાળિયેર નાખ્યા વિના કાંઈ કાળો પાછો આવે ?
આવે ગાતી અપસરા, સૂરા સામૈયે,
પાછો વણપરણ્યે, કયાંથી આવે કાળિયો ?
એ યુદ્ધ નહોતું, પણ કાળાનું લગ્ન હતું. સ્વર્ગરૂપી સાસરામાંથી અપ્સરાઓ ગીત ગાતી ગાતી આવતી હતી. અને શંકર આદિ સુર લોકો
- હુતાશનીની જ્વાળામાં શ્રીફળ હોમવાનો રિવાજ છે.
સામૈયું લઈને આવતા હતા. એવા ભભકેદાર વિવાહમાં પરણ્યા વિના કાંઈ કાળો પાછો આવે ?
ભેળ્યું ખેત્ર ભડે, રોરવતાં રાંક વારે,
નસિયર નીંઘલતે, કયાંથી આવે કાળિયો ?
એ યુદ્ધ નહોતું, એ દુકાળની અંદર શૂરવીરોરૂપી
રાંકાઓએ ખેતર ભેળ્યું હતું. એ ખેતરની અંદર કાળા જેવા એકાદ નીંઘલેલ (પાકી
ગયેલ) છોડ જોઈ ગયા પછી શૂરવીરોરૂપી રાંકાઓ એને છોડે નહિ, ને કાળો પાછો આવે
નહિ.
કાળાનું સર કોય, કાલીનો કુંભ વારે,
વણફૂટયે વહળોય, ક્યાંથી આવે કાળિયો !
કાલી બાયડીને માથે પાણીનો ઘડો હાય (ગાંડીને માથે
બેડું હેાય) તેવું કાળાના શરીર ઉપર એનું માથું ડગમગતું હતું. ગાંડીના માથા
ઉપરનો ઘડો જેમ ક્ષેમકુશળ ઘેર ન પહોંચે, તેમ કાળાનું માથું પણ હેમખેમ ઘેર ન
આવે.
પળચર, ખગ, વ્રેહમંડપતિ,(ઉપર) અપસર ઝુળ અસે,
એતાંને અવઠોર્યે, કીં કદી આવે કાળિયો ?
યુદ્ધક્ષેત્ર ઉપર કાળાની વાટ જેઈને માંસભક્ષી ગીધ
પંખી બેઠાં હતાં. આકાશમાં વ્યોમપતિ ઇન્દ્ર બેઠા હતા. અરે, અપ્સરાઓનું વૃદ
ઊભું હતું. એ બધાને તરછોડીને કાળો કેવી રીતે ઘેર આવે ?
૧૬
કાંધલજી મેર
ચા
રસો વરસની જૂની એક વાત છે, તે વખતે હજુ ઢાંક અને ઘૂમલીનગરની દેવભોમકા જેઠવા રાણાઓના હાથમાં હતી.
રાણાના દરબારમાં કાંધલજી નામે બરડાના ગામ ઓડદરનો
એક મેર અમીર હતેા. કાંઈક કારણથી કાંધલજીનું મન જેઠવાની સાથે દુખાયેલું,
તેથી પોતે જૂનાગઢના રા'ના દરબારમાં જઈને રિસામણે રહ્યા હતા.
રા'ના ઘરમાં તે વખતે જેઠવા રાણાની કન્યા હતી. એ
રાણીને એક કુંવર અવતર્યો. રા'એ તે હઠ લીધી કે જેઠવાની પાસેથી કુંવરપછેડામાં
ઢાંક શહેર લેવું.જેઠવો વિચારમાં પડ્યો. પેાતાની પુરાતન રાજધાની ઢાંક કેમ
અપાય ? જેને ભીંતડે ભીંતડે નાગાજણ બાપુએ શાલિવાહનની સતી રાણીના હાથની
સાનાની ગાર કરાવેલી, એ દેવતાઈનગરી ઢાંક કેમ દેવાય? જયાં પૂર્વજદેવે ભાટને
માથાનું દાન દીધું, જ્યાં મસ્તક વિનાનું ધડ લડયું, મૂંગીપુરના ધણી શાલિવાહન
જ્યાંથી ભોંઠો પડીને ભાગ્યો, એ અમરભૂમિ ઢાંક કેમ અપાય ? પાંચસો વરસની
બંધાયેલી માયામમતા તોડવાનો વિચાર કરતાં જ જેઠવાની નસો તૂટવા લાગી. બીજી
બાજુ જમાઈના રિસામણાનો ડર લાગ્યો, દીકરીના દુ:ખની ચિંતા જાગી. રા'ના
હુમલાની ફાળ પેઠી.
આખરે જેઠવાને બારી સૂઝી. એને લાગ્યું કે કાંધલજી
મારી આબરુ રાખશે; રિસાયા છે તોય ઢાંકની બેઆબરુ એ નહિ સાંખે. માતાની લાજ જાય
ત્યારે દીકરો રિસાઈને બેઠો નહિ રહે. એણે રા'ને કહેવરાવ્યું : “અમારા
કાંધલજીભાઈ ત્યાં છે. આ બાબતમાં એ જે કરે તે અમારે કબૂલ રહેશે.”
રા'ને તો એટલું જ જોતું હતું. કાંધલજી તો આપણા
આશ્રિત છે : એ બીજું બોલે નહિ. એવો વિચાર કરીને કચેરીમાં કાંધલજીભાઈને
રાણાનો કાગળ વંચાવ્યો. વાંચીને ગર્વથી, પ્રેમથી, ભક્તિથી, કાંધલજીની છાતી
એક વેંત પહોળી થઈ, અને એના અંગરખાની કસો કડડ કડડ તૂટવા લાગી. અંતરર્યામી
અંતરમાં બોલી ઊઠ્યો : “વાહ મારા ધણી ! તેં તેા મને ગિરનારને આંગણે ઊજળો કરી
બતાવ્યો.”
“કેમ કાંધલજીભાઈ!” રા'એ હસીને પૂછ્યું : “જોયાં તમારા જેઠવાનાં જોર ?”
ધોળી ધોળી સાગરના ફીણ જેવી દાઢી ઝાપટીને કાંધલજી
બોલ્યા : “બાપ ! મારો ધણી તો ગાંડિયો છે. ઢાંક તો અમારી મા કહેવાય. એને
જવાબ દેતાં ન આવડયું. દીકરીનાં માગાં હેાય, પણ માનાં માગાં કયાંય દેખ્યાં
છે ?” એટલું બેાલતાં તો એની અંખમાં અંગારા મેલાઈ ગયા.
રા'નું રૂંવાડે રૂવાડું ખેંચાઈને ઊભું થઈ ગયું.
એણે કહ્યું : “કાંધલજી, જૂનાગઢના રોટલા બહુ દી ખાધા. હવે ભાગવા માંડ્ય.
ત્રણ દિવસની મહેતલ આપું છું. ચોથે દિવસે તું જ્યાં હોઈશ ત્યાંથી ઝાલીને
તારા પ્રાણ લઈશ.”
કાંધલજી ઊભા થયેા. ભેટમાં તરવાર હતી તે ખેંચી
કાઢીને એની પીંછીથી ત્યાં ને ત્યાં ભોંય ઉપર ત્રણ લીટા કર્યા. અક્કેક લીટો
કરતો ગયો અને રા'ની સામે જોઈ બેાલતો ગયો : “આ એક દિવસ, આ બે દિવસ અને આ
ત્રીજો દિવસ. જૂનાગઢના રા' ! તારી મહેતલના ત્રણ દિવસ પૂરા થઈ ગયા. લે હવે,
આવ પડમાં, કર ઘા. મેરને મરતાં કેવુંક આવડે છે તે જોઈ લે.” "હાં ! હાં !
હાં ! કાંધલજી ! ” બેાલતી આખી કચેરી ઊભી થઈ ગઈ.
રા'એ કહ્યું : “ તુંને એમ મારું તો તો જગત કહેશે કે આશ્રિતને ઘરમાં ઘાલીને માર્યો, માટે ભાગવા માંડ્ય.”
ઘોડી ઉપર ચડીને કાંધલજી ચાલી નીકળ્યા. સાથે પોતાનો જુવાન ભાણેજ એરડેા હતેા. ચાલતાં ચાલતાં, ઘેાડીએ વણથળી ગામને પાદર નીકળી.
તે દિવસે ગામમાં નવસેં નાઘેારી * વરે પરણવા આવેલા.
અત્યારે વરરાજા અને જાનૈયાઓ ગામ બહાર દિશા-દાતણ કરવા નીકળેલા છે. ઢોલ
ધ્રબૂકે છે ને કેટલાય જાનૈયાઓ પટ્ટાબાજી ખેલે છે. ગામને ગોંદરે રમાતી આ વીર
રમતો સહુના કાળજાંમાં શૌર્યનાં સરણાં વહાવી રહી છે. માર્ગે નીકળેલા સેંકડો
વટેમાર્ગુઓ રમતો નીરખવા થંભી ગયા છે. એવે ટાણે આ ચાર-પાંચ ઘોડેસવારો કાં
ઝપાટાભેર ભાગ્યા જાય છે? ઘોડીઓનાં મોઢામાં ફીણ છૂટયાં છે, ઘોડીઓ પરસેવે
નીતરી રહી છે, તોય કાં અસવાર એના ડેબામાં એડી મારતા આવે છે? પાંચે આદમીના
હાથમાં ઉઘાડાં ખડગ કેમ છે?
દોડી જઈને નવસો નાઘેારી વરરાજા આડા ફર્યા. ઘેાડીની લગામ ઝાલી રાખી. ચમકીને કાંધલજી બોલ્યા : “તમે મને એાળખો છો ? ”
નાઘોરી કહે : “ એાળખીએ છીએ. તમે અમારા મહેમાન એ જ
મોટામાં મોટી ઓળખાણ. ગામને પાદરથી આજ તો તમ જેવો મહેમાન કસૂંબા લીધા વિના ન
જઈ શકે.”
કાંધલજીએ કહ્યું : “ભાઈ ! તમે તમારી મેળે જ હમણાં ના પાડશો. મારી વાંસે જૂનાગઢની વહાર ચડી છે.”
“ત્યારે તો, ભાઈ, હવે રામરામ કરો ! હવે તેા જઈ રહ્યા ! જાવા દઈએ તો નાઘોરીની જનેતામાં કંઈક ફેર પડયો જાણજો. ”
“અરે બાપુ ! તમારે ઘેર આજ વિવા છે. ગજબ થાય.”
“વિવા છે માટે જ ફુલદડે રમશું. કંકુના થાપા તો વાણિયા-બ્રાહ્મણના વિવાહમાંયે હોય છે. આપણને તે લોહીના થાપા જ શેાભે.”
નાઘેારીએાએ આખી વાત જાણી લીધી. કાંધલજીને કોઠાની
અંદર પૂરી દીધા. અને નવસેં મીંઢળબંધ નાઘેારીઓ ગામને પાદર તલવાર ખેંચીને ખડા
થઈ ગયા. જૂનાગઢની ફોજ આવી પહેાંચી. સંગ્રામ મચ્યો. સાંજ પડી ત્યાં નવસોયે
મીંઢળબંધા વરરાજાએ લોહીની કંકુવરણી પથારી કરીને મીઠી નીંદરમાં પડ્યા. કોઈ
કદીયે ન જગાડે એવી એ નીંદર, એવી નીંદર તે નાઘોરણેાની સુંવાળી છાતી ઉપરેય ન
આવત.
કોઠા ઉપર બેઠાં બેઠાં કાંધલજીએ કસૂંબલ ઘરચોળાવાળી
જોબનવંતી નાઘોરણોને હીબકાં ભરતી ભાળી, મોડિયાનાં મોતી વીંખતી વીંખતી
તરુણીએાનાં વેણ સાંભળ્યાં : “આપણા ધણીએાનો કાળ હજી અંહી બેસી રહ્યો છે !” એ
સાંભળીને કાંધલજીએ કોઠા ઉપરથી પડતું મેલ્યું. તલવારની ગાળાચી કરી. પોતાનું
માથું ઉતારીને નીચે મૂકયું. બે ભુજામાં બે તલવારે લીધી : અને ધડ
ધીંગાણામાં ઊતર્યું. લશ્કરને એક ગાઉ સુધી તગડયું. સીમાડા માથે કેાઈ એ ગળીનો
ત્રાગડો નાખી ધડને પાડયું, અને માથું દરબારગઢમાં રહ્યું.
તું કાંધલજી કાટકયો, ફેાજાં અંગ ફેલે,
કાળુઓત * મીંડો * કિયો, ઘોડાં અંગ ઘેરે.
કાળુઓત * મીંડો * કિયો, ઘોડાં અંગ ઘેરે.
હે કાળુ મેરના પુત્ર કાંધલજી, તું ફેાજ ઉપર તૂટી પડયો. અને
તારા થોડા ઘોડેસવારથી તેં શત્રુઓને ઘેરી લીધા.
અને સહુથી સરસ તો ભાણેજ એરડો લાગ્યો.
હરમ્યું ઊતરિયું હરખથી, કાંધલને જોવા કોય,
નાઘોરી વર નેાય, અપસર વરીઓ તું એરડા !
નાઘોરી વર નેાય, અપસર વરીઓ તું એરડા !
કાંધલને જોવા સ્વર્ગમાંથી હુરમો (અપ્સરાએા) ઊતરી,
અપ્સરાએાને એમ લાગ્યું કે આ યુદ્ધરૂપી લગ્નમાં નાઘોરીઓ વરરાજા નથી લાગતા,
ખરો વરરાજા તેા એરડો લાગે છે; તેથી અપ્સરાઓ એરડાને પરણી.
બુડાધર, બરડા તણી, લંગરી વધારી લાજ,
કાંધલ અડો કમાડ, અંબો થિયો તું એરડા !
કાંધલ અડો કમાડ, અંબો થિયો તું એરડા !
હે એરડા, તેં તો બરડા પ્રદેશની કીર્તિ વધારી, તારા મામા કાંધલજીની આડે તેં કમાડરૂપ બનીને રક્ષણ કર્યું.
અત્યારે કાંધલજીનું માથું વણથળીના દરબારગઢમાં
પૂજાય છે, અને ધડની ખાંભી સીમાડે પૂજાય છે. રા'એ કાંધલજીના માથામાં ઉબેણ
નદીને કાંઠે જમીન આપી હતી, તે જમીન અત્યારે નાઘોરીનો વંશજ કોઈ મુંજાવર
ભોગવે છે.
કાંધલજીના વંશજોએ દર વિવાહે એક કોરી (પાવલું ) કર
નાઘેારીના વંશજોને બાંધી આપેલો છે, ને પોરની સાલ સુધી એક ફકીર કાંધલજીના
વંશજો ઓડદરિયા મેરો પાસેથી પાવલું પાવલું કર ઉઘરાવી ગયો છે.
એ ધીંગાણા પછી નાઘેારીઓ અને મેરો બન્ને “લોહી-
ભાઈઓ ” કહેવાય છે. કાંધલજીના વંશજો હજુ ફટાણામાં છે, ને તેનું ફળિયું તે
'જીફળિયું' ( કાંધલ અધ્યાહાર ) કહેવાય છે.
- નાઘોરી મુસલમાનોની એક જાત છે. વણથળીમાં અસલ નાઘેારી જમાદારોની આણ ફરતી.
- * કાળુંસુત .
- × તલનાં એાથડાં ખળાવાડમાં ખંખેરે ત્યાર પછી તલની ચોપાસ તલનાં ગોળ ગૂંથીને કુંડાળું કરે છે. આંહી કાંધલજીએ પોતાના થોડા ઘોડેસવારોથી દુશ્મનરૂપી અનેક હલની આસપાસ કુંડાળું ' ( મીડું ) કર્યું ', એવું રૂપક છે.
૧૭
કાળુજી મેર
કીધી તેં જે કાળવા, લાખા વાળી લી,
સૂબે નવસરડું તણો, દંડિયો ધોળે દી.
સૂબે નવસરડું તણો, દંડિયો ધોળે દી.
મે
રની દીકરીઓને તે દીનોનાથ નવરો હોય તે ટાણે જ ઘડતો
હશે. ઈશ્વરે આપેલા રૂપને ઘૂમટામાં સંતાડી રાખવાનું મેરની દીકરીઓ શીખી નથી.
જોરાવર તેાયે કોમળ જણાતી કાયા ઉઘાડી તોયે ધરતી પર ઢળી રહેતી કાળીભમ્મર બે
અંખો અને ભર્યું ભર્યું તોયે જરી કરુણાની છાંટવાળું મુખ : અને એવી કાયાને
ઢાંકવાના ઢોંગ કરતો, પહાડપુત્રીઓના નીરોગી મસ્ત લાવણ્યને બહેલાવતો છૂટો
પહેરવેશ; અર્ધે માથે ટીંગાઈને પાની સુધી ચારે છેડે છૂટું ઝૂલતું એાઢણું :
ઢીલું કાપડું : અને સહુથી જુદી ભાત પાડતું સફેદ પેરણું : ઘડીક જાણે
મેર-કન્યા સાધ્વી લાગે, ઘડીક લાગે જોગમાયા, તો ઘડીકમાં વળી જોબનિયું હેલે
ચડ્યું હોય એવી નવયૌવના લાગે, ઘરની એાસરીની ભીંત ઉપર મેરાણી આછા, ઘેરા,
ગૂઢા, એવા ભળતા રંગોથી ચિત્રો આલેખે, માટી લઈને ઓરડામાં નકશીદાર કમાનો
કંડારે, જોવા જનારને નિર્દોષ હાસ્ય હસી પોતાની કારીગરી બતાવે, અને ઘરની
ઘેાડી, ગાય કે ભેંસ એારડાની અંદર જ આખી રાત બાંધી રાખે. અળગી કરે નહિ.
મેરાણી જ્યારે હસે છે ત્યારે એની આંખના તારલામાં બેઠો બેઠો જાણે એનો આત્મા
ડોકિયાં કરે છે. હાવભાવ એને આવડતા નથી. ગાલે આપોઆપ શરમના શેરડા પડે, એવી
વિશેષ શરમની ચેષ્ટાઓ એને કોઈએ શીખવેલ નથી. વાહ રે મેરાણી તારાં રૂપ ! કોઈ
ઊંડી ઊંડી નદીની કારમી ભેખડ ઉપર રસ્તો ભૂલી, ઘોડી થંભાવીને ઊભા રહી તારી
મદદની વાટ જોવાનું કોને ન ગમે ? આત્માના રંગ જેવું નિર્મળું હાસ્ય હસીને
તું રસ્તો બતાવવા આવે એ જીવનલહાણ કેવી દોહ્યલી છે ! તેં સુભટો જન્માવ્યા :
પ્રેમિકો પ્રગટાવ્યા : કોઈ કોઈ વખત કામીઓને શાપથી બાળ્યા : અને કામદેવની
આગમાં તું યે કયાં નથી ખાખ થઈ?
આવું એક રૂપ જૂનાગઢના નવાબના આંગણામાં રમતું હતું.
કાળુજી નામનો એક મેર જૂનાગઢની ચાકરીમાં હતો. તેને ઘેર એક બહેન હતી. નવાબની
નજર એ સુંદરીના શરીર ઉપર પડી. નવાબ બેભાન બન્યો. એણે કાળુજીને તેડાવ્યો.
દલીલ કરી : “ દેખો ભાઈ ! રાણીજાયા બી સોઈ, એાર બીબીજાયા બી સેાઈ, સમજ ગયા ?
માગ લે, ચાય ઈતની સોનામહોર માગ લો, કાળુજી મેર ! રાણીજાયા બી સેાઈ,
બીબીજાયા બી સેાઈ!”
“હું વિચારી જોઈશ.” એમ કહીને કાળુજી ઊઠયો. થોડી વારે નવાબને ખબર થઈ કે કાળુજી તો ઉચાળા ભરીને જાય છે.
કામાંધ નવાબ કરડો થયો. “હેં : એમ કેમ જાવા દેશું ? જેરાવરી કરીને એની બોનને ઉઠાવી લાવો. જૂનાગઢના તમામ દરવાજા બંધ કરાવો.”
કાળુજીએ ઉચાળા પડતા મૂકયા. બાળબચ્ચાંને રામરામ
કર્યા. અંધારી રાતે એણે બહેનને પડકારી : “બહેન ! આવી જા ઘોડી માથે, મારી
બેલાડ્યે. કાં તો ભાઈ-બહેન નીકળીએ છીએ ન કાં બેઉ જણાં ભેળાં જ પ્રાણ કાઢીએ
છીએ.”
એક જાતવંત ઘોડી ઉપર ભાઈ-બહેન અસવાર થયાં. બહેનના દેહને ભાઈએ પોતાના દેહ સાથે કસકસીને બાંધી લીધો.
હાથમાં લીધી તલવાર, બહેનના હાથમાં ઝલાવ્યો
ભાલો. કાળુજીએ ચોકીદારોના જૂથમાં ઘોડી નાખી ભાઈબહેન કંઈક મિયાંમુગલોને
કાપતાં બરોબર કાળવે દરવાજે આવી ઊભાં રહ્યાં. ત્યાંથી એણે ગઢ ઉપર ઘેાડીને
ઠેકાવી. ટપીને ઘેાડી વીજળીના સબકારા સમી ગઢની બહાર ગઈ. ઘનધોર વનરાઈમાં
ઘેાડી અદશ્ય થઈ. બહેનને કાળુજીએ સલામત ઠેકાણે પહોંચાડી દીધી.
પણ નવાબની માગણીનો સાચો જવાબ નથી અપાયો, એવી ઊણપ
એના મનમાં રહી ગઈ. ફકીરને વેશે પાછો જૂનાગઢ આવ્યો. નવાબના દરવાજામાં
સાંઈમૌલાને કોઈ રોકે નહિ. કાળુજીને ખબર હતી કે કઈ મેડી ઉપર શાહજાદો અને
વજીરજાદો એકલા રમે છે. ઉપર જઈને દાદરો અંદરથી બંધ કરી દીધો; અને પછી અંદરથી
ત્રાડ નાખી : “ જૂનાગઢના નવાબ ! મારી બહેનનું માગું નાખવાનાં મૂલ પણ કેવાં
મોંઘાં છે તે જોઈ લે. હમણાં તારા શાહજાદાની મૈયત કઢાવું છું.”
મેડીને દાદરે માણસોની ઠઠ્ઠ જામી. નવાબ બહાર ઊભેા ઊભો કરગરવા લાગ્યો : “ કાળુજી ! તું માગે તેટલાં જવાહિર આપું.”
નેજે જે નવાબ, ઊભો અરદાશું કરે,
જોરાવર જવાબ, કઢ્ઢે મેર કાળવો.
નવાબ ઊભો ઊભો આજીજી કરે છે, અને કાળુજી જોરાવર જવાબ કાઢે છે.
કાળુજીએ જવાબ વાળ્યો : “જવાહિર જોતાં હોત તો મારી
બહેનને જ તારા જનાનામાં વેચાતી ન આપી દેત ? પણ અમે જેઠવા વંશનું પડખું
સેવ્યું છે. મેરને જવાહિર કરતાં આાબરૂ વધુ વહાલી છે. હવે આપણું ખાતું સરભર
થઈ ગયું છે. હેમખેમ જવા દે એટલું માગું છું.”
નવાબે કબૂલ કર્યું કે સીમાડા સુધી કાળુજીને હેમખેમ
મૂકી આવવો. પણ નવાબના પેટમાં પાપ હતું. કાળુને માટે એણે ઘોડી મંગાવી.
કાળુજી ઘોડીના પગ ઊંચા કરીને જુએ ત્યાં ડાબલામાં નાગફણીઓ જડેલી દેખી, ઘેાડી
બદલાવી. બસો મકરાણીઓ સીમાડા સુધી મૂકી ગયા. પછી કાળુજી છૂટો થઈને ભાગ્યો,
કારણ કે વાંસે જૂનાગઢની વાર ચડી ચૂકી હતી.
નાસતો નાસતો કાળુજી ગોંડળનો આશરો લેવા આવ્યો. ગોંડળમાં તે વખતે ભા' કુંભાજીને પહોર ચાલતો હતો.
એવા મરદ કુંભાજીએ પણ જૂનાગઢનાં બહારવટિયાને ન
સંઘર્યો. ત્યાંથી ભાગીને કાળુજીની ઘોડી મેડાનાર નદી ટપીને ઓખામંડળના
પોહિત્રા ગામમાં પહોંચી. એાખાના વાઘેરોએ એને આશરો દીધો.
પાછળ જૂનાગઢ, ગોંડળ અને નગર, ત્રણે રાજની વહાર
ચડી. પાહિત્રાની બહાર પડાવ નાખીને દુશ્મનોએ ગઢ સુધી સુરંગે ખોદાવી. સુરંગનો
અગ્નિ જ્યારે નજીક આવવા લાગ્યો ત્યારે ગઢના કોઠામાં મૂકેલ થાળીમાં મગના
દાણા થરથરવા લાવ્યા. કાળુજી સમજ્યો કે ધરતી હમણાં ફાટશે. એણે પોતાનાં તમામ
કુટુંબીએાને નાઠાબારીમાંથી રવાના કર્યા , પણ એનો શુરવીર પુત્ર વેજો બાપની
વસમી વેળાએ વેગળેા થાય ખરો કે ? એણે તો બાપની સાથે રહીને જ મરવાનો પોતાનો
વિચાર પ્રગટ કર્યો. એને આમ મરતા અટકાવવા કાળુજીએ કહ્યું : “હું તો જગતમાં
નામ રાખીને મરું છું, પણ બેટા, નાહક તું કાં ગુડા ? ભીંત હેઠે કચરાઈ
મરવામાં કાંઈ કીરત છે? મારું સાચું ફરજંદ હો તો બાપથી સવાયું નામ કાઢીને
મરજે ને ?”
આથી વીર વેજો પણ ચાલ્યો ગયો. કાળુજીએ વિચાર્યું : 'વાહ ભાઈ! આવી જાન ફરી કયારે જોડાવાની હતી ? આજ મરવાની પણ મજા છે.'
ઘીના કુંડલામાં બેસીને આગ લગાડી પોતે બળી મૂઓ.
- ખીલો
પણ જીવતો શત્રુઓના હાથમાં ન આવ્યો.
જૂનાગઢમાં જયાંથી કાળુજીએ ઘોડી ટપાવી હતી તે જગ્યાએ એક દરવાજો છે તે આજ પણ કાળુજીના નામ ઉપરથી “કાળવો દરવાજો ” નામે એાળખાય છે.
<poem>
જબ્બર આયે જામ, મરદ સાથે મછરાળા,
કૂમકે ક્રોધી કુંભ, સંગ ઝાલા, મતવાલા.
માંહી નર કૂડા નવાબ, ચોંપ શું કટ્ટક ચડિયાં,
હૈડું દિયે હિલોળ, આવી પોસીતરે અડિયાં,
ત્રેવડે વાત મનમાં ત્રઠી, ધિંગે ધરી ઓખે ધજા,
કાળવે મન મીઠો કર્યો, મરવાની આવી મજા.
૧૮
મૂળુ મેર
ઇ.
સ. ૧૭૭૮ની સાલમાં પોરબંદરના રાણા સરતાનજીએ
નવાનગરના સીમાડા ઉપર પોતાના વડાળા ગામમાં એક વંકો કિલ્લો બાંધ્યો, અને
તેનું નામ “ભેટાળી” પાડયું. આજ પણ એ કિલ્લાના ખંડેર ગમે તે ઠેકાણે ઊભા
રહીને જોઈએ, તો એના ત્રણ કોઠા દેખાય, ચેાથો અદશ્ય રહે : એવી તેની રચના કરી
હતી.
એક દિવસ નવાનગરનો એક ચારણ ત્યાંથી નીકળ્યો. તેણે એ
કિલ્લો જોવાની માગણી કરી. કિલ્લાના રખેવાળ મેર મૂળુ (મીણુંદના)એ ના પાડી,
તેથી નગરનો ચારણ સ્ત્રીને વેશ પહેરીને જામ સાહેબની કચેરીમાં ગયેા. જામ
જસાજીએ પૂછયું : “કવિરાજ, આમ કેમ ?”
ગઢવી બોલ્યો : “અન્નદાતા, મારો રાજા બાયડી છે એટલે મારે પણ બાયડી જ થાવું જોઈએ ના ?” ગઢવીએ દુહો કહ્યો :
ઉઠ અરે અજમાલરા, ભેટાળી કર ભૂકો,
રાણો વસાવશે ઘૂમલી, (તેા) જામ માગશે ટુકો.
જસા જામે બધી હકીકત જાણી. એને ફાળ પડી કે નક્કી જેઠવો વડાળાના ગઢની સહાયથી પાછો ઘૂમલી નગર હાથ કરી લેશે.
જામ પોતાના જમણા હાથ જેવા જોદ્ધા મેરુ ખવાસને આજ્ઞા કરી કે ભેટાળીને તેાડી નાખો. નગરના સેનાપતિ મેરુ
- ભય ટાળનાર
ખવાસે રાણાને કહેણ મોકલ્યું : “વડાળું ભાંગીશ.”
રાણાએ જવાબ વાળ્યો : “ ખુશીથી, મારો મૂળુ મેર તમારી મહેમાનગતિ કરવા હાજર જ છે.”
જેઠવાની અને જામની ફોજો આફળી. એક મહિનો ને આઠ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું.
એક મહિનો ને આઠ દી, ઝુલાવ્યો તેં જામ,
ગણીએ ખવે ગામ, મા ભડ વડાળું મૂળવા!
પછી મેરામણ ખવાસે 'લક્કડગઢ' નામના એક હાલીચાલી શકે
તેવો કાષ્ઠનો કિલ્લો કરાવ્યો. ધીરે ધીરે લક્કડગઢને ભેટાળીની નજીક નજીક
લાવતા ગયા. આખરે લક્કડગઢમાંથી નીકળીને જામના સૈન્યે ભેટાળીની ભીંતે ચડવા
માંડયું. ત્યાં અંદરના મૂળુના સૈન્યની બંદૂકો છૂટી. લક્કડગઢમાંથી હારો હારો
દાણા સમાય એવડાં નગારાં મૂળુ (મીણંદનો ) ઉપાડી આવ્યો અને જામની સેનાને
નસાડી.
લાદા તંબુ લૂંટિયા, નગારાં ને નિસાણ,
માથે હરમત મૂળવો, ખાંડા હાથ ખુમાણ.
જામનું રાવલ નામે ગામ જે નજીક હતું, તેમાં મૂળુએ હાક બેાલાવી.
વડાળા સું વેર; રાવળમાં રે'વાય નૈ,
મોઢો જાગ્યો મેર, માથાં કાપે મૂળવો.
જેઠવાના ગામ વડાળા સાથે વેર થયા પછી રાવળ ગામમાં
જામની ફોજથી રહેવાતું નથી, કેમ કે મોઢવાડિયો મેર મૂળુ એવો જાગ્યો છે કે
માથાં કાપી લે છે.
રાવળ માથે આવિયો, રવ્ય ઊગમતે રાણ,
મોર્યે પૂગે, મૂળવો, ખાંડા હાથ ખુમાણ
રવિ (સૂર્ય ) ઊગતાંની વેળાએ જામ રાજા રાવળ ચડી આવ્યો, ત્યાં હાથમાં ખડ્ગ લઈને મૂળુ મેર અગાઉથી પહોંચી ગયેલો.
દળ ભાગાં દોવાટ, માળીડા મેલે કરે,
થોભે મૂળુ થાટ, રોકે મેણંદરાઉત.
પોતાના ઉતારા છોડીને લશ્કર બન્ને બાજુ નાસી
છૂટયાં. પણુ મૂછદાઢીના થેાભાના ઠાઠવાળો મીણંદુ મેરનો પુત્ર મૂળુ એ નાસતા
કટકને રોકી રાખે છે.
કહીંઈ તારે કપાળ, જોગણનો વાસો જે.
મીટોમીટ મળ્યે, મેરુ ભાગ્યો મૂળવા.
હે મૂળુ, અમને તો લાગે છે કે તારા કપાળમાં કોઈ
જોગમાયા દેવીનો વાસ હોવો જોઈએ, કેમ કે તારી સાથે મીટામીટ મળતાં જ ભય પામીને
મેરુ ખવાસ જેવો જબ્બર નર ભાગી ગયો.
*
રાણા સરતાનજી ચોરવાડ પરણ્યા હતા. ચેારવાડના
જાગીરદાર રાયજાદા સંઘજીને માળિયાના અલિયા હાટીએ માર્યો. રાણાએ ચોરવાડ હાથ
કરવા મૂળુ મેરને મોકલ્યો. ચેારવાડ જીતીને વેરાવળ ઉપર જતાં ધીંગાણામાં
મૂળુનો હાથ એક કાંડેથી કપાઈ ગયો.
મહારાણાએ પૂછયું : “બોલો મૂળુ ભગત, કહો તો એ હાથ રત્નજડિત કરી આપું, કહો તો સોનાનો, ને કહો તો રૂપાનો .”
રાજકચેરીમાં ઊભા થઈને નિરભિમાની મૂળુએ જવાબ દીધો :
“રાણા, કોક દી મારા વંશમાં ભૂખ આવે, તો મારા વારસો સોનારૂપાનો પંજો વેચી
નાખે, માટે મારી સો પેઢી સુધી તારી એંધાણી રહે એવો લોખંડનો પંજો કરાવી દે.”
પાતાના ઠૂંઠા હાથ ઉપર રાણાએ આપેલો એ લોઢાનો પંજો
ચડાવી મૂળુ ભગત એમાં ભાલું ઝાલી રાખતા, જમૈયો દીધો હતો તે કમરમાં પહેરતા,
અને એક નેજો ને બે નગારાં દીધાં તે લઈને મૂળુ મેર વરસોવરસ દશેરાની સવારીની
અંદર પોરબંદરમાં મોખરે ચાલતા.
૧૯
ચારણની ખેાળાધરી
વિ
ક્રમ સંવત ૧૬૩૦ના વર્ષમાં, એક દિવસે, નવાનગરના જામ
સતાજીના દરબારગઢમાં એક ચારણ રઘવાયો બનીને આમતેમ દોડતો હતો. દરબારગઢના દરેક
માણસને, પશુને અને પથ્થરને જઈ પૂછતો હતે : “ મારો રાણો કયાં ?”
“મારો રાણો કયાં, મારો રામદેવજી કયાં? રાણાને પાછો
લાવો !” એવી એવી એ ચારણની કળકળતી બૂમોથી દરબારગઢના પથ્થરો ધણધણી ઊઠયા, ને
આખો ગઢ કોઈ ઉજજડ ભૂતખાનાની માફક સામે પડઘા પાડીને પૂછવા લાગ્યો :
“રાણો કયાં ?”
માણસો એકબીજાને પૂછવા લાગ્યા : “રાણો કયાં ?”
કોઈએ ચારણને કહ્યું : “રાણાની મામીઓ એને મળવા ઝંખતી હતી, તે રાણો ગઢમાં ગયા છે.”
ફડકે શ્વાસ લેતો ચારણ થોડી વાર વાટ જોઈને બેઠો. પણ
રાણો મામીએાના ખોળામાંથી પાછો વળ્યો જ નહિ. રાણીએાના માઢમાંથી નીકળનારા
એકેએક માણસનું મોં કાળું શાહી જેવું થઈ ગયેલું દેખાતું હતું. ચારણ પૂછતો
હતો : “ રાણો કયાં ?” માણસો અબોલ બનીને ચાલ્યા જતા હતા. દરબારગઢના ઝરૂખા
સામે ઊભા રહીને ચારણ ચીસ પાડી ઉઠયો : “ રાણા ! બાપ રાણા ! નીચે ઊતર. તારી
માને મેં ખોળાધરી આપી છે. મારા રાણાને લાવો! રાણાને પાછો લાવો !”
ચારણ બાવરો બન્યો. ઝરૂખાની ભીંત સાથે માથું પછાડવા લાગ્યો. પણ રાણાએ જવાબ દીધો નહિ.
“લે, આ તારો રાણો !” એવો એક અવાજ આવ્યો. અને તે
સાથે જ ઝરૂખામાંથી ધબ દઈને એક ગાંસડી ધરતી ઉપર પડી. એ લોહીતરબોળ ગાંસડીને
ચારણે છોડી. અંદર જુએ તે રાણા રામદેવજીના કટકા ! હાથ નોખા, પગ નોખા ધડ
નોખું અને જાણે મામીઓનાં મીઠડાં લેવરાવવા હસીને હમણાં જ નમ્યું હોય તેવું
તાજુ કાપેલું માથું પણ નોખું.
“બસ, મારા બાપ! કયાંય રેઢો નહોતો મેલતો ! અને આજ
જંગલ ગયો તેટલી વાર રહી ન શકયો ? મામીનાં તેડાં બહુ મીઠાં લાગ્યાં ? એય
મારી અણમોલી થાપણ ! પોરબંદરની રાણીને હવે હું શો જવાબ આપીશ ?”
ચારણ ખૂબ રોયો. દરબારગઢ આખો જાણે એની સાથે સાદ પુરાવવા લાગ્યો.
આ ચારણનું નામ કાંવીદાસ લાંગો. જામ સતાજીનો એ
દસેાંદી. પોરબંદરના રાજા જેઠવાનો પુત્ર રામદેવજી, સતાજીનો સગો ભાણેજ હતો.
સતાજીને નગરનું રાજ વિસ્તારવું હતું. નાના ભાણેજને એટલા ખાતર ટૂંકો કરવેા
હતો. ઘણું ઘણી વાર તેડાવે પણ ભાણેજ આવે નહિ, કેમ કે બહેનને ભાઈની મતલબના
પડઘા આવી ગયા હતા. આખરે કાંવીદાસને જામે કહ્યું : “આપણે આંગણે લગન છે.
ભાણેજ ન આવે તો દુનિયા શું કહેશે ? ગઢવી, જાઓ, તમારી ખોળાધરી દઈને બહેનના
ભાણિયાને તેડી આવો.”
ચારણની ખોળાધરી એટલે વિધાતાનો લેખ : પોરબંદરની
રાણીએ છોકરાને મીઠડાં લઈને ભાઈને ઘેર લગ્ન ઉપર વળાવ્યેા. મામાએ લગ્નમાં
ભાણેજને લોહીથી નવડાવ્યો.
ચારણ ઘેર ગયો. એકનો એક દીકરો જમલદાસ હતો તેને
કહ્યું:“બાપ ! આપણા ધણીને આજ ભાણેજનાં લોહીની તરસ લાગી છે. વિશ્વાસઘાતથી
ધ્રુજી ઊઠેલી નગરની ધરતી ધા નાખી રહી છે. આપણા ઘરનાં નાનાંમોટાં અઢાર માણસો
છે. આવો, આપણે જામને લેાહીથી ધરવી દઈએ.”
કાંવીદાસ લાંગાના એક દીકરાએ છાતીમાં કટાર ખાધી.
રુધિરને ધોરિયે છૂટયો, એમાંથી ખોબા ભરીને કાંવીદાસે નગરના દરબારગઢ ઉપર
છાંટયા. ચારણ્યેાએ સ્વહસ્તે પોતાના થાનેલા કાપીકાપીને “લેજે રાણાજી!” કહી
નગરના ગઢની ભીંતે પર ફેકયા. વળી દૂધિયા દાંતવાળાં બાળકોનાં નાનકડાં માથાં
શ્રીફળ વધેરે તેમ દરબારગઢની ભીંતે વધેરી વધેરી શેષ મૂકી. પછી ગાડું
જોડ્યું, એમાં કપાસિયા ભર્યા, ઉપર ઘી રેડયું, એની ઉપર તેલમાં તરબોળ કરેલાં
લુગડાં પહેરી, પોતાનાં બાકીનાં પાંચ માણસો સાથે કાંવીદાસ બેઠો. હાથમાં માળા
લઈને 'હર! હર!હર!'ની ધૂન સાધી. કોળીનો એક છોકરો ગાડું હાંકતો હતો, તેને
ચારણે કહ્યું : “બાપ! ગાડાને આગ લગાડીને તું બા'રો નીકળી જા.”
કોળી બાલ્યો , “બાપુ ! તમે માનો છો કે હું અગ્નિની
ઝાળ દેખીને આખરને વખતે ભાગીશ ને તમારા ત્રાડાને ભોંઠામણ આપીશ ? એમ બીક હોય
તો જુઓ, નજર કરો મારા પગ ઉપ૨."
ચારણ જુએ છે, તે કોળીએ લોઢાની નાગફણું ઠોકીને પોતાના પગ ગાડાની ઊંધ સાથે જડી લીધેલા !
ગાડું દરબારમાં ચાલ્યું, કપાસિયા સળગ્યા, ગાડાને
આગ લાગી. ચારણ પરિવારનાં લૂગડાં સળગ્યાં, કાયા ચડ ચડ બળવા લાગી. દેવતા
હાડકાંમાં દાખલ થયા ત્યાં તે ફડ ફડ ફટાકિયા ફુટવા લાગ્યા, છતાં એ પાંચ
માણસાની જીવતી ચિતામાંથી કેવા સ્વર છે ? “હર ! હર ! હર !” પાંચેય માનવી
જ્યાં બેઠાં હતાં ત્યાં થંભી ગયાં, અને છેવટે અગ્નિએ હાથ પાડી નાખ્યા
ત્યારે જ હાથમાંથી માળા નીચે પડી. કોળીનો છોકરો ઊંધ ઉપર જ સળગી ગયેા. સતાજી
જામના દરબારગઢે તે દિવસે અઢાર *દેવી બાળકેાના ભક્ષ લીધા.
૨
ભાણેજને પતાવીને સતાજીએ રાણાની ધરતી ધબડવા માંડી.
અરબી સમુદ્ર ને બરડા પર્વત વચ્ચે આવેલો ભાણેજનો તમામ મુલક મામો ગળી ગયો ને
બેાખીરાની ખાડીને તેણે પોતાની રાજ્ય સીમા બનાવી. મરનાર રાણાનો પુત્ર રાણો
ભાણજી બરડો છોડીને પોતાની રાણી કલાંબાઈ અને નાનકડા કુંવરને લઈને ભાગવા
મંડ્યો. જંગલોમાં સંતાયા, ને આખરે એનો દેહ છુટી ગયો.
નિરાધાર રાણી કલાંબાઈ ને અને કુંવર ખીમજીને ઊંચે
આભ ને નીચે ધરતી વિના બીજું કોઈ શરણ દેનાર ન રહ્યું. ધરતીમાંથી પણ ડગલે
ડગલે જાણે જામના પગના ધબકાર સંભળાતા હતા. ત્યાં તે મેરોમાં હાક બોલી :
“હાં ! માટી થાઓ ! આપણી રાજમાતા રઝળી પડી; આપણા બાળરાજાની હત્યા થશે.
ત્રણસો મેરોએ જામના સીંકારા ગામ પાસેથી રાજમાતાને અને બાળરાજાને હાથ કર્યા.
ઓડદરમાં લાવીને એારડા કાઢી આપ્યા. મેરોએ કહ્યું : “ મા, મન હેઠું મેલીને
રે'જે. અંહી તારા દીકરાનો વાળ પણ કોઈ વાંકો નહિ કરે.”
એક દિવસ ઓડદરને કાંઠે એક ભાંગેલું વહાણ ઘસડાઈ
આવ્યું. વહાણમાં ઈંટો ભરી હતી. મેરોએ રાણીમાને એ ઈંટેાનું એક પાણિયારું
કરાવી દીધું. એક દિવસ કલાંબાઈએ જોયું તો એક ઈંટને ખૂણો ટેચાયેલો દેખાણો અને
એમાંથી પીળું પીળું સોના જેવું કંઈક ચકચક કરતું હતું. રાણીએ તપાસ્યું. તો
ઉપરના
પડની નીચે આખે આખી હેમની ઈMટ હતી. બધી ઈંટેામાં એ જ
ભેદ જડ્યો. ધણીની ધરતી હાથ કરવા માટે સ્વપ્નમાંયે ઝંખતી રાણીને હૈયે હવે હિંમત આવી.
એક દિવસ રાણીએ પૂછયું : “આ રબારીઓ ભેંસોને રાતમાં કયાં લઈ જાય છે ?”
મેરોએ જવાબ દીધો : “માડી, પહર ચારવા.”
"પહર એટલે?"
“એટલે અધરાતથી સવારોસવાર લગી ભેંસોને લીલાં ઘાસ ચારીને ધરવ કરાવે. સવારે ભેંસો દોણાં ભરીને દૂધ આપે.”
“ત્યારે હું મેરોને અને રબારીઓને પહર ચારું તો?”
“તો તને તારું રાજ કરી દિયે !”
હેમની ઈંટો વેચી-વેચી કલાંબાઈએ મેરોને અને
રબારીઓને મીઠાઈ ખવરાવવા માંડી. ખવરાવવા-પિવરાવવામાં કાંઈ ખામી ન રાખી. છ
મહિના થયા ત્યાં તો મેરોએ અને રબારીએાએ હાથીનાં કુંભસ્થળ જેવાં કાંધ
કાઢયાં, લોઢાની ભેાગળ જેવા બધાના હાથ બન્યા, શરીરનું જોર ફાટફાટ થવા
લાગ્યું. ત્યાર પછી મેર-રબારીએાએ કહ્યું : “માડી, હવે હુકમ કર, હવે નથી
રહેવાતું. ”
રાણીનો હુકમ થયો. મેરોની ફોજ ચડી. જામ સતાજીનો ભાઈ
ખેંગારજી બાર ગામ લઈને નગરથી ઊતરેલો, તેના મુખ્ય ગામ રાવળ ઉપર તૂટી પડયા,
કેમ કે રામદેવજીને મરાવી નાખનાર બંગારજી જ હતા. મેરોએ ગઢ ભેળી લીધે, પણ
ખેંગારજી કોઠા ઉપરથી નીચે ઊતરતો નહોતો.
ત્યારે ચારણે કહ્યું : “આજ ખેંગારજી કોઠામાં ન હોય, કોઠો ખેંગારજીમાં હોય.”
ખેંગારજી ઊતર્યો ને મરાયો. એનું માથું કાપીને મેરો
ક્લાંબાઈ પાસે લાવ્યા. રાવળ ગામ લૂંટીને ખેંગારજીના નગારાં લઈ ગયા.આજ પણ
રાણાને ઘેર 'ખેંગાર-નગારાં' પડયાં છે. ત્યાર પછી મેરોએ બરડામાંથી જામની ફોજ
તગડવા માંડી. બોખીરામાં જામના દાણી રહેતો હતો તેને ઉઠાડ્યો. જામની સેના
સામે લડતાં ૨૪૫૦ મેર મૂઆ. કસવાળિયા, મોઢવાડિયા, રાજસખા અને ઓડદરા, એમ ચાર
વંશના મેરો સામેલ હતા. કેસવાળા મેરને માટે કહેવાય છે કે :
કે'દી કેસવાળા તણો, નર ન રસે ન થાય,
પડકાર્યો પડમાંય, કુંજર ઢાળે કેસવો.
કેસવાળા કેસવ તણો , પોરસ અંગ પાતે,
કેસવાળા કેસવ તણો , પોરસ અંગ પાતે,
દજડે ભલ દાખ્યે, કુંજર ઢાળે કેસવો-
આખો મુલક હાથ કરીને મેરોએ કલાંબાઈને કહ્યું : “લે મા, તારું રાજ સંભાળી લે.”
રાણીએ કહ્યું : “ મારા વીરાઓ ! જાઓ, આજ એક રાતમાં તમે જેટલાં ગામને તોરણ બાંધો તેટલાં ગામ તમારાં.”
રબારી તો એવા રાજી-રાજી થઈ ગયા કે રાત બધી સૂઈ
રહ્યા ! અને મેરોએ ચાળીશ* ગામનાં તેોરણ બાંધ્યાં. રબારીઓ ભળકડે ઊઠયા, અને
માત્ર કાળીખડું અને રાંધાવું, એ બે ગામને જ તેઆ પહેાંચી શકયા.
આ વાર્તાના સંબંધમાં લોકો ગાય છે કે :
ખિમજી શું ન ખાટયે નાગર !
જેઠવો
,
જોરાબોળ
,
બરડે બેઠા બિલનાથ ૧ બંક.
બરડે બેઠા બિલનાથ ૧ બંક.
દીએ નગારે ઠોર.
<poem>
દીએ નગારે ઠેર ઠણેણે, ને સોળસેં બાંધી તેજણ હણેણે,
સાત સાયર ને સૂચવે સાગર, ખિમજી શું ન ખાટિયે મ્રાંગર !
૨
વર વડાણું ને રાવળું, કન્યા,
વિગતે વિવા થાય,
પ્રથમ કંકોતરી કુતિયાણે મોકલી,
જુનેગઢ ખબરું જાય.
જુનેગઢ ખબરું જાય તે જાશે, અમરજી દીવાન ભેળા થાશે,
તમે આવ્યે અંહી ભાગશે ભન્યા, વર વડાળું ને રાવળું કન્યા,
૩
રૂડી રધ રાવળે મંડાણી,
ચૂનેરી ગઢ ચણાય,
જામ વિભોજી ગોખમાં બેઠા,
જેઠવી ફોજું જાય.
જેઠવી ફોજું જાય તે જાણી, બોખીરે બેઠા જામના દાણી,
પાણો કાંકરે લીધો તાણી રૂડી રધ રાવળે મંડાણી.
- * એ કાંવીદાસ લાંગાના વંશજો હાલ પોરબંદરના ગામ છાયામાં જેઠવા રાણાના આશ્રિતો થઈને રહ્યા છે.
- *અત્યારે મરોનાં સુવાંગનાં ગામ સોળ જ રહ્યાં છે. એમ કહેવાય છે કે રાણા વિક્રમાજિતના વખતમાં પ્રેમજી કામદારે કુંવરના જન્મ-ઉત્સવ ઉપર મેરોને પોરબંદર બેાલાવ્યા , પણ સાથે ચારણોને ન આવવા દીધા. પછી મેરોને ખૂબ ખવરાવી-પીવરાવી-ફોસલાવીને કુંવરપછેડામાં ઘણાં ગામ લખાવી લીધાં. ત્યાર પછી ક્રમે ક્રમે મેરોએ સોળ સિવાયનાં તમામ ગામે ગુમાવ્યા.
- ૧. બિલનાથ મહાદેવ
- ૧. જેઠવાનું ગામ
- ૨. જામનું ગામ
૨૦
પરણેતર
સો
રઠને આથમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ આવેલું છે.
“રાણાવાવ” નામની એક વાવ ઉપરથી જ ગામનું નામ પણ રાણાવાવ પડયું હતું. એક વખત
ત્યાં હળવાં ફૂલ જેવાં, ખેડૂતોનાં ખોરડાં હતાં. માના થાનેલા ઉપર ચડીને જેમ
નાનાં બાળકો ધાવતાં હોય તેમ કણબીનાં કુટુંબો ધરતી માતાને ખોળે બેસીને ધાન
ઉગાડતાં ને પેટ ભરતાં. તે દિવસોની આ વાત છે.
ગામમાં ખેતો પટેલ કરીને એક કણબી રહે. એને ઘેર એક
દીકરી. નામ તો હતું અજવાળી. પણ એને 'અંજુ' કહેતા. અંજુ મોં મલકાવે તે ઘડીએ
ચોમેર અજવાળાનાં કિરણો છવાય. ભળકડે ઊઠીને અંજુ રોજ દસબાર રોટલા ટીપી નાખે,
બબ્બે ભેંસોની છાશ ઘમકાવી કાઢે, ચાર-ચાર બળદોનું વાસીદું ચપટી વારમાં
પતાવીને ફૂલ જેવું આંગણું કરે, અને કાંડા કાંડા જેવા એ ભેંસેાના અંચળને
જ્યારે મૂઠી વાળીને અંજુ ખેંચતી હોય ત્યારે શું એ દૂધની શેડો વછૂટતી ! ઘણાય
મહેમાન આવતા, ને ખેતાની પાસે અંજુનું માગું નાખતા.
ખેતો કહેતો : “હજી દીકરી નાની છે. ”
ખેતા પટેલને આંગણે એક દિવસ એક જુવાન કણબી સાથી
રહેવા આવ્યા. અંગ ઉપર લૂગડાં નહોતાં. મોઢા પર નૂર નહોતું, પણ માયા ઊપજે
એવું કાંઈક એની આંખમાં હતું. ખેતા પટેલે એ જુવાનને સાથી રાખ્યો. ત્રણ ટંક
પેટિયું, બે જોડ લૂગડાં, એક જોડ કાંટારખાં, અને મોલ પાકે ત્યારે એક દિવસની
અંદર એકલે હાથે લણી લે તેટલાં ડૂંડા : આવો મુસારો નક્કી થયો. જુવાન કણબી
કામે લાગ્યો.
સાથીને ભાત આપવા અંજુ પોતે જાતી. બપોરે ખેતરે ભાત
લઈ જવાની હોંશમાં ને હોંશમાં અંજુ હવે તો બે પહોર ચડે ત્યાં જ બધું કામ
આટોપી લેતી. બે જાડા રોટલા ઉપર માખણને એક લેાંદો, લીંબુના પાણીમાં ખાસ
પલાળી રાખેલી ગરમરના બે કકડા, અને દોણી ભરીને ઘાટી રેડિયા જેવી છાશ : એટલું
લઈ ને બપારે અંજુ જયારે ખેતરે જાતી, ત્યારે એનું મોં જેવું રૂડું લાગતું
તેવું કયારેય ન લાગે. સાથીની પડખે બેસીને અંજુ તાણ કરી કરી ખવરાવતી.
“ન ખા તો તારી મા મરે.”
“મારે મા નથી.”
“તારો બાપ મરે.”
“બાપેય નથી.”
“તારી બાયડી મરે.”
“બાયડી તો મા જણતી હશે.”
“જે તારા મનમાં હોય તે મરે.”
છેલ્લા સમ સાંભળી છોકરો ફરી વાર અર્ધા ભૂખ્યો થઈ જતો. એને શરીરે રોજ રોજ શેર શેર લોહી ચડવા માંડ્યું.
એક દિવસ છોકરાએ પૂછયું : “તું મારા ઉપર આટલી બધી દયા કેમ રાખછ ?”
“તું અનાથ છે, તારે માબાપ નથી માટે.”
*
એક દિવસ કોસ ચાલતા હતા ત્યારે કિચૂડ કિચૂડ અવાજ સાંભળીને અંજુએ પૂછયું : “મેપા, આ પૈડું ને ગરેડી શી વાતો કરતાં હશે ?”
મેપો બેલ્યો : “પૈડાને એનો આગલો ભવ સાંભરે છે.
ગરેડીને એ કહે છે કે, ગરેડીબાઈ! એાલ્યો ભવ તું હતી પટેલની છોકરી ને હું હતો
સાથી......”
“મેર, રાયા ! હવે ફાટ્યો કે ? માંકડાને મોઢું આવ્યું કે ? કહેવા દેજે મારા આતાને * !”
એવી એવી ગમ્મતો મંડાતી.
*
એમ કરતાં ઉનાળો વીતી ગયો. મેપાએ ખેતર ખેડીખેડીને
ગાદલા જેવું સુંવાળું કરી નાખ્યું. બોરડીનું એક જાળું તો શું, પણ ઘાસનું એક
તરણુંયે ન રહેવા દીધું. સાંઠીએા સૂડીસૂડીને એના હાથમાં ભંભોલા ઊઠયા. અંજુ
આવીને એ ભંભોલા ઉપર ફૂંકતી અને મેપાના પગમાંથી કાંટા કાઢતી.
ચોમાસું વરસ્યું; જાણે મેપાનું ભાગ્ય વરસ્યું.
દોથામાં પણ ન સમાય એવાં તો જારબાજરાનાં ડૂંડાં નીંઘલ્યાં. બપોરે જ્યારે
મેપો મીટ માંડીને મોલ સામે ટાંપી રહેતો, ત્યારે અંજુ પૂછતી : “ શું જોઈ
રહ્યો છે ?”
“જોઈ તો રહ્યો છું કે આટલામાંથી ઓણ બાયડી પરણાશે કે નહિ ?”
“પણ તને મફત બાયડી મળે તો ?”
“તો તો હું અનાથ કહેવાઉં ને!”
*
લાણીને દિવસ નક્કી થયો. કેટલાક દિવસ થયા મેપો રોજ
રોજ લીલા લીલા ઘાસની એક્કેક ગાંસડી વાઢીને ગામના એક લુહારને દઈ આવતો.
લુહારની સાથે એને ભાઈબંધી જામેલી. લુહારે એને એક દાતરડી બનાવી દીધી.
દાતરડીને
રાણાવાવનું પાણી પાયું. અને એ દાતરડી કેવી બની ? હાથપગ
આવ્યો હોય તે બટકાં ઉડાડી નાખે તેવી.
લાણીને દિવસે સવાર થયું, ને મેપો દાતરડી લઈને
ડુંડાં ઉપર મંડાયો. બે પહોર થયા ત્યાં તો ત્રીજા ભાગનું ખેતર કોરુંધાકોર
કરી નાખ્યું. પટેલે આવીને નજર કરી, ત્યાં એની આંંખો ફાટી રહી. ઘેર જઈને
પટેલે પટલાણીને કહ્યું, “નખ્ખેાદ વળ્યું ! સાંજ પડશે ત્યાં એક કૂંડું પણ
આપણા નસીબમાં નહિ રહેવા દે. આખું વરસ આપણે ખાશું શું ?”
અંજુએ એના આતાના નિસાસા સાંભળ્યા. એણે એની સેના
સજવા માંડી. આભલાનાં ભરત ભરેલા હીરવણી ચણિયો, અને માથે કસૂંબલ ચૂંદડી;
મીંડલા લઈને માથું એાળ્યું. હીંગોળ પૂર્યો. ભાત લઈને અંજુ આજ તો વહેલી
વહેલી ચાલી નીકળી. ભાતમાં ધીએ ઝબોળેલી લાપસી હતી. મેપો ખાવા બેઠો. પણ આજ
એનું હૈયું હેઠું નથી બેસતું. અંજુએ ખૂબ વાતો કાઢી, પણ મેપા વાતોએ ન
ચડ્યો : ગલેફામાં બે-ચાર કેાળિયા આડાઅવળા ભરીને મેપાએ હાથ વીછળ્યા.
ચૂંદડીને છેડે એક એલચી બાંધી હતી તે છોડીને અંજુએ મેપાને મુખવાસ કરાવ્યો,
પણ મેપાને આજ એલચીની કિંમત નહોતી. એ ઊઠયો.
“બેસ ને હવે! બે ડૂંડાં એાછાં વાઢીશ તો કાંઈ બાયડી વિનાનો નહિ રહી જા.”
પણ મેપો ન માન્યો, એણે મોઢુંયે ન મલકાવ્યું.
“આજ અંજુથીયે તને તારાં ડૂંડાં વહાલાં લાગ્યાં કે?”
મેપાનું હૈયું ન પીગળ્યું.
“ એલા, પણ તને મફત બાયડી પરણાવી દઈશ. ઘડીક તો બસ, આમ સામું તો જો !”
મેપો ઊંધું ઘાલીને મોલ ભણી ચાલવા જાય છે. “ઊભો
રહે, તું નહિ માને એમ ને ?” એટલું કહીને અંજુ દોડી. મેપાના કેડિયામાં
ભરાવેલી દાતરડી બરાબર ગળે લટકતી હતી. * . હેતના ઉમળકામાં ને ઉમળકામાં એણે એ
દાતરડીને હાથે ઝાલ્યો, ઝાલીને ખેંચ્યો, મોંમાંથી બેલી, “નહિ ઊભા રહે એમ ?”
મેપો ઊભો રહ્યો, સદાને માટે ઊભો રહ્યો. દાતરડી
જરાક ખેંચાતા જ મેપાની ગરદનમાં એ રાણાવાવનું પાણી પીધેલ દાતરડી ઊંડી ઊંડી
ઊતરી ગઈ, મેપો જરાક મલકાયેા હતેા. તે હાસ્ય મોઢા ઉપર રહી ગયું.
મેપાને પરણવું હતું, મેપો પરણ્યો. એ ને એ વસ્ત્રે
અંજુ મેપાના શબની સાથે ચિતામાં સૂતી. અગ્નિદેવતાએ બેયને ગુલાબ જેવા
અંગારાનું બિછાનું કરી દીધું.
ત્યારથી દુહો ગવાતો આવે છે કે,
દાતરડી દળદાર, ધડ વાઢી ઢગલા કરે,
રૂડી રાણાવાવ, કુંવારી કાટ ચડે,
રૂડી રાણાવાવ, કુંવારી કાટ ચડે,
ત્યારથી એ વાવ પૂરી દેવામાં આવી છે. આજ એ જગ્યાએ એક મોટી ઇમારત ઊભી છે. અ દુહા સિવાય એ રાણાવાવનું એકેય નામનિશાન નથી રહ્યું.
- * કણબીએમાં પિતાને ' આતો ' કહેવાય છે.
- * કાપણી કરનાર માણસો જયારે વિસામો ખાય ત્યારે દાતરડી હંમેશાં ગરદનના ભાગ ઉપર કેડિયામાં ભરાવે અને હાથે બહાર લટકતો રાખે.
- કાટ =કાષ્ટ
- આ કથામાં પાત્રોનાનાં ન મળી શકવાથી કલ્પિત નામ અપાયાં છે.
*****************

Post a Comment